Charan ni Kholadhari - Saurashtra ni rasdhar story books and stories free download online pdf in Gujarati

ચારણની ખોળાધરી - સૌરાષ્ટ્રની રસધારમાંથી

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


ચારણની ખોળાધરી

વિક્રમ સંવત ૧૬૩૦ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઇ પૂછતો હતોઃ “મારો રાણો ક્યાં?”

“મારો રાણો ક્યાં, મારો રામદેવજી ક્યાં? રાણાને પાછો લાવો!” એવી એવી એ ચારણની કળકળતી બૂમોથી દરબારગઢના પથ્થરો ધણધણી ઊઠ્યા, ને આખો ગઢ કોઇ ઉજ્જડ ભૂતખાનાની માફક સામો પડઘો પાડીને પૂછવા લાગ્યોઃ ‘રાણો ક્યાં?’

માણસો એકબીજાને પૂછવા લાગ્યાઃ “રાણો ક્યાં?”

કોઇએ ચારણને કહ્યુંઃ “રાણાની મામીઓ એને મળવા ઝંખતી હતી, તે રાણો ગઢમાં ગયા છે.”

ફડકે શ્વાસ લેતો ચારણ થોડી વાર વાટ જોઇને જોઇને બેઠો. પણ રાણો મામીઓના ખોળામાંથી પાછો વળ્યો જ નહિ. રાણીઓના માઢમાંથી નીકળનારા એકેક માણસનું મોં કાળું શાહી જેવું થઇ ગયેલું દેખાતું હતું. ચારણ પૂછતો હતોઃ “રાણો ક્યાં?” માણસો અબોલ બનીને ચાલ્યા જતા હતા.

દરબારગઢના ઝરૂખા સામે ઊભા રહીને ચારણ ચીસ પાડી ઊઠ્યોઃ “રાણા! બાપ રાણા! નીચે ઊતર. તારી માને મેં ખોળાધરી આપી છે. મારા રાણાને લાવો! રાણાને પાછો લાવો!”

ચારણ બાવરો બન્યો. ઝરૂખાની ભીંત સાથે માથું પછાડવા લાગ્યો. પણ રાણાએ જવાબ દીધો નહિ,

“લે, આ તારો રાણો!” એવો એક અવાજ આવ્યો. અને તે સાથે જ ઝરૂખામાંથી ધબ દઇને એક ગાંસડી ધરતી ઉપર પડી. એ લોહીતરબોળ ગાંસડીને ચારણે છોડી. અંદર જુએ તો રાણા રામદેવજીના કટક! હાથ નોખા, પગ નોખા, ધડ નોખું અને જાણે મામીઓનાં મીઠડાં લેવરાવવા હસીને હમણાં જ નમ્યું હોય તેવું તાજું કાપેલું માથું પણ નોખું.

“બસ, મારા બાપ! ક્યાંય રેઢો નહોતો મેલતો! અને આજ જંગલ ગયો તેટલી વાર રહી ન શક્યો? મામીનાં તેડાં બહુ મીઠાં લાગ્યાં? ઓય મારી અણમોલી થાપણ! પોરબંદરની રાણીને હવે હું શો જવાબ આપીશ?”

ચારણ ખૂબ રોયો. દરબારગઢ આખો જાણે એની સાથે સાદ પુરાવવા લાગ્યો.

આ ચારણનું નામ કાંવીદાસ લાંગો. જામ સતાજીનો એ દસોંદી. પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજી, સતાજીનો સગો ભાણેજ હતો. સતાજીને નગરનું રાજ વિસ્તારવું હતું. નાના ભાણેજને એટલા ખાતર ટૂંકો કરવો હતો. ઘણી ઘણી વાર તેડાવે પણ ભાણેજ નહિ, કેમ કે બહેનને ભાઇની મતલબના પડઘા આવી ગયા હતા. આખરે કાંવીદાસને જામે કહ્યુંઃ “આપણે આંગણે લગન છે. ભાણેજ ન આવે તો દુનિયા શું કહેશે? ગઢવી, જાઓ તમારી ખોળાધરી દઇને બહેનના ભાણિયાને તડી આવો.”

ચારણની ખોળાધરી એટલે વિધાતાનો લેખઃ પોરબંદરની રાણીએ છોકરાને મીઠડાં લઇને ભાઇને ઘેર લગ્ન ઉપર વળાવ્યો. મામાએ લગ્નમાં ભાણેજને લોહીથી નવડાવ્યો.

ચારણ ઘેર ગયો. એકનો એક દીકરો જમલદાસ હતો તેને કહ્યુંઃ “બાપ! આપણા ધણીને આજ ભાણેજનાં લોહીની તરસ લાગી છે. વિશ્વાસઘાતથી ધ્રૂજી ઊઠેલી નગરની ધરતી ધા નાખી રહી છે. આપણા ઘરનાં નાના-મોટાં અઢાર માણસો છે. આવો, આપણે જામને લોહીથી ધરવી દઇએ.”

કાંવીદાસ લાંગાના એક દીકરાએ છાતીમાં કટાર ખાધી. રુધિરનો ધોરિયો છૂટ્યો, એમાંથી ખોબા ભરીને કાંવીદાસે નગરના દરબારગઢ ઉફર છાંટવા. ચારણ્યોએ સ્વહસ્તે પોતાના થાનેલા કાપીકાપીને ‘લેજો રાણાજી!’ કહી નગરના ગઢની ભીંતો પર ફેંક્યા. વલી દૂધિયા દાંતાવાળાં બાળકોનાં નાનકડાં માથાં શ્રીફળ વદેરે તેમ દરબારગઢની ભીંતે વધેરી વધેરી શેષ મૂકી.

પછી ગાડું જોડ્યું. એમાં કપાસિયા ભર્યા, ઉફર ઘી રેડ્યું, એની ઉપર તેલમાં તરબોળ કરેલાં લૂગડાં પહેરી, પોતાનાં બાકીનાં પાંચ માણસો સાથે કાંવીદાસ બેઠો. હાથમાં માળા લઇને ‘હર! હર! હર!’ની ધૂન સાધી. કોળીનો એક છોકરો ગાડું હાંકતો હતો, તેને ચારણે કહ્યુંઃ ‘બાપ! ગાડાને આગ લગાડીને તું બા’રો નીકળી જા.”

કોળી બોલ્યોઃ “બાપુ! તમે માનો છો કે હું અગ્નિની ઝાળ દેખીને આખરને વખતે ભાગીશ ને તમારા ત્રાગાને ભોંઠામણ આપીશ? એમ બીક હોય તો જુઓ, નજર કરો મારા પગ ઉપર.”

ચારણ જુએ છે. તો કોળીએ લોઢાની નાગફણી ઠોકીને પોતાના પગ ગાડાની ઊંધ સાથે જડી લીદેલા!

ગાડું દરબારમાં ચાલ્યું. કપાસિયા સળગ્યા, ગાડાને આગ લાગી. ચારણ-પરિવારનાં લૂગડાં સળગ્યાં. કાયા ચડ ચડ બળવા લાગી. દેવતા હાડકાંમાં દાખલ થયો ત્યાં તો ફડ ફડ ફટાકિયા ફૂટવા લાગ્યા. છતાં એ પાંચ માણસોની જીવતી ચિતામાંથી કેવો સ્વર છે? ‘હર! હર! હર!’ પાંચેય માનવી જ્યાં બેઠાં હતાં ત્યાં થંભી ગયાં, અને છેવટે અગ્નિએ હાથ પાડી નાખ્યા ત્યારે જ હાથમાંથી માળા નીચે પડી. કોળીનો છોકરો ઊંધ ઉપર જ સળગી ગયો. સતાજી જામના દરબારગઢે તે દિવસે અઢાર દેવી-બાળકોના ભક્ષ લીધા. ૧

ભાણેજને પતાવીને સતાજીને રાણાની ધરતી ધબેડવા માંડી. અરબી સમુદ્ર ને બરડા પર્વત વચ્ચે આવેલો ભાણેજનો તમામ મુલક મામો ગળી ગયો ને બોખીરાની ખાડીને તેણે પોતાની રાજ્યસીમા બનાવી. મરનાર રાણાનો પુત્ર રાણો ભાણજી બરડો છોડીને પોતાની રાણી કલાંબાઇ અને નાનકડા કુંવરને લઇને ભાગવા મંડ્યો. જંગલોમાં સંતાયો, ને આખરે એનો દેહ છૂટી ગયો.

નિરાધાર રાણી કલાંભાઇને અને કુંવર ખીમજીને ઊંચે આભ ને નીચે એ ધરતી વિના બીજું કોઇ શરણ દેનાર ન રહ્યું. ધરતીમાંથી પણ ડગલે ડગલે જાણે જામના પગના ધબકારા સંભળાતા હતા. ત્યાં તો મેરોમાં હાક બોલીઃ

“હાં! માટી થાઓ! આપણી રાજમાતા રઝળી પડી; આપણા બાળરાજાની હત્યા થશે. ત્રણસો મેરોએ જામના સીંકારા ગામ પાસેથી રાજમાતાને અને બાળરાજાને હાથ કર્યો. ઓડદરમાં લાવીને ઓરડા કાઢી આપ્યા. મેરોએ કહ્યુંઃ “મા, મન હેઠું મેલીને રે’જે. આંહીં તારા દીકરાનો વાળ પણ કોઇ વાંકો નહિ કરે.”

એક દિવસ ઓડદરને કાંઠે એક ભાંગલું વહાણ ઘસડાઇ આવ્યું વહાણમાં ઇંટો ભરી હતી. મેરોએ રાણીમાને એ ઇંડોનું એક પાણિયારું કરાવી દીધું.

એક દિવસ કલાંબાઇએ જોયું તો એક ઇંટનો ખૂણો ટોચાયેલો દેખાણો અને એમાંથી પીળું પીળું સોના જેવું કંઇક ચકચક કરતું હતું. રાણીએ તપાસ્યું, તો ઉપરના પડની નીચે આખેઆખી ઇંટ હેમની હતી. બધી ઇંટોમાં એ જ ભેદ જડ્યો. ધણીની ધરતી હાથ કરવા માટે સ્વપ્નમાંયે ઝંખતી રાણીને હૈયે હવે કિંમત આવી.

એક દિવસ રાણીએ પૂછ્યુંઃ “આ રબારીઓ ભેંસોને રાતમાં ક્યાં લઇ જાય છે.?”

મેરોએ જવાબ દીધોઃ “માડી, પહર ચારવા.”

“પહર એટલે?”

“એટલે અધરાતથી સવારોસવાર લગી ભેંસોની લીલાં ઘાસ ચારીને ધરવ કરાવે. સવારે ભેંસો દોણાં ભરીને દૂધ આપે.”

“ત્યારે હું મેરોને અને રબારીઓને પહર ચારું તો?”

“તો તને તારું રાજ કરી દિયે!”

હેમની ઇંટો વેચી વેચી કલાંબાઇએ મેરોને અને રબારીઓને મીઠાઇ ખવરાવવા માંડી. ખવરાવવા-પિતરાવવામાં કાંઇ ખામી ન રાખી. છ મહિના થયા ત્યાં તો મેરોએ અને રબારીઓએ હાથીનાં કુંભસ્થળ જેવાં કાંધ કાઢ્યાં. લોઢાની ભોગળ જેવા બધાના હાથ બન્યા. શરીરનું જોર ફાટફાટ થવા લાગ્યું, ત્યાર પછી મેર રબારીઓએ કહ્યુંઃ “માડી, હવે હુકમ કર, હવે નથી રહેવાતું.”

રાણીનો હુકમ થયો. મેરોની ફોજ ચડી. જામ સતાજીનો ભાઇ ખેંગારજી બાર ગામ લઇને નગરથી ઊતરેલો, તેના મુખ્ય ગામ રાવળ ઉપર તૂટી પડ્યા, કેમ કે રામદેવજીને મરાવી નાખનાર ખેંગારજી જ હતો. મેરોએ ગઢ ભેળી લીધો, પણ ખેંગારજી કોઠા ઉપરથી નીચે ઊતરતો નહોતો.

ત્યારે ચારણે કહ્યુંઃ “આજ ખેંગારજી કોઠામાં ન હોય, કોઠો ખેંગારજીમાં હોય.”

ખેંગારજી ઊતર્યો ને મરાયો. એનું માથું કાપીને મેરો કલાંબાઇ પાસે લાવ્યા. રાવળ ગામ લૂંટીને ખેંગારજીનાં નગારાં લઇ ગયા. આજ પણ રાણાને ઘેર ‘ખેંગાર-નગારાં’ પડ્યાં છે.

ત્યાર પછી મેરોએ બરડામાંથી જામની ફોજ તગડવા માંડી. બોખીરામાં જામનો દાણી રહેતો હતો તેને ઉઠાડ્યો. જામી સેના સામે લડતાં ૨૪૫૦ મેર મૂઆ. કેસવાળિયા, મોઢવાડિયા, રાજસખા અને ઓડદરા, એમ ચાર વંશના મેરો સામેલ હતા. કેસવાળા મેરને માટે કહેવાય છે કે

કે’દી કેસવાળા તણો, નર નરસો ન થાય,

પડકાર્યો પડમાંય, કુંજર ઢાળે કેસવો.

કેસવાળા કેસવ તણો, પોરસ અંગ પોતે,

દજડે ભલ દાખ્યે, કુંજર ઢાળે કેસવો.

આખો મુલક હાથ કરીને મેરોએ કલાંબાઇને કહ્યુંઃ “લે મા, તારુ રાજ સંભાળી લે.”

રાણીએ કહ્યુંઃ “મારા વીરાઓ! જાઓ, આજ એક રાતમાં તમે જેટલાં ગામને તોરણ બાંધો તેટલાં ગામ તમારાં.”

રબારી તો એવા રાજી રાજી થઇ ગયા કે રાત બધી સૂઇ રહ્યા! અને મેરોએ ચાળીસ ૧ ગામનાં તોરણ બાંધ્યાં. રબારીઓ ભળકડે ઊઠ્યા, અને માત્ર કાળીખડું અને રાંધાવું, એ બે ગામને જ તેઓ પહોંચી શક્યા.

આ વાર્તાના સંબંધમાં લોકો ગાય છે કે

ખીમજી શું ન ખાટિયે નાગર!

જેઠવો જોરાબોળ,

બરડે બેઠા બિલનાથ ૧ બંકા

દીએ નગારે ઠોર.

દીએ નગારે ઠોર ઠણેણે, ને સોળસેં બાંધી તેજણ હણેણે,

સાત સાયર ને સૂસવે સાગર, ખીમજી શું ન ખાટિયે નાગર!

વર વડાળું ૨ ને રાવળું ૩ કન્યા,

વિગતે વિવા થાય,

પ્રથમ કંકોતરી કુતિયાણે મોકલી.

જૂનેગઢ ખબરું જાય.

જૂનેગઢ ખબરું જા ય તે જાશે, અમરજી દીવાન ભેળા થાશે,

તમે આવ્યે આંહીં ભાગશે ભન્યા, વર વડાળું ને રાવળું કન્યા.

રૂડી રધ રાવળે મંડાણી,

ચૂનેરી ગઢ ચણાય,

જામ વિભોજી ગોખમાં બેઠા,

જેઠવી ફોજું જાય.

જેઠવી ફોજું જાય તે જાણી, બોખીરે બેઠા જામના દાણી,

પાણો કાંકરો લીધો તાણી રૂડી રધ રાવળે મંડાણી,