Veer Vachchhraj (Vachdabet-Zinjuwada) in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | વીર વચ્છરાજ (વછડાબેટ-ઝીંઝુવાડા )

Featured Books
Categories
Share

વીર વચ્છરાજ (વછડાબેટ-ઝીંઝુવાડા )

🙏🏿વીર વચ્છરાજ 🙏🏿
*****************
આજથી 961વરસ પહેલાંની ઘટના છે...
સોલંકી કુલભૂષણવીર વચ્છરાજ દાદાની અમર કથા વિક્રમ સવંત 1117 માં હાલના મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી તાલુકાના પુરાણ પ્રસિદ્ધ જગપ્રસિદ્ધ બહુચરાજીથી નજીકમાં આવેલું રૂડું રળિયામણું "કાલરી" ગામ છે.જેના ગામધણી તત્કાલીન સોલંકી શાખના ગીરાસદાર રાજપૂત "હાથીજી" બાપુ હતા.હાથીજી સોલંકી એટલે તપ,ત્યાગ,સેવાને શૂરવીરતાની જાગતી મૂર્તિ જેમને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર અતૂટ શ્રદ્ધા હતી.એમના ઘરમાં માં જગદંબાના અવતાર સમી રજપુતાણી કેસરબા પણ પુરા ધર્મપરાયણ,ઘરમાં દોમદોમ સાહયબી હતી.પચાસેક ગાયોનું ધણ હતું.આટ આટલી સુખ સમૃદ્ધિ હોવા છતાં ઘરમાં શેર માટીની ખોટ હતી.અનેક માંનતાઓ કરી,ચાર ધામની યાત્રા કરી,બધું કર્યું પણ તેમના ઘરે હજી કોઈ સંતાન જન્મ્યું ન હતું,આથી હાથીજી સોલંકી એ 12-12 વરહ સુધી ઉઘાડા પગે ગાયું ચારવાના વ્રત લીધા હતાં.છતાંયે સંતાન સુખ મળ્યું ન્હોતું.આથી હાથીજી બાપુએ વિચારેલું કે હવે તો નારાયણ કરે એજ ઠીક.એમ વિચારીને ગોકુલ મથુરાની જાત્રા એ જઈને પોતાની જીવન લીલા યમુના નદી માં જ સંકેલી લેવાનું નક્કી કર્યું.તેઓ સંઘને સાથે લઈને જાત્રા એ જવા નીકળી પડ્યા.નારાયણના દર્શન કરી યમુના નદીમાં ઝંપલાવ્યું ત્યાંતો યમુના નદીમાં ઉતરતાંની સાથે જ તેમની આંખો સમક્ષ એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો,ગણતરીની ક્ષણોમાં જ નારાયણ ભગવાને સાક્ષાત દર્શન આપ્યા.કહ્યું કે બાપ! હાથીજી આટલી ઉતાવળ ના કરાય.તારે ઘેર અવતારી પુરૂષનું પ્રાગટય થવાનું છે.પરંબ્રહ્મ મહાદેવનો અંશાવતાર,પાપીઓનો સંહાર કરવા,અધર્મીઓનો વિનાશ કરવાને,સાધુજનો,અબળા નારીઓ,સંતો-ભક્તો- તેમજ ગૌ માતાનો ઉધાર કરવા તારે ત્યાં જન્મ લેશે.તારા આખા કુળને ઉજળું કરશે અને આ કળિયુગમાં લોકદેવતા તરીકે પૂજાશે. આ તારું બીજું સંતાન હશે.તું એનું નામ વચ્છરાજ રાખજે.નારાયણનું વચન સાંભળ્યા પછી હાથીજી બાપુને નિરાંત થઈ ને તે રાજીખુશીથી જાત્રા પૂર્ણ કરીને પાછા કાલરી આવી પહોંચ્યા.માં કેસરબાને બધી વાત કરી.ત્યારબાદ સમય વીત્યા બાદ હાથીજીને ત્યાં પ્રથમ સંતાન રૂપે પુત્ર જન્મ્યો જેનું નામ ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ ઉપરથી બળરાજ એવું રાખવામાં આવ્યું.સમય વીત્યાની સાથે બળરાજ એક દોઢ વર્ષના થયા ને વિક્રમ સવંત 1117 ના ચૈત્રી સુદ સાતમને સોમવારે ઇ.સ 1061 માં માતા કેસરબાની કુખે મહાદેવના અંશાવતાર સમા વીર વચ્છરાજના નામે વાછરા દાદા એ જન્મ ધારણ કર્યો.જે સમય એ વીર વાછરા નું પ્રાગટય થયું તે સમય એ સમગ્ર કાલરી તેમજ આસપાસ ના તમામ ગામ માં આવેલ મંદિર ની અંદર ઢોલ નગારા ઝાલર આપમેળે વાગવા લાગ્યા હતા.વચ્છરાજ ના પ્રાગટયની સાથે સમગ્ર કાલરી ગામમાં આંનદની લહેર આવી ગઈ.સમય વીત્યાની સાથે વછરાજ મોટા થયા ત્યારે એક વખત બાળ વછરાજ એમના મિત્રો સાથે રમતા હતા ત્યારે અચાનક તે જગ્યા એ એક નાગ આવી ગયો એ નાગ ને જોઈ બધા બાળકો ભાગી ગયા પણ વચ્છરાજ એ સમય એ એમને પ્રાર્થના કરી કે "તમે જ્યાંથી આવ્યા ત્યાં ચાલ્યા જાઓ આ લોકો આપના થી ડરે છે"ને એમ કહ્યા બાદ જાણે વછરાજને નાગદેવતા બન્ને એકબીજાને ઓળખી ગયા હોય એ રીતે એકબીજા સામે જોઈ રહ્યા હતા.એ સમયે ગામજનો એ પ્રથમ વખત બાળ વચ્છરાજની લીલા જોઈ.જ્યાંરે ગામજનો ત્યાં પહોંચ્યા ત્યારે વચ્છરાજ નાગદેવતાને પોતાના ખોળામાં રમાડી રહ્યા હતા આ જોઈ ગામ આખું રાજી રાજી થઈ ગયું.સમય વીત્યાની સાથે વચ્છરાજની ઉંમર 12 વર્ષ ની થઈ બાળકમાંથી કીશોરવસ્થામાં આવેલ વચ્છરાજે જીવન આખું ગૌ સેવા કરવાની ટેક લીધી.ચુંવાળ પંથકના કાલરી તેમજ આજુબાજુના ગામ વિસ્તારના લોકો પણ વચ્છરાજની ગૌ સેવા ના વખાણ કરતા ધરાતા નહોતા.એ સમયે કારમો દુકાળ પડ્યો.પાણીની તંગી શરૂ થઈ.ગાયોને પીવડાવાનું પાણી મળતું નથી.પાણી વિના તરસી થયેલી ગાયો તરસે તરફડવા લાગી.એ દ્રશ્ય જોઈને વચ્છરાજની આંખોમાં ચોધાર આંસુ વહી રહ્યા હતાં.કાલરી થી 14 કિલોમીટર દૂર આવેલ "વડાવલી" ગામની સીમમાં વચ્છરાજે સૂરજ દાદા સામે મીટ માંડી ત્યાંતો એ કાળીભઠ થયેલી સૂકી ધરતીના પેટાળમાંથી ગંગાજીનો સાદ સંભળાણો વચ્છરાજ ! તારા જમણા પગ હેઠેથી ભાલાથી વીરડો ગાળ્ય.તારી ગવતરીયું તરસી નહિ રહે.ત્યાર બાદ વચ્છરાજએ એના ભાલાથી ત્યાં વીરડો ગાળ્યોને તમામ ગાય એ પાણી પીધું.આ વચ્છરાજ દાદાની એક લીલા હતી.ત્યાર બાદ થોડોક સમય વીત્યો વચ્છરાજના માતા પિતાને ઉંમર થઈને હાથીજી અને કેસરબાએ વિદાય લીધી.યુવાન બનેલા વચ્છરાજએ આખું જીવન ગૌ માતાને નામે કરી દીધું.દી-રાત જોયા વિના ગાયોની સેવા કરતા. કાલરીનો રાજવહીવટ બળરાજ સંભાળતાને વચ્છરાજ ગૌ સેવામાંજ જીવન પસાર કરતા હતા એ સમયમાં વચ્છરાજે એક ઘોડી રાખી હતી.જેનું નામ "રતન" હતું તે દાદાને અતિ પ્રિય હતી.રતન ઘોડીનું તેજ જાણે રવિના પ્રકાશને પણ ઝાંખો કરી નાખે તેવી ઉજળી હતી.
આમ વચ્છરાજએ ગાયને માટે જીવવાનું અર્પણ કરી નાખ્યું.થોડોક સમય વીત્યા બાદ વઢિયાર પંથકના લોલાડા ગામથી તેમના મામા "સામતસંગ રાઠોડ" કાલરી આવ્યા.બળરાજને વાત કરી કે તેમને ત્યાં કોઈ સંતાન નથી આથી તે વછરાજ ને સાથે લઈ જાવા માગે છે ને એ એમનું રાજવહીવટ વછરાજને સોંપી દેશે.બળરાજએ હા પાડીને ત્યારબાદ વછરાજ તેમની વહાલી ગાયો,રતન ઘોડી લઈ એમના મામાની સાથે "લોલાડા" ગામે આવી પહોંચ્યા જ્યાં એમણે એ વઢિયાર પંથકનો રાજયવહીવટ સંભાળ્યો.સાથે સાથે ગૌ સેવાની ટેક પણ જાળવી રાખી.એ સમયમાં વઢિયાર પંથકમાં પાકિસ્તાની સુમરા લૂંટારુંઓ અવાર નવાર ગામની ગાયો હાંકી જાતા પણ વચ્છરાજના આવ્યા પછી અનેકવાર વછરાજએ સુમરા લૂંટારાઓ સામે ધીંગાણું આદરયુ.તેમને મારી ભગાડ્યા.સમયની સાથે સુમરા લૂંટારામાં ડર બેસી ગયો.એટલે તેમણે વઢિયાર પંથકમાં અવવાનુંજ બંધ કરી દીધું.ત્યાર બાદ વછરાજની પરણવા લાયક ઉંમર થઈ ત્યારે તેમના મામા સાંમતસિંહ રાઠોડે તેમના નજીક ના સંબંધી "વજેસિંહ રાઠોડ" ની દીકરી "પુનાબા" સાથે વછરાજનું સગપણ નક્કી કર્યું.સમયની સાથે લગનનું ટાણું આવ્યું અને જાડેરી જાન જોડાણી એ જાનમાં કેટલી અદભુત કે એ જાનમાં કાલરી,લોલાડા તેમજ વઢિયાર પંથકના તમામ રાજપૂતો હાથમાં સોનાની છડી લઈ પોતપોતાના ઘોડા ઉપર અસવાર થયા હતા.જાનમાં દિવ્ય ગજરાજ પણ હતા.રજપુતાણીઓ વછરાજના મંગળગીતો ગાતી હતી.એ જાડેરી જાન આજના સમી તાલુકાના "કુંવર" ગામ માં આવી પહોંચી હતી.ત્યારે હરખના ઢોલ વાગી રહ્યા હતા.ધીમે ધીમે લગ્નની વિધિ ચાલુ થઈ.વચ્છરાજ લગ્નના માંડવે આવ્યા.ગોર એ અવાજ કર્યો કન્યા પદ્યરાવો સાવધાન.ત્યારબાદ પરંપરાગત રીતે લગ્ન વિધિ ચાલુ થઈ.રાજપુતાણીઓ મંગળ ગીતો ગાતી હતી તેની સાથે તમામ રાજપૂતો હરખમાં આ શુભ પ્રસંગનો નરી આંખે પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા હતા.મંગલફેરા લેવાના ચાલુ થયા.પેલો ફેરો,બીજો ફેરો ને ત્રીજો ફેરો! ત્યાંતો! એક બે ગોવાળો એ આવીને જાણ કરી કે કુંવર ગામની ગાયો ને સુમરા લૂટારા હાંકી ગયા.આ સાંભળતાની સાથે જ વીર વચ્છરાજનું રૂપ બદલાઈ ગયું.ત્રીજો ફેરો ફરવા ઉભેલા વીર વછરાજના રુંવાડા ઊભાં થઇ ગયાં.
વછરાજની ભુજાઓ ભીમસેનની ભુજાઓની માફક યુદ્ધ માટે પડકારા કરતી કરતી દિવ્ય શક્તિના તેજ થી ધ્રુજવા લાગી.વચ્છરાજની બંને આખોમાં જાણે સૂર્યનો અગન ઝળઝળી રહ્યો હતો.નાકના બંને નસકોરામાંથી ક્રોધરૂપી વાયુ નીકળી રહ્યો હતો.અષાઢ મહિનાની વીજળીનો ચમકારો એમની આંખમાંથી થયો ને હાથમાં શીહોરી સમશેર ચમકવા લાગી.એક ઝાટકે છેડાછેડી તોડીને ત્રાડ પાડી બાપ! રતન! એટલા માં "રતન"(ઘોડી)આવી પહોંચી.રતન વાયુ વેગે લૂંટારાઓની પાછળ દોડતી થઈ.ગણતરીની મિનિટોમાં લૂંટારાઓ સાથે ભેટો થયો.વછરાજએ હાંક પાડી એકેયને જીવતો જાવા દઉં તો ક્ષત્રિય નહિ.એકલે હાથે વછરાજે તલવારની રમઝટ બોલાવી.કૈકના માથાં રણની રેતી માં રઝળતા મેલ્યા.વછરાજનું રૂપ જોઈ બચેલા લૂંટારા ભાગી ગયા.વછરાજે ગાયું વાળી પાછા આવતા હતા ત્યાં પોતાના અધૂરા ફેરા પૂર્ણ કરવા પાછા માંડવે આવ્યા.ત્રીજો ફેરો પૂર્ણ કરીને ચોથો ફેરો ફરવા જતા હતા ત્યાં એક વિધવા ચારણ આઈ દેવલ આવી પહોંચ્યા.રડતા રડતા સાદ પાડ્યો.હે! વછરાજ! બધી ગાયું આવી ગઈ પણ મારી વેગડ ન આવી.આ સાંભળતાની સાથે વછરાજે રોદ્રસ્વરૂપ ધારણ કર્યું.ફરી પાછો રતન ઉપર અસવાર થઈ લૂંટારા જે દિશામાં જતા હતા તે તરફ નીકળી પડ્યો.રતન વાયુ વેગે દોડતી હતી.વછરાજની પાછળ પાછળ નવવધૂ "પુનાબા" તેમજ વિધવા ચાંરણ "દેવલ આઈ" અને એમનો પ્રિય એવો "મોતી કૂતરો" તેમજ અન્ય રાજપૂતો પણ પાછળ દોડવા લાગ્યા.સાથે સાથે કાલરીથી આવેલ "હીરો" ઢોલી પણ વછરાજની પાછળ દોડ્યો.ગણતરીની કલાકોમાં વછરાજને લૂંટારાઓનો ફરી એકવાર ભેટો થયો આ વખતે વછરાજની સાથે હીરો ઢોલી પણ હતો જે બૂંગીયો ઢોલ વગાડી રહ્યો હતો.વછરાજ એ રૌદ્રસ્વરૂપ ધારણ કરેલ હતું. આંખોના પાલકારે વછરાજ શત્રુના અંગ વાઢવા લાગ્યો.વછરાજની ભુજાઓ દ્રારા પ્રકાશની ગતિ એ શિહોરી તલવાર ના ઘા શત્રુઓ ઉપર થઈ રહ્યા હતા.વછરાજનું આ રૂપ જોઈ લૂંટારા એ સામી છાતી એ યુદ્ધ કરવાનું વાળી મૂકી ને કપટ કરવાનું નક્કી કર્યું.એવા માં એક લૂંટારાએ પાછળથી વછરાજનું મસ્તક કાપી નાખ્યું ને મસ્તક પડતાની (સંવત 1140 ઉંમર 23 વરસે તે વીરગતિ પામ્યા )સાથે જ વછરાજ બમણા જોરે શત્રુઓ ઉપર ત્રાટક્યા.મસ્તક પડ્યા પછી વાછડો રણઘેલો બન્યો એક એક ઝાટકે 18-18 વેરીઓના મસ્તક વાઢી નાખ્યા.વછરાજનું રૂપ જોઈ બાકી બચેલા એક બે લૂંટારા "વેગડ" ગાયને મૂકીને નાસી છૂટ્યા એવામાં સતી પૂનાબા,સતી દેવલ આઈ,,મોતી કૂતરો ને ગામ ના અન્ય રાજપૂતો ત્યાં આવી પહોંચ્યા,,ત્યારે સતી પુનાબા એ વછરાજ નું મસ્તક જોયું ને પોતાના પાનેતરના છેડામાં બેય હાથે આ મસ્તક ઉપાડ્યું અને ઘાયલ થયેલ રતન ઘોડીને વછરાજનું ધડ જ્યાં ધીંગાણું થયું હતું એ જગ્યાએ આવી પહોંચ્યા અને ત્યાં આવીને જુએતો તમામ શત્રુઓના મડદાં પડ્યા હતા. વછરાજનું ધડ એકલું એકલું લડતું હતું,ત્યારે એ જોઈ દેવલ આઈ એ કહ્યું :ખમ્મા વછરાજ બાપ ખમ્મા અને દેવલ આઈના આ શબ્દ સાંભળતાની સાથે જ વછરાજનું ધડ "વેગડ" ગાય પાસે ગયું ને એ ગાયને લઈને આઈ દેવલ પાસે આવીને પડ્યું.ત્યારે આઈ દેવલને સત ચડ્યું.એણે રણમાં પોતાના બે હાથે રેતીમાં વીરડો ગાળ્યો.વીર વછરાજના ધડમાં માથું જોડીને સજીવન કરવા અંજલી ભરી ત્યાં વીર વછરાજનું મસ્તક બોલી ઉઠ્યું કે
"હે માં આઈ દેવલ" "મારે કાયા અમર નથી કરવી,મારી જીવનલીલા અહીં પૂર્ણ થઈ.હું તો જન્મોજન્મ અવતાર ધારણ કરીને ગવતરીયુંનું રક્ષણ કરીશ.આ થાનકે હું જીવતા જાગતા દેવ તરીકે અમર રહીશ.શરણે આવ્યાના દુઃખ દર્દ મટાડીશ.જે કોઈ મારા શરણે આવશે એને વિષ,હડકવા કે વઇ નહિ થવા દઉં. મટાડી દઈશ.
જે કોઈ પણ મારા નામે કોઈ માનતાં માનશે એમના કાર્ય હું પૂર્ણ કરીશ અને શરણે આવ્યાનું સદાય રક્ષણ કરીશ.મારી આ જગ્યાએ જાગતી જ્યોત રૂપે ગૌ સેવાની સરવાણી વહેતી રહે,તેવા આશીર્વાદ આપો.નામ અમર કરી દયો માં અને માં હું વાછડો તો હજી જીવું જ છું.માં વાછડો તો પરમ તત્વ છે.એ તો અમર છે માં..આ બધી તો મારી લીલા હતી."
આટલું કહ્યા પછી મસ્તક શાંત પડ્યું.ત્યાર બાદ સતી દેવલ આઈ એ તે ધડ ને ત્યાં સમાધિ આપી ને તેમની સાથે સતી દેવલ આઈ, સતી પુનાબા એ પણ સમાધિ લીધી.તેમની સાથે રતન ઘોડી,મોતી કૂતરાની સાથે માં વેગડ ગાયે પણ પ્રાણ છોડી દીધા.સમાધિસ્થ થયા.વછરાજની સાથે સમરાંગણમાં સિન્ધુડો બૂંગીયો ઢોલ વગાડનાર હીરા ઢોલી પણ ત્યાં જીવ મૂકી દીધો.(આ બધાંની સમાધિ હાલ આ સ્થળે છે.)એ જગ્યા આજે વચ્છરાજ બેટ તરીકે જગમાં પ્રસિદ્ધ છે.જ્યારે દાદા નું મસ્તક ગૌખરી બેટમાં વાછરા ગામે પૂજાય છે.
આઈ દેવલ એ મોતીયા કૂતરા ને આર્શીવાદ આપ્યા કે આ સ્થાનક ઉપર હડકાયું કૂતરું કરડેલ કોઈ પણ આવશે તો એનું ઝેર ચુસાઈ જાશે.
હજી આજની તારીખે પણ કોઈ પણ હડકવાથી પીડિત જીવ વછરાજ દાદાની આ જગ્યામાં આવી પહોંચે તો એનો હડકવા શાંત પડી જાય છે.
તેમ જ રણ માં બધે ખારું પાણી છે.જ્યારે દાદા ની આ જગ્યા માં આજે પણ મીઠું પાણી મળે છે.આ જગ્યામાં ધરેલ પ્રસાદ જગ્યાની બહાર લઈ જઈ શકાય નહીં અને જો કોઈ લઈ જાય તો એ પ્રસાદ પથ્થર બની જાય છે.એવા અનેક પરચા દાદા એ રણ માં પુરેલ છે.
રણ માં ક્યારેક કોઈ ભક્ત ભૂલો પડે તો દાદા કોઈ ને કોઈ રૂપ માં પરચો પુરી ને એને માર્ગ બતાવે છે.
રણમાં આવેલ વિરડાનું પાણી ગમે તેવા માંદા પડેલ ઢોરની પીડા મટાડે છે.તેમ જ જો વ્યક્તિ કોઈ અદ્રશ્ય શક્તિથી પીડિત હોઈ તો તે પણ આ પાણી પીવાથી પીડામુક્ત થઈ જાય છે.
રણમાં આવેલ આ જગ્યામાં જ્યાં હીરા ઢોલીની સમાધિ છે ત્યાં હજી આજે પણ કાન રાખીને સાંભળીએ તો બુંગીયો ઢોલ સંભળાય છે.
રણની આ જગ્યામાં વાછડાદાદાને નૈવેધ તરીકે મીઠા ચોખ્ખા ધરવામાં આવે છે.
રણ ની આ જગ્યા આજે પણ લાખો ભક્તજનો દર્શન કરવા આવે છે.
આવા અનેક રણમાં ભૂલેલાને રસ્તો દેખાડ્યો છે. અનેક લોકો ગાયને માટે દાન ધર્મ કરે છે. ત્યાં મંદિર ટ્રસ્ટ તરફથી ટોકન સ્વરૂપ ફી થી ભર પેટ શુદ્ધ ભોજન વ્યવસ્થા છે.રહેવા ધર્મશાળા છે.આ બેટમાં જવા માટે પાકો માર્ગ નથી. ચોમાસમાં વરસાદ અને સરસ્વતી,બનાસ નદીનાં પાણીથી વરસમાં પાંચ થી છ માસ સુધી વહી્કલ જઈ શકતું નથી.ભોમિયા વિના રસ્તો ભૂલી જવાની સંભાવના રહે છે.માટે પોતાનું મોટર વાહન લઇ જાઓ ત્યારે સાથે પેટ્રોલ-ડીઝલ ટાંકી ફૂલ કરીને જવું. સાથે પીવાનું પાણી કે રસ્તો ભૂલી જવાય અને બાળકો સાથે હોય ત્યારે ભૂખે તરસે ના મરે તે માટે પાણી -નાસ્તો લઇ જવો જરૂરી છે.મોબાઈલ ટાવર ઘણી વખત પકડાતો નથી. માટે તે પણ પૂર્તિ તૈયારી સાથે જવું.કેમકે ઉનાળે ઝાંઝવાના નીરથી રણની ભૂમિની દિશા નક્કી થતી નથી.કેમેરો કે મોબાઈલ ફૂલ ચાર્જ કરી લઇ જવો. કેમકે ફોટોગ્રાફી કરવાનો લ્હાવો લુટવા જેવો છે. સાથે જરૂરી દવા લઇ જવી. શિયાળાની અંતમાં સાંજે ઠંડી અને દિવસે ગરમી હોય છે.માટે સન ગ્લાસ ચસ્મા અને કેપ માથે રાખવી જરૂરી છે. કોરધા ગામથી સીધું જવાય છે. પરંતુ પાણી હોવાથી ઘણું અંતર કાપવું પડે છે. બીજો રસ્તો ઝીંઝુવાડાથી નજીક છે.ત્યાંથી વાહનવ્યવહાર વધુ હોય છે.ત્રીજો આડેસરથી અહીં આવી શકાય છે.વાછડાદાદાની કૃપા દૃષ્ટિથી કોઈને તકલીફ થતી નથી.છતાં ભૂલા પડી જવાય અને રાત પડી જાય તો ગભરાયા વગર( બધીજ રાત્રિ રોકાણની વસ્તુ હોય તો ત્યાંજ સૂરજ ઉગતા સુધી રોકાઈ જવું હિતાવહ છે )
બાકી આ જગ્યાએ એક દિવસનો પૂરતો સમય લઇ દાદાનાં દર્શન અને રણ નો અનુભવ કરવા જેવો ખરો. ક્ષિતિજ સુધી વૃક્ષ વગરનો સપાટ પ્રદેશ અને દાદાની આ જગ્યાએ લીલાછમ વૃક્ષ જોઈ કુદરતની આ અલૌકિક પાવન ધરાનાં દર્શન કરવા જેવાં છે.આ ટાપુની જગ્યાએ "વેગડ" ગાયનો વંશવેલો હયાત છે.લગભગ 500 થી વધારે ગાય અને તેનાં વાછરુંનું સુપેરે લાલન પાલન થાય છે.દૂધ વેચતા નથી. યાત્રાળુ માટે છાસ-ચા અને બાકીનું દૂધ વાછરડાઓ માટે હોય છે.હાલ સમાધિ સ્થળે કૂવો છે. જે સિલબંધ છે. જોડે એક ઝરણું છે ત્યાં લોકો હાથ પગ ધુએ છે. ઉત્તર દિશામાં એક સરોવર છે.
(મને લાગે છે કે આટલી માહિતી આ તીર્થ પર જવા વાચક મિત્રોને પ્રેરણારૂપ છે. એકાદ વખત ફેમિલી સાથે અવશ્ય જજો.આભાર )
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)