Kudaratna lekha - jokha - 6 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 6


આગળ જોયું કે મીનાક્ષી અને તેની રૂમ પાર્ટનર સોનલ ઘણા વર્ષો થી સાથે રહે છે. અને બંને વચ્ચે ખૂબ જ સારો કુનેહભર્યા સબંધો છે. બંને વચ્ચે લગ્ન ની વાત સિવાય કોઈ મતભેદ નથી. મયુર ને હેનીશ અને વિપુલ ના ખૂબ સમજાવવા છતાં તે સમજવા તૈયાર નથી થતો.
હવે આગળ.......

* * * * * * * * * * * * * * * *

મયુર ના પરિવાર ને યાત્રા પર ગયે આજે ૨૪ દિવસ પૂરા થયા છે જયશ્રીબહેન ને આ સફર ખૂબ જ આહલાદક મહેસૂસ થઇ રહી છે. એ આ સફર થી ખુબ જ ખુશ ખુશાલ છે. એણે તો મનોમન બીજી માનતા પણ રાખી લે છે. મયુર ના લગ્ન થઈ જાય એટલે ફરી આ યાત્રા પરિપૂર્ણ કરવા જરૂર થી આવશે. કેમ આટલી ખુશ ખુશાલ છે જયશ્રી? અર્જુનભાઈ એ જયશ્રીબહેન ના ચેહરા ને પારખતા કહ્યું. ખુશ તો હોવ જ ને, મે કરેલી મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે. અને આમેય તમે મારી દરેક ખુશી ને પૂર્ણ કરવા હંમેશા તત્પર રહ્યા છો. તમે આર્મી માં ખૂબ કઠોર હૃદયે સેવા બજાવી હોવા છતાં મારી સાથે હંમેશા તમે કોમળતાથી જ વર્તન કર્યું છે. એ માટે તમારી હું ખૂબ જ આભારી છું.

અર્જુનભાઈ :- અરે એમાં આભાર શાનો! એ તો મારી ફરજ છે કે હું હંમેશા તને ખુશ રાખું. અને જો હું તને ખુશ ના રાખી શકું તો મે દેશ માટે કરેલી સેવા વ્યર્થ સાબિત થાય ને. અને તું જે કઠોર હૃદય ની વાત કરે છે તો અમારે દુશ્મનો સાથે લડાઈ કરવા ક્રૂર થવું જ રહ્યું. તે અત્યાર સુધી મને દરેક વાત માં સહકાર આપ્યો છે, તે ખૂબ જ લાગણી થી મારી હંમેશા દેખ ભાળ રાખી છે તો હું તારી સાથે કેવી રીતે ક્રૂરતા કરી શકું!?

જયશ્રીબહેન :- માટે જ તો તમે મારા પ્રિય છો. ભગવાન ને પ્રાથૅના કે આપડા પરિવાર ને હંમેશા આમ જ હસતો ખીલતો રાખે. આપડે અયોધ્યાથી નીકળ્યા એની ખાસ્સી વાર લાગી છે. હવે આપડે ક્યાં જઈ રહ્યા છીએ? વધારે લાગણીશીલ વાતો થી કદાચ રડવું આવી જશે એ વિચાર થી વાત ને બીજી દિશા તરફ વાળે છે.

અર્જુનભાઈ :- આપડે હવે નેપાળ જવાનું છે. જ્યાં પશુપતિનાથ નું વિશાળ મંદિર છે. ત્યાં પહોંચતા હજુ ૨ કલાક જેટલો સમય નીકળી જશે.

જયશ્રીબહેન :- એજ મંદિર ને જ્યાં પાંચ મુખ ની વિશાળ મૂર્તિ છે. માન્યતા પ્રમાણે કહેવાય છે કે જ્યારે પાંડવો ના સ્વર્ગપ્રયાણ ના સમયે શિવ ભગવાને ભેંસ ના રુપે દર્શન આપ્યાં હતાં. પછી ધરતીમાં સમાઈ રહ્યા હતા ત્યારે ભીમે એની પૂંછ પકડી લીધી હતી. જે સ્થાને પૂંછ પકડી હતી એ સ્થાન ને અત્યારના કેદારનાથ ધામ તરીકે ઓળખાવા માં આવે છે. અને જે સ્થાને એનું મુખ બહાર આવ્યું હતું એને પશુપતિનાથ તરીકે ઓળખવામાં આવે છે.

અર્જુનભાઈ :- હા એજ મંદિર જ્યાં આપડે જઈ રહ્યા છીએ. અને એવું પણ કહેવાય છે કે જે આ મંદિર ના અમુક નિયમો નું પાલન કરીને દર્શન કરે તો એ વ્યક્તિ નો જન્મ ક્યારેય પશુ યોની માં થતો નથી.

જયશ્રીબહેન :- હા હવે જલ્દી ત્યાં પહોંચી જઈએ. મને તો એ મૂર્તિ જોવાની તાલાવેલી થાય છે. અને જલ્દી ૬ દિવસ પૂરા થાય તો પણ સારું હવે તો મને મયુર ની બહુ જ ચિંતા થાય છે.

અર્જુનભાઈ :- અરે તું હવે એની ચિંતા ના કર, હવે એ કાંઈ નાનો થોડો છે. એને મદદરૂપ થનાર એના ૩ જીગર જાન મિત્રો છે જ ત્યાં.

જયશ્રીબહેન :- એના મિત્રો ખરેખર ખૂબ જ સારા છે. દરેક બાબતે એને મદદરૂપ થતા રહે છે. પણ માં ની ગરજ તો ના જ પૂરી શકે ને. તમે મને મયુર ને ફોન કરી આપો મારે એની સાથે વાત કરવી છે.

અર્જુનભાઈ :- કરી આપું છું. તું થોડી શાંત થા. હું તારી લાગણી સમજી શકું છું. લે આ ફોન મયુર ને લગાડી આપ્યો છે તુજ વાત કરી લે.

જયશ્રીબહેન :- હેલ્લો, મયુર. કેમ છે બેટા. તારી તબિયત તો બરોબર છે ને. બરોબર જમી તો લે છો ને. વાંચવામાં જ આખો દિવસ પસાર ના કરતો થોડી વારે બહાર ફરવા પણ જજે. તારી બહુ ચિંતા થાય છે. હવે જો અમારે ૬ જ દિવસ બાકી છે પછી તો કાંઇ ચિંતા નથી.

એક સાથે અનેક પ્રશ્નો નો મારો આવતા મયુર અટવાય છે કે શેનો જવાબ પહેલા આપુ.

મયુર :- મારી તમે કાંઇ ચિંતા ના કરો મમ્મી. ખરેખર તો મને તમારી ચિંતા થાય છે.

ત્યાં જ અચાનક મયુર ને એની મમ્મી ની હળવી ચીસ સાંભળવા મળે છે. મયુર એકદમ ચોંકી ઊઠે છે. ફોન પર જ એ હેલ્લો, હેલ્લો મમ્મી કરે છે પણ સામે થી કોઈ પ્રત્યુતર મળતો નથી. પરંતુ બસ માં થઇ રહેલો કોલાહલ મયુર સ્પષ્ટપણે સાંભળી રહ્યો હતો. નક્કી કઈંક અજુગતું બન્યું છે એ પારખતા મયુર ને વાર ના લાગી. પણ મયુર અહી બેઠો કંઈ જ કરી શકવા સક્ષમ ના હતો. ત્યાં જ એના ફોન માં સાંભળતા કુતૂહલ ભર્યા અવાજો પણ બંધ થઈ જાય છે. ફોન કપાઈ જાય છે. મયુરે ફરી ફોન જોડવા ઘણા પ્રયત્નો કર્યા છતાં ફોન કવરેજ ક્ષેત્રની બહાર જ બતાવતા હતા.

તો આ તરફ ભૂકંપ ના તીવ્ર આંચકાને સમજતા ડ્રાઈવર ને વાર ના લાગી. એણે તરત સમય સૂચકતા વાપરી બીજું કાંઈ વિચાર્યા વગર એક જાટકે બસ ને હતી ત્યાં જ થંભાવી દીધી. જેથી અંદર બેઠેલા બધા જ મુસાફરો એક જગ્યા એથી બીજી જગ્યા પર રીતસરના ફંગોળાયા હતા. થોડી જ વાર માં આખી બસ માં કોલાહલ મચી ગયો. કોઈ સમજી જ ના શક્યું કે શું થઈ રહ્યું છે. જો કે કોઈ ને જાન હાની તો નહોતી પહોંચી પણ નાની મોટી ઇજા બધા ને થઈ હતી. બસ થોભાવ્યા પછી પણ બસ હિલ્લોળે જુલતી હોય એમ ડગમગી રહી હતી. ડ્રાઈવરે સીટ પર થી રીતસરનો ઠેકડો મારી બૂમાબૂમ કરી. નીચે ઉતારો બધા ધરતીકંપ આવ્યો છે. ડ્રાઈવર ની બુમ સાંભળી બધા જ રઘવાયા થઇ ગયા. બધા જ ને ઇજા થઈ હોવા છતાં કોઈ પરવા કર્યા વગર નીચે ઉતરવાની પડાપડી થવા લાગી.

ક્રમશ:
પ્રમોદ સોલંકી

શું થશે મયુર ના પરિવાર સાથે?
મયુર કાંઈ સહાયક થઈ શકશે એના પરિવાર ને?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા જોખા"

વધુ આવતા અંકે......

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.
આભાર🙏🙏