Koriama Boudhatva - 1 books and stories free download online pdf in Gujarati

કોરિયામાં બૌદ્ધત્વ : અયોધ્યા, શ્રી રામ અને રાજકુમારી હ્વાંગ ઓકે! - 1

કોરિયામાં બૌદ્ધત્વ : અયોધ્યા, શ્રી રામ અને રાજકુમારી હ્વાંગ ઓકે!

(ભાગ-૧)

ભારતીયોને બાદ કરતાં અયોધ્યા અને શ્રીરામમાં શ્રદ્ધા ધરાવનારો સૌથી મોટો વર્ગ છે : કોરિયન લોકો! તેઓ પોતાને અયોધ્યામાં જન્મેલ રાજકુમારી ‘હીઓ હવાંગ ઓકે’નાં વંશજો માને છે. માનવામાં આવે છે કે અયોધ્યાની એ રાજકુમારી પૌરાણિક કાળનાં દૈવી પુરૂષ ‘કિમ સુરો’ને પરણવા માટે ખાસ કોરિયા આવી હતી. ‘સેમ કુક યુસ’ (અર્થ : ત્રણ રાજ્યોનો ઇતિહાસ) પ્રમાણે, કોરિયન પ્રજાતિનાં પુરાણકાળ વિશે અગિયારમી સદીમાં વિગતવાર લખવામાં આવ્યું. પૌરાણિક કથાઓ અનુસાર, કોરિયા (હાલનું પેનિનસુલા, દક્ષિણ કોરિયા)માં નવ વૃદ્ધો એક રાજ્ય પર રાજ કરતાં હતાં. પરંતુ એમાંનો એકપણ વ્યક્તિ રાજા નહીં! એમણે પોતાનાં ઇશ્વરને પ્રાર્થના કરી, જેથી એમની પ્રજાને એક પ્રજાવત્સલ રાજવી મળી શકે. પ્રાર્થનાનાં જવાબરૂપે એમને આકાશવાણી સંભળાઈ, જેમાં કોરિયન લોકોને પહાડની ટોચ પર જઈ પ્રાર્થનાગીતો ગાવા અને નૃત્ય કરવાનું ફરમાન કરવામાં આવ્યુ. પ્રજાજનો આકાશવાણીને અનુસર્યા અને આકાશમાંથી તેજસ્વી ચળકતાં પીળા રંગનો પ્રકાશ ધરતી પર પથરાઈ ગયો. સૌની આંખો અંજાઈ ગઈ. કોઇ કશું જોઇ શકવા સક્ષમ નહોતું! પ્રકાશ થોડોક આછો થયો કે તરત જમીન પર સોનાનું બોક્સ જોવા મળ્યું, જેમાં કુલ છ નાના-નાના સોનાનાં ગોળા હતાં!

નવે-નવ વૃદ્ધોએ તુરંત એને પાછું બંધ કરી, મહેલ પર લઈ આવ્યા. બીજા દિવસે સવારે એને ખોલીને જુએ છે તો છ સોનાનાં ગોળાનું સ્થાન એક નવજાત શિશુએ લઈ લીધું હતું! પૂર્ણિમાનાં દિવસે વૃદ્ધોએ એનું નામ રાખ્યું : કિમ સુરો! (કિમનો અર્થ થાય છે સોનું!) થોડા જ સમયની અંદર કિમ સુરો સમજદાર થઈ ગયો. નવ ફૂંટની ઉંચાઈ, મજબૂત શારીરિક બાંધો, તીવ્ર બુદ્ધિક્ષમતા અને દૈવી પુરૂષનો જાણે સાક્ષાત અવતાર! એણે પોતાનો મહેલ બંધાવ્યો અને સમગ્ર રાજ્યનું શાસન પોતાનાં હાથમાં લઈ લીધું. નવ વૃદ્ધોને હવે કિમ સુરોનાં લગ્નની ચિંતા થવા માંડી. એક દિવસ એમણે કિમ સુરોને પોતાની વેદના જણાવીને લગ્ન કરી લેવા જણાવ્યું પરંતુ રાજાએ તરત જ ના પાડી દીધી. કિમ સુરોનું માનવું હતું કે અગર મારું અવતરણ સ્વર્ગમાંથી થયું છે તો મારી અર્ધાંગિની પણ સ્વર્ગમાંથી જ અવતરણ પામશે, માટે વિવાહનો નિર્ણય ઇશ્વર પર છોડી દેવામાં આવે!

દિવસો ઉપર દિવસો અને ત્યારબાદ મહિનાઓ વીતી ગયા. એક દિવસ ભારતનાં ‘આયુત’ (હાલનું અયોધ્યા) રાજ્યમાંથી એક ખૂબસુરત રાજકુમારી ‘હ્વાંગ ઓકે’ કોરિયા આવી. એમનાં ભાઈ પો-ઓકે (એક પ્રકારનું કોરિયન નામ) સાથે તે મબલખ સોનું અને હીરાદાગીના લઈ આવી! કિમ સુરોનાં દરબારમાં આવીને તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. કિમ સુરો તો હ્વાંગ ઓકેનું તેજ જોઈને આભો બની ગયો. હ્વાંગ ઓકેની સુંદરતા અને તેનો હસમુખો ચહેરો કિમ સુરોનાં દિલોદિમાગમાંથી કેમેય કરીને હટવાનું નામ નહોતો લઈ રહ્યો. તેને એ વાતનો અહેસાસ થઈ ગયો કે ઇશ્વરે હ્વાંગ ઓકેને પોતાની પાસે મોકલી છે, જેથી તેમનો જીવનસંસાર આગળ વધી શકે. નવ ફૂટનાં કિમ સુરો અને સાત ફૂટની હ્વાંગ ઓકેની જોડી જોઇને સૌ પ્રજાજનોએ તેમને ખૂબ ખૂબ આશીર્વચન પાઠવ્યા. હ્વાંગ ઓકેનાં પિતાને સપનામાં દેવતાઓએ એવું કહ્યું કે તારી પુત્રીનો જન્મ દૈવી પુરૂષને પરણવા માટે થયો છે, માટે એને કિમ સુરોની અર્ધાંગિની બનાવીને અમારું કાર્ય પૂરું કરવામાં અમારી સહાય કરો!” હ્વાંગ ઓકેનું રૂપ જોઇને કિમ સુરોનાં મોંમાંથી શબ્દો સરી પડ્યા, “આ જ એ સ્ત્રી છે, જેનાં વિશે મેં સ્વપ્ન જોયા હતાં. ઇશ્વરે સ્વર્ગમાંથી એને મારા માટે મોકલી છે!”

લગ્ન બાદ કિમ સુરોએ એ જગ્યા પર મંદિરનું નિર્માણ કરાવ્યું જ્યાં બંને સૌપ્રથમ વખત મળ્યા હતાં. આજે પણ કોરિયાનાં ‘કિમહે’ પર રાજકુમારીની કબર સામે આ મંદિર અડીખમ ઉભેલું જોવા મળે છે! એમાં વપરાયેલા પિઝા પથ્થરોને ‘ચિંપુંગતાપ’ કહેવાય છે. માન્યતા છે કે હ્વાંગ ઓકેનાં પિયર અયોધ્યામાંથી લાવવામાં આવેલા આ ખાસ પ્રકારનાં પથ્થરોમાં એવી વિશેષ શક્તિ છે તે અત્યંત તોફાની ઘૂઘવતાં દરિયાને પણ ગણતરીની ક્ષણોમાં શાંત કરી શકે છે!

આજે કોરિયન લોકો પોતાને કિમ સુરો અને હ્વાંગ ઓકેનાં દસ પુત્રરત્નો અને બે પુત્રીરત્નોનાં વંશજો તરીકે સ્વીકારે છે. એમણે ઉભા કરેલા રાજ્યને નામ આપવામાં આવ્યું હતું : કિમ-હે-કિમ! હાલ, કુલ ત્રીજા ભાગની કોરિયન વસ્તી (લગભગ ૮૦ લાખ નાગરિકો) પોતાને કિમ સુરોનાં ૭૨મા વંશજ ગણાવે છે! (પરંતુ આ સંખ્યામાંથી ઉત્તર કોરિયાનાં રહેવાસીઓને બાકાત રાખવામાં આવ્યા છે.) આજનાં સમયમાં કોરિયાનાં મોટાભાગનાં પ્રમુખ અને અન્ય રાજકારણીઓ (કિમ યુ-ઓકે, કિમ દે જન્ગ, હીઓ જેઓંગ અને જોંગ પિલ કિમ વગેરે) આ જ વિસ્તારમાં જન્મ્યા અને મોટા થયા! દક્ષિણ કોરિયાનાં હયાંગ, ગિમહે, ગોન્ગમ વિસ્તારનાં નાગરિકો કિમ સુરો અને હ્વાંગ ઓકેની બ્લડ-લાઇન ધરાવે છે એવું સ્વીકારવામાં આવ્યું છે.

સૌ વાંચકમિત્રોને ‘ગંગનમ સ્ટાઇલ’ સોંગ તો યાદ જ હશે!? ચિત્રવિચિત્ર અદાઓમાં ડાન્સ કરનારા પી.એસ.વાય.નું એ ગીત વિશ્વની લગભગ બે અબજ જેટલી વસ્તીનું લોકપ્રિય બની ગયું હતું. પીએસવાયની માતા (કિમ યન્ગ-હી) ગંગનમમાં પોતાનાં રેસ્ટોરા ધરાવે છે, જે પોતે પણ કિમ સુરો અને હ્વાંગ ઓકેની વંશજ છે!

કોરિયામાં બૌદ્ધ ધર્મનાં વિસ્તરણ પાછળ સમ્રાટ અશોકને શ્રેય આપવો ઘટે! ‘સેમ કુક યુસ’માં અપાયેલા ઐતિહાસિક પુરાવાઓ (રેકોર્ડ ઓફ અ જર્ની ટુ ધ ફાઇવ ઇન્ડિયન કિંગ્ડમ)ને ધ્યાનમાં લઈએ તો સમજાય કે, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મને દેશ-વિદેશમાં ફેલાવવા માટે ખાસ્સી જહેમત ઉઠાવી હતી. લગભગ ૩૦,૦૦૦ પાઉન્ડ સોનું અને ૫૭,૦૦૦ પાઉન્ડ જેટલું પીળું લોખંડ કોરિયાનાં રાજા ચિન્હન્ગને મોકલ્યું હતું, જેમાંથી ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવી શકાય! આ એ સમય હતો જ્યારે કોરિયામાં બુદ્ધિઝમ નવુંસવું વિસ્તર્યુ હતું. શાંતિ અને અહિંસાનો સંદેશો ફેલાવવા માટે સમ્રાટ અશોકે કોરિયામાં ઘણા બૌદ્ધ સાધુને મોકલ્યા. એક રીતે જોવા જઈએ તો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરનારા લોકોએ આપણા દેશમાં આવીને ચા, કોફી અને ચોખાની ભેટ આપી, જ્યારે ઉગતા સૂર્યનાં પ્રતીક સમા આપણા ભારતે એમને ધર્મ-આધ્યાત્મ તરફ વાળ્યા એમ કહી શકાય! પરિણામસ્વરૂપ, કોરિયાની ડિક્શનરીનાં શબ્દોમાં સંસ્કૃત શબ્દો (નર્ક, સ્તુપ, બ્રહ્મા, ઇન્દ્ર, નિદાન વગેરે)નું હોવું સામાન્ય છે! ભૂતપૂર્વ કોરિયન એમ્બેસેડર પાર્થસારથિએ ત્યાંના બૌદ્ધ સાધુ જન્ગ્યુહસ્વાંગ સાથે વાતચીત કરી એ દરમિયાન તેમણે જણાવ્યું કે ભગવાન બુદ્ધનાં અવસાન બાદ બૌદ્ધગયા (અયોધ્યા)માંથી કોરિયા સુધીનો પ્રવાસ ખેડનાર રાજકુમારી હ્વાંગ ઓકેનાં કારણે જ ત્યાં બૌદ્ધધર્મનો પ્રસાર-પ્રચાર શક્ય બન્યો હતો. અને ત્યારબાદ મૌર્યકાળમાં સમ્રાટ અશોકનાં પ્રયાસો થકી તેને ફેલાવો મળ્યો!

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com