Indian embroidery books and stories free download online pdf in Gujarati

ભારતીય ભરતકામ

લેખ:- ભારતીય ભરતકામ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ જાની

નમસ્કાર મિત્રો.

ફરીથી આપની સમક્ષ ઉપસ્થિત છું કંઈક અલગ લઈને. આપણો ભારત દેશ એ વિવિધતાઓનો દેશ ગણાય છે. વિવિધ રીત રિવાજો, વિવિધ સંસ્કૃતિ અને વિવિધ પહેરવેશ. મારે વાત કરવી છે પહેરવેશ વિશે. દેશનાં દરેક રાજ્યનાં પહેરવેશ ત્યાંની રહેણીકરણી મુજબ અલગ અલગ છે, અને આ પહેરવેશને અનુરૂપ તેનાં પર ડિઝાઈન હોય છે. આજકાલ તો મોટા ભાગે લોકો પશ્ચિમી સંસ્કૃતિ મુજબનાં કપડાં પહેરતાં થયાં છે. તે છતાં પણ ભારતીય પહેરવેશે પોતાનું મહત્ત્વ ગુમાવ્યું નથી.

આજે મોટા ભાગે પ્રિન્ટ થયેલા કપડાં જ વપરાશમાં લેવાય છે, પરંતુ જ્યારે ઘરનાં શુભ પ્રસંગોની વાત કરીએ તો આજે પણ લોકોની, ખાસ કરીને સ્ત્રીઓની વાત કરીએ તો એમને ભરતકામ કરેલ કપડાં વધારે ગમે છે. એનો દેખાવ જ મનમોહક હોય છે. દરેક રાજ્યની પોતાની આગવી શૈલી ધરાવે છે. ભરતકામ અને સિલાઈકામ ઘણી અલગ અલગ રીતે કરી શકાય છે, અને જો એને યોગ્ય રીતે કરવામાં આવે તો કપડાંની રોનક જ બદલાઈ જાય છે.

તો ચાલો, આજે સફર કરીએ ભારતમાં થતાં અલગ અલગ પ્રકારનાં ભરતકામની. ભારત દેશની પોતાની તો ભરતકામ કળા હતી જ, તેમાં જેમ જેમ વિદેશી રાજ થતા ગયા તેમ તેમ ઉમેરો થતો ગયો. આજે હું ચર્ચા કરીશ ભારતમાં વપરાતાં ભરતકામ વિશે. તો ચાલો, શરૂઆત કરીએ. હાલમાં તો દરેક પ્રકારનાં ભરતકામ આખાયે ભારતમાં થાય છે, પણ જે ટાંકા જયાં વધારે મશહૂર છે તે સ્થળ વિશે જાણીશું. આ ક્ષેત્ર પણ ખૂબ જ વિશાળ છે. એમાંથી થોડા ટાંકા વિશે માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે તમને ગમશે.

1. આરી ભરત:- આ ભરતકામ મુખ્યત્વે કાશ્મીર અને ગુજરાતનાં કચ્છમાં કરવામાં આવે છે. આ ભરતકામમાં સાંકળી ટાંકાની મદદથી કાપડ પર એક ફ્રેમ જેવી ડિઝાઈન કરવામાં આવે છે. જેમાં મોટા ભાગે રેશમની આંટીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ડિઝાઈનને વધુ આકર્ષક બનાવવા માટે ક્યારેક ટીક્કી, મોતી અને ઉ દોરા પણ વપરાય છે.


2. વણઝારા ભરત:- આભલા અને મોતીઓનાં સમન્વયથી થતું આ ભરતકામ મોટા ભાગે આંધ્ર પ્રદેશનાં વણઝારા જ્ઞાતિના લોકોનાં પહેરવેશમાં તેમજ મધ્ય પ્રદેશના માળવા અને નીમાર જીલ્લામાં વધુ જોવા મળે છે. આ ભરતકામ કરવામાં વિવિધ ટાંકા તેમજ ભૌમિતિક ભાતનો ઉપયોગ થાય છે.



3. બન્ની અથવા હીર ભરત:- આ ભરતકામ ગુજરાતની લોહાણા જ્ઞાતિની ખાસિયત કહેવાય છે. આમાં મુખ્યત્વે અલગ અલગ ભાતની ડિઝાઈનમાં અરીસા મુકવામાં આવે છે, જે માટે રેશમના જાડા દોરા વપરાય છે. પંજાબનું બાગ અને ફૂલકારી ભરતકામ આની જ પ્રેરણાથી કરવામાં આવેલ છે.

4. ચમ્બા રૂમલ:- આ ભરતકામ ભારતનાં હિમાચલ પ્રદેશમાં કાંગરા વિસ્તારનું ગણાય છે, જેની શરૂઆત 17મી સદીમાં થઈ હોવાનું મનાય છે.



5. કાશ્મીરી ભરતકામ:- આ ભરતકામની શરૂઆત મોગલોએ કરી હતી. ઊનની કે પછી જાડા દોરાની મદદથી અલગ અલગ ભાત બનાવવામાં આવે છે. આનું બીજુ નામ 'કાશીડા' કે 'કશીડા' છે. આમાં બેઝ મટીરીયલ તરીકે મોટા ભાગે સફેદ કાપડ જ વપરાય છે. હવે સમય પ્રમાણે રંગોમાં ફેરફાર થયો છે.


6. ચિકનકારી:- આ ભરતકામ મૂળ લખનૌ, ઉત્તર પ્રદેશનું છે. આ ત્યાંની પોતાની શોધ છે. આ ભરતકામ મોટા ભાગે સિલ્કનાં કાપડ પર કરવામાં આવે છે. આ પ્રકારનાં ભરતકામની બીજી ડિઝાઈન કલકત્તા અને ડક્કામાં જોવા મળે છે, પરંતુ એનાં મૂળ તો લખનૌનાં જ છે. એવું મનાય છે કે આ ભરતકામ એ શહેનશાહ જહાંગીરની પત્ની નુરજહાની શોધ છે.
આ ભરતકામ મોટા ભાગે સફેદ રંગના કાપડ પર સફેદ દોરાથી કરવામાં આવે છે. ડિઝાઈન તરીકે પ્રાણીઓ, ફૂલો કે વેલીઓની આકૃતિ બનાવવામાં આવે છે. ટાંકા લેવા પહેલા કાપડ પર ગુંદર અને સહી મિક્સ કરીને એનાથી ડિઝાઈન દોરવામાં આવે છે, પછી એ પ્રમાણે ટાંકા લેવાય છે.
ચિકનકારીમાં 40 અલગ અલગ પ્રકારના ટાંકા લેવાય છે, જેમાંના 30 તો હજુ પણ શિખાઉ સ્થિતિમાં છે.
ચિકનકારીમાં વપરાતા ટાંકાઓ પૈકી મુખ્ય છે:- સીધો, ઊંધો બખિયો, સાંકળી, ગાજ બટન, ગાંઠ, ઈયળ, સાદો અને ખતવા ટાંકો છે.


7. ગોતા:- આ ભરતકામ જયપુર, રાજસ્થાનનું છે, જે મુખ્યત્વે સાડીની નીચેનાં ભાગમાં આવેલા પટ્ટાને આકર્ષક બનાવવા વપરાય છે. આ ભરતકામ કરવા સોનેરી કે જરીનાં દોરા વપરાય છે. આ પટ્ટા પર સોનેરી જરીકામ જેવું દેખાય છે. સાડીની કિનારી પર કરવામાં આવતાં આ ભરતકામમાં પશુ, પક્ષી તેમજ માનવ આકૃતિઓનો સમાવેશ થાય છે. શેખાવતીમાં આવેલ ખંડેલા એના ઉત્પાદન માટે વિખ્યાત છે.

વાંચવા બદલ આભાર.🙏
- સ્નેહલ જાની