Awe of the teacher books and stories free download online pdf in Gujarati

ટીચરનો ધાક

લેખ:- ટીચરનો ધાક
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની






"રિચા, કેમ આટલું બધું તોફાન કરે છે? સ્કૂલમાં આવું કરશે તો તને ટીચર મારશે." એક મહિના પછી રિચા સ્કૂલમાં પહેલી વખત જશે. શહેરની ખ્યાતનામ શાળાનાં જુનિયર કે. જી. માં એનું એડમિશન થઈ ગયું છે.


"રિકી, આ વખતે જો તુ! તારી સ્કૂલમાં આવીને તારા ટીચરને ન કહું તો! કેટલું તોફાન વધી ગયું છે તારું!" રિકી ધોરણ 2માં ભણતો એક હોંશિયાર છોકરો છે. પણ સ્કૂલ અને ટયુશન સિવાય દિવસમાં બીજા બે કલાક વધારાનું નહીં ભણે અને કંઈક બીજી પ્રવૃત્તિ કરે તો એની મમ્મી એને આમ ધમકાવી નાંખતી.


"આ વખતે તારા માર્ક્સ ઓછાં આવે એટલી જ વાર છે, તારા ટીચરને કહી દઈશ કે સ્કૂલ છૂટે પછી એને એક્સ્ટ્રા બેસાડો. જો એ તમે સૉંપેલું કામ ન કરી લાવે તો મારજો એને. ગઈ વખતે પણ માત્ર 87% જ આવ્યાં હતાં. તુ કરે છે શું? માર્ક્સ કેમ કરીને કપાઈ જાય છે આટલા બધા?"


ઉપરનાં સંવાદો શું બતાવે છે? શું શિક્ષક ખરેખર આટલું ભયાનક પાત્ર છે? શું બાળકનું રિઝલ્ટ સુધારવાની કે એનું વર્તન સુધારવાની જવાબદારી માત્ર શિક્ષકોની છે? ફી ભરી દેવાથી વાલીઓની જવાબદારી પૂરી થઈ જાય છે? તો પછી શા માટે કહેવાય છે કે, "એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે."?


ઉપરોક્ત સંવાદો એ સીધેસીધી રીતે શિક્ષકની પ્રતિષ્ઠા પર હુમલો છે. બાળકને શિક્ષકના નામ પર ધમકી આપવાને બદલે શિક્ષકની વાતો પર ધ્યાન આપતાં શીખવવું જોઈએ. શિક્ષક તો પ્રયત્ન કરે જ છે, પણ વાલીઓ તરફથી પણ બાળકનાં મનમાં શિક્ષકો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થાય એવું વર્તન થવું જોઈએ.


અમુક અપવાદોને બાદ કરતાં કોઈ પણ શિક્ષક પોતાનાં વિદ્યાર્થીઓને મારવાની કે ધમકાવવાની ઈચ્છા ક્યારેય રાખતાં નથી. એ તો પ્રેમથી પોતાનાં જ્ઞાનથી બાળકને સુસંસ્કૃત કરવા માંગે છે. પરંતુ જો બાળકનાં ઘરે જ બાળકનાં મનમાં શિક્ષકની આવી છાપ ઊભી કરવામાં આવે તો એ બાળક ક્યારેય શિક્ષકને પ્રેમથી જોશે નહીં.


શું દરેક વાતમાં 'ટીચરને કહી દઈશ' કર્યા રાખે છે વાલીઓ? શું એમનાથી એમનું પોતાનું બાળક પણ નથી સચવાતું? એને માટે પણ શિક્ષક જોઈએ છે? શાળામાં કેટકેટલી સવલતો મળતી હોય તો પણ વાલીઓને કંઈક તો ખૂટતું જ હોય છે. શા માટે? બાળકને માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નથી આપવાનું હોતું, શિક્ષકે એનું ઘડતર કરવાનું હોય છે. જેટલી સુવિધાઓ વધારે મળે એટલું બાળક પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા ઓછી ધરાવે.


થોડી કસરત કરવા દેવી, થોડું ટીચર ક્યારેક તમને બાળક માટેની કોઈ સૂચના આપે તો એને સાંભળીને શક્ય એટલી શિક્ષકને મદદ કરવી જોઈએ. આગળ કહ્યું એમ કે અમુક શિક્ષકોને બાદ કરતાં મોટા ભાગે તો શિક્ષકો બાળકોનાં હિતેચ્છુઓ જ હોય છે.


ત્રીજા સંવાદ પ્રમાણે જો વાલીને બાળકનાં 87% ઓછાં પડતાં હોય તો બાળકની ફરીયાદ શિક્ષકને નહીં બાળકે વાલીની વધારે પડતી અપેક્ષાની ફરિયાદ કરવાની જરૂર છે. હું પણ એક ટીચર જ છું અને આવા બધાં કિસ્સાઓ મારે માટે રોજનાં છે. કંઈ જ નવા નથી.


મારા અનુભવ અને અવલોકન પરથી મને એટલું સમજાયું છે કે બાળકને જ્યાં સુધી એનાં માતા પિતા કે અન્ય કોઈ માધ્યમ તરફથી શિક્ષક પ્રત્યે વિરૂદ્ધ વલણ દાખવવાનાં બીજ મનમાં રોપવામાં ન આવે ત્યાં સુધી બાળક પોતાનાં શિક્ષકને પ્રેમ કરે જ છે. મેં તો કેટલીય વાર અનુભવ્યું છે કે બાળક ઘરની સ્થિતિની ચર્ચા પણ શિક્ષકો સાથે કરે છે. એમનાં માટે શિક્ષકો એક વિશિષ્ટ વ્યક્તિ જ હોય છે.


જેટલું સન્માન વાલીઓ શિક્ષકોને આપે અને વાલીઓ જેટલાં શિક્ષકોને સમજવાનો પ્રયત્ન કરશે અને ખાસ તો પોતાની મહેચ્છાને બદલે બાળકની મર્યાદા સમજીને એને ટીચરને કહી દેવાની ધમકી નહીં આપશે તો ચોક્કસથી જ બાળક, વાલી અને શિક્ષકો વચ્ચેનો સેતુ મજબૂત બનશે. ઉપરાંત એક હકારાત્મક વાતાવરણ ઉભું કરી શકાશે.


આભાર.


સ્નેહલ જાની