Kshitij - 28 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 28

તે ફોનમાં રહેલ એક એક પુરાવા અને માહિતી જોતા મારું મગજ જાણે સુન્ન પડી ગયું. દરેક જાણકારી બસ એક વ્યક્તિ તરફ જ ઈશારો કરી રહી હતી. આ બધા પાછળ બીજું કોઈ નહિ પણ શક્તિસિંહ હતો.

જ્યોતિ અહીંથી નીકળીને સીધી વિલાસપુર નહિ પણ એના ગામ ગઈ હતી. ત્યાં તે પોતાના માતા પિતાને મળવા એના ઘરે નહિ પણ ગામમાં રહેલ શક્તિસિંહની હવેલી ગઈ હતી. તેણે ટ્રેનની ટિકિટ તો વિલાસપુરની લીધી હતી પણ વચ્ચેથીજ તે ઉતરી ગઈ હતી.

એના પુરાવા રૂપે રેલ્વે સ્ટેશન ઉપરના અને શક્તિસિંહના ઘર બહાર લગાવેલ કેમેરાના ફૂટેજ તે મોબાઈલમાં હતા. એની સાથે જ્યોતિના મોબાઈલની કોલ ડીટેઇલ જોતા મને જાણવા મળ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી એટલે કે જ્યોતિ જ્યારથી અનુરાગની હોસ્પિટલમાં કામે લાગી ત્યારથી તે સતત શક્તિસિંહના સંપર્કમાં હતી.

મારા ઉપર ગુંડાઓએ હુમલો કર્યો ત્યારે પણ અચાનક શક્તિસિંહ આવી પહોંચ્યો હતો. ધીમે ધીમે મારા મનમાં રહેલ બધી ગાંઠ ઉકલી રહી હતી. અને મારી શંકા સાચી પુરવાર થઇ જ્યારે રાશિ જ્યોતિના માતાપિતાને મળીને પાછી આવી અને મને જણાવ્યું કે જ્યોતિને ડોક્ટર બનાવવા માટે શક્તિસિંહે જ મદદ કરી હતી.

પછી રાશિએ મને આપેલ જ્યોતિના રિપોર્ટ ઉપરથી તેને મારવા ઉપયોગમાં લેવાયેલ રસાયણ વિશે તપાસ કરી ત્યારે શક્તિસિંહે પોતાના ડોક્ટર મિત્ર પાસેથી મંગાવ્યું હતુ તેના પુરાવા પણ મને મળ્યા." આટલું બોલતા સુમેરસિંહ અટક્યા.

અનુરાગ અને રાશિ સુમેરસિંહની વાત સંભાળી એકબીજા સામે જોઈ રહ્યા જાણે આંખો આંખોમાં એકબીજા પ્રત્યે કઈ કેટલીય ગેરસમજો દૂર થઇ ગઈ.

"પણ આ બધું શક્તિસિંહને કરવાની જરૂરત કેમ પડી?" અનુરાગના મનમાં હજુ સવાલો ઉઠી રહ્યા હતા.

"કેમ કે તારા કારણે રાશિના એની સાથેના લગ્ન તૂટી ગયા હતા", સુમેરસિંહ બોલ્યા.

"પણ પિતાજી જ્યોતિ તો અનુરાગ સાથે લગ્ન કરવાની હતી એનાથી અનુરાગ મારાથી આમપણ દૂર થઈ જવાનો હતો, ત્યારબાદ શક્તિસિંહ મારી સાથે લગ્ન કરી શક્યો હોત, તો તેને જ્યોતિને મારવાની શું જરૂર પડી?", રાશિએ પોતાને મુંઝવતો સવાલ કર્યો.

"તે વાતતો મને પણ નથી સમજાતી, અને એટલે જ મે તારા અને શક્તિસિંહના લગ્ન કરવાનું નાટક કર્યું.

"શક્તિસિંહ સાથે તારા લગ્નનનું નાટક કરી મને બે ફાયદા જણાયા, એકતો અનુરાગને અહી બોલાવી તેના મનમાં તારા પ્રત્યે પ્રેમ પાછો જાગૃત કરવો અને શક્તિસિંહને અનુરાગની હાજરીથી ઉશ્કેરી તેનાજ મોંએ તેણે કરેલ ગુનાની કબૂલાત કરાવવી".

"અને તમારો એ પ્લાન એકદમ સફળ પણ થઈ ગયો રાજાજી", ખૂબ પહાડી અને ઊંચો અવાજ સંભાળતા બધાનું ધ્યાન તે તરફ ગયું. ત્યાં દરવાજા આગળ શક્તિસિંહ અને એના માણસો ઊભા હતા.

સુમેરસિંહ કઈ સમજે તે પહેલા જ શક્તિસિંહ અને એના માણસો રૂમમાં ઘુસી આવ્યા અને એક માણસે રાશિને પકડી એના લમણે બંદૂક તાકી દીધી.

"તમારે લોકોએ એજ જાણવું છે ને કે જ્યોતિને કોણે અને કેમ મારી? તો હા સુમેરસિંહનો શક બિલકુલ સાચો છે. આ બધું મેજ કરાવ્યું છે." ખડખડાટ હસતો શક્તિસિંહ જાણે કશું ખોટું કર્યું ન હોય એમ પોતાનો ગુનો કબુલી રહ્યો.

" તારી આ હિમ્મત? હું તો રાશિ સાથે લગ્ન નહોતો કરી રહ્યો, તો તે નિર્દોષ એવી જ્યોતિને કેમ મારી નાખી?" એટલું બોલી અનુરાગ ઉશ્કેરાઈ ગયો અને ક્યારની જાળવેલ ધીરજ ખૂટતા તે શક્તિસિંહને મારવા એની પાસે ગયો.

"મને હાથ લગાડવાનું પણ વિચારતો નહિ, એનું પરિણામ રાશિની લાશ સ્વરૂપે તારી સામે હશે", પોતાની પાસે આવેલ અનુરાગનો હાથ પકડી જોરથી મરોડતાં શક્તિસિંહ બોલ્યો.

"તું મને મારીશ? આપણે તો નાનપણથી મિત્રો છીએ અને તું મને પ્રેમ પણ કરે છે તો તું મને મારવાનો વિચાર કેવી રીતે કરી શકે?" રાશિ બોલી.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)