Once Upon a Time - 38 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 38

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 38

‘આગળની વાત કરતાં પહેલાં હું તમને અમર નાઈક અને એના ભાઈ અશ્વિન નાઈક વિશે થોડી માહિતી આપી દઉં,’ પપ્પુ ટકલાએ કહ્યું, ‘અમર નાઈકના પિતા મારુતિ નાઈક સીધાસાદા ખેડૂત હતા, પણ અમર નાઈકને સીધીસાદી જિંદગીમાં અને મહેનત કરીને મળતા બે ટંકના રોટલામાં રસ નહોતો. કિશોરાવસ્થાથી જ એ આડી લાઈને ચડી ગયો હતો. એને ચિક્કાર પૈસા કમાવા હતા અને લોકો પોતાનો પડ્યો બોલ ઝીલે એવું એ ઈચ્છતો હતો. એની આ મહત્વકાંક્ષા એને અંડરવર્લ્ડ તરફ દોરી ગઈ હતી, એનાથી ઉલટું, એનો નાનો ભાઈ અશ્વિન નાઈક શાંત સ્વભાવનો હતો. અશ્વિન નાઈકે અમર નાઈકની જેમ ગુંડાગીરીને બદલે ભણવામાં ધ્યાન આપ્યું અને એ એન્જિનિયર બન્યો. અશ્વિન નાઈક કોલેજકાળમાં અચ્છો સપોર્ટસમેન હતો. એ વિખ્યાત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરનો ચેલો હતો. વિનોદ કાંબલી અને સચિન તેંડુલકર જેવા ક્રિકેટર્સ તૈયાર કરનારા ક્રિકેટ કોચ રમાકાંત આચરેકર પાસે અશ્વિન નાઈક ક્રિકેટની તાલીમ લેવા જતો હતો ત્યારે તેની સાથે ચન્દ્રકાંત પંડિત અને બલવિન્દર સંધુ (પાછળથી નામાંકિત બનેલા ખેલાડીઓ) પણ આચરેકર પાસે તાલીમ લેતા હતા.’

‘તમે કદાચ વાંચ્યું હશે, બે દાયકા અગાઉ પશ્ચિમ બંગાળની સરહદ પરથી અશ્વિન નાઈકની ધરપકડ થઈ એ પછી એણે એક અંગ્રેજી મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે હું ગેંગસ્ટર ન બન્યો હોત તો ભારતીય ક્રિકેટ ટીમનો સભ્ય બની શક્યો હોત.’ અંડરવર્લ્ડ વિશે પોતાના વાંચનનો પુરાવો આપતો હોય એમ પપ્પુ ટકલા અમારી સામે જોઇને બોલ્યો.

અમે એનાથી ઈમ્પ્રેસ થયા હોઈએ એવા હાવભાવ બતાવ્યા એટલે સંતોષની લાગણી અનુભવતા ટકલાએ વાત આગળ ચલાવી, ‘એન્જિનિયર બન્યા પછી અશ્વિન નાઈક બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય તરફ વળ્યો હતો. અફકોર્સ, એ બિલ્ડર બન્યો એની પાછળ અમર નાઈકનું પીઠબળ હતું જ પણ અશ્વિન નાઈક તેના મોટા ભાઈ અમર નાઈકના ગોરખધંધામાં સીધો સામેલ થયો નહોતો. પરંતુ જયારે અમર નાઈક ગેંગ અને ગવળી ગેંગ સામસામે આવી ગયા ત્યારે અશ્વિન નાઈક મોટા ભાઈની ગેંગ તૂટતી બચાવવા માટે સક્રિય બન્યો એ પછી થોડા સમયમાં જ એને અંડરવર્લ્ડની આક્રમકતાનો અનુભવ થયો હતો. અમર નાઈકની ગેંગમાં પૂરતા મેન પાવર અને શસ્ત્રોનો અભાવ હતો અને સામે દુશ્મન દાઉદ ગેંગ અને ગવળી ગેંગ પાસે મેન પાવર અને શસ્ત્રોની કોઈ કમી નહોતી.

૧૯૮૯ના અંત ભાગમાં અમર નાઈક અને ગવળી ગેંગ વચ્ચે કટ્ટર દુશ્મની થઈ ગઈ એ અરસામાં અશ્વિન નાઈક અંડરવર્લ્ડમાં સક્રિય બન્યો. બંને ગેંગ વચ્ચે મામલો થાળે પડ્યો છે એવું લાગ્યું ત્યારે અશ્વિન નાઈક મદ્રાસ ફરવા ગયો. પણ મદ્રાસથી એ પાછો મુંબઈ પાછા ફર્યા બાદ અશ્વિન નાઈક એરપોર્ટથી એન. એમ. જોશી માર્ગ વિસ્તારમાં પોતાના ઘર તરફ જવા રવાના થયો ત્યારે દાઉદ ગેંગના ગુંડાઓએ બાંદરા વિસ્તારમાં હાઈવે ઉપર એની કાર આંતરી. અશ્વિન નાઈકની સાથે બે શસ્ત્રધારી બોડીગાર્ડ હતા. પણ તેઓ કંઈ વિચારે એ અગાઉ દાઉદ ગેંગના શૂટર્સે ધાણીફૂટ ગોળીબાર શરુ કર્યો અને બંને બોડીગાર્ડને ઢાળી દીધા. દાઉદ ગેંગના શૂટર્સે આઠ-દસ નહીં પણ પૂરી ૧૪૮ ગોળી અશ્વિન નાઈકની તરફ છોડી પણ અશ્વિન નાઈક ચમત્કારિક રીતે બચી ગયો. અશ્વિન નાઈક દાઉદ ગેંગના ગુંડાઓથી બચીને નાસી છૂટવામાં સફળ રહ્યો. દાઉદ ગેંગના શૂટરોએ ચાર કારમાં આવીને અશ્વિન નાઈકને આંતર્યો હતો એમ છતાં એ બચી ગયો હતો. એ પછી અશ્વિન નાઈક અંડરવર્લ્ડમાં ઓતપ્રોત થઇ ગયો. અમર નાઈકની ગેંગને મજબૂત બનાવવા માટે એ મચી પડ્યો.’

અમર નાઈકને એના ભાઈ અશ્વિન નાઈકનો સહારો મળી ગયો એ પછી થોડા સમયમાં ગવળીને પોતાનો ભાઈ ગુમાવવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ દાઉદ ઈબ્રાહિમના બધા જ ભાઈ જુવાન થઇ ગયા હતા અને દાઉદ સાથે ખભેખભા મિલાવીને અંડરવર્લ્ડમાં દાઉદ ગેંગનું સામ્રાજ્ય વિકસાવવામાં મદદરૂપ બનવા માંડ્યા હતા. પાપા ગવળીના કમોત પછી અરુણ ગવળી અજ્ઞાતવાસમાં રહીને ગેંગ ચલાવતો થઇ ગયો હતો. પણ પોતાની ગેંગને વધુ મજબૂત બનાવવી હોય અને ગેંગના સભ્યોની હિંમત વધારવી હોય તો દગડી ચાલમાં રહીને જ લડી લેવું જોઈએ, એવું વિચારીને જુલાઈ ૧૯૯૦માં ગવળી દગડી ચાલમાં ગયો. ગણતરીના કલાકોમાં મુંબઈ પોલીસને માહિતી મળી ગઈ કે અરુણ ગવળી દગડી ચાલમાં ગયો છે. અને ૨૧ જુલાઈ, ૧૯૯૦ના દિવસે મુંબઈ પોલીસે વધુ એક વાર દગડી ચાલને ધમરોળી નાખી હતી. એ દિવસે રમા નાઈકની બીજી પુણ્યતિથિ (કે પાપતિથિ જે કહો તે, પપ્પુ ટકલાએ વચ્ચે આછું સ્મિત કરીને ઉમેર્યું હતું) હતી. મુંબઈ પોલીસે દગડી ચાલમાં અરુણ ગવળીના નિવાસસ્થાનનો ખૂણેખૂણો તપાસી જોયો.’

ગવળીના ઘરમાંથી શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો પણ ગવળી હાથમાં આવ્યો નહીં. ઉસ્તાદ પોલીસ અધિકારીઓએ ગવળીના ઘરના ડ્રોઈંગ રૂમના સોફા કમ બેડની તલાશ લીધી અને સુકલકડી અરુણ ગવળી સોફા કમ બેડમાંથી મળી આવ્યો. અરુણ ગવળી કાનૂની આંટીઘૂંટીમાં માહેર થઈ ગયો હતો. એટલે એણે વિચાર્યું હશે કે થોડા દિવસમાં જામીન પર છૂટીને પાછા દગડી ચાલમાં આવી જવાશે. પણ ગવળીની એ ધારણા ખોટી પડી હતી. મુંબઈ પોલીસે ગવળીને બરાબર સાણસામાં લીધો હતો. ૨૧ જુલાઈ ૧૯૯૦ના દિવસે ગવળીની ધરપકડ થયા પછી ગવળીએ પૂરા છ વર્ષ સુધી મહારાષ્ટ્રની જુદી જુદી જેલોની ‘મહેમાનગતિ’ માનવી પડી. જોકે રમા નાઈક અને બાબુ રેશિમના આ ચેલાએ આફતને અવસરમાં પલટાવી નાખી. જેલમાં તો એ વધુ સલામતી અનભવીને દાઉદ અને અમર નાઈકની પાછળ પડી ગયો. જેલમાં બેઠા બેઠા અરુણ ગવળીએ અંડરવર્લ્ડના ખેલ વધુ જોમપૂર્વક શરુ કર્યા.

અરુણ ગવળી માનતો હતો કે દાઉદ ઈબ્રાહિમના ઈશારાથી જ પોલીસ દગડી ચાલમાં દરોડો પાડી રહી છે. અગાઉ દગડી ચાલમાંથી શસ્ત્રો પકડાયા અને ગવળીની ધરપકડ થઈ એ પછી ગવળીએ પણ દાઉદ ગેંગને વળતો ઘા માર્યો હતો. ગવળીએ દાઉદના સમર્થક ગણાતા હોટેલિયર જયંતી છેડા, મટકાકિંગ જયંતી શેટ્ટી અને હવાલકિંગ મહેન્દ્ર ચોરડિયાને ઢાળી દઈને દાઉદ ગેંગને આર્થિક ફટકો માર્યો એ પછી એણે દાઉદને મળતો શસ્ત્ર જથ્થો અટકાવવા એક વધુ ઘા માર્યો હતો. એપ્રિલ, ૧૯૯૦માં ગવળી ગેંગના શૂટર્સે ઇન્ડિયન આર્મિના રિટાયર્ડ મેજર અર્જુનસિંહને ઢાળી દીધો.

અર્જુનસિંહ મુંબઈમાં લોખંડવાલા જેવા પોશ વિસ્તારમાં રહેતો હતો. અર્જુનસિંહની હત્યા થઈ એટલે મુંબઈ પોલીસે તપાસ આદરી તો અર્જુનસિંહની દાઉદની સાથેની કડી મળી આવી. જે મુંબઈ પોલીસ દાઉદના ઈશારે નાચે છે એવું ગવળી માનતો હતો એ મુંબઈ પોલીસે મેજર અર્જુનસિંહના ઘરમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી જંગી શસ્ત્રોના જથ્થાની સાથે કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા. એ દસ્તાવેજોને આધારે મુંબઈ પોલીસે બેંગ્લોર પોલીસને માહિતી આપી અને બેંગ્લોરમાં અર્જુનસિંહની માલિકીની અર્જુન આર્મરી પર દરોડો પાડવામાં આવ્યો અને બેંગ્લોરમાંથી અધધ થઇ જવાય એટલો શસ્ત્ર જથ્થો મળી આવ્યો!

અરુણ ગવળી દાઉદને આવો બીજો ફટકો મારવાનો મોકો શોધી રહ્યો હતો ત્યાં અચાનક એનું કામ કસ્ટમ ડિપાર્ટમેન્ટે અનાયાસે કરી આપ્યું!

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના સબ ઈન્સ્પેકટર પ્રસન્ન મોરેએ લોખંડવાલા કોમ્પલેકસના ‘ગાર્ડન વ્યુ’ એપાર્ટમેન્ટના સાતમા માળે ૭૦૧ નંબરના ફ્લેટની ડોરબેલ દબાવી. મોરેની ટીમના સભ્યો દીવાલ સરસા ઉભા હતા. મધરાતના ત્રણ વાગ્યા હતા. આ સમયે કોણ ટપકી પડ્યું હશે એમ વિચારીને ફલેટનો દરવાજો ખોલતા પહેલાં અંદરથી કોઈએ પૂછ્યું, ‘કૌન હૈ?’ જવાબ મળ્યો નહીં એટલે ઈન્સ્પેક્ટર પ્રસન્ન મોરેએ ફરી વાર ડોરબેલ દબાવી જોરથી દરવાજો ખખડાવ્યો પણ દરવાજો ખુલ્યો નહીં. મોરેને દાળમાં કંઈક કાળું લાગ્યું, એમણે તાબડતોબ વાયરલેસ સેટ પર મેસેજ આપીને વધુ પોલીસ કર્મચારીઓને ‘ગાર્ડન વ્યુ’ એપાર્ટમેન્ટમાં બોલાવ્યા. એ ફ્લેટ ૧૯૮૭માં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન શંકરરાવ ચવ્હાણે મુખ્ય પ્રધાનના ટેન પરસેન્ટ કવોટામાંથી જલગાંવના કોંગ્રેસી વિધાનસભ્ય મુરલીધર પવારને ફાળવ્યો હતો.

બીજી પોલીસ ટુકડી આવી પહોંચી. બીજી ટુકડીમાં આવેલા સિનિયર ઓફિસરોએ ફલેટનો દરવાજો તોડવાનો આદેશ આપ્યો. પોલીસ કર્મચારીઓએ ફલેટનો દરવાજો તોડ્યો એ સાથે જ અંદરથી ગોળી છૂટવાનો અવાજ આવ્યો!

(ક્રમશ):