Emporer of the world - 11` books and stories free download online pdf in Gujarati

Emporer of the world (જગતનો સમ્રાટ) -11

જગતનો સમ્રાટ (ભાગ - 11)

આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષની સ્કુલ આ વર્ષથી રાજ્ય કક્ષાની આંતરશાળા સ્પર્ધામાં ભાગ લેશે એવી જાહેરાત શાળાના આચાર્યએ આનંદ સર અને મીતાબેનને કરી હોય છે. આ સ્પર્ધાને કારણે બંને દંપતિ ભેગા મળીને સંગીત અને નૃત્યની ભેગી કૃતિ તૈયાર કરવાનું વિચારે છે. પણ શું કરી શકાય તેનો કોઈ અંદાજો બેય માંથી કોઈને આવતો નથી. આ જ સમયે જૈનીષ હોલમાં આવીને વાંસળી પર પ્રેક્ટિસ ચાલુ કરે છે, જેની ધૂન ત્યાં ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કરી દે છે. થોડી જ વારમાં દિશા આવે છે અને આ ધૂન સાંભળીને એના તાલ અને લય સાથે સાથે સરસ નૃત્ય કરતી હોય છે. આ દ્રશ્ય જોઈને આનંદ સર અને મીતાબેન બંનેને બોલાવે છે અને આંતરશાળા સ્પર્ધાની જાણકારી આપીને તેઓ બંને જ પોતાની સ્કૂલને પ્રેસેન્ટ કરશે એવું પણ કહે છે. હવે આગળ,

@@@@@@--------@@@@@@--------

આનંદ સર અને મીતાબેનની વાત બધા વિદ્યાર્થીઓ સાંભળીને ખુશ થઈ જાય છે અને જૈનીષ અને દિશા સ્કુલને પ્રિઝન્ટ કરશે એ વાતથી ખુશ થઈને બંનેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આખરે બધા છૂટા પડે છે અને પોતપોતાના ઘરે જવા નીકળે છે. બીજી બાજુ દિશા જૈનીષને થોડી ચિંતામાં જોઈને કહે છે, "કેમ શું થયું ? આનંદ સરની વાતથી તું ખુશ નથી થયો ? કે પછી તારે મારી સાથે જોડી નથી બનાવવી ?"

"એવું કંઈ નથી કે સ્પર્ધાની વાતથી હું ખુશ નથી કે પછી મારે તારી સાથે મળીને કૃતિ તૈયાર કરવી પડશે. હું માત્ર એ જ વિચારું છું કે સંગીત અને નૃત્યની તાલીમ આપણે બંનેએ એક સાથે જ ચાલુ કરી હતી. આજ સુધી તો આનંદ સર કે મીતા મેડમએ ક્યારેય તને કે મને ભેગા કરીને કોઈ કૃતિની પ્રેક્ટિસ કરાવી હોય એવું બન્યું નથી તો આજે અચાનક જ એમણે કેમ આમ કર્યું ? બસ આજ વિચારું છું." જૈનીષ દિશાને પોતાના મનમાં ચાલી રહેલ વાત સમજાવે છે.

દિશા થોડીવાર જૈનીષ સામે બસ જોઈ જ રહે છે પછી જૈનીષને ઘરે જવાનું કહે છે અને આ સંદર્ભમાં કાલે સર અને મેડમ સાથે ચર્ચા કરી લઈશું એમ કહીને પોતાનું બેગ લઈને તૈયાર થાય છે. જૈનીષ પણ દિશાને અનુસરી પોતાની બેગ પેક કરીને એ પણ સાથે ઘરે આવવા નીકળી જાય છે. સાંજે દિશા તેના માતા પિતા સાથે જૈનીષના ઘરે આવે છે. દિશા આજે સ્કુલમાં જે બન્યું તેની ચર્ચા બંને પરિવારની સાથે કરે છે. બંનેના માતા પિતા પણ તેમને આવતી કાલે આનંદ સર અને મીતાબેન સાથે ચર્ચા કરી લેવાની જ સલાહ આપે છે.

બીજા દિવસે સ્કુલમાં જૈનીષ આનંદ સર પાસે જાય છે અને તેમની સાથે આ કૃતિ કઈ રીતે તૈયાર કરીશું એ બાબતે પોતાની મુંઝવણ રજૂ કરે છે. આ ચર્ચા ચાલી જ રહી હોય છે કે ત્યાં મીતાબેન આવે છે અને એમની પાછળ દિશા પણ આવે છે. મીતાબેન એકદમ સહજ ભાવે જૈનીષને કહે છે કે, "તમને બંનેને સંગીત અને નૃત્યની જુગલબંધી કરતા જોઈને જ અમે આ કૃતિની બધી જવાબદારી તમને બંનેને આપી છે."

મીતાબેનની વાત સાંભળીને જૈનીષ અને દિશા એકબીજા સામે જોવે છે. તેમને સમજાતું નથી હોતું કે સર અને મેડમ કઈ જુગલબંધીની વાત કરે છે. બંનેમાંથી કોઈ પાછા સવાલ પૂછે તેની પહેલા આનંદ સર જ બંનેને તે દિવસની ઘટનાનું વર્ણન કરે છે જ્યારે જૈનીષ વાંસળી વગાડી રહ્યો હતો અને એના તાલ પર દિશા નૃત્ય કરતી હતી. આ વાત સાંભળીને દિશાને તરત યાદ આવી જાય છે કે એ તે દિવસે એની કોઈ ફ્રેન્ડના કહેવાથી જૈનીષની વાંસળીની ધૂન પર નૃત્ય કરવાનું ચલેન્જ પૂરો કરી રહી હતી.

દિશાની વાત સાંભળીને જૈનીષને હકીકતમાં શું થયું હશે તેનો અંદાજ આવે છે, જ્યારે આનંદ સર અને મીતાબેનને તો એમની જોડી મળી ગઈ હોય તેમ તેઓ પ્રસન્ન હતા. બંનેને આશ્વાશન આપીને જૈનીષ આ નવા કોન્સેપ્ટ પર કામ કરવા તૈયાર થઈ જાય છે અને દિશા પણ કંઇક નવું શીખવા મળશે અને એ પણ એના બેસ્ટ ફ્રેન્ડની સાથે જોડીમાં એ વિચારીને જ બહુ ઉત્સુક હોય છે. આખરે જૈનીષ દિશા આનંદ સર અને મીતાબેન બધા ભેગા મળીને વિચારવાનું નક્કી કરે છે કે કઈ કૃતિ રજુ કરીએ જેમાં સંગીતની સાથે નૃત્ય તો હશે જ. અને એક એવો સમાં બાંધશે કે જોવા વાળાની ઈચ્છા જ નહી થાય કે ઊભા થઈ શકે.

આખરે બીજો દિવસ પણ આમ જ પૂરો થયો. જૈનીષ અને દિશા સ્પર્ધા વિશે અને નવી કૃતિ વિશે વિચારતા વિચારતા ઘરે આવે છે. જૈનીષ દિશાને પોતાના ઘરે આવવાનું કહે છે સાંજે જમ્યા બાદ અને સાથે સાથે દિનેશ અંકલ અને શાલિની આંટીને પણ લેતી આવજે એમ કહીને ઘરે જાય છે. ઘરે આવીને રમીલાબેનને સ્કુલમાં જે બન્યું તેનાથી અવગત કરાવી સાંજે દિશા અને અંકલ આંટી આવશે તેવું જણાવી પોતાના રૂમમાં જાય છે. સાંજે જમ્યા બાદ બીનીતભાઈ અને રમીલાબેન બેઠા હોય છે ત્યાં જ દિનેશભાઈ અને શાલિનીબેન દિશા સાથે આવે છે.

થોડીવારમાં જૈનીષ પણ તેના રૂમમાંથી નીચે આવે છે અને બધા સમક્ષ આજની આનંદ સર અને મીતાબેન સાથે થયેલ એક એક વાત શેર કરે છે. અને બધાને કોઈ આઈડિયા હોય તો તેમને જણાવવા માટે કહે છે. બંનેની સંગીત અને નૃત્ય પ્રત્યેની ચાહત તેમના માતા પિતાથી છૂપી હતી જ નહી. આખરે દિનેશભાઈ કહે છે, " અમારા માટે તો તમે નાનપણથી જ રાધાકૃષ્ણ છો, તો તમે બંને રાધાકૃષ્ણના જીવનનો કોઈ પ્રસંગ લઈને કેમ કંઈ ટ્રાય નહી કરતા ? " જેકપોટ.... જૈનીષ તો આ સાંભળીને સીધો ગળે જ લાગી ગયો દિનેશભાઈ ને, અને આ જોઈને તમામ લોકો હસવા લાગ્યા.....

આખરે જૈનીષ અને દિશાને એમની કૃતિ રજૂ કરવાનો એક આઈડિયા મળી ગયો, બસ હવે આની ચર્ચા આનંદ સર અને મીતાબેન સાથે કરીને આના પર કામ ચાલુ કરી દેશું એવું વિચારીને બંને પોતાના ઘરે જાય છે અને સુઈ જાય છે. બીજા દિવસે શું થશે ? એ જોઈશું આવતા ભાગમાં.