Setu - 8 books and stories free download online pdf in Gujarati

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 8

ભાગ - 8
માજી ડૉક્ટર શાહને પોતાની પુરી આપવીતી જણાવે, એ પહેલાં આપણે કોઈ પણ વ્યક્તિ પર આવતી કપરી પરિસ્થિતીનાં કારણો અને એમાંથી બહાર આવવાનાં રસ્તાઓ વિશે જાણી લઇએ જેથી માજીએ જે તે સમયે ઉઠાવેલ કદમ અને એનાં કારણો વિશે આપણને ખ્યાલ આવે.
કહેવાય છે કે, પુરી દુનિયામાં લોકોના દુઃખના સૌથી મોટા કારણો બે છે.
એક પૈસો અને
બે જે તે વખતે નડતી કોઈ વ્યક્તિ
આતો થઈ એક સર્વ-સામાન્ય અને લોકોના મગજમાં ઘર કરીને વર્ષોથી બેઠેલી વાત, પરંતું હજી પણ માણસનાં સાચા દુઃખનું આનાથી પણ મોટુ અને ભારે કારણ એક છે. તે છે, જે તે વ્યક્તિ સામે, "સમયે ઉભા કરેલા પ્રતિકૂળ સંજોગો"આવા કપરા સંજોગોનાં કારણથી મળતું દુઃખ કોઈપણ વ્યક્તિ માટે, " કોઈને કહેવું કે પોતે સહેવુ" અતી કઠીન થઈ જતું હોય છે. આ બે રસ્તા સીવાય એ વ્યક્તિ સામે આનો ત્રીજો કોઈ રસ્તો હોતોજ નથી.
પૈસા વગર આવતા દુઃખથી, અમુકને તકલીફ પળે, અમુકને મન મારવુ પળે, અમુક ખોટા રસ્તે જાય અને અમુક લોકો સમય વરતે સાવધાન થઈ કરકસર કરી પોતાને પરિસ્થિતીની અનુરૂપ ઢાળી દે. આમ પૈસા ન હોવાથી પડતાં દુઃખમાંથી નીકળવાના દરેક વ્યક્તિ પાસે ઘણા રસ્તા હોય છે અને કદાચ જે તે વ્યક્તિ જે તે સમયે કોઈ રસ્તો નાં પણ અપનાવે તો પણ ભલે જેમતેમ તો જેમતેમ એનું જીવન ચાલતું રહે છે, અટકતું નથી.
બીજા નંબરે, જો કોઈ વ્યક્તિ નડતી હોય, અને એનાં લીધે જીવનમાં અડચણ કે રુકાવટ આવતી હોય, કોઈ આપણું, આપણને યોગ્ય સાથ સહકાર આપતું ન હોય. જ્યારે આવુ કોઈ વ્યક્તિ આપણા દુઃખનું કારણ હોય તો પણ, આના પણ ઘણાં રસ્તા છે. જેમકે બીજા કોઈ વ્યક્તિનો સહારો લેવો, આપણો રસ્તો બદલવો, આપણાં પ્રયાસોની દિશા બદલવી કે પછી બીજાના સાથ-સહકારની આશા કે અપેક્ષા બાજુ પર મુકી સ્વબળ વધારી દેવું વિગેરે વિગેરે...આના પણ અઢળક રસ્તા છે, અને જો આમાં પણ આપણે એકે રસ્તો નાં અપનાવીએ તો પણ જીવન અટકતુ કે પુરુ થઈ જતું નથી.
બાકી જો સમય દ્રારા જ્યારે જે તે વ્યક્તિ સામે જે પ્રતિકૂળ સંજોગો ઉભા થાય છે, ત્યારે જે તે વ્યક્તિ લાચાર, નિઃસહાય અને બધુ જાણતો હોવાં છતાં પોતાના પગ પર કુહાડી મારવા મજબૂર થઈ જતો હોય છે અને આવા સમયે જે તે માણસ પોતાના સપનાઓ,ઈચ્છાઓ,ભાવનાઓ અને વિચારોને, "રોઈ નહીં શકતી લાચાર આંખો સામે" એક પછી એક પોતાના હાથેજ શેરડીનાં સાંઠાની જેમ કમને પણ, એનાં દરેક સપનાને મશીનમાં નાંખવા તૈયાર થવું પડે છે. પોતાનાંજ હાથે પોતાના સપનાઓ, આશાઓ ને પીલીને એનાં કુચા કાઢવા પડે છે. કેમકે આવા સમયે એનાં માટે પોતાની જીંદગી કરતા પોતાનાઓની જીંદગીનું મહત્વ વધારે હોય છે. આને તે વ્યક્તિ ઉપરવાળાની મરજી સમજી કે પછી ઉપરવાળો તેની પરીક્ષા લેતો હોય તેમ, તે કોઇપણ ભોગે ઈશ્વરની એ પરીક્ષામાં પાસ થવા માંગતો હોય છે. એ વખતે એનાં મનમાં એકજ વાત રમતી હોય છે કે પોતાનુ જે થવું હોય તે થાય, બાકી એનાં લીધે એનાં કોઈ પણ ફેમિલી મેમ્બર્સને કે મિત્રવર્તુળને કે જેને તે પોતાના ગણે છે તેને સહેજેય તકલીફ ન થવી જોઈએ.
માટેજ આવા માણસને "ભગવાન નાં માણસ" નું બિરૂદ મળતું હોય છે. ભગવાન કોઈને પણ આવો સમય નાં બતાવે એ અલગ વાત છે. પણ આતો મનુષ્ય અવતાર, પીલાયા સીવાય, રીબાયા સીવાય, ભીતરમાં રોયા સીવાય લગભગ જીવન સાર્થક થતુ નથી. પોતાને માટે સૌ જીવે "પ્રભુની નજરમાં જીવન એ છે જે બીજા માટે જીવાયુ હોય"
બસ, આવોજ કંઇક સમય આવ્યો હતો..
માજી એટલેકે શારદાબેન સામે
એમનાં દિકરા રમેશભાઈ સામે
એમની વહુ મીનાબેન સામે
તેમજ અત્યારે
ડૉક્ટર શાહ અને તેમની દિકરી, ડૉક્ટર દીપ્તિ સામે
અને જે તે સમયે ડૉક્ટર શાહ નાં અમેરિકા વાળા ડૉક્ટર મિત્ર સામે
અને આ સમયે આ લોકો જે તે સમય સામે ખરાં ઉતર્યા હતાં.
"જેમ ભઠ્ઠીમાં તપ્યા સીવાય યોગ્ય આકાર ન મળે"
"માટીમાં ખુંદાયા સીવાય પાકું માટલું નથી બનતુ"
કે પછી "થોડો સમય બીજનાં જમીનમાં દટાયાં સીવાય સારુ અનાજ નથી પાકતુ"
મતલબ, "કષ્ટ પછીનું જીવન સ્વર્ગ સમાન હોય છે" ભલે પછી માણસનો સમય ના સુધરે, બાકી સમયને અનુરૂપ સારી રીતે જીવતાં માણસ શીખી જતો હોય છે.
હવે મુળ વાત પર આવીએ હોસ્પિટલનાં રૂમમાં બેડ પર માજી, તેમની સામે સ્ટુલ પર ડૉક્ટર શાહ અને એજ રૂમનાં દરવાજા પાસે ફ્લોર પર બેઠેલ ડૉક્ટર દીપ્તિ,આજે આ લોકો માજીની શરૂ થી અંત સુધીની વાત સાંભળવા આતુર છે. કેમકે હવે માજીની એ વાત પરજ તમામની આગળની જિંદગીનો મદાર છે. આજે એ દરેકનો એક ભવ પૂરો થઈ એકજ જીવનમાં બીજો ભવ શરૂ થવાનો છે.
ડૉક્ટર શાહનો માજીને સવાલ હતો, કે વર્ષો પહેલાં એક નવજાત બાળકીને હોસ્પિટલના ઓટલે ત્યજી દેવાનું કારણ શુ હતુ ?
માજી પોતાની વ્યથા ડૉક્ટર શાહ સામે રજુ કરે છે.
શારદાબેન (માજી) : સાહેબ હું ગરીબ ઘરની દિકરી હતી.મારા પિતાને લકવાની અસર હતી.મારી માતા નાનું-મોટુ કામ કરી જેમતેમ ઘરનું ગુજરાન ચલાવતી હતી.
( ડૉક્ટર શાહને માજી નવજાત બાળકી હોસ્પિટલના ઓટલે કેમ મુકી ગયા હતાં ? એટલુંજ જાણવું હતુ પરંતું એક ડૉક્ટર હોવાને નાતે એક પેસન્ટ જે પોતાનો ભૂતકાળ ભૂલી ગયુ હતુ તેવા વૃદ્ધ પેસન્ટને આજે પોતાનુ બાળપણ યાદ આવી ગયુ હોવાથી ડૉક્ટર શાહ બિલકુલ વ્યથિત થયા સીવાય માજીને વચ્ચે રોક્યા સીવાય બોલવા દઇ ધ્યાનથી વાત સાંભળે છે.)
મારાં પિતાની દવાનો ખર્ચ પણ ચાલુ હતો એટલે મારા ભણતરનો ખર્ચ નહીં નીકળતો હોવાથી મારા માતા-પિતાની ઇચ્છા ન હોવાં છતાં મે મારૂ ભણતર છોડી હું મારી માને મદદ કરવા લાગી.
સમય જતાં મારી લગ્નની ઉંમર થતાં મારા માતા-પિતાએ મારા લગ્ન માટેનાં પ્રયાસો ચાલુ કર્યા. પરંતું ક્યાંય નક્કી થતુ ન હતુ.મારા માતા-પિતા ગરીબ હોવાથી તેઓ છોકરાંવાળાની જરૂરિયાતો(માંગણીઓ) પુરી કરી શકે તેટલા સક્ષમ ન હતાં. અમુક માંગા સામેથી અને કોઈ પણ આશા અપેક્ષા સીવાયનાં પણ આવતાં, પરંતું એમા છોકરો કોઈ ખામીવાળો હોય કે પછી મારાથી મોટી ઉંમરવાળો. તે વખતે જાણે એ લોકો અમારી ગરીબીની મજાક ઉડાવા આવતાં હોય એવું લાગતું. એ વખતે પણ મને દુઃખ તો એકજ વાતનું થતુ કે "જો હું લગ્ન કરી લઈશ તો પછી મારા માતા-પિતાનું શુ થશે ?" માટે મે સામેથી મારા માતા-પિતાને લગ્ન નહીં કરવા જણાવ્યું, "પરંતું એ તો મા-બાપ છે" એતો એમનાં પ્રયાસો ચાલુજ રાખતા.
અને, અને એક દિવસ મારા ઘરે મારા માટે એક એવું માંગુ આવ્યુ અને એમણે વાતની રજુવાતજ એ રીતે કરી કે હું ખુબજ ખુશ થઈ ગઇ.જાણે ઉપરવાળાએ એકજ દિવસમા મારી અને મારા માતા-પિતાની પ્રાથના સાંભળી લીધી હોય એવું લાગ્યું.
બાકી આગળનાં ભાગમાં