Scam - 18 books and stories free download online pdf in Gujarati

સ્કેમ....18

સ્કેમ….18

(ડૉ.રામને પોતાની ડુપ્લેક્સ પર્સનાલિટી વિશે સીમા દ્વારા ખબર પડે છે. જાનકીનો અને તેની જેઠાણી અનિતા સાથે બાળકોને લઈને ઝઘડો થાય છે. હવે આગળ...)

જાનકીને બેભાન જોઈને ભરત અને તેના પરિવારના લોકો અફરાતફરીમાં તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉકટરે તેને ચેક કરીને કહ્યું કે,

"મગજ પર વધારે પડતાં સ્ટ્રેસ લઈ લેવાથી આવું બન્યું છે. મેં તેમને ઈન્જેકશન આપી દીધું છે અને એમને સવાર સુધીમાં આરામ મળી જશે. તમે લોકો એમને ઘરે લઈ જઈ શકો છો."

"થેન્ક યુ, ડૉકટર."

"આ બહેનના પતિ સાથે મારે વાત કરવી છે. તો પ્લીઝ એ મારી કેબિનમાં આવે."

ભરતે તરત જ કહ્યું કે,

"હું ભરત અને જાનકી મારી વાઈફ છે."

"ઓકે, પ્લીઝ કમ ઈન માય કેબિન."

ભરતે ડૉકટર સાથે તેમની કેબિનમાં ગયો.

"ભરત આમ તો કોઈ મોટી વાત નથી પણ મોટું સ્વરૂપના થાય એ માટે એક વાત તમને જરૂર કહીશ કે આ સ્ટ્રેસનું કારણ તમારે શોધવું જ રહ્યું."

"જી મને કદાચ ખબર છે, જાનકીના સ્ટ્રેસનું કારણ."

"તો મને જણાવી શકશો."

ભરતે ઘરના લોકો નો જાનકી પ્રત્યેનો વહેવાર અને સંતાનમાં માત્ર બે દીકરીઓ છે એટલે મને પણ એવું લાગે છે કે 'એક દીકરો હોત તો અમારો વંશ આગળ ચાલત.' એ બધું જણાવ્યું. ડૉકટરે શાંતિથી સમજાવતાં કહ્યું કે,

"મિ.ભરત તમને એવું નથી લાગતું કે આ આખી વાતમાં જો કોઈ ખોટાં હોય તો તે તમે છો અને ખોટું તમારી પત્ની સાથે થઈ રહ્યું છે અને કરી રહ્યા છો. દીકરી કે દીકરાનો જન્મ થવો એ એકલી સ્ત્રીના હાથમાં તો નથી. અને સંતાનમાં દીકરી હોય કે દીકરો બંને એકસમાન જ છે. પણ આ તમારા વ્યુની વાત છે એટલે વધારે કંઈ નથી કહેતો. પણ એટલું જ કહીશ કે તમારા આવા એટીટયુડના કારણે જ તમારી પત્નીની આવી હાલત છે."

ભરત ચૂપચાપ નજર નીચી કરીને સાંભળી રહ્યો,

"સારું જવા દો વાત. તમારી પત્ની સ્ટ્રેસના કારણે મારા ખ્યાલથી તે ડ્રિપેશનમાં જતી રહી છે. અને એ માટે સાયક્રાટીસની જરૂર છે, જેથી તે પહેલાં જેવા થઈ શકે "

"સાયક્રાટીસ..."

"મિ.ભરત આ કંઈ નવું નથી. જેમ શારીરિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે, એમ જ માનસિક રીતે પણ. અને શારીરિક તકલીફ વખતે ડૉકટરની જરૂર પડે એમ માનસિક સ્વસ્થતા મેળવવા માટે સાયક્રાટીસની. હું તમને બેસ્ટ સાયક્રાટીસ સજેસ્ટ કરું છું, પણ પ્લીઝ આને ઇગ્નોર કર્યા વગર જાનકીને ખાસ ત્યાં લઈ જાવ. તો જ આ પ્રોબ્લેમમાં થી છૂટકારો મળશે."

"જી... સર"

ડૉકટરે એક લેટરમાં ડૉ.રામને પોતાનું ડાયગ્નોસીસ કરેલું લખીને ભરતને આપ્યું. ભરતે બે ત્રણ દિવસ કશ્મકશમાં કાઢયા. આખરે ભરત અને જાનકી તેમની હોસ્પિટલ પહોંચ્યા.

ડૉ.રામે પૂછતાછ શરૂ કરી તો ભરતે જાનકી વિશે, ઘરના લોકો વિશે અને જાનકી પ્રત્યેનો વહેવાર વિશે જણાવી દીધું. ડૉ.રામે ફરીથી પૂછતાં કહ્યું કે,

"તમે બધું તો જણાવ્યું, પણ મિ.ભરત તમે તમારા વિશે તો જણાવ્યું જ નહીં."

"મારા વિશે... શું જણાવવાનું? બીમાર હું નહીં પણ મારી વાઈફ છે."

"આઈ નો મિ.ભરત, પણ મારી લાઈનમાં આજ સુધીના અનુભવોએ મને એ જ શીખવાડયું છે કે પેશન્ટનો ઈલાજ તેના ઘરના લોકો કે કોઈ નજીકનો વ્યક્તિ હોય છે. સાચું કહું તો પેશન્ટ સેન્સીટીવ હોય એટલે એ નેગેટીવીટી એનામાં દેખાય બાકી ઈફેકટ્ડ બીજો હોય છે. તો મિ.ભરત તમે એ જણાવો કે તમારા અને તમારા વાઈફ વચ્ચે રિલેશન કેવા છે?"

"કેવા મીન્સ... સર નોર્મલ દરેકના જેવા હોય તેવા જ છે."

"હમમ.. પણ મારા કહેવાનો મતલબ છે કે બે દીકરીઓ ના જન્મ પછી તમારા વર્તનમાં કંઈક ફરક?"

"એવું કંઈ નથી..."

"જાનકીબહેન... તમને લાગે છે કે આ સાચું બોલે છે?"

જાનકીને કોઈએ અચાનક ઢંઢોળી હોય તેમ ભરતની સામે જોઈ રહી તો ડૉકટરે,

"જુઓ હું તમારી બધી વાત જાણીશ તો જ તમારો ઈલાજ કરી શકીશ. તમારે તમારા દીકરાઓ માટે સારું થવું જ પડશે?"

જાનકીએ તરતજ કહ્યું કે,

"સોરી સર, પણ તમારી ભૂલ થાય છે, મારે દીકરા નહીં પણ દીકરીઓ છે."

"ના, ના જયાં સુધી મને ખબર છે જાનકી તો તમારે બે દીકરાઓ જ છે."

જાનકી આગળ કંઈ બોલે તે પહેલાં જ તેને રોકીને કહ્યું કે,

"મારે ફકત તમને  એટલું જ કહેવું છે કે આ જ વિચારસરણી બદલવાની છે. દીકરો કે દીકરી સંતાન તો સંતાન જ ગણાય, એમાં ભેદભાવ ના કરાય અને એમાંય આજના જમાનામાં, તો પછી તમારે શું કામ કરવો પડે."

"હું નથી કરતી સર, પણ સમાજ કરાવે છે."

"ના સમાજ નહીં, તમારું મન કરાવે છે. અને યાદ રાખો કે તમે પણ કોઈની દીકરી છો. જો તમે જ તમારું સન્માન નહીં કરો તો બીજો કોઈ નહીં જ કરે. અને આજે તો દીકરા કરતાં દીકરી પણ ચડિયાતી હોય છે."

આ સાંભળીને જાનકી રોવા લાગી,

"શું કરું સર? હું તો આ વાત સમજું છું અને મારા પતિને પણ સમજાવવા માંગું છું. પણ તે મારી વાત કે મારા મનની ભાવનાઓને સમજવા તૈયાર જ નથી."

ડૉ.રામે ભરતને કહ્યું કે,

"ભરતજી આ બધું..."

"તો સમાજ થોડી ખોટી વાત કરે કે છોકરીઓ છે એટલે મોટી કરવાની અને પરણાવી સાસરીની શોભા બનાવી દેવાની. એને ઘરમાં બેસાડી ના રખાય તો તેના પર ફિઝુલ ખર્ચ કરીને અમારા ઘડપણ માટે કંઈ નહીં બચાવવાનું, એ કયાંનો ન્યાય?"

"અને એ માટે તમારી દીકરીઓ અને તમારી પત્નીને અન્યાય કરવાનો, બધા આગળ પોતાના હક માટે કે માન માટે અવાજ જ નહીં ઉઠાવવાનો."

"એ તો... એ તો..."

"એ તો શું? તમારી મેન્ટાલીટી એવી છે કે દીકરીઓ ભલે પીસાય, ભલે ના ભણે કે અન્યાય સામે અવાજ ના ઉઠાવે. પણ સમાજ આગળ તો સારી ઈમ્પ્રેશન રાખવી જ જોઈએ. જેથી બને તેટલી જલ્દી પરણાવી શકાય અને તેની જવાબદારીમાંથી છૂટકારો થઈ જાય. આમ પણ તે તો તમારા પર બોજ સમાન છે."

"ના, હું એમ નથી કહેવા માંગતો..."

(શું ડૉકટર ભરતને સમજાવી શકશે? જાનકી તેના ડ્રિપેશનમાં થી બહાર આવી શકશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ.... 19)