Saurashtrani Rasdhar - Aalambhai Parmar books and stories free download online pdf in Gujarati

આલમભાઈ પરમાર

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


આલમભાઇ પરમાર

રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીના વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીનો એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઇ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘોડા ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તો એમણે સાહેબજીનાં ગામડાં પણ દબાવવાનું શરૂ કર્યું. સાહેબજી પરમાર કંટાળીને પાંચાળમાં દતા ભગતની મોલડી નામે ગામમાં પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેર જઇ રહ્યા.

એક દિવસ એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઇને નીકળવાના છે. એમના દિલમાં થયું કે ‘મારો ભાઇ નીકળે છે.

રાતી આંખવાળા રહીમજી ઘોડા ઉપર બેસી પોતાના ઘોડેસવારોની સાથે નીકળ્યા. સાહેબજી અને આખો કાઠી ડાયરો આડો ફર્યો, ને ભાઇના ઘોડાથી લગામ ઝાલી સાહેબજી વીનવવા લાગ્યાઃ “ભાઇ! ઊતરો, સાથે બેસીને રોટલા ખાઇએ.”

“એલા, તું હજી મરી નથી ગયો?” એમ બોલીને રહીમજીએ પોતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની છાતીમાં ચાંપી દીધી. વીંધાઇને સાહેબજી ભોંય પર પડ્યા. બે પળ પહેલાંની પ્રીતિભરી આજીજી એમના ભક્તિમય, ભોળા મોં ઉપર એમ ને એમ છવાયેલી રહી ગઇ. લાગણી બદલવાનો વખત જ ક્યાં હતો?

‘દગો! દગો! દગો!’ કરતા કાઠીઓ એ ખૂની ઉપર હાથ ઉગામવા તૈયાર થયા, ત્યાં તો હસતે મુખે મરતા સાહેબજીએ તરફડતી જીભે સમજાવ્યુંઃ “ના, મારી છેલ્લી ઘડી બગાડશો મા.”

મારતે ઘોડે રહીમજી રણપુર પહોંચી ગયો.

સાહેબજીના મુડદાને દફનાવવા માટે એનાં ઠકરાણી ગાડાં જોડાવીને રાતોરાત રાણપુર આવ્યાં. પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન હોય. આખરે એમને નોખી જવાએ દફનાવવામાં આવ્યા. રહીમજીના ઝેરની સાક્ષી પૂરતી એ આરામગાહ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે.

સાહેબજીના કુલ ગરાસ પણ રહીમજીની આણ વર્તી ગઇ. સાહેબજીના એકના એક બેટા આલમભાઇનો જીવ જોખમમાં છે એવો વહેમ એમની નિરાધાર વિધવા માતાને પડ્યો. આલમભાઇને ક્યાંય બહાર કાઢવામાં આવતો નથી.

માએ પુત્રને પૂછ્યુંઃ “બેટા, આપણી બહેન માણેક બાઇને ઘેર વીરમગામ જઇશ?”

બહેનને ઘેર જવાની હોંશમાં ને હોંશમાં આલમભાઇ ભૂલી ગયા કે પોતાની ઉમર હજુ અગિયાર જ વરસની છે. એ બોલ્યોઃ “માડી, ખુશીથી ઘોડો આપો, હું જઇશ.”

અગિયાર વરસના એકના એક દીકરાને અંધારી રાતે માએ મીઠડાં લઇને પરગામ વળાવ્યો. સાથે માણસ મોકલે તો શત્રુ ઓળખી જાય. એટલે આલમભાઇ રાતદિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો. અને બહેનને ગામ પહોંચ્યો, ત્યાં તો રાજબાળની એકેય એંધાણી એના દીદાર ઉપર ન રહી.

બનેવી સાલેભાઇ વીરમગામના અમીર હતા. ડેલીએ આરબોની એવી ચોકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે. ચીંથરેહાલ આલમભાઇ ડેલીના ઓટા ઉપર બેઠા. જે અંદર જાય તેની સાથે કહેવરાવેઃ “બહેનને મળવા હું એનો ભાઇ રાણપુરથી આવ્યો છું.” સાંભળીને લોંડાં હસતાં જાય.

પણ બહેનની સાથે રાણપુરથી બે વડારણ ગઇ હતી. એણે આલમભાઇને ઓળખ્યો. સોનાની હીંડોળાખાટે હીંચકતી બહેનને ખબર આપ્યાઃ “બા, ભાઇ આવ્યા છે. પણ બહુ બૂરે હાલે બેઠા છે.”

બીજાં ગોલાં હસીને બોલી ઊઠ્યાંઃ “ઓલ્યો રાંકો ડેલીએ બેઠો છે એ બેગમસાહેબનો ભાઇ?”

બહેનને લાગ્યું કે મારા ભાઇએ મારી હાંસી કરાવી. ભાઇને મળવાની એણે ના કહી. ખાવા માટે શકોરામાં કઢી અને જુવારનો રોટલો મોકલ્યાં. આલમભાઇએ આંખનાં પાણી લૂછીને રોટલાને પગે લાગી કહ્યુંઃ “અન્નદેવ! બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તરછોડાય.” બટકું રોટલો ખાધો, બાકીનો ત્યાં જ દાટ્યો, અને ઘોડે ચડી પાછો ચાલી નીકળ્યો.

પાછળથી બનેવી ગામતરેથી આવ્યા. એણે પોતાના સાળાને જાકારો મળ્યાની વાત સાંભળી. રાણીને ધિક્કાર દીધો. આલમભાઇની પાછળ સવારો દોડાવ્યા, પણ આલમભાઇ પાછો ફર્યો નહિ.

રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો.

“અમ્મા, આમ બીતાં બીતાં ઘરને ખૂણે ક્યાં સુધી સંતાઇ રહું? આજે તો ચોરે જવા દે. ખુદા જે કરે તે ખરું, મારી નાખશે તો છુટકારો થશે.”

એ રીતે પોતાની માને મનાવીને આલમભાઇ આંબલિયાળે ચોરે ડાયરામાં આવ્યો. એ ચોરાને બે પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઇનો ડાયરો બેસતો, અને બીજામાં અભુભાઇ કુરૈશનો. બૂઢ્‌ઢા અભુભાઇનું કુટુંબ પેઢી દર પેઢીથી આલમભાઇના કુળમાં દોઢસો-દોઢસો ઘોડેસવાર રાખીને ચાકરી કરતું.

આજ રાણપુર તાલુકો રહીમભાઇના હાથમાં ગયો છે, પણ અભુભાઇએ રહીમભાઇની તાબેદારી સ્વીકારી નથી. એનું બેસણું પણ નોખું જ છે. એકાંતમાં બેસીને અભુભાઇ પાણીડાં પાડે છેઃ “શું કરું? મારી પાસે માણસો નથી. બુઢાપાએ મારું બધું કૌવત હરી લીધું છે, નહિ તો મારો બાળ ધણી કાંઇ આમ રઝળે?”

“આવ, બાપ આલમભાઇ! આવ. મારા ધણી!” એમ કહીને બૂઢ્‌ઢા અભુભાઇએ આલમભાઇને ખોળામાં બેસાડી લીધો; અને માથે ને મોડે પોતાનો ધ્રૂજતો હાથ ફેરવ્યો.

સામી પરસાળેથી રહીમભાઇ બોલ્યાઃ “ત્યારે તો તમારા ધણીને રાણપુરની ગાદીએ જ બેસાડો ને, મિયાં!”

“તમારા મૌમાં સાકર, રહીમભાઇ! એલા કોઇ છે? જાઓ, ઓરડેથી એક ચાકળો લઇ આવો.”

ચાકળો આવ્યો. આલમનું કાંડું ઝાલીને અભૂભાઇએ એને ચાકળે બેસાડ્યા, પોતાની તરવાર એના સામે ધરીને તાજમ કરીઃ “બાપુ, સલામ.”

રહીમભાઇએ પણ સામી પરસાળે મશ્કરીમાં ઊઠીને કહ્યુંઃ “બાપુ! સ...લ્લા...મ!”

અભુભાઇ બોલ્યો. “બાપુ, રહીમભાઇની સલામ લ્યો.” આલમભાઇએ સલામ લીધી. તે દિવસે અભુભાઇને ઘેર લાપસીના રંગાડા ચડ્યા. આખા ગામને અભૂભાઇએ જમાડ્યું. આલમભાઇ અભુભાઇના રમકડા જેવા રાજા થયા!

તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજીરાવ ગાયકવાડની આણ ફરતી. દર વરસે દામાજીરાવ જમાબંધી ઉઘરાવવા આંહી આવતા. તેમને ધોળકાથી લઇ હરીણા નીનામા ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબારો ઉફર હતી.

અભુભાઇ કુરેશી પોતાના બાળારાજાને સાથે લઇને ધોળકે ગયા. જઇને દામાજીના ખોળામાં આલમભાઇને બેસાડીને બધી કથની કહી. દામાજી રાણપુર આવ્યા. એમની આજ્ઞાથી મરાઠાઓ રહીમભાઇ પગે રસ્સી બાંધી ગામમાંથી ઢસડી કિલ્લામાં લાગ્યા. દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધોઃ “મારે એનું મોં નથી જોવું. એને કાંધ મારો.”

“ન બને, એ ન બને.” કરતો જુવાન આલમભાઇ આડો પડ્યો.

દામાજીએ કહ્યુંઃ “બચ્ચા, એણે તો તારા બાપને કાપી નાખ્યો છે. એના ઉપર દયા હોય?”

“મહારાજ, મરેલો બાપ હવે જીવતો નહિં થાય, પણ મારા કાકાના મૉતથી તો અમારી સો પેઢી લગી વેર જીવતું થશે. ગમે તેવો તોયે એ મારો કાકો છે.”

રહીમભાઇને કેદી બનાવી લઇ જવામાં આવ્યા. આલમભાઇની ચોવીસી પાછી આલમભાઇને ઘેર આવી. મહારાજે આલમભાઇના રક્ષણ બદલ રાણપુર થાણું મુક્યું. એના ખર્ચ બદલ આલમભાઇએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું.

આંહીં આલમભાઇનો દિવસ ચડ્યો, ને વીરમગામમાં બહેનનો દિવસ આથમ્યો. સોનાની હીંડોળાખાટના મીઠા કિચૂડાટ બંધ પડ્યા. લાજીને બહેન-બનેવીએ રાણપુર આશરો લીધો. પોતાને મળેલા જાકારાનું એક પણ વેણ સંભાર્યા વિના આલમભાઇએ બહેનને ગઢિયું નામનું ગામ આપ્યું, જે હજુ એનાં વંશજો ખાય છે.

છૂટો થયેલ રહીમભાઇ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો. એના હાથમાં વઢવાણનો ઝાલો રાજા સબળસિંહ આવી પડ્યો. સબળસિંહને એણે સમજાવ્યું કે તને હું એક પહોરમાં રાણપુર જિતાડું. સબળસિંહની સવારી ચડી. સીમાડે બુંબાડ પડ્યા.

આલમભાઇ કિલ્લો છોડી ગામમાં આવ્યા. વસ્તીને કહ્યુંઃ “પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઇને કિલ્લામાં પેસી જાઓ.” વસ્તી કિલ્લામાં પેસવા લાગી. આલમભાઇ કોઇ ઓલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા. એ કોની વાટ જોતા હતા ?

એક ડોશીની! ડોશી પોતાના ઘરમાં કોઇ કુલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી, ને કહેતી હતીઃ “એ બાપુ, જરા ઊભા રહેજો! જરા ખમજો!” આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડોશી ગામમાંથી ખસી.

આલમભાઇને અને સેનાને ભેટંભેટા થઇ. સૈન્યને મોખરે અગરસિંગ નામનો સરદાર ચાલતો હતો, તેને જોઇને આલમભાઇએ પોતાના મછા નામના યોદ્ધાને કહ્યુંઃ “હે મછા! તારી બરછી ફરી ક્યારે કામ આવશે? માર અગરસિંગને.”

પોતાના ધણીની છેલ્લી આજ્ઞા પાળીને મછો રાણપુરની બજારમાં જ મૉતની રાતીચોળ પથારીમાં સૂતો. આલમભાઇ અને એના સાથીઓએ કિલ્લાનું શરણ લીધું. ધબોધબ દરવાજા બંધ થાય.

સબળસિંહે રણપુર ગામમાં જ માટીનો કિલ્લો કરી મોરયા બાંધ્યા. ્‌આલમભાઇના કિલ્લાને તોડવાનું એનું ગજું નહોતુંં. એક દિવસ આલમભાઇ નાઠાબારીએ થઇને ધોળકા પહોંચ્યા. દામાજી ગાયકવાડને વાત સંભળાવી દામાજીનું સૈન્ય ચડ્યું. એ સાંભળીને સબળસિંહ રાણપુરથી બે ગાઉ દૂર પોતાના નાગનેશ ગામના કિલ્લામાં જઇને ભરાયો.

દામાજીરાવે નાગનેશને ઘેરો ઘાલ્યો અને ગઢ તોડવા માટે અમદાવાદથી મહાકાળી ને મહાલક્ષ્મી નામની બે તોપો મંગાવી. બળદનાં સો-સો તરેલાં જોડાય ત્યારે જ તાણી શકાય એવી એ બે તોપો નાગનેશની નદીમાં આવીને અટકી ગઇ. પછી દામાજીરાવે બન્નેની પૂજા કરી. સિંદૂર અને ફૂલ ચડાવ્યાં. પોતે સડેડાટ સામે કાંઠે ચડી.

તોપે વછોડવાનું મુરત જોવરાવ્યું. બરાબર પૉ ફાટવાનો સમય મુરતમાં નક્કી થયો. દામાજીરાવે હુકમ કર્યોઃ “ધોળી ધજા લઇને ગામના ગઢ ઉપર ચડી ખબર આપો કે સવારે તોપો ચાલશે. ખબર આપો કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ન વછૂટી જાય માટે કાનમાં સૂંઠનાં પૂમડાં કરીને ઘાલે. ખબર આપો બાળકોને, બુઢ્‌ઢાઓને કે થડકે નહિ.”

બીજી બાજુ સબળસિંહને એક વધુ ખબર પડી. ગઢના ચારેય કોઠાની અંદર, થાળીઓમાં મગ મુકાવ્યા હતા તે મગના દાણા, એક દિવસ થરથરના મંડ્યા. સબળસિંહ સમજ્યો કે દરબારગઢની નીચે સુરંગ ખોદાય છે. ઉપરથી બાકોરું પાડી, પાણી રેડી, સુરંગની નકામી કરી નાખવા તૈયાર થઇ; પણ ગામની વસ્તીએ ખાણો કરી કરી જાર ભરી હતી તે ટળી જાય, માટે લોકોએ ના પાડી.

ભળકડું થયું. બધા કેઃ “મહારાજ, હવે તોપો વછોડો.”

મહારાજ કહેઃ “ના, હજુ ઝાડ ઉપર પંખી નીંદર કરે છે. એને ફડકો નહિ પડાવું. સૂરજને ઊગવા દ્યો.”

સૂરજ ઊગ્યો ને તોપો ગડેડીઃ ધુબ્બાંગ! ધુબ્બાંગ! ધુબ્બાંગ! અને નાગનેશનો ગઢ ભાંગીનો ભૂકો થઇ ગયો. સબળસિંહ પકડાયો. એ ટાણે બે રજપૂતોએ એને પડખે ચડીને કહી દીધુંઃ “તને તમારે કેદમાં જાઓ. અમે હમણાં વાણિયાને વેશે આવીને દામાજીને અને આલમભાઇને રેં’સી નાખશું.”

સ્નાન કરતાં કરતાં દામાજીએ હુકમ દીધોઃ “સબળસિંહને ઝાડ નીચે લઇ જાઓ ને ઝાટકે મારો.”

આલમભાઇે ચીસ નાખીઃ “મહારાજ, ન બને, એમ ન બને.”

“કેમ?”

“શેતરંજની રમતમાં જે લાકડાનો રાજા હોય છે એને પણ મારવાની મના છે, તો પછી આ જીવતાજાગતા મનુષ્યવતારને, આ લાખોના પાળનારને કેમ મરાય, મહારાજ?”

બંદીવાન સબળસિંહ જાણે પ્રભુની દયાનું અમૃત પીતો હોય તેમ આલમભાઇના મોંની સામે જોઇ રહ્યા. દામાજીવરાવનું દિલ પણ નરમ થયું.

ત્યાં તો બે વાણિયા એકબીજાને ગાળો દેતા, મારપીટ કરતા, બૂમબરાડા પાડતા ચાલ્યા આવે છે. મહારાજે જાણ્યું કે શેઠિયા ફરિયાદે આવે છે. લગોલગ આવી પહોંચ્યા. ત્યારે કૃેતજ્ઞી સબળસિંહે રાડ પાડીઃ “મહારાજ! આ દગો છે, મારા રજપૂતો વાણિયાને વેશે તમને મારવા આવે છે.”

દામાજીરાવ નહાતા હતા. શરીરે પૂરો પોશાક પણ નહોતો. આલમભાઇ પાસે પણ એક છરીયે નહોતી. રજપૂતો પોતાની જાંઘમાં છુપાવેલી કટારો કાઢી મહારાજની સામે દોડ્યા ત્યાં તો આલમભાઇએ દોટ કાઢી બેયની ગરદન અક્કેક હાથમાં ઝાલી, બેયના માથાં સામસામાં પટકીને ચૂરેચૂરા કરી નાખ્યાં.

મહારાજ બોલ્યાઃ “રંગ છે, આલમભાઇ! અત્યાર સુધી હું માનતો હતો કે તમે ફક્ત આોલિયા છો; પણ ના, તમે શરીર પણ સાધી જાણ્યું છે.”

આલમભાઇએ આસમાનની સામે જોઇને માથું નમાવ્યું.

“આલમભાઇ, મારો જીવ બચાવ્યો તેની જુગોજુગ યાદગીરી રહે એ ઘટે તમારા ગામ આલમપુરાની જમાબંધી માફ કરું છું.”

“મહારાજ, એમ થાશે તો ભવિષ્યમાં કોઇક દિવસ આપના વારસદારો મારા વારસદારોને કહેશે કે એ તો ધર્માદાનું ગામ ખાય છે. માટે જમાબંધી કાઢી નાખવા તો નહિ દઉં.”

આખરે આલમભાઇની જમાબંધી એક આંકડે રૂપિયા ચારસો બાંધી આપ્યા. તે જ જમા હજુ સુધી આબાદ છે.

આલમપુરનાં તોરણ બાંધીને આલમભાઇ ત્યાં રહેવા લાગ્યા. પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઇ રહે છે. આદમી હતો ખોજો નામે એક હજામ. અબોલ ખોજો મૂંગે મોઢે પોતાના માલિકની ચાકરી કર્યા જ કરતો. પથારી પાથરતો, હોકો ભરી આપતો, મશાલ પેટાવતો, વાળુ કરાવતો.

દાયરામાં આલમભાઇ કહેતાઃ “આ દુનિયા ફાની છે. મારી મગરૂરીને ખાતર મેં મારા નામનું ગામડું વાસ્યું છે, પણ મારાં સુખદુઃખોનો સાચો દોસ્ત આ હજામ શું જિંદગી ખતમ થયા બાદ ભુલાઇ જાશે? મારા ભેળો ને ભેળો મૂંગો મૂંગો તડકાછાંયા વેઠનાર એ હજામ ભુલાઇ જાય તો પછી હું શા સબબથી યાદગાર રહું? ખોજા! તારા નામનું પણ એક જ દમમાં તારું ને મારું નામ લેવાશે; તને હું નહિ તજું.”

ડાયરાએ હાંસી કરીઃ “બાપુ, હજામના નામનું ગામ! રાજરીત શું ઊંધી વળી ગઇ?”

“ખુદાની રીત જ ખરી છે, ભાઇ! ખાવંદની નજરમાં કોણ છે આલમભાઇ, કોણ છે ખોજો હજામ?”

આલમભાઇએ આલમપુરની સામે જ ખોજાપરનાં તોરણ બાંધ્યાં.

“બાપુ! કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કંઇક ભેદ કળાય છે. દીવાલને કાન દઇને ઊભા રહીએ તો માલીપા રોવાના અવાજ આવે છે.” સૂકભાદર અને ગોમા, એ બે નદીઓની વચ્ચેના ટેકરા ઉપર ઊભેલા, સામા કાંઠાના કિલ્લા વિશે આવી વાત થઇ.

આલમભાઇના હાથમાં તસબી કરતી હતી. એમનો બીજો હાથ તુરત જ સમશેરની મૂઠ ઉપર ગયો. બાતમી મળી કે કોઇક આખા કુટુંબ ઉપર - મરદ, ઓરત અને બાળબચ્ચાં ઉપર - મરાઠો સૂબો સિતમ ગુજારી રહ્યો છે. સૂબાની બદલી થઇ છે. ગામના વાણિયાનું મોટું દેણું ચડેલુંછે. વાણિયો ઉઘરાણીએ ગયો તો સૂબાએ ખાલી ખિસ્સાં દેખાડ્યાં, એટલે વાણિયાએ એક બાજુ તરકીબ બતાવી કે ‘હું ઠેઠ વડોદરા જઇને દાદ માગીશ.’

ને બીજી બાજુ તરકીબ બતાવી કે ‘આ જાય બોટાદનો લખપતિ વાણિયોઃ પકડ ને રસ્તામાંથી! માગીશ તેટલું મળશે!’ આ પરથી મરાઠા સૂબાએ બોટાદના એક વેપારીને હાથ કર્યો છે. કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે, પણ વાણિયો માનતો નથી. પછી બોલાવ્યાં છે એનાં બાયછોકરાંને. બાયડી અને બચ્ચાં ચોધાર પાણીડાં પાડતાં ઊભાં છે. સૂબાએ તો ધમકી બતાવી છે કે ‘તારાં છોકરાને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દઇશ.’

આલમભાઇ ઊભા થયા. પાછળ ચારેય દીકરા પણ ચાલ્યા. નદીને કાંઠે આવીને આલમભાઇએ પાછા વળી કહ્યુંઃ “દીકરાઓ, મારો આખો વંશ ચાલ્યો જવા નહિ દઉં. માટે બે જણા પાછા વળો.”

લાખોજી અને ડોસુજી કચવાતા પાછા ગયા, તોગાજી અને બાપુજી સાથે ગયા. સૂબાને કાનજી વાણિયાએ વાત પહોંચાડી દીધી કે આલમભાઇ આવે છે. સૂબાએ ગઢ બંધ કરાવ્યો, અને આલમભાઇ પોતાના પુત્રો સાથે દોઢીમાં દાખલ થયા કે તુરત જ દોઢીના દરવાજાને બંધ કરી, અંદરથી ખંભાતી તાળું મારી, ગઢની હૈયારની ઉપર થઇને દરવાન અંદર ચાલ્યો ગયો. દોઢીમાં કેદ થયેલા ત્રણેય પરમારો ઉપર કિલ્લાના મોરચામાંથી બંદૂકોનો મારો ચાલ્યો. ત્રણેય જણા ઘાવાખાનામાં ૧ પેસી ગયા.

બંદૂકોના ધુબાકા સાંભળતાં તો ગામમાં એક સ્વામી આવેલા તે પોતાના સાઠ ચેલાઓને લઇ આલમભાઇની વહાર કરવા બહાર નીકળ્યા. એ ભગવા વસ્ત્રની પાછળ આખી વસ્તી નીકળી. કિલ્લાની બહારથી હાકલા-પડકારા થવા માંડ્યાઃ “બાપુ! મૂંઝાશો મા. હમણાં બારણાં તોડીએ છીએ.”

પણ એ તોતિંગ બારણાં કેમ કરી તૂટે!

અંદરથી ગોળીઓનો વરસાદ ઝીંકે છે તેમાં થઇને દરવાજામાં જવું શી રીતે? આલમભાઇ મૂૂંઝાયા છે. તે વખતે દીકરો તોગાજી બોલ્યોઃ “બાપુ, હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા, વખત આવે ત્યારે જોર બતાવજે. આજ એ વખથ આવી પહોંચ્યો છે. આપને મોંએથી ‘ફતેહ’ ઉચ્ચારો, ને પછી જુઓ, હું તાળું તોડું છું કે નહિ!”

“જા બેટા, ફતેહ કર.”

માથા ઉપર ગેંડાના ચામડાની ઢાલ ઢાંકી, હાથમાં તરવાર લઇ તોગોજી દરવાજામાં આવ્યો. અંદરથી ભડોભડ ગોળીઓ ઢાલમાં લાગી. પણ તોગાજીને ઇજા ન થઇ. પોતાના બે પગ ભરાવીને એણે દરવાજાના ખંભાતી તાળાને બે ભૂજાથી એવું મરડ્યું કે આંકડિયો નીકળી પડ્યો. ધબ દઇને તાળું નીચે પડ્યું. સાંકળ ખોલી નાખી ને આખી મેદની ‘મારો! મારો!’ એવો દેકારો કરતી અંદર દોડી આવી.

‘રંગ તોગુભા! રંગ તોગુભા!’ કરતા જ્યાં બધા તોગાજી સામે જુએ ત્યાં તો તોગાજીની આંખોનાં બેય રતન બહાર લબડતાં હતાં, ને એને રૂંવાડે રૂંવાડે લોહી ટપકતું હતું.

“ભાઇને ઘેર લઇ જાઓ,” એવા પોકારો સાંભળીને તોગાજી બોલ્યોઃ “અંદર જે નિર્દોષ પુરાણાં છે એમને છોડાવ્યા વિના હું આંહીંથી નહિ ખસું. હું આલમભાઇ પરમારનો દીકરો છું. આંહીં જ મરીશ.”

અંદર શું થઇ રહ્યું છે? એક આરબ સરદાર પોતાના સો સવારો સાથે કિલ્લામાં મહેમાન આવેલો. એની એ સો સાંઢ્યો બહાર દોઢીમાં બાંધી રહી છે. આરબોને બીક લાગી કે ગામલોકો સાંઢ્યોને હાંકી જશે. સૂબાને એણે કહ્યુંઃ “મારી સાંઢ્યોને અંદર લેવા દે, નહિ તો બંદૂકો હાજર છે, હું ધીંગાણું કરીશ. મારી જીવ સાટેની મોંઘી સાંઢ્યોને હું નહિ ગુમાવું.”

સૂબો ડર્યો. દરવાજા આડાં તરવારો, બંદૂકો ને ભાલાં ગોઠવ્યાં. પછી અર્ધું કમાડ ઉઘાડ્યું. જ્યાં પહેલી સાંઢ્યને અંદર દાખલ કરી, ત્યાં આલમભાઇએ સાંઢ્યને ઓથે રહીને પોતાના માણસો સાથે ધસારો કર્યો. સાંઢ્ય ભાલામાં વીંધાઇ ગઇ, માણસો બચ્યાં. સૂબો ભાગ્યો. આલમભાઇએ સૂબાને પકડી, પછાડી, છાતી ઉપર ચડી, તરવાર કાઢી કહ્યુંઃ “જો, આટલી વાર લાગે. પણ જા, કમજાત તારે ખંભે જનોઇ ભાળીને હું ભોંઠો પડું છું.!”

નિર્દોષ વાણિયાનાં બાળબચ્ચાંને છોડાવી પરમારો ઘેર ગયા. દીકરો તોગાજી જિંદગીભર અંધ રહ્યો.