Tahuko - 30 books and stories free download online pdf in Gujarati

ટહુકો - 30

ટહુકો

સંતોને બગાડવાનું બંધ કરો

(19 જાન્યુઆરી, 2009)

મારા તાબામાં રહેલી સધળી નિખાલસતા નિચોવીને મારે કહેવું છે ; હે હિન્દુઓ ઊઠો, જાગો અને સંતોને બગાડવાનું બંધ કરો. અજ્ઞાની પ્રજા કદી ધાર્મિક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હિન્દુઓની શક્તિ અપાર છે.

કોઈ પણ માણસને સંત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બેન્ક બેલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરુ થઈ છે. ઉપદેશકો સાથે વિરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હિસાબો જાહેર થતા નથી અને ગોટાળા ધાર્મિક હોય છે તેથી ઓડિટમાં પણ વાંધો આવતો નથી. ટ્ર્સ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રિયજનો હોય છે. કહેવાતા સંત બહારથી અલિપ્ત હોય છે, પરંતુ અંદરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના પી. આર. . ઈમેજ બિલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરુર એમાં બાવાજીની લંપટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધાર્મિક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધિકાર છે. બાવાજી પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીન ફસાવે છે. તેઓ શક્તિપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું સંસારીના બેડરુમ કરતાં વધારે ખતરનાક હોય છે. ભોળી સ્ત્રીઓ માટે ફળીયાનું અંધારું આશ્રમના અજવાળ કરતાં વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી કરતા, તેઓ સ્ત્રીઓને મુર્ખ બનાવે છે. મુર્ખ બનવા માટે હિન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી.

કોઈ કહેવાતા લોભનંદજી કે લંપટેશ્ર્વર કે મોહાનંદજીને પનારે પડનારી અંધશ્રધ્ધાળુ પ્રજા ‘રામાયણ’, ‘ગીતા’ કે ‘ઉપનિષદ’ નથી વાંચતી. હિન્દુ ભાઈબહેનો, એકવીસમી સદીન છાજે તેવા જીવનવ્યવહાર વગર વાસી ધર્મના ઢોલ પીટ્યા રાખીશું તો ખતમ થઈ જઈશું. ધર્મ સાથે તાજાં અરમાનોનો મેળ પાડવો પડશે. અંધશ્રધ્ધાની આરતી ઉતારવનું બંધ કરવું પડ્શે અશ્ર્વમેધ જેવા બોગસ યજ્ઞો બંધ કરવા પડશે અસ્પ્રુશ્ય્તા નાબૂદ કરવી પડશે. દહેજપ્રથા ખતમ કરવી પડશે. દેવદાસી પ્રથાના કલંકને દૂર કરવું પડશે વિધવાઓની અવદશા દૂર કરવી પડશે. આશ્રમોનો અને મંદિરોનો કચરો, માનસિક કચરો અને આર્થિક કચરો સાફ કરવો પડશે. સાચો પ્રેમ કેમ કરવો તે નવી પેઢીને શીખવું પડશે. નવી સદી વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. નવી પેઢી બ્લુ ફિલ્મ ‘જુએ’ છે, જ્યારે બાવાજીઓ તો બ્લુ ફિલ્મ ‘જીવે’ છે.

રામાયણ આપણું ઉદાત્ત મહાકાવ્ય છે, એ જરૂર સૌ એ વાંચવુ જોઈએ, પરંતુ વાંચીને પણ આપણા વિવેકને ગિરવે મૂકવાનો નથી. ચરણ સેવા, ચરણ સ્પર્શ, અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી નિર્માલ્ય પ્રજાને કેશવાનંદ ન મળે તો શું વિવેકાનંદ મળે? હિન્દુઓ ક્યારે જાગશે? એંશી ટકા પ્રજા ઉંઘતી હોય ત્યારે લઘુમતી જાગતી રહે એવું બને ખરું? એ બિચારી મુલ્લાગ્રસ્ત છે, બન્ને વચ્ચે હરીફાઈ જાગવાની નહીં, બેભાન રહેવાની ચાલે છે. માંજી માંજીને વાસણ ચક્ચક્તું કરીએ તેમ ધર્મને પણ સ્વચ્છ કરીને ચક્ચક્તો કરવાનો છે.

– ગુણવંત શાહ (ગરવી ગુજરાત અઠવાડીક – ૨૦૦૨)

***