Colors - 30 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 30

અગાઉ આપડે જોયું કે હવેલી માંથી જે બુક અને નકશો મળ્યો તેના અનુસાર અરીસા માં જવાનો રસ્તો ખૂલવાનો હતો,જેમાં નીલ, વાહીદ,લીઝા અને રોન જવાના હતા, બધી તૈયારી બાદ હવે બધા એ સમય ની રાહ જોઈ રહ્યા છે.હવે આગળ...
 
લગભગ દસેક મિનિટ વીતી હશે,સૂરજ જાણે થાકી ને જરાવાર આરામ કરવા રોકાયો હોઈ તેમ તેનો તાપ થોડો ઓછો થયો,વાતાવરણ માં નીરવ શાંતિ હતી,દરેકની નજર
ઘડિયાળના કાંટા પર હતી,અને અચાનક અરીસા માંથી તેજપુંજ નીકળ્યો,નીલ,વાહીદ,લીઝા અને રોન અરીસા ની સામે ગોઠવાઈ ગયા,થોડીવાર માં એ તેજ એટલી હદે વધી ગયું કે બધાની આંખો એ પ્રકાશ ના લીધે બંધ થઈ ગઈ, અને બીજી જ ક્ષણે સાવ અંધકાર છવાઈ ગયો..
 
જેવો પ્રકાશ ઓછો થયો રાઘવે જોયું કે તેના મિત્રો અરીસા માં પ્રવેશ કરી ચૂક્યા છે,અને અરીસા માંથી હજી પણ એક નાનું તેજ નું ચક્કર ફરી રહ્યું છે.
 
આ તેજ નો મતલબ શું હોઈ શકે?
 
કદાચ હજી ત્યાં જવાનો દરવાજો ખુલો છે!!
 
રાઘવ હવે પોતાના બાકી રહેલા સાથીઓ સાથે ત્યાં જ બેસી રહ્યો.ધીમે ધીમે ચોતરફ અંધકાર નું રાજ છવાઈ ચૂક્યું હતું.ચંદ્રગ્રહણની અસર હવે વાતાવરણ માં વર્તાઇ રહી હતી,બહાર થોડી ઠંડક વધી હતી.
 
બરાબર મધ્યરાત્રિ એ ચંદ્ર પેહલા થોડો લાલ અને પછી સંપુર્ણ શ્યામ રંગ નો થઈ ગયો હતો,જાણે પુનમ ના ચાંદા ને કોઈની નજર લાગી ગઈ હતી.અરીસા ની બીજી તરફ શું થતું હશે એ કલ્પના બહાર હતું,પણ બધા ના જીવ ઉચાટ માં હતા,અને નજર ઘડિયાળ સામે!!
 
ધીમે ધીમે બધાને ઊંઘ આવવા લાગી,રાઘવ એકલો સામેના અરીસા માં પોતાની પ્રિય પત્ની અને મિત્રો ની રાહ જોતો જાગતો હતો,છેલ્લા બે ચાર દિવસ થી એ અને નીલ સાથે જ આ સમય સુધી જાગતા,પરંતુ આજ પોતે એકલો હોવાનો અહેસાસ થયો.માણસ આ દુનિયા માંથી કશું જ નથી લઇ જવાનો,સિવાય કે સારી ખરાબ યાદો..
 
મૃત્યુ સમયે જો બે વાત યાદ કરી ને તમારા ચેહરા પર સ્મિત આવે તો સમજવું કે જીવન સાર્થક થયું,બાકી દુઃખ અને અફસોસ તો બધાને રેહવાના જ.કોઈ વાત નો સંતોષ થાય તો જીવન સફળ બાકી ઘણા અસંતોષ તો સાથે રેહવાના જ.
 
રાઘવ એકલો પોતાના મિત્રો અને પત્ની ની રાહ માં જાગતો હતો,પરંતુ આજે સામે ના અરીસા માં કોઈ દેખાતું નહતું,રાઘવ ચિંતા માં હતો કે જો સમયચક્ર પૂર્ણ થતાં પેહલા અરીસા માં ગયેલા પાછા ના ફરી શક્યા તો???
 
સાંજના પાંચ ને ચાલીસે શરૂ થયેલું ચંદ્ર ગ્રહણ સવાર સુધી માં પૂર્ણ થશે પરંતુ આ અરીસા નું સમયચક્ર કાલે સાંજે પાંચ ને ચાલીસે પૂર્ણ થશે,પરંતુ શું ત્યાં સુધી માં તેમની યોજના પાર પડી જસે!!ક્યાંક આ લોકો ને અરીસા માં મોકલી ને કોઈ ભૂલ તો નથી કરી ને?એવું કાઈ થયું તો હું વાહીદ અને નીલ ના બાળકો ને કેવી રીતે સંભાળીશ?અને બીજા બધા ને શું જવાબ આપીશ?પણ શું હું પોતે પણ અહીંથી બહાર નીકળી શકીશ?
 
રાઘવ નું મન હવે નકારાત્મક વિચારોથી ભરાવા લાગ્યું હતું,તેનું મન ખોટી મૂંઝવણથી ભરાય ગયું હતું.તે વિચારો માંથી બહાર નીકળવા તે હવેલી ના મુખ્યદ્વાર પાસે આવી ને ઉભો રહ્યો.આકાશ માં પૂર્ણ ચંદ્ર ગ્રહણ નરી આંખે જોઈ શકાતું હતું.
 
અચાનક જ વાતાવરણ બદલવા લાગ્યું,આસપાસ જોરજોરથી હવા ફૂંકાવા લાગી,આસપાસ શિયાળ અને જંગલી પશુઓ ના અવાજ આવવા લાગ્યા,ભારે પવન ને કારણે વૃક્ષો ઝૂલવા લાગ્યો અને તેની પર રહેલા પક્ષીઓ ભાગવા લાગ્ય,દરિયાનું પાણી જાણે હમણાં આકાશ ને આંબી જશે એટલું ઊંચું ઉછળવા લાગ્યું,અને એ મોજા માં રાઘવ ને ક્યારેક નાયરા,તો ક્યારેક નીલ અને જાનવી,અને ક્યારેક વાહીદ અને લીઝા ના ચેહરા દેખાવા લાગ્યા,ઘડીક રોન અને રોઝ નો કાકલૂદી ભર્યો અવાજ સાંભળતો તો ઘડીક બાળકો ની ચીસો જાણે કોઈ તોફાન આવ્યું હોય તેવું વાતાવરણ થઈ ગયું.
 
રાઘવ અંદરથી થરથરી ગયો હતો, તેના કપાળે બીક ના માર્યા પરસેવો બાઝી ગયો,તેને પોતાના બંને હાથ કાન પર રાખી દિધા અને આંખ પણ બંધ કરી દીધી,તેને હવે થોડો અવાજ ઓછો આવતો હતો,તેને આંખ ખોલી વાતાવરણ થોડું શાંત પડ્યું હતું,તે ખૂબ જ થાકી ગયો હોઈ તેવું લાગતું હતું,તે અંદર જવા પાછળ ફરતો જ હતો,ને ત્યાં જ બહાર કોઈના પડછાયા દેખાવા લાગ્યા,રાઘવ વધુ ચિંતા માં પડી ગયો,અત્યારે અહીંયા આવું કોણ હોઈ શકે??
 
ટેન્ટ પર સંદેશો લઇ ને ગયેલા બાકી ના મેમ્બરો ચિંતા માં હતા,બે દિવસ પૂરા થવા આવ્યા પણ હવેલીમાં રહેલા તેમના સાથીઓ ના કોઈ જ સમાચાર નહતા!!અત્યાર સુધીમાં બાળકો સિવાય બધા જ મેમ્બર ને હવેલી પર રહેલા સંકટનો પણ અણસાર આવી ગયો હતો.
 
મિસ્ટર જોર્જ પોતાની સાથે બીજા અમુક મેમ્બર ને લઇ ને નીકળ્યા,જેક અને મેક બંને ત્યાં જ રહ્યા,રસ્તામાં જ દૂર ઉછળતા દરિયાના મોજા જોઈને બધાના મનમાં કશું અઘટિત ઘટયું હોવાની શંકા થવા લાગી.
 
જોર્જ હજી ટેન્ટ થી થોડો જ દૂર નીકળ્યો હતો એટલે પેહલા તેને ત્યાંની સુરક્ષા વિશે વિચાર્યું,પણ તેના આશ્ચર્ય વચ્ચે અહી તો બિલકુલ શાંત વાતાવરણ હતું,તેઓ બધા હવે ત્યાંથી બને તેટલી ઝડપથી હવેલી પહોચવા ઈચ્છતા હતા,એટલે લગભગ બધાએ ત્યાંથી દોટ મૂકી,રસ્તામાં વાતાવરણ ખૂબ જ ભયંકર હતું,બધા મન મક્કમ કરી ને ત્યાં શક્ય તેટલી ઝડપથી પહોંચવાની કોશિશ કરવા લાગ્યા.
 
ઓહ્હો આ ટાપુ ખરેખર કોઈ ભુલભુલામણી છે,જ્યાં રંગો ની વિભિન્નતા ની સાથે હવે ઘટનાઓ માં પણ વિભિન્નતા જોવા મળી રહી છે.કોણ છે હવેલી ની બહાર જેના ઓળા રાઘવે જોયા?અચાનક આવું તોફાન સર્જવાનું શું કારણ હોઈ શકે?શું બીજા મેમ્બર ત્યાં સમયસર પહોંચી શકશે કે પછી કોઈ નવી જ કસોટી તેમની રાહ જોઈ રહી છે.જાણવા માટે વાંચતા રહો...
 
✍️ આરતી ગેરીયા....