Bansuri Uvach - 3 books and stories free download online pdf in Gujarati

બંસરી ઉવાચ - ભાગ - 3

ટિપ્પણી :

બંસરી અનેં રાધા બંને નો માધવપ્રેમ સમાન છે.

છતાં પણ રાધા નેં કેમ પોતાનાં પર આટલું અભિમાન છે.

બંસરી નો માધવપ્રેમ અનેં રાધાઅવતાર નું મહત્વ:

બંસરીનો માધવપ્રેમ આપણનેં પણ રાધાનાં માધવપ્રેમ કરતાં વધારે જ લાગે કેમકે બંસરી નાં બલિદાનો પણ બહું છે તો શું રાધાજી નાં આજીવન માધવવિરહ નું કાંઈ મૂલ્ય જ નહીં? એમનાં બલિદાનો ની કોઈ ઓળખ જ નહીં?

આ વાત પર ઉંડાણમાંથી ચિંતન અનેં મનન કરવા એકવાર માધવ સ્વર્ગ લોક માં બેઠાં. એમણે વિચાર્યુ કે રામ અવતાર માં માનુની સીતા નું નામ લોકવાયકા માં સદાય શ્રી રામ સાથે કાને સંભળાતું.રામાયણ નાં શબ્દે શબ્દ માં શ્રી રામ નું એકલું અસ્તિત્વ જોવા મળ્યું નથી. સીતારામ ની જોડી રામ અવતાર માં અમર થઈ ગઈ.

પરંતુ કૃષ્ણાવતાર માં સૌથી વધારે લીલાઓ કૃષ્ણ એટલે કે માધવ પર જ લખાઈ. માધવનાં દરેક કાર્યો ને લીલા તરીકે લોકવાયકા મળી. માધવનેં દરેક સ્વરુપે લોકો નાં મુખ નું સ્મરણ પ્રાપ્ત થયું પણ, રાધા નું નામ કૃષ્ણ સાથે બહું ઓછા પ્રમાણમાં જોડાયું.

કૃષ્ણની બાળલીલાઓનો હોય કે પછી મથુરાગમન,, હસ્તિનાપુર નેં હસ્તગત કરવાનું હોય કે પાર્થસારથી બનવાનું, યાદવાસ્થળી નું આહ્વાન કરવાનું હોય કે રુક્મણીનાં પતિ દ્વારિકાધીશ બની ને જીવવાનું હોય દરેક જગ્યાએ એકલાં માધવનેં જ ઓળખાવાયા. આપણનેં ખબર છે કે રાધારાણી વગર આમાંની  એકપણ ભુમિકા માધવ નિભાવી શકવા અસમર્થ હતાં અનેં એ માધવનેં પણ સારી રીતે જાણ હતી છતાં રાધા નાં નામ નો કૃષ્ણાઅવતાર માં નામમાત્ર ઉલ્લેખ જોવા મળ્યો.

કૃષ્ણાઅવતાર એવો અવતાર છે કે જેનાં પર ભારતની જુદી જુદી ભાષામાં એટલું બધું સાહિત્ય રચાયું છે કે જેને વાંચીને સામાન્ય ભક્તજનો ની બુધ્ધિ કરાવે ચઢી જાય. સવાલો ભરેલાં મનમાં આશંકાઓ જાગી જાય કે આવો કાંઈ અવતાર કે લીલાવર્ણન હકિકત માં થયું હશે પણ ખરું? અનેં દરેક વ્યક્તિ પોતાની જિજ્ઞાસા નાં આધારે નવું નવું સાહિત્ય રચવાનાં પ્રયત્ન કરતો રહે. અનેં સમય એવો આવ્યો છે કે રાધા વિના કૃષ્ણ ની કલ્પના હવે કોઈ કરી શકતું જ નથી. પરંતુ શ્રી રાધાજી કોણ છે? અનેં કૃષ્ણ સાથે એમનો શું સંબંધ હતો એ સામાન્ય વ્યક્તિ નાં મૂલ્યાંકન માં તો કદાપિ આવી જ ના શકે. છતાં પણ અલગ અલગ વિચારધારાઓ આ વિષય પર સમયાંતરે વહી રહી છે.

પણ, રાધામાધવનું વર્ણન એ કોઈ સામાન્ય માનવી ની વિચારધારાને વિષય નથી એતો ખરેખરા આવિર્ભાવનો મીઠો અનુભવ છે જેને થાય એને જ સમજાય.

તમનેં થશે કે હું વિષય થી ભટકી રહી છું. બાંસુરી ની વાત કરતાં કરતાં રાધામાધવનાં અસ્તિત્વ નાં અનુભવ પર ક્યાં પહોંચી ગઈ?

પરંતુ આગળનું આખું વર્ણન માધવની ચિંતા છે જે એમણેં શંકર ભગવાન સમક્ષ રજૂ કરી. કૃષ્ણના અસ્તિત્વ સામે રાધાનું અસ્તિત્વ જરાપણ ઝાંખુ ના પડે અનેં માધવ પહેલાં રાધા નું જ નામ લેવાય એવાં પ્રયત્ન નાં આયોજન ની સમીક્ષા  માધવ ભોળા શંભુ સાથે બાંધી રહ્યાં હતાં.

આ પહેલાં ભોળેનાથ નેં માધવે એક વચનેં બાંધ્યા. માધવે કહ્યું, " હે મહાદેવ હું આપને એક આગ્રહભરી વિનંતી કરવા માંગુ છું. એ વિનંતી એ જ કે, ત્રેતાયુગ અનેં દ્વાપરયુગ એટલે કે રામ અવતાર અનેં કૃષ્ણાઅવતાર માં આપે મહાશક્તિશાળી ગણાતાં દાનવોનેં છુટ્ટા હાથે વરદાનો ની લ્હાણી કરી હતી. પણ, આ કળિયુગ માં મહાશક્તિશાળી દેખાતાં આ માનવો પર કૃપાદષ્ટી સિવાય કોઈ વરદાનની લ્હાણી તમારે કરવાની નથી. આપ એટલાં ઉદાર છો કે, આપની ઉદારતા નો લાભ જો કળિયુગ નાં માનવો નેં મળી ગયો તો પછી એ માનવો આપણનેં જ બનાવી જશે. ત્યારે ચિંતાતુર શંભુ એ સવાલ પૂછ્યું ભકિત નું ફળ મારે માનવો નેં શું આપવાનું? ત્યારે માધવ બોલ્યા, ભૂતકાળમાં અપાયેલા તમામ વરદાન ની મર્યાદા એ હતી કે છેલ્લાં ઉપાય તરીકે સહું કોઈ આપણાં શરણ માં જ આવતાં. પરંતુ આ માનવો ની વાત માં આવું કાંઈ જ નથી. દ્વાપર અનેં ત્રેતાયુગ માં કરેલાં તપ થાય એટલી કળિયુગ નાં માનવો માં ધીરજ કે શક્તિ તો નથી પણ, બ્રહ્માની મળેલી બુધ્ધિ આ માનવો પાસે એટલી પ્રખર છે કે, એનાં પ્રતાપે અનેં વિજ્ઞાન નાં પ્રભાવે જન્મ અનેં મૃત્યુ નેં પોતાના હાથમાં લેવા મેદાને પડશે. જન્મનેં તો હાથમાં લઇ  જ લીધું છે(ટેસ્ટ ટ્યૂબ બેબી) હવે મૃત્યુ પર હાવી થવાની તક માં બેઠાં છે આવી પરિસ્થિતિમાં તમારાં જો વરદાનો ની લ્હાણી ચાલું રહે તો આપણાં અસ્તિત્વ નો સંપૂર્ણપણે નાશ થઈ જશે.સ્ત્રી ભૃણ હત્યા, લિંગ પરિવર્તન, અંગપ્રત્યારોપણ, પિતા વિના માનવભૃણનું સર્જન જેવાં અમાનવીય કાર્યો વિજ્ઞાન નાં સહારે કરી નેં માનવ આપણાં અધિકારો પર નજર રાખી બેઠો છે.

તો વરદાન ની લ્હાણી બંધ કરો માનવ નેં એની ભક્તિનાં ફળ માટે મહેનત કરવા દો. આમ કહેતાં માધવ દુઃખી થઈ ગયાં. તેમની વેદના અનેં વલોપાત નેં જોઈનેં ભોળેનાથ ચિંતામાં પડ્યાં.

માધવ બોલ્યાં, રામ અવતાર દરમ્યાન મેં સીતા સાથે વિવાહ કરી પત્ની નો દરજ્જો એમનેં આપ્યો જે માનવ અવતાર ની સફળતા રુપે રામ અવતાર માં સર્વત્ર અમારાં બંને નું નામ "સીતારામ" સાથે લેવાતું રહ્યું પણ કૃષ્ણાઅવતાર માં મેં એમનેં અવતારકાર્ય નાં સાથી હોવા છતાં અન્યાય કર્યો છે.

બાળપણ નાં લાલા, કાના, મથુરેશ, પાર્થ સારથી, દ્વારિકાધીશ કોઈ પણ સ્વરુપે એમની સાથ અનેં સંગાથ છતાં પણ બલિદાનો ની પરાકાષ્ઠા એ પણ એમનેં મારાં થી અનાયાસે અન્યાય થઈ ગયો એમની સાથે લગ્ન કરી શક્યો નહીં,, રુક્મણી સાથે લગ્ન કરવા પડ્યા. તો અવતારકાર્ય માં જેમણે મારો અંત સુધી સાથ આપ્યો એમનેં મેં મારું નામ ન આપી ને અનેં અન્યો ને, રુક્મણી, સત્યભામા, અન્ય રાણીઓનેં મારું નામ આપી રાધાજી નેં અન્યાય કર્યો છે. અનેં એનાં અફસોસ નેં કામે લગાડી રાધિકા નું નામ ફક્ત કૃષ્ણાવતાર પછી જ નહીં યુગો યુગો સુધી મારી સાથે તો ખરું જ પણ એકલાં એમનાં નામ માં મારાં નામ કરતાં વધારે મહત્વ અપાય એવું કાંઈક કરવું છે અનેં એનાં માટે મારે તમારી સાથે મારી આ વ્હાલી વાંસળી ની મદદ ની આવશ્યકતા રહેશે.

શ્રીમદભાગવતમહાપુરાણની રચનામાં પણ મારાં તમામ પ્રયત્નો છતાં પણ મારાં જ નામ નું મહત્વ દેખાય છે રાધાજી નાં નામનો ઉલ્લેખ માત્ર પણ નથી જે મારાં માટે શરમજનક વાત કહેવાય.

કૃષ્ણાવતાર પૂરો કરી સજોડે સ્વર્ગલોક માં પધારેલાં માધવની આ વિટંબણા અનેં વિષાદ નાં પરિણામ રુપે આટલી અપેક્ષા ઓ હતી,

*સ્વર્ગ લોક માં પણ એક એક જીવ રાધાજીનેં ચાહક હોવો જોઈએ.

*મનુષ્યનાં રોમેરોમમાં મારાં કરતાં વધારે રાધા વિશે ભાવ છલકાવો જોઈએ.

*રાધાજીની મારી સેવા ની રીત થી તમામ મનુષ્યો મારી સેવા કરે.

*રાધાજીની મારાં પ્રત્યેની ભક્તિ થી એક એક જીવ પરિચિત હોવો જોઈએ.

*એક એવો સંપ્રદાય સ્થાપિત થવો જોઇએ કે જેનાં અનુયાયી ઓ મનેં માધવનેં ગૌણ અનેં રાધાજીનેં મુખ્ય આરાધ્ય દેવી માની શરણાગતિ સ્વીકારે.

*"રાધેરાધે "નામ ઉચ્ચારણ થી જ મારી ભક્તિ થાય અનેં રાધાજીનાં આશિર્વાદથી જ મારી પ્રાપ્તિ થાય.

રાધાધારા વહેતી જાય માધવનામ લેવાતું જાય.

ભક્તિનાં સર્વોચ્ચ શિખરે રાધાજી નું નામ વહેતું થાય.

અન્યાય નાં બદલે રાધિકા નું અસ્તિત્વ આવર્તિત થાય.

માધવની ભક્તિ રાધા નામે વિસ્તરતી જાય.

ભક્તિની પરાકાષ્ઠા એ રાધાજી નો જયજયકાર થાય.

માધવ નામ ભલે ભુલાય રાધિકાજી આવિર્ભુત થાય.

અન્યાયનાં પરિણામને પ્રયત્નો માં બદલાતાં જાય.

ભક્તિની સીમાઓ રાધાજીનાં નામે બંધાતી જાય.

રાધા ધારા માધવ નામનાં સમંદરથી અખૂટ અનંત વહેતી જાય.

કૃષ્ણાઅવતાર ની પૂર્ણાહુતિ પછી માધવે વાંસળી અને ભોળેનાથ ની સહાયતા થી રાધારાણી નાં અસ્તિત્વ ની આરાધના નેં અલગ અનોખું અલૌકિક જે સ્વરૂપ આપવાની યોજના કરી છે તેનાં વિશે રસપ્રદ જાણકારી મારાં વાચકમિત્રો આપનેં આપવાનાં વાયદા સાથે અહીં વિરમું છું.

બંસરી, માધવ, રાધાજી, ભોળેનાથ અનેં સમસ્ત ભૂલોક અનેં સ્વર્ગલોક આ બધાં જ માધવનાં આ કાર્ય માં જોડાવા તત્પર છે આપણેં પણ જોડાઈ એ.

આપણી આસ્થા, ભક્તિ, સેવાભાવ નેં રાધાજી તરફ વાળી એ. "રાધે રાધે" બોલતા રહીએ, હસતાં રહીએ, અનેં માધવનેં આમ જ મારી સાથે મળતાં રહીએ.

જય શ્રી કૃષ્ણ

મીસ. મીરાં .