NARI-SHAKTI - 22 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ- 22 ( સેવિકા જબાલા-મહાન માતા)

નારી શક્તિ, પ્રકરણ- 22, [ સેવિકા (મહાન માતા) જબાલા]

[હેલો ફ્રેન્ડ્સ ! પ્રિય વાચકમિત્રો!! આપ સર્વેને ડો.દમયંતી ભટ્ટ ના નમસ્કાર!!!
નારી શક્તિ પ્રકરણ 21 માં આપણે વીર વનિતા વિશ્પલાની કથા- વૃતાંત જાણ્યું. અનિવાર્ય કારણોને લઈને નારી શક્તિના એપિસોડમાં સમય નો ગેપ પડે છે તે માટે sorry !! આજે હું એવી જ એક અદભુત નારી કથા સેવિકા જબાલાની આપની સમક્ષ લઈને સહર્ષ ઉપસ્થિત થઈ છું. મને આશા છે કે અગાઉના એપિસોડ ની જેમ જ આ વખતે પણ આપના તરફથી પૂરો પ્રતિસાદ અને પ્રેમ મને મળશે એવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભાર !!માતૃભારતી પ્લેટફોર્મ નો પણ ખૂબ ખૂબ આભાર ! કે જેમણે મને આવી સરસ સોનેરી તક આપી! તે માટે માતૃભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર , ધન્યવાદ! ]

પ્રસ્તાવના:-જબાલા એક એવી મહાન નારી છે, જેણે પોતાના પુત્રને ઋષિ સત્યકામ તરીકે છાંદોગ્ય ઉપનિષદમાં સ્થાન અપાવ્યું છે. એકલી માતા પોતાના પુત્રની પરવરિશ કઈ રીતે કરે અને એનું શિક્ષણ તથા કારકિર્દીને કેવી રીતે ઘડે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જબાલા.
નાનકડા એવા સત્યકામ ને બાળપણમાં જ સત્ય ના પાઠ શીખવનાર માતા જબાલા તરીકે માતૃત્વના સ્થાને શ્રેષ્ઠ અને પૂજનીય છે. સત્ય કામના શ્રેષ્ઠ ચારિત્ર્ય ઘડતરમાં માતા જબાલાનો ઋગ્વેદ કાલીન સમાજમાં એક નારી તરીકે શ્રેષ્ઠ ફાળો છે.

જબાલા ની સંપૂર્ણ કથા આ પ્રમાણે છે. ઉપનિષદ યુગમાં સુપ્રસિદ્ધ બ્રહ્મવેતાતરીકે સ્થાન પામનાર ઋષિ સત્યકામ જબાલ ની માતા જબાલા ની કથા છાંદોગ્ય ઉપનિષદ ના ચતુર્થ પ્રપાઠક માં પ્રાપ્ત થાય છે. બાલ્યાવસ્થામાં બ્રહ્મચર્યની ઇચ્છાથી એટલે કે વિદ્યા અભ્યાસ કરવા માટે ગુરુકુળમાં જવાની ઈચ્છા થી જબાલા ના પુત્ર સત્ય કામે પોતાની માતા જબાલા ને સંબોધિત કરી અને વિનંતી કરી કે,
હે પૂજ્ય માતા ! હું બ્રહ્મચર્ય પૂર્વક ગુરુકુળમાં નિવાસ કરવાનું ઇચ્છું છું તો મને બતાવો કે હું ક્યા ગોત્ર વાળો છું?( છાંદોગ્ય ઉપનિષદ મંત્ર 1.)
માતા જબાલાએ ઉત્તર આપ્યો કે હે પુત્ર! તુજે ગોત્ર વાળો છે એ ગોત્ર અંગે હું જાણતી નથી. પેલા હું પતિના ઘરે આવી ત્યારે પતિના ઘરે ઘણા બધા અતિથિઓની સેવા કરવા વાળી પરિચારિકા હતી. પરિચર્યા માં મગ્ન હોવાને કારણે ગોત્ર વગેરે તરફ મારું ધ્યાન ગયું નહીં. તે દિવસોમાં યુવાવસ્થામાં જ્યારે મેં તને પ્રાપ્ત કર્યો ત્યારે તારા પિતા પરલોકવાસી થઈ ગયા હતા તેથી હું એમને પણ પૂછી શકીનહીં એટલા માટે હું જાણતી નથી કે તું ક્યાં ગોત્ર વાળો છે? હું જબાલા નામવાળી છું તો તું સત્યકામ નામ વાળો છે ,એટલે તું તારી જાતને સત્યકામ જાબાલ એવી ઓળખાણ આપજે.(છાંદોગ્ય ઉપનિષદ મંત્ર 2 )
( ગુરુના આશ્રમમાં પ્રવેશ મેળવવા માટે ગોત્ર નું નામ બતાવવું તે જમાનામાં આવશ્યક હતું )
ત્યારે સત્યકામ જાબાલે ગુરુ હારિદ્રુમત સમીપ જઈને માતા દ્વારા કહેવામાં આવેલ વચનોને દોહરાવ્યું. સત્ય કામે ગુરુની સમીપ જઈને પ્રણામ કરીને ( ગુરુ હારિદ્રુમત ગૌતમ) કહ્યું હે ગુરુવર ! હું આપને ત્યાં બ્રહ્મચર્ય પૂર્વક નિવાસ કરવા માટે આવ્યો છું આપની પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઉપસ્થિત થયો છું. મારો સ્વીકાર કરો. (છાંદોગ્ય ઉપનિષદ મંત્ર 3)
ત્યારે ગુરુ ગૌતમ ઋષિએ કહ્યું : હે સૌમ્ય! તું ક્યાં ગોત્ર વાળો છે? સત્ય કામે ઉત્તર આપ્યો ભગવાન ! હું જે ગોત્ર વાળો છું ,તે હું જાણતો નથી. મેં મારી માતા ને પૂછ્યું તો તેમણે ઉત્તર આપ્યો કે પહેલા હું પતિના ઘરે અતિથિઓની સેવા કરવા વાળી પરિચારિકા હતી અને પતિના ઘરે ઘણા બધા અતિથિઓ આવતા હતા સેવામાં મગ્ન હોવાને કારણે ગોત્ર તરફ મારું ધ્યાન ગયું નહીં. જ્યારે મેં તને યુવાવસ્થામાં પ્રાપ્ત કર્યો ત્યારે તારા પિતા સ્વર્ગે સિધાવી ગયા હતા. તેથી હું પૂછી શકી નથી કે તારું ગોત્ર કયું છે ?તેથી હું જાણતી નથી. પરંતુ તું ક્યાં ગોત્ર વાળો છે ? પરંતુ હું જાબાલા નામવાળી છું અને તું મારો પુત્ર છે સત્યકામ. તેથી તું સત્યકામ જાબાલ છે એમ મારી માતાએ મને ઉત્તર આપ્યો. સત્યકામ ના આવા સ્પષ્ટ ઉત્તરથી ગુરુ ગૌતમ ખૂબ જ પ્રસન્ન થયા.
સત્યકામ ની આ સત્યનિષ્ઠા ને કારણે પ્રભાવિત થયેલા ગુરુએ વિચાર્યું કે આવું સ્પષ્ટ ભાષણ કોઈ બ્રાહ્મણેત્તર વ્યક્તિ કરી શકે નહીં. તેથી પ્રસન્ન થયેલા ગુરુએ સત્યકામ ને કહ્યું કે તું સમિધા લઈ આવ, હું તારો ઉપનયન સંસ્કાર કરી દઉં છું. કારણ કે તે સત્ય નો ત્યાગ કર્યો નથી અને મારી સમક્ષ સત્ય બોલવા નું પાલન કર્યું છે. એ વખતમાં દીક્ષા આપતા પહેલા ઉપનયન સંસ્કાર કરવામાં આવતો અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી ત્યારબાદ દીક્ષા આપવામાં આવતી. આમ ગુરુ ગૌતમે સત્યકામ ને બ્રહ્મચર્યની દીક્ષા આપી. (છાંદોગ્ય ઉપનિષદ મંત્ર 4)
ત્યારબાદ ગુરુએ 400 કૃશ થયેલા નબળા અંગો વાળી,દુર્બળ ગાયોને અલગ કાઢી અને કહ્યું કે,હે સૌમ્ય ! તું ગાયો ની પાછળ જા અને એની સેવા કર, ત્યારે સત્યકામે કહ્યું કે ગાયોને લઈ જઈને (એની પાછળ જતા જતા) સત્ય કામે ઉત્તર આપ્યો કે જ્યાં સુધી ગાયો ની 1000 ની સંખ્યા પૂરી નહીં થાય ત્યાં સુધી હું પાછો ફરીશ નહીં અને વર્ષો સુધી વનમાં રહ્યો. જ્યારે ગાયોની સંખ્યા પૂરી થઈ ત્યારે એ ગુરુ સમીપે પાછો આવ્યો.
( છાંદોગ્ય ઉપનિષદ મંત્ર 5 )
[નવમા ખંડમાં સત્યકામ આચાર્ય કુંલમમાં પાછો ફરે છે.]
સત્યકામ જેવો આચાર્ય કુલમાં ,આશ્રમમાં પાછો ફર્યો કે તરતજ આચાર્યએ કહ્યું: સત્યકામ! સત્યકામે હાથ જોડીને કહ્યું : હા ભગવન્ , (છાંદોગ્ય ઉપનિષદ નવમો ખંડ ,મંત્ર- 1)
હે સૌમ્ય ! તું બ્રહ્મવેત્તા જેવો તેજસ્વી લાગી રહ્યો છે ! તને કોણે ઉપદેશ આપ્યો ? એવું આચાર્ય દ્વારા પૂછવામાં આવતા, સત્યકામે જણાવ્યું કે મને દેવતાઓએ ઉપદેશ આપ્યો છે પરંતુ હવે મારી ઈચ્છા પ્રમાણે આપ પૂજ્યપાદ જ મને વિદ્યાનો ઉપદેશ આપો. કારણકે મેં ઋષિઓ પાસેથી સાંભળ્યું છે કે આચાર્ય દ્વારા જણાવવામાં આવેલી વિદ્યા જ અતિશ્રેષ્ઠતાની પ્રાપ્તિ કરાવે છે. (છાંદોગ્ય ઉપનિષદ મંત્ર-2)

ત્યારે આચાર્ય ગૌતમે સત્ય કામને વિદ્યા નો ઉપદેશ આપ્યો તેમના દ્વારા આપવામાં આવેલો ઉપદેશ એ બિલકુલ દેવોના જેવો વિદ્યાનો ઉપદેશ હતો તેને વિદ્યા પૂર્ણ થઈ ગઈ. (છાંદોગ્ય ઉપનિષદ નવમો ખંડ મંત્ર 3)
આ રીતે એક સામાન્ય પરિચારિકા- સેવિકા જબાલા નો પુત્ર સત્યકામ મહાન બ્રહ્મ વાદી ઋષિ બન્યો. જાબાલ દર્શનોપનિષદ, જાબાલ ઉપનિષદ, જાબાલ્ય ઉપનિષદ, જેવી જાબાલિ ઋષિની જ્ઞાન પરંપરાના વાહક છે. પોતાના પુત્ર ના જીવન ચરિત્ર નિર્માણ માં એમની સત્યનિષ્ઠા ને ભૂમિકા અવિસ્મરણીય છે. વૈદિક સંસ્કૃતિમાં સત્યરૂપી જીવનમૂલ્યોને પ્રસ્થાપિત કરીને જાબાલા એ પોતાના અને પોતાના પુત્રના સત્ય આચરણ થી શ્રેષ્ઠ સ્થાન પ્રતિષ્ઠિત કર્યું છે. ધન્ય માતા જબલા !! જાબાલા એ એક માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થાનું પણ પ્રતિક છે.
[ © and written by dr. Damyanti Harilal Bhatt]