Stree Sangharsh - 6 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સંઘર્ષ... ભાગ 6

" જુઓ , રજીવભાઇ જેમ જુદા જુદા શારીરિક રોગ હોય છે તેમ માનસિક રોગ પણ હોઈ શકે. એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણી કદાચ માનસિક રોગ પ્રત્યે જુદી જ વિચારધારા છે પરંતુ એક ડોક્ટર તરીકે હું તમને એ સલાહ આપી શકું કે જો ઝડપથી તેમને કોઈ માનસિક ચિકિત્સક પાસે લઈ જવામાં આવશે તો તેમની બીમારીનું નિદાન થશે."

પણ" રેખાને થયું છે શું ? અને તમે એ ક્યા આધારે કહી શકો કે તેને કોઈ માનસિક બીમારી છે ? શું તે પાગલ...." રાજીવે અચંબિત્તા સાથે પૂછ્યું.

અરે, ના.. ના.. રેખાબેન પાગલ નથી પરંતુ હા પોતાની દીકરી પ્રત્યે તેઓ થોડા ઉત્કૃષ્ટ બની ગયા છે. વધુ પડતા વિચારો અને કદાચ કોઈ શંકા તેમના મનના ઘર કરી ગઈ છે. જેને કારણે હવે પોતાની દીકરી માટે તે થોડી અસુરક્ષા અનુભવવા લાગ્યા છે" ડોક્ટરે કહ્યું.

" હું તમને એક સારા એવા અનુભવી સાઇકિયાટ્રિસ્ટ નો નંબર આપું છું તમે તેની મુલાકાત એક વખત લઇ લ્યો અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી એટલું બધું કોઈ વિશેષ નથી બસ એક સામાન્ય બીમારી છે જેનો પણ ઈલાજ શક્ય છે " ડોક્ટરે સાંત્વના આપતા કહ્યું.

રાજીવ રેખા ને લઈને ઘરે આવ્યો. ઘરમાં સૌ કોઈ તેના રિપોર્ટ ની આતુરતાથી રાહ જોતા હતા .બધાને એમ જ હતું કે કઈ થયું નથી જે રીતે રેખા જાતે દવાખાને ગયેલી રિપોર્ટ પણ નેગેટીવ હશે. બંને ઘરે આવ્યા બાપુજીએ તો તરત જ પૂછ્યું," બધુ બરાબર છે ને કઈ ચિંતા જેવું તો નથી ને." અને રાજીવે રેખા ની સામે જોતા માથું ધુણાવ્યું બધાને હાશકારો થયો અને રેખા પણ અંદર જતી રહી. પછી રાજીવે બધાને ડોક્ટરે કીધેલી વાત જણાવી અને હવે શું કરવું તે વિચારવા લાગ્યો આ સાંભળી સૌ કોઈ અણધારેલી મુસીબત થી ચકિત થઇ ઉઠ્યા કોઈને સમજાતું ન હતું કે જે રેખાને હમણાં સુધી કંઈ નહતું. બધા સાથે જે સામાન્ય સ્થિતિમાં જ રહે છે તેને અચાનક આ શું થઈ ગયું અને વળી પાછી મગજ ની જ બીમારી...

કિરણ બહેન તો માથે હાથ પકડી કકળાટ કરવા લાગ્યા, "આ કેવી છોકરી મારા રાજીવના માથે પડી છે જ્યારથી આવી છે ત્યારથી એક પછી એક મુસીબત જ છે અત્યાર સુધી તેણે મારા દીકરાને કોઈ દાડે સુખ આપ્યું નથી. અરે આતો મારા દીકરાને એક વારસ પણ આપી શકી નહીં."

આ સાંભળી રાજીવે કિરણબેન ની સામું જોયું અને ડોક્ટર ની કહેલી વાત તેને યાદ આવી ગઈ. રેખા પણ ડોક્ટર ની સામે કંઈક આવું જ બોલી હતી. પરંતુ રાજીવ ચૂપ રહ્યો. કિરણ બહેને તો સ્પષ્ટ કહી દીધું કે," આપણે તેનો ઘરે જ ઇલાજ કરીશું, કોઈ માનસિક ડોક્ટર પાસે લઈ જવાની જરૂર નથી થોડા દા'ડા એમ હોય તો તેની માને ત્યાં પિયર મૂકી આવીએ. આ બધા ઘરના કામ ન કરવાના બાના મળી ગયા છે. જો પડોશીઓ અને સંબંધીઓને ખબર પડી કે રેખા બીમાર છે અને ઇલાજ માટે કોઈ માનસિક ચિકિત્સક પાસે તેને લઇ જવામાં આવે છે તો આ પાગલ ને સંભાળવા કરતા સમાજને જવાબ આપવા અઘરા થઈ પડશે અને બધા કહેશે કે કિરણબેન ની વહુ પાગલ છે."

"મા રેખા પાગલ નથી માત્ર વધુ પડતા વિચારો અને ઋચાની ચિંતા તેના મનમાં ઘર કરી ગઈ છે." રાજીવે માં ને સમજાવતાં કહ્યું." તો શું થયું ,ચિંતા તો ચાલ્યા જ કરશે ઘર હોય ત્યાં બધું જ હોય તું એક કામ કર એને થોડા દિવસ તેની માને ત્યાં મૂકી આવ થોડું વાતાવરણ બદલાશે એટલે બધું જ ઠીક થઈ જશે. તેની બધી મગજ ની ઘૂમરી બંધ થઈ જશે આવા ડોક્ટરોની વાત સાંભળી પૈસાનું પાણી કરવાની જરૂર નથી. આ તો બધા નવા જમાનાના ચોચલા છે .અમે પણ છોકરા મોટા કર્યા ઘર સંભાળ્યા શું અમારે બધું એમનેમ થઈ ગયું અને હા સાંભળ રુંચા ને તેની સાથે મોકલવાની કોઈ જરૂર નથી ક્યાંક આ પાગલ મારી દીકરીને અડધી કરી નાખશે મને તો તેના પિયર વાળા ઉપર પણ ભરોસો નથી આપણે બધા મળી તેને સાચવી લેશું ". કિરણબેન બોલ્યા.

પોતાની માં એ આપેલા આદેશ સામે રાજીવ કંઈ બોલ્યો નહીં અને પરિવારના સભ્યો પણ માની વાત બરોબર છે એમ કહી રાજીવને કહેવા લાગ્યા કે," ભાભી ને થોડા સમય માટે તેમના ઘરે આરામ કરવા મોકલી આપો", રાજીવ પણ ડોક્ટર અને પરિવાર એમ બંનેની આપેલી સલાહ વચ્ચે અસમંજસમાં પડ્યો શું કરવું તેનો કોઈ નિર્ણય લઈ શક્યો નહીં અને કદાચ આવી માનસિક ચિકિત્સા વિષે ન તો તેણે ક્યારેય સાંભળ્યું હતું ના ક્યારેય વિચાર્યું પણ હતું આથી આ ઘરગથ્થુ સલાહ વિશે અમલ કરવાનું તેને પ્રથમ વિચાર્યું બીજું પછી જોયું જશે.

કદાચ આપણે આજ ભૂલ કરી જોઈએ છે, શારીરિક બીમારીની જેમજ માનસિક બીમારી પણ ઘણીવાર જાનહાનિ હોઈ શકે અને ન ધારેલું પરિણામ આપી શકે. આવી બીમારીને પણ ગંભીરતાથી લેવી જોઈએ અને યોગ્ય સમયે તેનો યોગ્ય ઇલાજ કરાવવો જોઈએ કોઈ ઘરગથ્થુ ઈલાજ માત્ર ટૂંક સમય માટે શાંતિ આપી શકે પરંતુ કદાચ તેનું પરિણામ ઘાતક પણ હોઈ શકે.

ઉંબરા ના બારણા પાછળ ઊભેલી રેખા પરિવારની વાત સાંભળી રહી તેની માટે પણ આ બધું નવું જ હતું, " પોતે પાગલ છે અથવા તેને માનસિક બીમારી છે આ વાત તેના મગજમાં ફરવા લાગી તેને એક મોટો આઘાત લાગ્યો હતો આ સમયે તેને પરિવારના પ્યાર અને હૂંફની જરૂર હતી પરંતુ કદાચ બધાએ તો તેને અહીંથી કાઢવાનો નિર્ણય લઈ લીધો. જો હું પાગલ થઈ ગઈ તો તેણે કોણ સાચવશે અને રૂચા ઉપર તો કોઈ ધ્યાન પણ નહીં આપે આમ વિચારી તે શોકમાં સરી પડી. જો તેની સામે પણ બધા લોકો તેને દીકરીને સાચવતા ના હોય તો પાછળથી થોડા રાખશે...