Saraswatichandra - 4.4 - 8 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૮ : અલખમંદિરનો શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ

Tell me not in mournful numbers.

‘Life is but an empty dream !’

For the soul is dead that slumbers,

And things are not as they seem.

Life is real, life is earnest !

And the grave is not its goal;

‘Dust thou art, to dust returnest’

Was not spoken of the soul.

Not enoyment, and not sorrow,

Is our destined end or way,

But to act, that each to-morrow,

Find us farther, than to-day.

Art is long, and Time is fleeting,

And our hearts, though stout and brave,

Still, like muffed drums, are beating

Funeral marches to the grave.

In the world’s broad field of battle,

In the bivouac of life,

Be not like dumb, driven cattle !

Be a hero in the strife !

-Longfellow

વિષ્ણુદાસ બાવાની યોગાવસ્થાની ચાર રાત્રિ અને ચાર દિવસનો સર્વ કાળ, એમની કોટડીમાં વિહારપુરી અને બીજા બે ઉત્તમાધિકારી બાવાઓએ એમનું યોગસ્થ શરીર સાચવવામાં વારાફરતી અપ્રમત્ત જાગરણ કરી ગાળ્યો. આજે એ કાળ પૂરો થયો અને વિષ્ણુદાસ સમાધિમાંથી ધીમે ધીમે જાગ્યા તે કાળે એકલો વિહારપુરી તેમની પાસે બેઠો હતો.

સમાધિમાંથી જાગૃત થતાં પહેલાંનો આખો દિવસ અને આખી રાત્રિ તેમના મુખ ઉપર અપૂર્વ આનંદ સ્ફુરી રહેલો હતો અને જાગ્યા તેની સાથે, થયેલા મેઘની પાછળ રહેલી શીતળતા પેઠે, એમની શાંતિ અને સ્વસ્થતા દેખાઈ. શરીરની ઇન્દ્રિયો બહિર્મુખ થવા લાગી તેમ તેમ એમનું શરીર હાલવા લાગ્યું, આસપાસના સ્વર કંઈક તેમના કાનમાં જતા જણાયા, અને અંતે આંખો ઊઘડી ત્યાં વિહારપુરી સામો હાથ જોડી ઊભો. વિહારપુરી ભણી થોડી વાર જોઈ રહી વિષ્ણુદાસ બોલ્યા :

‘વિહારપુરી, મૈંને અપૂર્વ ચમત્કાર દેખા ઔર ઈસ મુખસે ઓ કહા નહીં જાતા હૈ ! નવીનચંદ્રજી અપના મઠકા ઉત્કર્ષ કરેગા ઓ તો સચ હૈ, કિંતુ ઉસકા સ્વકીય મઠયજ્ઞકા વિષય ઔર મઠ ઇતના છોટા નહીં ! ઉસકે મઠકી ઔર મહાયજ્ઞકી વિભૂતિ સંસાર મેં મહતી જ્વાળા સે જ્વલમાના હોનેવાલી હૈ, ઔર મૈં ઔર તૂ તો માત્ર દૂર સે ઉસકા દર્શન કરને કા અધિકાર સે જાસ્ત અધિકાર કો પ્રાપ્ત ભી નહીં હોનેવાલે ! જા, ઓ મહાત્માકુ ઇધર લા દે ઔર ઇસકી વેદિકા સંપૂર્ણ અધ્યાયન કરને કા સમારંભ સબ સાધુલોગ લગા દે ઇસ તરહ કી વ્યવસ્થા મેં ન્યૂનતા નહીં હોવે ઐસા કર.’

‘જૈસી ગુરુજી કી આજ્ઞા !’

વિહારપુરીએ દ્વાર ઉઘાડ્યું અને અન્ય સાધુઓ ગુરુની કાલોચિત શુશ્રૂષા કરવા લાગ્યા. વિહારપુરી કેટલાક સાધુઓને લઈ સરસ્વતીચંદ્ર સામો ગયો, અને તેને અર્ધમાર્ગે મળી, તેને અને ચંદ્રકાંતને સાથે લઈ સાધુઓની ગર્જનાઓ વચ્ચે પાછો આવ્યો. સરસ્વતીચંદ્રે વિષ્ણુદાસને દેખતાં નમસ્કાર કર્યા, અને વિષ્ણુદાસ એને દેખી એકદમ ઊભા થયા, એને અત્યંત પ્રેમથી આલિંગન દીધું, અને મૂર્ધભાગનું ઉપાઘ્રાણ કરી, પાસે બેસાડી વાતો કરવા લાગ્યા.

‘નવીનચંદ્ર ! શરીરસંપત્તિ તો સારી છે ? આ તમારા મિત્ર છે ?’

સરસ્વતીચંદ્ર : ‘જી મહારાજ ! આપનીકૃપાએ અપૂર્વ લાભ હું પામ્યો છું તો શરીરસંપત્તિ પણ સારી હોય એમાં શી નવાઈ ? અને તેમાં આવા મિત્રરત્નનાં દર્શનથી તો શરીરની સાથે મન પણ પ્રફુલ્લ છે. એ મારા વિદ્વાન મિત્ર ચંદ્રકાંત નામના છે - જે માટે મેં સાધુજનોને શ્રમ આપ્યો હતો.’

વિષ્ણુદાસ : ‘ચંદ્રકાંતજી, તમારા આગમનથી અને ચિરંજીવશૃંગની સિદ્ધિથી તમારા મિત્રના દુઃખનો ધ્વંસ થયો હોવો જોઈએ.’

ચંદ્રકાંત : ‘આ સ્થાન સર્વને શાંતિપ્રદ જ છે.’

સરસ્વતીચંદ્ર : ‘મારી પ્રબળ વાસનાઓ અને મોહ પણ નષ્ટ થયાં તો તે કારણના કાર્યરૂપ દુઃખનો ધ્વંસ થાય એ તો એ વસ્તુનો સહજ પરિપાક છે.’

વિષ્ણુદાસ : ‘નવીનચંદ્ર ! તમે અતિ જ્વલમાન મહાયજ્ઞના અધિકારી છો.’

સરસ્વતીચંદ્ર : ‘જ્યાં આપનો આશીર્વાદ એ અધિકારનું બીજ છે, ત્યાંએ બીજની સફળતા જ નિર્ધારી શકાય છે.’

વિષ્ણુદાસ : ‘મહાત્મન્‌ ! આ લઘુમઠની મર્યાદાથી તમારી યજ્ઞવેદીને કુંઠિત કરી ન નાખશો. અપૂર્વ ચિરંજીવોના અપૂર્વ બોધને સફળ કરવામાં તમારી બુદ્ધિની ગતિ જેટલી દૂરગામિની થશે એટલી અમારી દૃષ્ટિ પણ નહીં થાય. સૂર્યના તેજ પેઠે તમારી બુદ્ધિ જ્યારે સંસારમાં પ્રસરશે ત્યારે અમે માત્ર તેના પ્રકાશને અને ઔષ્ણ્યને સ્વીકારીશું.’

સરસ્વતીચંદ્ર : ‘જી મહારાજ, અલક્ષ્ય પરાવર લક્ષ્ય તરંગો ઉપર આ નામરૂપાદિ વડે લક્ષ્ય થયેલા હું મત્સ્યને જ્યાં રાખશે ત્યાં રહેવાને તત્પર છું.’

વિષ્ણુદાસ : ‘સ્વાધીન મનવાળા મનસ્વી ! એ જ વૃત્તિ રાખવી. અલખ મઠનો સંપ્રદાય લખ અધિકારનું પોષણ કરનાર શમને જ ‘શમ’ માને છે અને કહે છે કે લૌકિકસર્વબુદ્ધિવ્યાપારાણાં સ્વાધિકારાનુપયુક્તાનામફલત્વબુદ્ધિ પૂર્વકસ્ત્યાગઃ શમઃ । જે વ્યાપાર લખ અધિકારને ઉપયુક્ત છે તેનું રક્ષણ કરીને જ અન્ય અન્તર્બાહ્ય વ્યાપારોના ત્યાગને શમ દમ કહીએ છીએ ને કૃષ્ણ પરમાત્માએ સાંખ્યા અને કર્મયોગનો સમાગમ ગીતામાં દર્શાવેલો છે તે આ જ.

સ્વાધીનમનસ્કતા તે જ છે ને વિરાગ પણ તે જ છે. વિહારપુરી !’

વિહારપુરી : ‘જી મહારાજ !’

વિષ્ણુદાસ : ‘તું કાંઈ કહેવા ઇચ્છે છે ? મધુરીમૈયા સ્વસ્થ છે ?’

વિહારપુરી : ‘ચિરંજીવશૃંગના અધિકારી જીવને સ્વસ્થતા જ પ્રાપ્ત થાય છે, અને આવા સુંદર જીવોને તો આપે ધારેલી પંચરાત્રિને સાટે ચાર રાત્રીમાં એ સ્વસ્થતા પ્રાપ્ત થઈ તે તેમના અંતઃસૌંદર્યનો પ્રતાપ ! આપની મુખમુદ્રાથી કાલનું અમે જાણી ગયા હતા કે પાંચમી રાત્રિની અપેક્ષા નહીં રહે. મધુરીમૈયા સર્વથા સ્વસ્થ છે. પણ નવીનચંદ્રજીના પૂર્વાશ્રમ સંબંધે કંઈક પ્રશ્ન ઊઠવાથી મહારાજના ધર્મભવનમાંથી આપે પૂછવાનાં પ્રશ્નપત્ર અને નવીનચંદ્રજી ઉપર આજ્ઞાપત્ર આવેલાં છે.’

વિષ્ણુદાસ : ‘તે ધર્માજ્ઞાનો નિર્વાહ જ્ઞાનભારતીને સોંપી દેજો. નવીનચંદ્રજી ! અહીંના સાધુજન પૂર્વાશ્રમના પ્રકાશને લજ્જાસ્પદ કે વિસ્મરણીય ગણતા નથી પણ તેને, આ આશ્રમનું બીજ ગણી, પ્રસિદ્ધ કરતાં સંકોચ રાખતા નથી.’

સરસ્વતીચંદ્ર : ‘આ સ્થાનમાં જે કાંઈ આચાર હોય છે તેમાં સાધુતા જ હોય છે.’

વિષ્ણુદાસ : ‘ઉત્તમ સાધુઓ માનનો કે મદનો સંગ્રહ કરતા નથી ને યજ્ઞકાર્યે અહીંના આશ્રમીઓ યોગીપણાનું માન મૂકી પૂર્વાશ્રમમાં પણ ગયા છે, ને, પૂર્વાશ્રમમાં જઈ ત્યાં જવા છતાં, આધ્યાત્મદૃષ્ટિમાં તો તેઓ આ આશ્રમવાસી જ છે એવું ભાન ભુલાવનાર મદને વશ થયા નથી. નવીનચંદ્રજી ! આથી જ અલક્ષ્યાત્માના લક્ષ્યવિહારનો આદર યદુશૃંગ ઉપર સધાય છે.’

સરસ્વતીચંદ્ર : ‘એ માન અને મદ ઉભયનો ત્યાગ કરવાની તો આપે મને દીક્ષા આપેલી છે ને આજ તેનું હાર્દ સમજાવવાની કૃપા કરો છો એ આપનો પરમ પ્રસાદ છે.’

વિષ્ણુદાસ : ‘એ માનના અને મદના ત્યાગી સાધુઓ કંથાને લોકયજ્ઞના અધિકારના તામ્રપટ જેવી ગણે છે તે આજ્ઞાની જનને પોતાનું અભિજ્ઞાન આપવાને માટે, આપના મઠના દંભને માટે નહીં. એ આ કંથાનો કાર્યકારણ ભાવ, અને કારણને અભાવે કાર્ય શબ્દવત્‌ થઈ જાય છે.’

વિહારપુરી : ‘જી મહારાજ ! કાલ શ્લોક વાંચ્યો કે

આત્મોપાધિભિરેવ કીલિત ઇતિ સ્મૃત્યા મનઃ શીર્યતે ।

તત્કીલાઃ સુમનઃશરા ઇવ શિવે ભસ્મીકૃતારૌ કૃતાઃ ।।

ધાનુષ્કે તુ હતે ધનુર્ન હિ ધનુર્બાણા ન બાણા ઇમે ।

માયાનાટકભમિકાસુ રમતાં સાક્ષ પુનર્વા ન વા ।।

વિષ્ણુદાસ : ‘નવીનચંદ્ર, આ જીવનમુક્તિ ! અને તે આપણા સાધુજનોને જ સાધ્ય છે ! અન્ય જીવનમુક્તિની કથા તો તમે પ્રત્યક્ષ કરેલા અશ્વત્થામાનું નિવૃત્તિસ્થાન તેમ નિગ્રહસ્થાન છે. આ સ્થાન શોધવા યોગ્ય છે પામવા યોગ્ય છે, પણ કમલોદરમાં ભ્રમર બંધન પામે તેમ આ આટલી જીવનમુક્તિમાં બંધન પામનાર જીવસ્ફુલિંગો આત્મવંચનાને પામે છે. ઉપાધિરૂપ ખીલાઓમાંથી નહીં પણ એના બળમાંથી મુક્ત થવાથી, ગર્ભસ્થાનમાંથી મુક્ત થયેલા શરીર પેઠે, જીવસ્ફુલિંગ નિષ્કામ યજ્ઞકાર્યને માટે સમર્થ થાય છે અને તે સમર્થતા પ્રાપ્ત થતાં એ યજ્ઞકાર્ય તેનો લક્ષ્ય ધર્મ થાય છે. અલક્ષ્યપરાવર પરમબ્રહ્મ - લક્ષ્યાત્મનિધિસ્વરૂપ જેને સંસાર ઈશ્વરને નામે ઓળખે છે, જેને શ્રુતિ સુવર્ણયુગધર્મનું ઈશ અંગ કહે છે, તે સ્વરૂપ સાથે સાયુજ્ય પામ્યા વિના અલક્ષ્યપરાવરમાં સાયુજ્ય પામવાની કલ્પના મિથ્યા છે. સમુદ્રમાં પવનાદિ કારણથી તરંગો ઉત્પન્ન થાય છે તેની શાંતિ સમુદ્રમાં જ છે - સ્વયોનિમાં છે અને પ્રલયકાળે સમુદ્રાદિક પણ પરમ સ્વયોનિમાં પ્રાપ્ત થાય ત્યારે જ તરંગો પણ તેની સાથે એ પરમ યોનિમાં પરમ લય પામે છે તેમ જીવ અંગ ઈશઅંગરૂપ સ્વયોનિમાં પ્રાપ્ત થઈ તે દ્વારા જ અલક્ષ્ય પરાવરરૂપ પરમ યોનિમાં પ્રાપ્ત થાય છે. પરમ લક્ષ્યાત્મક ઈશને પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે - તે માર્ગ નિષ્કામ મહાયજ્ઞવિધિ વિના અન્ય સમજશો નહીં. તમને મુદિત આશય પામવાની દીક્ષા છે તે લોક-મુદિત આશયની નહીં પણ ઈશ-મુદિત આશયની સમજ્જો. લોક અજ્ઞાની છે તેમના મોદ કે અનુમોદ સાથે સાધુજનોને સંબંધ નથી, પણ તેમના કલ્યાણ સાથે ઉત્તમાધિકારીઓ સંધાય છે. લોકનું કલ્યાણ એ જે પરમ લક્ષ્ય ઈશનો મુદિત આશય છે અને તે આશય તમારા હૃદયમાં વ્યાપી રહ્યો છે તો તમે તે પરમ સ્વરૂપનો યોગ પામવાના માર્ગમાં છો અને તમારા આયુષ્યના સર્વ અંશ એ માર્ગને ઊતરી રહેશે ત્યારે તમે એ યોગનું અવસાન પામશો.

નવીનચંદ્રજી ! શ્રી યદુનંદનની પૂજનવેળાના આ ઘંટારવ અને શંખનાદ તમે સાંભળો છો. એ પૂજનવિધિ લક્ષ્યમહાયજ્ઞનો સાંકેતિક છે જે લોકમાત્ર રક્ષક-પોષક પરમાત્માસ્વરૂપની આ સ્થાનમાં સાંકેતિક પ્રતિમા છે. તે જ સ્વરૂપની શુદ્ધ પ્રતિમા ભૂતમાત્રનાં અંતઃકરણોનો સદ્‌ભાગ્યરૂપ મંદિરમાં વ્યાપી રહી છે. ષોડશોપચારથી અને અન્યવિધિથી ભક્તજનો સાંકેતિક પ્રતિમાને શુદ્ધ પ્રતિમાની સર્વ રીતે સર્વ ચિંતાઓ કરીને પોતાના સર્વસ્વનું એ પ્રતિમાને નિષ્કામ અર્પણ કરે છે. સાંકેતિક મંદિરમાં પુષ્પધૂપાદિના સુગંધ અને અન્ય સુંદર સામગ્રી પૂજક અને પૂજિતને અધ્યસ્તસ્વભાવથી તૃપ્ત કરે છે તેમ શુદ્ધ પ્રતિમાના મહામંદિરમાં રસ, જ્ઞાન અને ક્રિયાની સામગ્રી પૂજ્ય અને પૂજકને સ્વભાવથી તૃપ્ત કરે છે. સાંકેતિક મંદિરમાંનું આરાત્રિક મંગલમૂર્તિને સુદૃષ્ટ કરવાને માટે છે તેવા જ, શુદ્ધ મંગલમૂર્તિને સુદૃષ્ટ કરવાના, આરાત્રિકથી તમારા જેવા વિદ્યાસંપન્ન સાધુજનો મહામંદિરના સુંદર ભાગોને અને શુદ્ધ પ્રતિમાના સર્વ અવયવને સુદૃષ્ટ કરી લે છે. તે આરાત્રિકને પ્રસંગે મંદિરના શુદ્ધગર્ભારાગાદિ ભાગમાં અમારા જેવા સાધુજન સૂક્ષ્મ ઘંટાનાદ કેર છે ત્યારે તમારા જેવા સમર્થ સાધુજનોના શંખનાદ કે પૂજનની કીર્તિનાં સંગીત, લય અને પ્રતિધ્વનિ વડે એ મંદિરને તળથી ઘૂમટ સુધી ભરે છે અને બહારના માર્ગોને અને દૂરની ગિરિગુફાઓને અલખ ગર્જનાના ગાનથી ગજવી શકે છે.

નવીનચંદ્રજી, આવો અપ્રતિહત શંખનાદ કરવાને ચિરંજીવોએ તમને અધિકાર આપેલો છે તે વાપરતાં અમારા લઘુ મઠને ભૂલશો મા, તેમ એ મઠમાં તમારી ગતિને સંકુચિત કુંઠિત કરી રાખશો મા, સાંકેતિક કન્થાનું મૂળ શુદ્ધ સ્વરૂપ પ્રકટ કરતાં શંકા રાખશો મા, સંસારના કોલાહલથી ભડકશો મા, પામર અજ્ઞ જીવોની કરેલી સ્તુતિથી કે નિંદાથી ઠગાશો મા, એકદેશીય કે એકકાલીન અનુભવ અને વિદ્યાર્થી તેમ એકમાર્ગી બુદ્ધિથી જ સંભૃત થયેલા જીવોના પવન જેવા ઝપાટાથી તણાશો મા, સર્વ વસ્તુનો યોગ્ય આદર કરનારી સર્વાસ્તિકતા વિનાની શ્રદ્ધાથી બંધાશો મા, મનુષ્યરૂપે વિચરતાં પશુપક્ષીઓના સ્થૂળ બળના ભયથી કે પ્રહારથી કંપશો મા, કોઈની કે કશાની ઉપેક્ષા કરશો મા, તેમ તેને આધારે બેસી રહેશો મા, અને સર્વથા અધ્યાત્મબળમાં અચળ રહી, તમારા મહાયજ્ઞના વિધિમાં અખંડ સજ્જતાથી પ્રવૃત્ત રહી, એ યજ્ઞના અતિથિમાત્રનું કલ્યાણ સાધ્ય કરી, એ યજ્ઞમાં તમારા આયુષ્યના સર્વ અંશને હોમી દેજો !

નવીનચંદ્રજી ! એ પરમ યજ્ઞથી તમને ચિરંજીવોએ આપેલી મહાસિદ્ધિ સફળ થશે, એ પૂર્ણાહુતિથી તમે લક્ષ્યાત્માને લક્ષ્ય કરશો, અને પરમ અલક્ષ્ય પરાવરમાં ત્રિયોગસાધનાથી સાયુજ્ય પામશો ! એ પરાવરને પામવાને યોગ, કર્મ અને જ્ઞાન ત્રણે સાધનને પામી ત્રિયોગ સાધજો !’