Darek khetrama safdata - 35 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 35

ભાગ 35

હેતુ નક્કી કરતી વખતે નીચે પ્રમાણીને બાબતો ધ્યાનમા રાખવી જોઇએ.

૧) હેતુ હંમેશા મહાન રાખો.
હેતુ હંમેશા મહાન રાખવો. પોતનુ સામર્થ્ય હોય કે ન હોય પણ હેતુ મહાન રાખવાથી આપણા વિચારો અને વર્તન પણ મહાન બનતા હોય છે જેથી કુવાનો દેડકો બની રહેવાને બદલે દુરદ્રષ્ટી અને સાહસનો વિકાસ થતો હોય છે. કોઈ મોટા પહાડ ચઢવાનો હેતુ રાખવાથી રસ્તામા આવતી કઈ ટેકરીઓ પર ચઢવુ અને કઈ ટેકરી પર નહી તેની ગણતરી કરી યોગ્ય માર્ગનુ નિર્માણ કરી શકાતુ હોય છે ઉપરાંત કોઇ ચોક્કસ દિશામા ટેકરીઓ ચઢવાના પરીણામો પણ પ્રાપ્ત થતા હોય છે. આમ વિશાળ હેતુ રાખવાથી પોતાના દિલને પણ વિશાળ બનાવી વિશાળ પ્રયત્નો કરવના સાહસો ખેડી શકાતા હોય છે.

૨) કોઇ પણ હેતુ ગંભીરતાથી નક્કી કરવો જોઇએ. કોઇ પણ પ્રકારની ગંભીરતા વગર હળવાશથી વિચારશો કે મારે આમ કરવુ છે તો થોડા સમય પછી તે ભુલાઈ જશે. તેના કરતા તમે પોતાને એમ કહો કે મારે આમ નહીને આમજ કરવુ છે, અથવાતો હેતુઓ પ્રાપ્ત કરવાની પ્રબળ લાગણી અનુભવતા હોવ તોજ તે હેતુની અગત્યતા સમજી તેના પર પોતાની શક્તીઓ ન્યોછાવર કરી શકતા હોવ છો.

૩) કોઇ પણ પ્રકારનો હેતુ નક્કી કરતા પહેલા પોતાના સમાજ, જીવન, પરીવાર વિશેની જવાબદારીઓ સમજવી જોઈએ. પોતાના જીવનમા જે કંઈ પણ ઘટે છે તેનાથી ભાગવાને બદલે તેના પ્રત્યે જવાબદાર બનવાથી પોતાના જીવનમા કેવા કેવા હેતુઓ હોવા જોઇએ તે બખુબી નક્કી કરી શકાતા હોય છે. દા.ત. પોતાના અભ્યાસ કે જીવન પ્રત્યે જવાબદારી અનુભવનાર વ્યક્તી સારા ગ્રેડથી પાસ થવાનો હેતુ રાખી શકે, પોતાના પરીવાર પ્રત્યે જવાબદારી અનુભવનાર વ્યક્તી પરીવારને સુખી બનાવવાના હેતુઓ વિચારી શકે છે. બેજવાબદાર વ્યક્તીઓને આવી કશી બાબતોની પડી હોતી નથી, તેઓતો બહાનાબાજી કે રખડપટ્ટીમાથીજ બહાર આવતા હોતા નથી એટલા માટેજ તેઓ ઉચ્ચ કક્ષાના હેતુઓ નક્કી કરી શકતા હોતા નથી. આમ પોતાને અસર કરતી કે આસપાસની તમામ બાબતો પ્રત્યે જવાબદાર બનવુ એ હેતુ નિર્ધારણ કરવા માટેનુ પહેલુ પગથીયુ છે, પાયો છે. આ પાયો મજબુત બનાવનાર વ્યક્તીનુ આત્મબળ એટલુ મજબુત બનતુ હોય છે કે પછી જીવનમા ગમે તેવા તોફાનો, તકલીફો આવે તો પણ તેને સહન કરીને પણ પોતાના ધાર્યા કામ પાર પાડી શકાતા હોય છે.

૪) પોતાના મનમા રહેલી તમામ પ્રકારની નકારાત્મકતાઓ, દુર્બળતાઓ કે લઘુતાગ્રંથીઓને દુર કરી દો, હું આ કામ નહી કરી શકુ તેવી વ્યર્થ ભાવનાઓજ વ્યક્તીને કોઇ મહાન હેતુ નિર્ધારીત કરતા અટકાવતા હોય છે. આપણો આત્મવિશ્વાસ એટલો બધો નબળો પણ ન હોવો જોઇએ કે નાની નાની બાબતો પણ જટીલ લાગવા લાગે. તમે પોતાને જે કાર્ય માટે લાયક સમજતા હોવ છો તેવાજ તમે આખરે બની જતા હોવ છો. જો તમે પોતાને ગુલામી કરવાને લાયક સમજતા હોવ તો તમે ગુલામી કરવાજ પ્રેરાતા હોવ છો, તમે પોતાને વેપારી બનવાને લાયક સમજતા હશો તો પોતાની તમામ શક્તીઓ વેપારી બનવા તરફ લગાવી શકતા હોવ છો. આમ જો તમે મહાન કાર્યો કરવા માટે પોતાને લાયક સમજતા હશો તો ક્યારેય પણ તુચ્છ મુશ્કેલીઓ કે બાબતો તમને અટકાવી શકશે નહી. આમ કોઇ પણ મહાન ઉદ્દેશ્ય નક્કી કરવા માટે સૌ પ્રથમતો પોતાને તે કાર્ય કરવા માટે લાયક સમજવા જોઈએ. તેમ કરવાથીજ આપણુ મન તે કાર્ય કરવા તરફ પ્રેરાતુ હોય છે.

૫) જ્યારે પણ હેતુ નક્કી કરો ત્યારે તેનુ આપણા જીવનમા શું મહત્વ છે તેનો જરૂરથી વિચાર કરો. પોતે જે હેતુ રાખ્યો છે તેનાથી આપણા જીવનમા કેવા કેવા પરીવર્તનો આવી શકે છે, જીવન કેટલુ ઉન્નત બની શકે છે, કેટલી સમસ્યાઓ હલ થશે, શું ફાયદો થશે ઉપરાંત દેશ, સમાજ અને પરીવારને તેમાથી શું લાભ થશે તેની ખાસ વિચારણા કરવી જોઇએ. દરેક વ્યક્તીને પોતાના દેશ, સમાજ, પરીવાર જેવા પરીબળોમાથી કોઇને કોઇ પરીબળ પ્રત્યે વધુ લાગણી હોયજ છે. તો પોતાના હેતુઓથી આવા પરીબળોને શું લાભ થશે, તેનુ શું મહત્વ રહેશે તેની વિચારણા કરવાથી હેતુ પ્રાપ્તી માટે ગંભીરતાથી પ્રયત્નો કરી શકાતા હોય છે.

૬) લક્ષ્ય હંમેશા મોટો રાખો પણ એટલો બધો પણ મોટો ન રાખો કે જેને પ્રાપ્ત કરવોજ અશક્ય બની જાય. આવા લક્ષ્યો રાખવાથી નિષ્ફળતા અને નિરુત્સાહમા વધારો થતો હોય છે જ્યારે પ્રમાણસરનો લક્ષ્ય સફળ થવાની આશા જીવંત રાખતો હોવાથી વધુ ઉત્સાહથી પ્રયત્નો કરી શકાતા હોય છે.

૭) લક્ષ્ય નક્કી કરતા શીખો, તેની ચકાસણી કરતા શીખો, કોઇ પણ પ્રકારના લક્ષ્યો નક્કી કરવા માટે નીચે પ્રમાણેની બાબતો ધ્યાનમા રાખવી જોઇએ.

- સમય.
આપણી પાસે જેટલો સમય પ્રાપ્ય છે તેટલા સમયમા મેક્ષીમમ આપણે શું કરી શકીએ તેમ છીએ તેની ગણતરી કરીને હેતુ નિર્ધારીત કરવો જોઇએ. દા.ત. ૫૦ % લાવનાર વ્યક્તી પરીક્ષાના એક મહીના અગાઉ મહેનત કરીને ૯૦ % લાવવાનો હેતુ નક્કી કરે તો એ મોટે ભાગે શક્ય બની શકે નહી. પણ જો તે ૩-૪ મહીના અગાઉ મહેનત કરીને ૯૦ % લાવવાનો હેતુ નિર્ધારીત કરે અને ત્યારથીજ મહેનત કરવાનુ શરુ કરી દે તો તેમ જરૂરથી થઈ શકતુ હોય છે. આમ સમય સંજોગોની અનુકૂળતાને ધ્યાનમા રાખીને વધુમા વધુ આપણે કેટલુ કામ કરી શકીએ તેમ છીએ તેની ગણતરી કરીનેજ ટાર્ગેટ સેટ કરવો જોઇએ.

- સામર્થ્ય.
સામર્થ્ય એટલે એવો કોઇ પણ આધાર કે બળ કે જે સફળતા મેળવવા કે કોઇ કાર્ય પુર્ણ કરવા માટે અનિવાર્ય હોય. આવા સામર્થ્યમા સબંધો, નાણા, માનવબળ, જ્ઞાન આવળત, બૌદ્ધીક ક્ષમતા, ટેકેદારો એમ કોઇ પણ પોઇંન્ટ આવી શકે છે. જો આપણી પાસે પુરતુ સૈન્યબળ ન હોય તો મોટા મોટા યુધ્ધ ખેલવાનો નિર્ણય લેવાય નહી. તેવીજ રીતે નાણાની ખુબ તંગી હોય અથવાતો મેનેજમેન્ટ કરતા ન આવળતુ હોય તો રાતોરાત મોટા કારખાનાઓ સ્થાપવાના સપનાઓ જોવા કરતા પૈસા અને આવળતો પહેલા ભેગા કરવા જોઇએ એટલે કે પોતાનુ સામર્થ્ય વધારવુ જોઇએ, પોતાની કમજોરીઓ દુર કરવી જોઇએ અને પછી મોટા હેતુઓને અંજામ આપવો જોઇએ.

- તક
પોતાના માટે શેમા તક રહેલી છે, તમને ક્યુ કાર્ય વધુ અનુકૂળ આવે તેમ છે, ક્યુ કાર્ય તમે ખુબ સારી રીતે કરી શકો તેમ છો તે બધુ સમજીને તેને અનુરૂપ આવે તેવુ કાર્ય પસંદ કરવુ જોઇએ. આવા કાર્યોમા આપણી તમામ શક્તીઓ કામે લાગી જતી હોવાથી સફળતા મળવાની શક્યતાઓ વધી જતી હોય છે.

- નાણા
નાણા આમતો સામર્થ્યમાજ આવે પણ નાણાનુ મહત્વ ખુબ રહેલુ હોવાથી તેમજ નાણા વગર કોઇ કામ વ્યવસ્થીત રીતે થતુ ન હોવાથી તેના મહત્વને અલગથી સમજવુ જરુરી બને છે.
તમારી પાસે જેટલા નાણા હોય કે જેટલા નાણાની વ્યવસ્થા કરી શકો તેમ હોવ તેટલા પ્રમાણમા હેતુ નક્કી કરવો જોઇએ. માથા પર મોટા મોટા દેવા હોય ત્યારે કરોડો રૂપીયાના કારખાના નાખવાના સપનાઓ જોવાય નહી.

- હીંમત
કોઇ પણ જ્વલંત સફળતા મેળવવા માટે હીંમત, સાહસ કે શૌર્ય હોવુ ખુબ જરુરી છે. જો ઘરના છાપરા ઉપર ચઢવાનીય હીંમત ન થતી હોય તો મોટા હીમાલયો સર કરવાના ટાર્ગેટ રખાય નહી. તેના કરતા પહેલા જરુરી ટ્રેઈનીંગ લેવી જોઇએ અને પછી તે કામ કરવુ જોઇએ.

- માનવતા
પોતાના હેતુમા માનવીય મુલ્યોનો સમાવેશ થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ. નાની નાની બાબતોમા લોકો સાથે દુશ્મનાવટ કરીને તેઓને નુક્શાની પહોચાળવાના, લોકોને નીચા પાળવાના કે બદ્ઇરાદાઓ રાખવાથી આખરેતો કોઇનુય ભલુ થતુ હોતુ નથી. આવા હેતુઓ ચારેય તરફ બર્બાદીઓજ વેરતા હોય છે. માટે કોઇ પણ હેતુ નક્કી કરતા પહેલા તે દરેકના હિતમા રહે તેની ખાસ કાળજી રાખવી જોઇએ.

- વધુ વાસ્તવિક હોય, જોઇ સમજી કે માપી શકાય તેમ હોય તેવા હેતુઓ નક્કી કરવા જોઇએ. ચાંદ તારા તોડી લાવવા જેવા કાલ્પનીક હેતુઓ રાખવાનો કોઇ મતલબ રહેતો નથી.

- ચુકવણીઓ
તમે જે હેતુ નક્કી કરો તેને મેળવવા માટે તમારે કઈ કઈ ગમતી બાબતોની ચુકવણી કરવી પડશે, કેટલા ભોગ, ત્યાગ કે બલીદાનો આપવા પડશે તેને ખાસ સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. દા.ત. પરીક્ષામા ૯૦ % એ પાસ થાવા માટે નકામી બાબતો, ગપ્પાબાજીઓ, ટાઇમપાસ, રખડપટ્ટીઓ એમ બધાનો ભોગ આપી વધુમા વધુ સમય પોતાના કાર્યને આપવો પડે. જે વ્યક્તી આવા બલીદાનો આપી બતાવતા હોય છે તેઓને સફળતા પ્રાપ્ત થતીજ હોય છે પણ જે લોકોને આવા બલીદાનો આપવા ગમતા નથી કે જેઓના મગજમા માત્રને માત્ર મનોરંજનજ ભરેલુ છે તેવા લોકો ક્યારેય એક જગ્યાએ ધ્યાન કેન્દ્રીત કરીને ૯૦ % લાવવાનો હેતુ રાખી શકતા હોતા નથી તો પછી તેને પ્રાપ્ત કરવાનોતો પ્રશ્નજ આવતો નથીને ! તેનાથી ઉલટ જે લોકો જાત પર કાબુ રાખી આવા બલીદાનો આપી સ્વયં શીસ્તથી એકધારા પ્રયત્નો કરી શકતા હોય છે તેઓ ૯૯% કિસ્સાઓમા સફળ થતાજ હોય છે.

૮) મોટા હેતુઓ નકી કરતી વખતે ઘણી વખત આપણને સમાજમા હાસ્યાસ્પદ દેખાવાનો ડર લાગતો હોય છે, લોકોની આવી આલોચના કે હાસ્ય આપણને અસહ્ય લાગતા હોય છે. આવા સમયે નિરાશ થવાને બદલે ઔર વધુ પ્રબળતાથી પોતાના હેતુને વળગી રહી ખુદ આપણેજ આવા લોકો પર હસવુ જોઇએ કારણકે તેઓ એવી ગલતફહેમીના શીકાર બની ગયા છે કે જો પોતે મહાન કાર્યો ન કરી શકતા હોય તો દુનિયામા બીજા કોઇ પણ વ્યક્તી તેમ નહીજ કરી શકે.
જો લોકોના હાસ્યથી બચવુજ હોય અને હેતુ પ્રત્યેનો જુસ્સો છેવટ સુધી જાળવી રાખવો હોય તો પોતાના હેતુને બને ત્યાં સુધી ગોપનીય રાખો. પોતાના હેતુઓ વગર કારણે કોઇને પણ ન કહો. જો લોકોને તમારા હેતુઓની ખબરજ નહી પડે તો ક્યારેય તેઓ તમારા પ્રયત્નોને નુક્શાન પહોચાળી શકશે નહી.
જો તમારે ખરેખર પોતાના હેતુઓ અન્યો સાથે શેર કરવા પડે તેમજ હોય તો એવા વ્યક્તીઓ સાથે શેર કરો કે જેઓને તમારા પર ખુબ વિશ્વાસ હોય, જેઓની તમારે મદદ મેળવવાની હોય અથવાતો જેઓ તમને ખરા દિલથી દરેક કામમા પ્રોત્સાહન આપી મદદરુપ થવા તૈયાર રહેતા હોય.

૯) હેતુ નક્કી કરતી વખતે મોટાભગના લોકોને નિષ્ફળ થવાનો ડર ખુબ સતાવતો હોય છે, ઘણા લોકોતો નિષ્ફળ થવાના ડરને કારણેજ હેતુ નક્કી કરતા હોતા નથી. જો આ ડર દુર કરવો હોય કે નક્કી કરેલા હેતુને સફળ બનાવવો હોય તો તેને નિષ્ફળ બનાવતા તમામે તમામ કારણોની જાણકારી મેળવી તેને દુર કરવાની વ્યવસ્થા કરી રાખવી જોઇએ. જો તમે તમારા કાર્યમા આવતી તમામ સમસ્યાઓ કે નિષ્ફળતાઓને ઓળખતા હશો, તેને દુર કરવાની પ્રક્રિયા સમજતા હશો તો નિષ્ફળ થવાનો ડર ક્યારેય તમને મહાન હેતુઓ નિર્ધારીત કરતા કે તેને સીદ્ધ કરતા રોકી શકશે નહી.

૧૦) મુશ્કેલી પ્રીય બની જાઓ.
નિષ્ફળતાના ડરને દુર કરવાનો એક સરળ ઉપાય ખુબજ સરસ છે. આ ઉપાયમા મુશ્કેલી પ્રીય વ્યક્તી બનવાનુ હોય છે એટલે કે જેમ જેમ મુશ્કેલીઓ આવે તેમ તેમ ભગવાનનો પ્રસાદ કે કસોટી સમજી તેમાથી પાર થઈ બતાવવાનો ઉત્સાહ અનુભવવો જોઇએ. જેમ જેમ મુશ્કેલીઓ આવે તેમ તેમ ખુશ થઈ બેવડા જોરથી કામ કરવાનુ નક્કી કરી રાખવુ જોઇએ. જો આવુ પહેલેથીજ નક્કી કરી લીધુ હોય તો દુનિયાની કોઇ પણ મુશ્કેલી, ડર, ચીંતા આપણો વાળ પણ વાંકો કરી શકતો હોતો નથી. જો નિષ્ફળતાથી ડર્યા વગર તેને યોગ્ય દિશા સુચવતો કે આપણુ માર્ગદર્શન કરતો સાઇનબોર્ડ સમજશો, તેને ક્રૃતજ્ઞ બનશો તો રો કકડ કરી વધુ સમય બર્બાદ કરવાને બદલે યોગ્ય દિશામા જડપથી કાર્યાન્વીત બની શકાશે.

૧૧) તમારા મત મુજબ શું યોગ્ય છે, શું અયોગ્ય છે, શું થવુ જોઇએ અને શું ન થવુ જોઇએ તેમજ તમારી માન્યતાઓ, વિશ્વાસ અને વેલ્યુસને અનુરુપ આવે તેવા હેતુઓ નક્કી કરવા જોઇએ. જો તમને લોકોને તકલીફ આપવી ન ગમતી હોય કે ભ્રષ્ટાચાર કરવો ન ગમતો હોય તો તેવા કામ કરવા પડે તેવી કાર્યપદ્ધતી કે હેતુઓ પણ ન રાખવા જોઇએ.

૧૨) પોતાને જે ક્ષેત્રમા કામ કરવુ વધારે પસંદ હોય તે ક્ષેત્રમા આગળ વધવાના કે તેને અનુરુપ આવે તેવા હેતુઓ રાખો.

૧૩) પોતાના કામથી લોકોને પણ આનંદ મળે તેવા હેતુઓ રાખવા જોઇએ.

૧૪) કોઈ એકજ ક્ષેત્રને લગતા હેતુ રાખવાને બદલે જીવનમા જરુરી હોય તેવા તમામ ક્ષેત્રો બેલેન્સમા રહે તેવા હેતુઓ રાખવા જોઇએ. જીવનમા આવા ક્ષેત્રોમા સ્વાસ્થ્ય, શાંતી, કામનુ સ્થળ, ઘર પરીવાર, સમાજ દેશ, ઇચ્છા, અપેક્ષાઓ કે મોજશોખ વગેરે હોઇ શકે. જો માત્ર ઓફીસનાજ કાર્યો કર્યે જશો તો ઘર પરીવાર, સમાજ કે સ્વાસ્થ્યને લગતી બાબતોમા પછડાટ ખાશો જે તમારા સમગ્ર જીવનને નિષ્ફળ બનાવી શકે છે. તેના કરતા જીવનની દરેક જરુરી બાબતોને લગતા હેતુઓ રાખી સીદ્ધ કરવામા આવે તો સંતુલીત જીવન જીવી શકાતુ હોય છે. અહી ધ્યાન એ રાખવાનુ છે કે બધા કાર્યો એક સાથે સીદ્ધ કરવાને બદલે એક કામમાથી ફ્રી થઈ જઈએ ત્યારે અથવાતો જેટલી ક્ષમતા હોય તેટલાજ એક સાથે કાર્યો કરવા જોઇએ નહીતર પોતાનુ ધ્યાન અને પ્રયત્નો અલગ અલગ કામમા વહેચાઇ જવાથી છેવટે કોઇ પણ પરીણામ પ્રાપ્ત કરી શકાશે નહી .

૧૫) તમે કુલ જેટલા હેતુઓ સીદ્ધ કરવા માગતા હોવ તેમાથી એક એવો હેતુ એવો શોધી કાઢો કે જે સીદ્ધ થતાજ બાકીના હેતુઓને સીદ્ધ કરવા ખુબ સરળ બની જાય અથવાતો તેમા મદદ મળી રહે. પોતાની બધીજ શક્તીઓ ભેગી કરી આવો હેતુ પહેલા સીદ્ધ કરવાથી બાકીના હેતુઓને મજબુત આધાર મળી રહેતો હોય છે જેથી તેને સરળતાથી પ્રાપ્ત કરી શકાતો હોય છે.

૧૬) જો એક કરતા વધારે હેતુઓ નક્કી કરવાના હોય ત્યારે તે બધા પરસ્પર વિરોધી ન હોય તેનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. જેમકે કરોડો રૂપીયાનુ સામ્રાજ્ય ઉભુ કરવુ હોય કે પરીક્ષામા ઉંચી ટકાવારી લાવવી હોય તો આખો દિવસ મોજશોખ કે ટાઇમપાસ કરવાના કે સોશિયલ સાઇટ પર આખો દિવસ બેસી વધુ પડતા મીત્રો બનાવવાના હેતુઓ રખાય નહી.

૧૭) જીવનમા ઉદ્ભવતા કે ઉદ્ભવવાના તમામ પ્રકારના પ્રસંગોને પહોચી વળવાના લક્ષ્યો રાખવા જોઇએ, તેમજ તે દરેકને ૧, ૨, ૫, ૧૦, ૨૦ વર્ષના સમયગાળામા વહેચી દેવા જોઇએ.

૧૮) હેતુ નક્કી કર્યા પછી શું કરવુ જોઈએ?
મોટા ભાગના લોકોના હેતુઓ ખયાલી પુલાવ જેવા હોય છે. તેઓ પોતાના હેતુઓ પ્રત્યે જરા સરખા પણ સ્પષ્ટ હોતા નથી અથવાતો તેઓને માત્ર થોડોકજ અંદાજ હોય છે કે પોતે આગળ જતા શું કરશે ? મોટા ભાગના લોકોની કમજોરી એ હોય છે કે તેઓ પોતાના હેતુઓને લગતા સપનાઓ જોઇ કાંતો તેનો આનંદ ઉઠાવતા હોય છે અને કાંતો પછી ચીંતા કર્યે જતા હોય છે. બહુ ઓછા લોકોજ પોતાના હેતુઓ ક્યારે મેળવશુ, કેવી રીતે મેળવશુ કે તેના માટે કેટલા કાર્યો કરવા પડશે તેની ગણતરીઓ કરતા હોય છે. મોટા ભાગના લોકો અમીર બનવા માટે કેવા કેવા ભોગ આપવા પડશે, તેની ચીંતા કર્યા વગરજ અમીર બનવાના સપનાઓના આનંદ ઉઠાવ્યે જતા હોય છે. પછી જ્યારે તેઓને ખબર પડે છે કે પૈસાદાર બનવા માટે અને એથીય વધારે એ પૈસાને જાળવવા માટે કેવી મહેનત કરવી પડતી હોય છે ત્યારે તેઓ આ બધુ આપણુ કામ નહી તેવા બહાનાઓ કઢીને ચુપચાપ પીછેહટ કરી લેતા હોય છે. તો આ રીતે ક્યારેય સફળતા મેળવી શકાય નહી. કોઇ પણ ક્ષેત્રમા સફળતા મેળવવા માટે હેતુ નિર્ધારીત કર્યા પછી તેને લગતુ તલસ્પર્શી જ્ઞાન મેળવી પર્ફેક્ટ રોડમેપ તૈયાર કરવો જોઇએ. પોતાની તાકાત, કમજોરી, તક અને તેમા રહેલા ભયસ્થાનોની ગણતરી કરવી જોઇએ તોજ તે હેતુ પ્રાપ્ત કરવાની દિશામા નક્કર પગલાઓ ભરી શકાતા હોય છે.
ક્રમશઃ