Once Upon a Time - 35 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 35

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 35

‘દાઉદ ગેંગે અશોક જોશી સહિત પાંચ ગુંડાઓને ઢાળી દીધા એથી ગવળીબંધુઓને જબરદસ્ત ફટકો પડ્યો હતો, પણ અશોક જોશીના કમોતની કળ વળી એટલે ગવળીબંધુઓ પોતાનું નેટવર્ક મજબૂત બનાવવા મંડી પડ્યા હતા. ગવળીબંધુઓ પાસે સદા પાવલે, ગણેશ વકીલ અને તાન્યા કોળી જેવી ખેપાની ત્રિપુટી ભેગી થઇ ગઈ હતી. એ સિવાય વિજય ટંડેલ અને સુનીલ ઘાટે જેવા તરવરિયા જુવાનિયા શાર્પ શૂટર તરીકે તૈયાર થઇ ગયા હતા...’

ગવળી બંધુઓના નેટવર્ક વિશે વાત કરતાં કરતાં પપ્પુ ટકલા વચ્ચે અટક્યો. ચેઈન સ્મોકર ટકલાએ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી એ દરમિયાન અમારા પોલીસ ઓફિસર મિત્રએ ગવળી ગેંગના નમૂનાઓ વિશે થોડી માહિતી આપતા કહ્યું, ‘ગવળી ગેંગમાં સદા પાવલે અને ગણેશ વકીલનું સ્થાન બહુ મહત્વનું હતું. સદા પાવલેને ગવળી ગેંગમાં બધા સદામામા કહીને જ બોલાવતા હતા. રામગોપાલ વર્માની હિટ ફિલ્મ ‘સત્યા’માં અરુણ ગવળી પરથી ભીખુ મ્હાત્રે પાત્ર ઊભું કરવામાં આવ્યું હતું. તો કલ્લુ મામાનું પાત્ર સદા મામા પરથી બન્યું હતું. ‘સત્યા’ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું. એ રીતે ગવળી ગેંગમાં પણ કલ્લુમામા ઉર્ફે સદામામાનું ભારે વર્ચસ્વ હતું. એ જ રીતે ગણેશ વકીલ પણ ગવળી ગેંગ માટે બહુ ઉપયોગી હતો. આ બે સિવાય શાર્પ શૂટર સુનીલ ઘાટેનું પણ બહુ મહત્વ હતું. ગવળી ગેંગના શાર્પ શૂટરસ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ખતમ થવા માંડ્યા એટલે ૧૯૯૭માં સુનીલ ઘાટે સામે ચાલીને મુંબઈ પોલીસના શરણે ગયો હતો.’

પોલીસ ઓફિસર મિત્ર પણ મોટે ભાગે અમારી જેમ શ્રોતા બનીને જ પપ્પુ ટકલા સામે બેસી રહેતા હતા. એમણે પપ્પુ ટકલા સાથે ઓળખાણ કરાવી એ પહેલા પપ્પુ ટકલા વિશે ઘણી માહિતી આપી દીધી હતી. પપ્પુ ટકલા સાથે આટલી મુલાકાતો પછી હવે અમારી મુલાકાતો વખતે એમની હાજરી અનિવાર્ય નહોતી, પણ છતાં આ રીતે ઘટતી માહિતી આપવા માટે તેઓ શક્ય હોય ત્યાં સુધી અમારી સાથે બેસતા હતા. એમણે સદા મામા અને ગણેશ વકીલ વિશે માહિતી આપી એ પછી પપ્પુ ટકલાએ વળી વાતનો દોર પોતાના હાથમાં લઈ લીધો: ‘અરુણ ગવળી ગેંગના નમૂનાઓની જેમ ગવળીની પોતાની લાઈફ સ્ટોરીમાં પણ તમારા વાચકોને રસ પડશે. અરુણ ગવળી મુંબઈના અંડરવર્લ્ડ સાથે સંકળાઈને એટલો પરિચિત ચહેરો થઇ ગયો છે કે બધા એને મહારાષ્ટ્રીયન જ માને છે. પણ હકીકતમાં ગવળી મધ્ય પ્રદેશનો વતની છે. અરુણ ગવળી આહીરપુત્ર છે. એના પિતા પહેલાં અહમદનગરમાં રહેતા હતા પણ પછી બે ટંકની રોટી માટે એણે મુંબઈમાં આવીને મિલમજૂર તરીકે નોકરી શરુ કરવી પડી. અરુણના પિતા ગુલામ આહીર અને માતા લક્ષ્મી સંતોષી જીવ હતાં. ૧૭ જુલાઈ ૧૯૫૨ ના દિવસે લક્ષ્મી અહિરે અરુણને જન્મ આપ્યો ત્યારે એણે સપનેય નહીં વિચાર્યું હોય કે એનો દીકરો આવડો ‘મોટો’ માણસ બની જશે. અરુણ ગવળીની કિશોરાવસ્થા ટપોરી તરીકે જ વીતી હતી. એની અટક આહીર હતી પણ એને રમા નાઈકે ગવળી અટક આપી હતી. અરુણ ગવળી રમા નીક અને બાબુ રેશીમના નાનાંમોટાં કામ કરતો. એ કામમાં ચલમ ભરી આપવાનું અને ચા-પાણી લાવી આપવા જેવું કામ પણ આવી જાય. આવી રીતે એક વાર રમા નાઈકે અરુણને કોઈ કામે મોકલ્યો હતો ત્યારે એના પાછા આવતા મોડું થયું એટલે રમાએ એને મોડું થવાનું કારણ પૂછ્યું તો અરુણે જવાબ વાળ્યો : ‘એક ટેક્સીવાળો ગાય માતાને ટકકર મારીને ભાગી જતો હતો એને પકડીને ફટકાર્યો એમાં મોડું થઇ ગયું.’ અરુણનો આ ખુલાસો સાંભળીને રમા નાઈકે કહ્યું : ‘તુમી એકદમ ગવળીચ આહે.’ મરાઠીમાં ગવળી એટલે ગાય પ્રેમી ગોવાળ. બસ ત્યારથી અરુણ આહીરને બધા અરુણ ગવળી કહેવા માંડ્યા. અરુણ આહીરની અટક ગવળી થઇ ગઈ. સાથે એના ભાઈ પાપા ઉર્ફે કિશોરને પણ બધા પાપા ગવળી તરીકે ઓળખવા માંડ્યા. બાકી અરુણ ગવળીના કુટુંબમાં હજી બીજા આહીર અટક વાપરે છે.

અરુણ ગવળીની રાજકીય મહત્વાકાંક્ષાનો પણ પાર નથી. એણે પોતાનો અખિલ ભારતીય સેના નામનો પક્ષ ઉભો કર્યો છે અને અત્યાર સુધીમાં એ પક્ષના કાર્યકરો પાલિકાથી માંડીને લોકસભાની ચુંટણીઓ લડી ચુક્યા છે. પણ હજી સુધી સુનીલ ઘાટે કોર્પોરેટર તરીકે ચુંટાયો અને ગવળી પોતે વિધાનસભ્ય બન્યો. એ સિવાય એકેય કાર્યકર એક પણ ચુંટણીમાં વિજય મેળવી શક્યો નથી. જો કે મુંબઈમાં શિવસેનાના સંસદસભ્ય મોહન રાવલે સાથે ગવળીને બહુ સારા સંબંધ હોવાનું ગવળીના મિત્રો અને દુશ્મનો માને છે. ૧૯૯૭માં મુંબઈ પોલીસે અરુણ ગવળીની ધરપકડ કરી ત્યારે શિવસેનાના સંસદસભ્ય મોહન રાવલે મુંબઈના અગ્રીપાડા પોલીસ સ્ટેશનની બહાર ઉપવાસ પર બેસી ગયા હતા. શિવસેનાના વડા બાળ ઠાકરે અને અરુણ ગવળી કટ્ટર દુશ્મન હોવાં છતાં ગવળીની ધરપકડથી દુભાઈને મોહન રાવલે ઉપવાસ પર ઉતરી ગયા હતા એટલે એમની ગવળી સાથે કેવી દોસ્તી હશે એનું અનુમાન કોઈ પણ કરી શકે.’

‘ગવળી વિશે આવી બીજી ઘણી ઇન્ટરેસ્ટીંગ વાતો છે. તમે લખવા ધારો તો અરુણ ગવળી પર જ આખુ પુસ્તક લખી શકાય. એની વે, અત્યારે તો આપણે જરૂર પૂરતી વાત કરીને અંડરવર્લ્ડ કથા આગળ ધપાવીએ.’ એમ કહીને પપ્પુ ટકલાએ અંડરવર્લ્ડ કથાનો નવો એપિસોડ શરુ કર્યો: ‘દાઉદ અને ગવળી ગેંગનો લોહિયાળ દુશ્મની શરૂ થઇ ગઈ એ સાથે અરવિંદ ધોળકિયા પણ દાઉદ સામે મેદાને પડ્યો હતો. મહેશ ધોળકિયાની મોતની કળ વળી એટલે અરવિંદ ધોળકિયાએ ફરી એક વાર પોતાનું નેટવર્ક મજબૂત બનાવવાની કોશિશ કરી હતી. ધોળકિયા પર ત્રણ વાર હુમલા થયા. એમાં બે વાર તો રમા નાઈક આણિ મંડળીનો હાથ હતો. ધોળકિયાના દિમાગમાં રમા નાઈક અને ગવળીઓની સામે જેટલું ખુન્નસ હતું એટલી જ દાઝ એને દાઉદ ઈબ્રાહીમ પર પણ ચડી હતી. રમા નાઈક માર્યો ગયો એ પછી ધોળકિયાનું ધ્યાન ગવળી ગેંગ તરફથી દાઉદ ગેંગ પર કેન્દ્રિત થયું હતું. દાઉદ ગેંગને હચમચાવવા માટે અરવિંદ ધોળકિયા પૂરી તાકાત અજમાવી રહ્યો હતો. દાઉદ મુંબઈમાં બેઠો બેઠો ગવળીઓ અને ધોળકિયાઓને હંફાવતો હતો. અરવિંદ ધોળકિયાને મહારાષ્ટ્રના ઘણા રાજકારણીઓ સાથે સંબંધ હતો. પણ ધોળકિયા કરતાં દાઉદે મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ મજબૂત સંપર્કો વિકસાવી લીધા હતા. દાઉદ અને અરવિંદ ધોળકિયાની દુશ્મનીનો અંજામ અરવિંદ ધોળકિયાના મોત સાથે આવ્યો હતો. જો કે ધોળકિયાઓ અને દાઉદના સંબંધમાં પહેલા દોસ્તી પછી દુશ્મની પછી સમાધાન અને ફરી વાર દુશ્મની અને ફરી સમાધાન જેવા સ્ટેજ આવ્યા હતા. પણ સતીશ રાજેની હત્યા થઈ એ અરસામાં ધોળકિયા અને દાઉદની દુશ્મની પણ ચરમસીમાએ પહોંચી હતી.

દાઉદ ઈબ્રાહીમ સાથે દુશ્મની વહોરી લીધા અરવિંદ ધોળકિયાએ એકથી વધુ વાર પોલીસ પ્રોટેક્શન લીધું હતું. પણ અરવિંદ ધોળકિયા પોલીસ રક્ષણ મેળવે એ પછી કોઈ અદ્રશ્ય દોરીસંચારથી થોડા દિવસમાં એને મળેલું સુરક્ષાચક્ર પાછુ ખેંચાઈ જતું. સતીશ રાજેની હત્યા પછી ધોળકિયાનો આત્મવિશ્વાસ વધ્યો હતો. દાઉદ માટે સતીશ રાજે કેટલો મહત્વનો માણસ હતો એ અરવિંદ ધોળકિયા સુપેરે જાણતો હતો. અને એટલે જ રાજેની હત્યા પછી એ થોડો નિશ્ચિત બન્યો હતો. અને એટલે જ રાજેની હત્યાને કારણે દાઉદને મોટો ફટકો પડ્યો હતો. એટલે દાઉદ તત્કાળ તો શાંત બેસી રહેશે એવી ગણતરી ધોળકિયાએ માંડી હતી.

સતીશ રાજેની હત્યાને એક અઠવાડિયું વીત્યું એ પછી અરવિંદ ધોળકિયાની કુખ્યાત ‘સીઝર્સ પેલેસ’ હોટેલમાં જણા ગયા. ધોળકિયાની ચેમ્બરમાં જઈને તેઓ ધોળકિયાના ખભે હાથ મૂકીને દોસ્તની જેમ એને બહાર લઈ ગયા. હોટેલના કર્મચારીઓને લાગ્યું કે બોસ ક્યાંક જઈ રહ્યા લાગે છે. તેમને અંદાજ સુદ્ધાં નહોતો કે બોસ ક્યાં જઈ રહ્યા છે!

(ક્રમશ:)