Aapna Mahanubhavo - 25 books and stories free download online pdf in Gujarati

આપણાં મહાનુભાવો - ભાગ 25 - કવિ નર્મદ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
ભાગ:- 25 કવિ નર્મદ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

કવિ નર્મદ, મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે 24 ઓગસ્ટ 1833 - ફેબ્રુઆરી 1886 ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.

અભ્યાસ

પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો.

વ્યવસાય

૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો.

અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.

આપણે જેમને વીર કવિ નર્મદ રૂપે નવાજીએ છીએ તે ૧૮૮ વર્ષ પહેલાં નર્મદાશંકર લાલશંકર દવે રૂપે ૨૪ ઓગસ્ટ, ૧૮૩૩ના રોજ સુરતમાં જન્મ્યા હતા. નર્મદને ગુજરાતી સાહિત્યમાં ઘણી નવી શરૂઆત માટે યાદ કરવા જોઈએ. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે નર્મદ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.

પાંચ વર્ષની ઉંમરે મુંબઈના ભૂલેશ્વરમાં નાના મહેતાની નિશાળથી તેમનું શિક્ષણ શરુ થયું હતું. પછી સુરત આવીને ઈચ્છારામ મહેતા અને ફકીરભાઈ મહેતાની શાળામાં અભ્યાસ કર્યો. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાની સરકારી ગુજરાતી નિશાળમાં ભણ્યા. પછી સુરતમાં (અમારું બાળપણ જ્યાં વિત્યું તે) નાનાવટના નવલશાના કોઠામાં દુર્ગારામ મહેતાની નિશાળે ભણ્યા. ૧૨ વર્ષની વયે અંગ્રેજી શાળામાં દાખલ થયા. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ લીધો પણ કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક બન્યા. આજે પણ એ શાળા ‘નર્મદની શાળા’ રૂપે ઓળખાય છે. બે વર્ષમાં ફરી મુંબઈ ગયા. ફરી કૉલેજ-પ્રવેશ કર્યો. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ થયું. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો નર્મદાશંકર પર મોટો પ્રભાવ પડ્યો.

૨૩મી વર્ષગાંઠથી નર્મદે કાવ્યલેખનનો પ્રારંભ કર્યો હતો. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી કરી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક પણ બન્યા. ૨૫ વર્ષની વયે ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ થયા.
૧૮૬૪માં ૩૧ વર્ષની વયે સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ કર્યો. જોકે ૧૧ વર્ષ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન પણ થયું. હવે તેમણે આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૪૯ વર્ષની વયે પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નર્મદે નોકરીનો કમને સ્વીકાર કર્યો હતો.

ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.

નર્મદના ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’, ‘પિંગળપ્રવેશ’, ‘અલંકારપ્રવેશ’, ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨, ‘વર્ણવિચાર’, ‘નાયિકા વિષયપ્રવેશ’ જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’, ‘હિંદુઓની પડતી’, ‘કવિચરિત’, ‘સુરતની મુખ્તેસર હકીકત’, ‘ઈલિયડનો સાર’, ‘મહિપતરામ રૂપરામ મહેતા’, ‘મહાપુરુષોનાં ચરિત્ર’, ‘મહાભારતનો સાર’, ‘રામાયણનો સાર’, ‘સાર શાકુંતલ’, ‘ભગવદગીતાનું ભાષાંતર’ ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં તેમના લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ના બે ભાગમાં થયાં છે.

એમના જન્મના ૧૦૧ વર્ષ પછી પ્રકાશિત થયેલી નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે. તેમનું આત્મવૃતાંત વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણો-સંદર્ભોથી વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.

એમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય મળે છે. તેમણે ચાર ભાગમાં ‘નર્મકોશ’ આપ્યો. તે ઉપરાંત ‘નર્મકથાકોશ’, ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’, નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’, પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે.

નર્મદ નાટક-સંવાદ લેખક રૂપે આપણને ‘તુલસી વૈધવ્યચિત્ર’ સંવાદરૂપે, ‘રામજાનકી દર્શન’, ‘દ્રોપદીદર્શન’, ‘બાળકૃષ્ણવિજય’, ‘કૃષ્ણકુમારી’ એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. તેમનો ‘સીતાહરણ’ સંવાદ અપ્રસિદ્ધ છે. નર્મદે જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ ‘રાજ્યરંગ’ના બે ભાગમાં આલેખાયેલો છે. તેમના ‘ધર્મવિચાર’માં તત્વચર્ચા છે, તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે.

તેમની કવિતા ‘નર્મકવિતા’ રૂપે દસેક ભાગમાં સંગૃહીત થઈ છે. એમની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રિવિધ દ્રષ્ટિએ મહત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપના કરવાનો ઉત્સાહ છે, પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો આદ્યવેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષય, સંસારસુધારાના સીધા ઉદગારો અને દેશાભિમાનનાં ગીતોથી નર્મકવિતા વિશિષ્ટ બની છે.

તેમની આ રચનાઓ પૈકી ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી છે.

વીર કવિ નર્મદથી આપણા સમયના મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા ખુબ પ્રભાવિત હતા. ભગવતીકુમારની આત્મકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ પોતે જ નર્મદની કાવ્ય પંક્તિનો અંશ છે. ભગવતીકુમારના પ્રયાસથી જ સુરતની સેન્ટ્રલ લાઈબ્રેરી ‘નર્મદ પુસ્તકાલય’ અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ‘વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી’ નામાભીધાન થયું છે. જોકે ભગવતીભાઈનો યુનિવર્સિટીના નામમાં ‘વીર કવિ નર્મદ’નો આગ્રહ હતો.

માત્ર ૫૨ વર્ષની વયે આઠ મહિનાની સંધિવાની માંદગી બાદ ૨૬ ફેબ્રુઆરી, ૧૮૮૬ના રોજ મુંબઇમાં નર્મદે છેલ્લાં શ્વાસ લીધાં હતાં.

સૌજન્ય:- ઈન્ટરનેટના વિવિધ વેબપેજ
વાંચવા બદલ આભાર.
સ્નેહલ જાની