The Sikh of the time ... books and stories free download online pdf in Gujarati

સમયની શીખ...

સમય સમય નવી શીખ અપાવે;
સાથે અપાવે નવું જ્ઞાન.
જ્ઞાનથી મળશે શાન;
શાન શાન માં ફરક ઘણો છે;
પણ તે કરાવશે અચૂક ભાન.

બહુ વર્ષો પહેલાની વાત છે. એક ભારતવર્ષ નામનું નગર હતું, ત્યાં એક ' કૃષ્ણમ રાજગુરુ ' નામે એક વિખ્યાત અને વિદ્વાન ઋષિમુનિ રહેતા હતા.તેમનો આશ્રમ નગરથી થોડો બહાર હતો. તેઓ રોજ સવારે સત્સંગ કરતા અને ત્યારબાદ ધ્યાનમાં બેસી જતા. ગામના લોકોને તેમના પર ખૂબજ શ્રદ્ધા અને વિશ્વાસ હતો કેમ કે ઘણી વાર રાજગુરુજી એ નગર પર આવેલી મુશ્કેલી અને અસાધ્ય રોગો માંથી નગરના લોકોની રક્ષા કરી હતી.
હવે એક સમયની વાત છે ' રાજગુરુ ' ઘ્યાનમાં બેઠા હતા અને અચાનક એક રાજા ' ભારતવર્ષ નગર ' પર યુદ્ધ કરવાના ઇરાદાથી ત્યાં આવી ચડ્યો.
તે રાજાનું નામ ' વિશ્વજીત ' હતું. તેના ગુણ તેના નામ જેવાજ હતા, તે ખૂબ પરાક્રમી હતો તેણે તેની સેના સાથે મળીને વિશ્વનો અડધો ભાગ જીતી લીધો હતો અને હવે તે ભારતવર્ષ જીતવા આવ્યો હતો,પરંતુ બહુ દૂરથી અહી પહોંચ્યો હતો તેથી વિશ્વજીત અને તેની સેના ખૂબજ થાકી ગઈ હતી. તેમજ વિશ્વજીત લાંબી મુસાફરીમાં અસ્વસ્થ બન્યો હતો તેથી સેના સાથે તેણે આશ્રમમાં જ પડાવ કરવાનું નક્કી કર્યું.
ત્યાં પડાવ પાડ્યા બાદ તે તેના મંત્રીઓ સાથે બેઠો હતો ત્યારે એક મંત્રીએ એને કહ્યું મહારાજ આપ કહો તો આપને હું એક વાત કરું. વિશ્વજીત બોલ્યો જરૂરથી બોલો.
મંત્રીએ કહ્યું આટલી મુસાફરી અને યુદ્ધ બાદ સૈનિકો અસ્વસ્થ બન્યા છે અને આપના સૈન્યમાં અમુક સૈનિકોને અસાધ્ય રોગ પણ દેખાય છે,અને તે રોગની થોડી અસર આપના ઉપર પણ થઈ છે જેની જાણ મને આપણી સાથે આવેલા રાજવૈદ જોડેથી જાણવા મળી છે. માટે હું આપને કહુ છું કે આ ઋષિ જે ઘ્યાનમાં બેઠા છે તે બહુ જ્ઞાની લાગે છે તો તેમને એકવાર પૂછીને આપણે સવસ્થ થવાનો ઉપાય જાણીએ , મને લાગે છે કે એમને જરૂર ખબર હશે.
અડધી દુનિયા જીતેલા વિશ્વજીતને આ યોગ્ય લાગ્યું તે તેના મંત્રી સાથે મળી રાજગુરુ આગળ આવ્યો પરંતુ તેણે જોયું કે ઋષિતો ગાઢ ઘ્યાનમાં બેઠા છે,
ઋષિને ગાઢ ઘ્યાનમાં બેઠેલા જોઈ ને તે થોડો થોભ્યો, પરંતુ મનમાં વિચાર્યું કે હું અડધી દુનિયા જીતવા વાળો વિશ્વજીત મને ઋષિને ધ્યાનમાંથી બહાર લાવવાનો હક છે એમ વિચારી તે 'રાજગુરુ' નું ધ્યાન ભંગ કરવા જતોજ હતો કે તેના મંત્રીએ તેને રોક્યો અને કહ્યું હે શ્રેષ્ઠ આપ ધ્યાન તોડવાનો પ્રયત્ન કરશો નહિ કેમ કે જો ઋષિ ક્રોધી હશે તો શ્રાપ આપી દેશે. મંત્રીની વાત યોગ્ય લાગતા રાજાએ તેમનું ધ્યાન થઈ જાય બાદ જ વાત કરવાનું નક્કી કર્યું .
રાજગુરુ ઘણા સમય પછી ધ્યાનમાંથી ઊભા થયા.
તેમણે જોયું કે કોઈ રાજા તેમની સેના સાથે ભૂખ્યો અને તરસ્યો તેમની પ્રતીક્ષા કરી રહ્યો હતો. રાજગુરુ બોલ્યા હે રાજન શ્રેષ્ઠ આપ અહી પધાર્યા તેથી વાતાવરણ પ્રસન્ન બન્યું છે બોલો આપની અમે શુ સેવા કરી શકીએ.
વિશ્વજીત ઘમંડમાં બોલ્યો હું અડધી દુનિયા જીતનારો રાજા વિશ્વજીત છું અને હું મારી સેના સાથે ' ભારતવર્ષ ' સાથે મારું પરાક્રમ બતાવવા આવ્યો છું પરંતુ લાંબા પરિશ્રમ અને મુસાફરીના કારણે અમે અસ્વસ્થ બન્યા છીએ અને તમારા લાંબા ધ્યાનના કારણે ભૂખ્યા અને તરસ્યા પણ છીએ તો હવે જલ્દીથી અમને સ્વસ્થ કરો.
રાજગુરુ આખી પરિસ્થિતિ સમજી ગયા. તેઓ બોલ્યા કે હું તમને સ્વસ્થ થવાનો ઉપાય બતાવીશ પરંતુ તમે મને ખૂટતી અને મારી જરૂરિયાત પૂર્ણ વસ્તુ તેમજ સામગ્રી આપવી પડશે.
રાજા ઘમંડથી હા પાડી અને કહ્યું હવે જલ્દી કરો.
રાજગુરુએ બધાને જોયા સેના તેમજ રાજાના રોગનું નિદાન માટે ઉપાય જણાવ્યા અને તેમને ઔષદ પણ આપી. ઔષધ અને આશ્રમનું ભોજન તેમજ પાણી પીધા બાદ વિશ્વજીત અને તેની સેનામાં અનોખો ઊર્જાનો સંચાર થયો.
તે રાજગુરુ પાસે આવ્યો અને બોલ્યો બોલો આપને શું જોઈએ છીએ હું બધુજ આપી શકીશ પણ પેલા હું તમને કહું છું કે તમારે મારી સાથે કાયમ મારા નગરમાં વસવાટ કરવો પડશે. રાજગુરુ આ સાંભળીને બોલ્યા હું ત્યાં નહિ આવું.
રાજાએ ફરી વારંવાર એજ પૂછ્યું પણ ઋષિ વારંવાર એજ બોલતા રહ્યા ત્યારે વિશ્વજીત ગુસ્સે થઈને બોલ્યો દુનિયા મારી ગુલામ છે હું બોલું એજ બધાએ કરવું પડશે માટે તમે મને ના કહી ના શકો.
ત્યારે રાજગુરુ બોલ્યા આખી દુનિયા તારી ગુલામ નથી.
તો રાજા અંત્યંત ગુસ્સે થઈને બોલ્યો હું કોઈનો ગુલામ નથી અને હવે ખાલી આ ભારતવર્ષ જ બાકી છે જેનું સૈન્ય મારા સૈન્ય સામે ખૂબજ નાનું છે જેનું હારવું નિશ્ચિત જ છે તથા ભારતવર્ષને હરવ્યા બાદ હું તમને પણ ગુલામ બનાવીને જ લઈ જઈશ.અને હું આખી દુનિયાનો રાજા બની જઈશ તથા આખી દુનિયા મારી ગુલામ બનશે એવું ક્રોધથી બોલ્યો.
ત્યારે રાજગુરુ બોલ્યા કે રાજન તું મારા ગુલામનો પણ ગુલામ છે માટે હું તારી જોડે નહિ આવું અને તમારી કરેલી સારવારના ફળ સ્વરૂપ હું તારી જોડે હવે વ્યર્થના યુદ્ધ તું નહિ કરે તેવું વચન માંગુ છું.કેમ કે તે મને મારી જરૂરિયાત પૂર્ણ વસ્તુ આપવાનું વચન આપ્યું હતું.
રાજા બોલ્યો હું તમારા ગુલામનો પણ ગુલામ છું પહેલા તો એની સ્પષ્ટતા કરો કે એ કેવીરીતે બને, ત્યારે રાજગુરુ બોલ્યા કે મારો ગુલામ ક્રોધ છે હું ક્યારે પણ ક્રોધ નથી કરતો હું તેના પર હાવી છું તે મારા પર નહિ માટે ક્રોધ મારો ગુલામ છે અને તારા પર ક્રોધ હાવી છે તું ક્રોધને જીતી નથી શક્યો માટે તું મારા ગુલામનો પણ ગુલામ છે.
આટલું સાંભળતાજ રાજાને તેના ક્રોધ અને ઘમંડનું ભાન થયું અને તેને રાજગુરુને આપેલા વચનનું પાલન કર્યું તેમજ તે ત્યાંથી તેની સેના સાથે પરત ફર્યો.

દુનિયા જીતેલા વિશ્વજીતને સમયએ શીખ આપી કે માણસને ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત થાય પરંતુ તેને ઘમંડ, ક્રોધ ,લાલચ તેમજ બીજા ઘણા દુર્ગુણોથી દુર રહેવું જોઈએ.કેમ કે જે રોગ તેને અને તેની સેનાને થયો હતો તે દૂર કરવામાં તે પોતે અસમર્થ હતો પરંતુ તેને દૂર કરનારા તે રાજગુરુ શ્રેષ્ઠ હોવા છતાં તેઓ પોતાને સર્વ શ્રેષ્ઠ ગણતા નહતા અને તેમણે સારવારના બદલામાં પણ તેમણે 'વિશ્વજીત' નું અને તેની સેનાનું હિત જ ઇચ્છ્યું માટે શ્રેષ્ઠ માણસ ત્યારે જ કહેવાય છે જ્યારે દુર્ગુણોથી દૂર રહી વિનમ્ર રહી શકે છે .

લી.અંકીત કે ત્રિવેદી 'મેઘ'