Kavyanuvadan-Rasasvadan - 1 books and stories free download online pdf in Gujarati

કાવ્યાનુવાદન-રસાવાદન - 1

કાવ્યાનુવાદન – રસાસ્વાદન

(ઓગસ્ટ-૨૦૧૬)

વલીભાઈ મુસા

(અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને રસદર્શન)

(All rights reserved. No part of this book may be reproduced in any form or by any meanswithout permission of the author.)

© Author

E-Book Published by:

માતૃભારતી – W
illiam’s Tales –
વલદાનો વાર્તાવૈભવ –

(કોઈપણ ઈસમ લેખકના ધ્યાન ઉપર લાવીને આ પુસ્તકને વિના મૂલ્યે માત્ર વીજાણુ માધ્યમે પ્રસિદ્ધ કરી શકે છે. શક્ય હોય તો ડાઉનલોડઆંક દર્શાવવા વિનંતી.)

# Author’s Contact #

Valibhai N. Musa105 Nasir Road
KANODAR – 385 520 (N.Guj) India

(M) +91- 93279 55577 ( R ) +91- 2742 242977
musawilliam(@)gmail.com

* * *

E-Book Price: F.O.C.

$$$$$$$

ડો. રાજેન્દ્ર ત્રિવેદી, M.D.

(જ્ઞાનતંતુઓના ચિકિત્સક)

અને

એન્જિ. સુરેશભાઈ જાની (વીજેજનેર)

એ બંને

તથા

તેમની છાયા સરકારો સમાન

તેમની અર્ધાંગનાઓ

અનુક્રમે

ગીતાબેન અને જ્યોતિબેન

ને

સાદર અર્પણ

અનુક્રમણિકા

[અનુક્રમણિકાની કોઈપણ બાબત પર “CNTRL + CLICK” કરવાથી એ બાબત પર પહોંચી શકાશે. તે જ રીતે દરેક પાના/પ્રકરણની નીચે “અનુક્રમણિકા” પર “CNTRL + DOUBLE CLICK” કરવાથી અનુક્રમણિકા પર પાછા જઈ શકાશે.]

(૧) .......7
…….11
…….12
…….16
.......19
…….23
…….27
…….32
…….38
…….42
…….45
…….49
…….52

…….59
…….63
…….66

…….68
…….69
…….71
…….74
…….77
…….80
…….82
…….85
…….87

…….91
…….92
…….95
…….101
…….107
…….116
…….120
…….127
…….136

…….139
…….140
સમાપ્ત

$$$$$$$



માનવંતાં ગુર્જર ભાઈબહેનો સમક્ષ 'કાવ્યાનુવાદન-રસાસ્વાદન' ઈ-બુક રજૂ કરતાં હું અનેરો આનંદ મહસૂસ કરી રહ્યો છું. પુસ્તકના મુખપૃષ્ઠ ઉપરના 'ગુજરાતી-કૂળના કવિઓ' શબ્દો મારા માનસપટ ઉપર અંકિત થતાં વેંત જ મેં તેમને સ્વીકારી લીધા હતા. પુસ્તકના શીર્ષકનું પૂર્વપદ 'કાવ્યાનુવાદન' સૂચવે જ છે કે અત્રે અનુવાદિત કાવ્યો રજૂ થવાનાં છે અને તે પણ ગુજરાતી માતૃભાષી કવિઓ દ્વારા રચિત જ હશે. જી હા, એમ જ છે અને તે કવિઓ છે; અમેરિકા સ્થિત શ્રી વિજયભાઈ જોશી અને પાલનપુર (ગુજરાત) સ્થિત પ્રોફેસર શ્રી મુકેશભાઈ રાવલ. આ પુસ્તકનું કદ વિસ્તૃત કરવા મારે અન્ય દેશવિદેશનાં વર્તમાનકાલીન અને ભૂતકાલીન કાવ્યસર્જકોની મારા બ્લોગ ઉપરની કૃતિઓને સ્થાન આપવું પડ્યું છે. આમ છતાંય મને કહેવા દો કે મુખ્યત્વે એ બે મહાનુભાવોની કૃતિઓ જ તો આ પુસ્તકની શોભા છે. તો ચાલો, આપણે એમને પ્રથમ ઓળખી લઈએ.

પ્રથમ છે આપણા વિજયભાઈ જોશી. તેમના ઐતિહાસિક અને સંશોધનાત્મક એવા ઘણા લેખો ‘વેબગુર્જરી’ ઉપર આવી ચૂક્યા છે અને જેમના ઉપર વાચકોના વિદ્વતાપૂર્ણ પ્રતિભાવો પણ આવતા રહ્યા છે. ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા હોવા છતાં એમનો માતૃભાષા ગુજરાતી પરત્વેનો પ્રેમ અને તેના ઉપરનું તેમનું પ્રભુત્વ અદ્વિતીય રહ્યાં છે. આ પુસ્તકથી વાચકોને તેમની નવી પ્રતિભાનો પરિચય થશે. અંગ્રેજી ભાષા ઉપર એક મૂળ અમેરિકન જેટલું જ પ્રભુત્વ ધરાવતા તેઓશ્રીનાં અંગ્રેજી કાવ્યો ખૂબ જ ગહન હોય છે. તેમને તીવ્ર ઇચ્છા થઈ કે એમનાં અંગ્રેજી કાવ્યોનો ગુજરાતીમાં ભાવાનુવાદ અને સંક્ષેપ આપવામાં આવે તો ‘વેગુ’વાચકો એમનાં કાવ્યોથી પરિચિત થાય. અત્રે 'વેબગુર્જરી' અને મારા પોતાના બ્લોગ "William's Tales" ઉપર રજૂ થયેલાં તેમનાં એ સઘળાં કાવ્યોને આપ સૌ વાચકો માણી શકશો. તેઓશ્રીએ એન્જિનીયર હોવા છતાં સરસ્વતીદેવીની અસીમ કૃપાથી અંગ્રેજીમાં ઉચ્ચ કોટિનું સાહિત્ય સર્જન કર્યું છે. ગયા વર્ષે તેમનો સાંપ્રતકાલીન અમેરિકન કાવ્યોનો સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. હાલમાં તેમનો દ્વિતીય Haibun (આત્મકથાનક રૂપ ગદ્યકાવ્ય અને હાઈકુના સંમિશ્રણનો જાપાનનો કાવ્યપ્રકાર) કાવ્યોનો સંગ્રહ મુદ્રણ પ્રક્રિયામાં છે. તેમના "Vijay Joshi - Word Hunter" બ્લોગ (જો કે હમણાં અપડેટ થયો નથી)માં આપણને Free verse, Haiku, Poetry, Book Reviews વગેરે પ્રકારનાં વિવિધતાસભર સર્જનો જોવા મળે છે. એમનાં કાવ્યો કેનેડા અને અમેરિકા ખાતે વીજાણુ અને મુદ્રિત માધ્યમે પ્રસારિત થતાં રહે છે. તેઓશ્રી પ્રખર વક્તા પણ છે અને વિવિધ જાહેર સભાઓમાં અને સેમિનારોમાં તેઓ અંગ્રેજી વિષયક અને તેમના વિશ્વપ્રવાસ અંગેનાં વક્તવ્યો પણ આપે છે. થોડા સમય પૂર્વે એમની ભારતની તેમનાં જીવનસાથી વૈશાલીબહેન સાથેની મુલાકાત ટાણે અમદાવાદમાં તેમના માનમાં યાદગાર બ્લોગર સ્નેહ સંમેલન યોજાયું હતું, જેમાં શ્રી મુકેશભાઈ રાવલે પણ હાજરી આપી હતી અને આમ આ પુસ્તકમાંની અમારી ત્રિપુટી ત્યાં એકત્ર થઈ હતી.

હવે આપણે પ્રોફેસર મુકેશભાઈ રાવલને ઓળખી લઈએ. પાલનપુરની કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતાની ફરજ બજાવી રહેલા તેઓશ્રી સાવ નાનકડા એવા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વગદા ગામના વતની છે. હાલમાં સુકાઈ ગયેલી એવી ઉમરદશી નદીના સામેના કાંઠે તેમનું ગામ, તો આ તરફના કાંઠે મારું ગામ કાણોદર. નદીથી મારું ગામ તો થોડુંક દૂર ગણાય, પણ નદીના કાંઠાની લગોલગ અમારું પોતાનું છએક એકર જેવડું વિશાળ ખેતર આવેલું છે. આમ અમે અમારી કૃષિ ભાષામાં શેઢાપાડોશી કહેવાઈએ. અહીં જે નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના ઉપરનું મુકેશભાઈનું સરસ મજાનું 'ભેદી જળ' શીર્ષકે કાવ્ય આપ વાચકોને વાંચવા મળશે. મને મુકેશભાઈનો સીધો પરિચય ન હતો, પણ અમારી પાલનપુરની હોટલ ઉપર બીજા એક ગુજરાતીના પ્રોફેસર શ્રી એ.ટી. સિંધી, શાયર 'મુસાફિર' પાલનપુરી; અને અન્ય કવિઓ, સાહિત્યકારો અને ગઝલકારોનું અવારનવાર સ્નેહ સંમેલન યોજાતું તેમાં એ સમયે હોટલનું સંચાલન સંભાળતા મારા દીકરા અકબરઅલીને શ્રી મુકેશભાઈએ તેમનું અંગ્રેજી કાવ્યોનું પુસ્તક “Pots of Urthona” (કલ્પનાનાં પાત્રો ) ભેટ આપ્યું હતું. બેએક વર્ષ પછી એ પુસ્તક મારા હાથમાં આવતાં તેમાંનાં અંગ્રેજી કાવ્યોથી હું પ્રભાવિત થયો હતો. યુ.કે.ના વિવિધ કાવ્યસંગ્રહો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં વીણેલાં ઉત્તમ કાવ્યો તરીકે કેટલાંક ચયન પામેલાં અને ૫૦૦થી પણ અધિક વિદેશી વાચકોના પ્રશંસાત્મક પ્રતિભાવો મેળવેલાં અંગ્રેજી કાવ્યોનો આ સંગ્રહ પ્રૉફેસર મુકેશ રાવલની એક અનોખી સિદ્ધિ અને ગુજરાતના ગૌરવ સમાન ઘટના કહેવાય. અત્રે પસંદ કરાયેલાં તેમનાં પંદર કાવ્યો પૈકી છેલ્લાં બે કાવ્યોના માત્ર ભાવાનુવાદ જ આપવામાં આવ્યા છે. આમાં તો 2 in 1 થયું ગણાય, પરંતુ મુકેશભાઈ અને મારી રૂબરૂ મુલાકાત ટાણે ગમ્મતભરી એવી વાત પણ થઈ હતી કે મારાં રસદર્શનોનું તેઓશ્રી અંગ્રેજી વર્ઝન કરી નાખે તો એ તમામ રચનાઓ 4 in 1 થઈ જાય, જે વિશ્વસાહિત્ય જગતમાં અનેરું કાર્ય ગણાઈ શકે!

વિજયભાઈ અને મુકેશભાઈએ તેમનાં કાવ્યોના ભાવાનુવાદ અને રસદર્શન/સંક્ષેપ માટે મને ઉદાર સંમતિ આપી અને આમ અમારાં - 3 in 1 - પ્રકારનાં સહિયારાં સર્જનો 'વેબગુર્જરી' ઉપર એકાદ વર્ષ સુધી પ્રકાશિત થતાં રહ્યાં. આ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે કાવ્યના કોઈ શબ્દના અર્થઘટન માટે કે એવા શબ્દના ઇંગિત અર્થ માટે અમારી વચ્ચે મુક્ત ચર્ચાઓ થયા કરતી હતી. કોઈપણ ભાષામાં કાવ્ય એ એક એવો અનોખો સાહિત્ય પ્રકાર છે કે જેમાં ઘણીવાર વાચકો અને વિવેચકો કવિની કલ્પના બહારની વાતો લાવી મૂકે અને તે કવિ માટે સ્વીકાર્ય પણ બને. આ પુસ્તકમાં યુકેનિવાસી પંચમ શુક્લની અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાવાનુદિત થયેલી છંદોબદ્ધ કવિતા મુકાઈ છે. એમની એક ગઝલના પ્રતિભાવક તરીકે એક બીજા સાહિત્યપ્રેમી ઈસમે અને મેં પોતપોતાનાં અર્થઘટનો રજૂ કરેલાં અને આમ એ ત્રણેય અર્થઘટનો સ્વીકૃત બનેલાં. અત્રે આ બધી વાતોની વિશદ ચર્ચાઓ રજૂ કરવાનો મારો ઉપક્રમ ન હોઈ મુખ્ય વાત ઉપર આવું તો બંને મિત્રોનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને રસદર્શન/સંક્ષેપને સાચવવાના આશયે ઈ-બુક બનાવવાનો મને વિચાર સ્ફૂર્યો, જેને તેમણે પોતાનું હાર્દિક અનુમોદન આપ્યું. વળી એટલું જ નહિ એ ઈ-બુકને વિનામૂલ્ય તરીકે બહાર પાડવાનો અમારી વચ્ચે સંયુક્ત નિર્ણય પણ લેવાયો.

હવે જ્યારે સહિયારા આ પુસ્તકના મુખ્ય અંશ રૂપ એવા શ્રી વિજયભાઈ અને શ્રી મુકેશભાઈને અહીં ઉલ્લેખ્યા છે, ત્યારે "ખ્યાતનામ દેશવિદેશનાં કવિ-કવયિત્રીઓનાં કાવ્યો" શીર્ષક હેઠળ આવતા જે તે સર્જકોને પણ યાદ કરી લઈએ. વિલિયમ બ્લેક અને વિલિયમ વર્ડ્ઝવર્થ એ દૂરના ભૂતકાળના અંગ્રેજી કવિઓ છે, જેમાં એવું બનવાનો સંભવ છે કે હું પોતે 'વિલિયમ' એવા હુલામણા નામે ઓળખાતો હોઈ 'વિલિયમ' નામધારી એવા એ બંને પસંદગી પામ્યા હોઈ શકે! 'રાણીની હરીફ'નાં સર્જક સરોજિની નાયડુ ('ભારતનાં બુલબુલ' નામે વિખ્યાત) તો સર્વવિદિત છે. તો વળી ઉમાશંકર જોશી તો ગુજરાતી સાહિત્યના આધારસ્તંભ તરીકે દીર્ઘ કાલ સુધી ભૂલી શકાશે નહિ. અહીં એક વાતનો ખુલાસો કરી દઉં કે તેમના 'વાંસળી વેચનારો' કાવ્યનું અંગ્રેજી વર્ઝન કોણે કર્યું હશે તેની મને સત્તાવાર જાણ ન હોઈ મેં નીચે તેમનું જ નામ દર્શાવ્યું છે. ભવિષ્યે સાચું નામ જાણવામાં આવતાં આગામી આવૃત્તિમાં તે મુજબનો ફેરફાર કરી લેવામાં આવશે. મોહતરમા રબાબ મહેરની બે કૃતિઓને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓશ્રી દોહા (કતાર)નાં વતની છે અને તેમનાં કાવ્યોમાં ખૂબ જ ઊંડાણ જોવા મળે છે. 'નીરવનું વર્ણન' એ તો મારા ગામની જ વતની અને હાલમાં હૈદરાબાદ ખાતે સ્થિત એવી મારી દીકરી સમાન મુનિરા અમીની કૃતિ છે. બે બાલિકાઓનાં ઉછેરમાં વ્યસ્ત એવી મુનિરા ઓછું લખે છે પણ ગુણવત્તાવાળું લખે છે. હું તેને ભવિષ્યે ખ્યાતનામ કવયિત્રી તરીકે ઉભરતી જોઈ રહ્યો છું. માન્યવર ઉમાશંકરભાઈની કૃતિ 'વાંસળી વેચનારો' અને મુનિરાની 'નીરવનું વર્ણન' એ આ સંગ્રહમાંની અપવાદ રૂપ એવી કવિતાઓ છે કે જે મૂળમાં પ્રથમ ગુજરાતીમાં લખાયેલી હતી અને જેમનો પછીથી અંગ્રેજીમાં અનુવાદ થયો છે. મુનિરાના કાવ્યનો અનુવાદ પ્રોફેસરશ્રી મુકેશભાઈએ એમની પોતાની ઇચ્છાથી કરી દઈને મુનિરાને અને મને સરપ્રાઈઝ આપી હતી. આગળ ઉલ્લેખાયેલા શ્રી પંચમ શુક્લની વિશેષ ઓળખાણ આપું તો તેઓશ્રી મારા ભાઈ સમાન મિત્રશ્રી સુરેશભાઈ જાનીના યુકેસ્થિત ભાણેજ છે જે મને પણ મામા તરીકેનું એટલું જ માનસન્માન આપે છે. "ખ્યાતનામ દેશવિદેશનાં કવિ-કવયિત્રીઓનાં કાવ્યો"માં સમાવિષ્ટ આઠ કાવ્યો પૈકીનાં પ્રથમ ચાર કાવ્યોનાં મારાં મૂળ અગ્રેજીમાં લખાયેલાં રસદર્શનોના ગુજરાતીમાં ભાવાનુવાદ કરી આપવા બદલ મારા મિત્ર શ્રી અશોકભાઈ વૈષ્ણવને ધન્યવાદ પાઠવું છું.

અહોભાવે કહું તો આ પુસ્તકમાંનાં સઘળાં કાવ્યો ઉપરનું અનુવાદન અને રસદર્શન કે સંક્ષેપનું કામ કરતાં મેં અકથ્ય આનંદ અનુભવ્યો છે. મારું આ કામ વાચકોને ગમે તો તેના યશના સાચા અધિકારી જે તે મૂળ સર્જકો છે, કેમ કે જે કૂવામાં હતું એ જ હું હવાડામાં લાવી શક્યો છું. વિજયભાઈનાં કાવ્યોનાં રસદર્શનના બદલે માત્ર સક્ષેપ આપી શકવા બદલનો મને રંજ રહ્યા કરશે. સમયના અભાવે મારે એમ કરવું પડ્યું છે તે હું કબૂલી લઉં છું. આ પુસ્તકના મુખ્ય આધાર રૂપ એવા બંને કવિઓનાં કાવ્યોની અંગ્રેજી સામયિકોમાં પ્રસિદ્ધિ થવા ઉપરાંત તેમના વિષેની ગણનાપાત્ર નોંધ પણ લેવાઈ છે. આપણે સૌ ગુજરાતીઓએ ગર્વ લેવા જેવી આ એક એવી હકીકત છે કે આપણે માત્ર અંગ્રેજી કાવ્યોની આયાત જ નથી કરી; પણ અલ્પ પ્રમાણમાંય ભલે, આપણે અંગ્રેજી કાવ્યોની નિકાસ પણ કરી છે. વિશ્વભરનાં સાહિત્યસર્જનો વિવિધ અન્ય ભાષાઓમાં ગતિવિધિ કરતાં રહે કે વિવિધભાષી કવિઓ વિવિધ ભાષાઓમાં સર્જનો કરતા રહે તે સંસ્કૃતિના આદાનપ્રદાન માટેની શુભ ચેષ્ટા ગણાય છે અને ગણાવી જ જોઈએ એવું મારું નમ્ર માનવું છે.

છેલ્લે કહીશ કે મેં મારાં મોટા ભાગનાં ઈ-પુસ્તકોમાં ભાવ-પ્રતિભાવ શીર્ષક હેઠળ મારા બ્લોગના વાચકોના અભિપ્રાયો મૂક્યા હતા. આ પુસ્તકની કદમર્યાદા જાળવતાં હું બ્લોગજગતનાં વિદુષી તરીકે ખ્યાતનામ એવાં આદરણીય પ્રજ્ઞાબહેન વ્યાસના શ્રી વિજયભાઈ જોશીના કાવ્ય 'વણલખ્યું' નીચેના પ્રતિભાવના આ શબ્દો "બે ત્રણ વાર કાવ્ય અને ભાવાનુવાદ માણીને અમારાં વિચારવમળ મૂક્યાં. કંઈ સમજફેર લાગે તો કાન પકડશો." સામેનો મારો માત્ર પ્રતિ-પ્રતિભાવ જ મૂકીશ.

"ઊલટાના અમે અમારા બેઉ કાન પકડીને સ્વીકારીએ છીએ કે આ કાવ્યને આપ અમ સર્જક અને અનુવાદક કરતાંય વિશેષ સારી રીતે સમજ્યાં છો! કાવ્યમાં તો શું વાણીવ્યવહારમાં પણ શબ્દની તાકાત સમજાતી હોય છે. Fire શબ્દ બુલેટની ધણધણાટી બોલાવી દઈને સામે તહસનહસ કરાવી દે અને વળી Cease fire શબ્દો વધુ ખુવારીને અટકાવી પણ દે! તો વળી નીરવ શબ્દની તાકાતનો તો અંદાજ પણ ન લગાવી શકાય! સમયને આધીન શબ્દ મૌન પણ ધારણ કરી લે અને વળી એ જ શબ્દ બોલકો પણ બની જાય. વળી શબ્દને સમજવા-સમજાવવા શબ્દોની જ જરૂર પડે. કોઈ શબ્દનું શ્રવણ અમૃતપાન કરાવે અને એ જ શબ્દ ઝેર પણ ઘોળાવે.

મુક્ત તો છીએ અમે, ભલે વેરાયેલા હોઈએ.
ભોંયતળિયે અમને છોડી દો, રહેવા દો અમને,
બસ એમ જ રહેવા દો.’ – ગણગણીને અમે પણ બસ, આટલે જ રહેવા દઈએ છીએ!!!"

જય હો!

સસ્નેહ,
વલીભાઈ મુસા

$$$$$$$