Graam Swaraj - 26 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 26

૨૬

ગ્રામસંરક્ષણ

શાંતિસેના

કેટલાક વખત પહેલાં મેં એક એવી શાંતિસેના સ્થાપવાની સુચના કરી હતી કે જેના સૈનિકો રમખાણો-ખાસ કરીને કોમી રમખાણો-ને શાંત કરવામાં પોતાના જાનને જોખમમાં નાખે. એમાં કલ્પના એ હતી કે આ સેનાએ પોલીસનું અને લશ્કરનું પણ સ્થાન લેવું જોઇએ. આ બહુ મોટી ફાળ ભરવા જેવી વાત લાગે છે. એ કલ્પનાની સિદ્ધિ કદાચ અશક્ય નીવડે. છતાં જો મહાસભાને તેની અહિંસક લડતમાં ફતેહ મેળવવી હોય તો તેણે એવી સ્થિતિને શાંતિમય ઉપાયોથી પહોંચી વળવાની શક્તિ કેળવવી જોઇએ.

એટલે આપણે જોઇએ કે મેં કલ્પેલી શાંતિસેનાના સૈનિકમાં કેવા કેવા ગુણો હોવા જોઇએ.

(૧) એ પુરુષ કે સ્ત્રી સૈનિકમાં અહિંસાને વિષે જીવતીજાગતી શ્રદ્ધા હોવી જોઇએ. ઇશ્વરને વિષે અવિચળ શ્રદ્ધા ન હોય તો અહિંસાને વિષે એવી શ્રદ્ધા હોવી અશક્ય છે. અહિંસક માણસ ઇશ્વરની શક્તિ અને કૃપા વિના કશું કરી શકતો નથી. તેના સિવાય તેનામાં ક્રોધ વિના, ભય વિના અને સામો ઘા કર્યા વિના મરવાની હિંમત નહીં આવે. ઇશ્વર ભૂતમાત્રના હ્યદયમાં વસે છે એને ઇશ્વરના સાન્નિધ્યમાં ભયને માટે અવકાશ જ નથી, એવી આસ્થામાંથી ઉપર કહી એવી હિંમત ઉદ્‌ભવે છે. ઇશ્વરના સર્વવ્યાપીપણાના જ્ઞાનમાંથી, જેમને વિરોધી કે ગુંડા કહી શકાય એવા માણસોના જીવન વિષે પણ આદર ઊપજે છે. રમખાણોમાં વચ્ચે પડવાની જે ધારણા છે એમાં મનુષ્ય પર આસુરી વૃત્તિ સવાર થઇ હોય ત્યારે પ્રકોપને શાંત કરવાની એક ક્રિયા રહેલી છે.

(૨) આ શાંતિદૂતના મનમાં વિશ્વના સર્વ મુખ્ય ધર્મોને વિષે સમાન આદર હોવો જોઇએ. એટલે, જો તે હિંદુ હોય તો તે ભારતવર્ષમાં પ્રચલિત સર્વ ધર્મોને વિષે આદર રાખશે. તેથી દેશમાં ચાલતા ભિન્ન ભિન્ન ધર્મોના સામાન્ય સિદ્ધાંતોનું જ્ઞાન તે મેળવશે.

(૩) સામાન્યપણે આ શાંતિકાર્ય સ્થાનિક માણસો જ પોતપોતાના લત્તામાં કરી શકે.

(૪) આ કામ એકલાથી અથવા તો સમૂહોમાં મળીને કરી શકાય. એટલે કોઇએ સાથીઓને માટે રાહ જોવાની જરૂર નથી. છતાં માણસ પોતાના લત્તામાંથી સાથીઓ મેળવે ને સ્થાનિક સેના તૈયાર કરે એ સ્વાભાવિક છે.

(૫) આ શાંતિદૂત જાતે સેવાકરીને પોતાના લત્તામાં કે પસંદ કરેલા વિભાગમાંના લોકો જોડે સંસર્ગમાં આવશે; જેથી જ્યારે તે તોફાન વખતે આવીને વચ્ચે ઊભો રહે ત્યારે તોફાની ટોળી આગળ પહેલી વાર આવનાર છેક અજાણ્યા માણસ તરીકે દેખા ન દે, અને એ લોકો એને શંકા કે દ્ધેષભાવની નજરે ન જુએ.

(૬) આ શાંતિસ્થાપકમાં અણિશુદ્ધ ચારિત્ર્ય હોવું જોઇએ અને કડક નિષ્પક્ષપણા માટે લોકોમાં તેની ખ્યાતિ હોવી જોઇએ એ કહેવાની જરૂર ન હોય.

(૭) સામાન્ય રીતે તોફાન થવાનાં હોય ત્યારે તેની કંઇક આગાહી અગાઉથી મળી જાય છે. એમ બને તો શાંતિસેના આગ ભડકી નીકળતા સુધી રાહ નહીં જુએ, પણ અગમચેતી વાપરીને પરિસ્થિતિને પહોંચી વળવાનો પ્રયત્ન કરશે.

(૮) આ હિલચાલ ફેલાય તો કેટલાક આખો વખત કામ કરનારા સેવકો હોય એ ઇષ્ટ છે, પણ એવા સેવકો હોવા જ જોઇએ એવું નથી. કલ્પના એવી છે કે જેટલાં સારાં ને સાચાં સ્ત્રીપુરુષો મળે એટલાં ભેગાં કરવાં. જે સ્ત્રીપુરુષો જીવનનાં અનેક ક્ષેત્રોમાં રોકાયેલાં હોય પણ જેમની પાસે પોતાના લત્તામાં રહેતા લોકો જોડે મિત્રાચારીભર્યા સંબંધો બાંધવા જેટલી ફુરસદ હોય અને બીજી રીતે શાંતિસેનાના સભ્યોમાં હોવી જોઇએ એવી લાયકાત હોય એવાં સ્ત્રીપુરુષોમાંથી જો સ્વયંસેવકો અને સેવિકાઓ લેવામાં આવે તો જ કામ બની શકે.

(૯) આ કાઢવા ધારેલી સેનાના સૈનિકોએ એક નોખી જાતનો પોશાક પહેરવો જોઇએ, જેથી કાળે કરીને લોકો તેમને જરા પણ મુશ્કેલી વિના ઓળખતા થઇ જાય.

આ તો માત્ર સામાન્ય સૂચનાઓ છે. અહીં સૂચવ્યું છે એ ધોરણે દરેક મથક પોતપોતાનું બંધારણ ઘડી શકે છે.૧

પોલીસની મર્યાદા

અહિંસક શાસનમાં મર્યાદિત અંશે પોલીસ બળને સ્થાન હશે. એ માન્યતા મારી અપૂર્ણ અહિંસાનું ચિહ્‌ન છે. પોલીસ વિના ચલાવી શકશું એમ કહેવાની મારી હિંમત નથી, જેમ ફોજ વિના ચલાવી લેશું એમ કહેવાની છે. હું અવશ્ય એવી સ્થિતિ કલ્પું છું કે જ્યારે પોલીસની પણ જરૂર ન પડે. પણ એની ખરી ખબર તો અનુભવે જ પડે.

આ પોલીસ પોતે આજની પોલીસથી કેવળ જુદા જ પ્રકારની હશે. તેમાં અહિંસાને માનનારાની ભરતી થશે. તેઓ લોકોના સેવક હશે, સરદાર નહીં. લોકો તેમને મદદ કરતા હશે. અને રોજ ઓછા થતા જતા ઉપદ્રવોને તેઓ અને પોલીસ મળીને સહેજે પહોંચી વળી શકશે. પોલીસની પાસે કંઇક શસ્ત્ર હશે, પણ તેનો ઉપયોગ ભાગ્યે જ થતો હશે. આ પોલીસ ખરું જોતાં સુધારક તરીકે ગણવા જોઇએ. આવી પોલીસનો ઉપયોગ મુખ્યત્વે ચોરડાકુુને પહોંચી વળવા પૂરતો જ હોય. અહિંસક શાસનમાં મજૂર માલિકોના ઝઘડા કવચિત જ થાય, હડતાળો ભાગ્યે જ થાય. કેમ કે અહિંસક બહુમતીની પ્રતિષ્ઠા સહેજે એટલી હશે કે સમાજનાં આવશ્યક અંગો તેશાસનનેમાન આપનારાં હશે. તેમ જ કોમી ઝઘડાઓ પણ એ શાસનમાં ન હોવા જોઇએ.૨

અહિંસક સેવાદળ

એક વખત મારી સૂચનાથી જ શાંતિદળો સ્થાપવાનો પ્રયત્ન થયો હતો. તેને પરિણામે એટલું જ શીખવાનું મળ્યું કે, શાંતિદળો મોટા પાયા પર ન ચાલી શકે. મોટાં દળો ચલાવવાને સારુ સજા નહીં તો સજાનો ધાક હોવો જોઇએ, ને જરૂર જણાયે સજા પણ થાય. એવા હિંસક દળમાં માણસનું ચારિત્ર જોવાપણું નથી રહેતું. માણસનું શરીર જોવાપણું જ હોય છે. અહિંસક દળને વિષે એથી ઊલટું છે. તેમાં શરીરી ગૌણ સ્થાન છે. શરીરી બધું છે, એટલે ચારિત્ર બધું છે. એવી શરીરી આત્માઓને ઓળખવા કઠણ છે,તેથી મોટાં શાંતિદળ ન બની શકે. એ નાનકડાં હોય, ઠેકઠેકાણે હોય, ગામદીઠ હોય કે મહોલ્લા દીઠ હોય. એટલે કે, જે જેટલાને ઓળખતા હોય તેમની જ ટુકડીઓ બનાવે. તે બધા મળીને એક મુખી નીમે. બધાનો દરજ્જો એકસરખો હોય. જ્યાં એકથી વધારે માણસો એક જ જાતનું કામ કરતા હોય ત્યાં એકે બીજાના હુકમ પ્રમાણે વર્તવું જોઇએ. તેમ ન હોય તો સહયોગથી કામ ન થાય. જ્યાં બે કે વધારે શાંતિદળો હોય ત્યાં સહકારથી કામ કરે તો જ તે નભે, ને શોભે.

ઉપર પ્રમાણે શાંતિદળ ઠેકઠેકાણે હોય, તો તેઓ સુખેથી ને સહેલાઇથી કંકાસ થતા અટકાવી શકે. આવાં દળોને અખાડાઓમાં અપાય છે તેવી બધી તાલિમની જરૂર નથી હોતી. એમાં અપાતી કેટલીક તાલિમ લેવી સારી છે, એમ કહી શકાય.

બધાં શાંતિદળોમાં એક વસ્તુ સર્વમાન્ય હોવી જોઇએ. તેને ઇશ્વરમાં અચળ વિશ્વાસ હોય, તે જ ખરો સાથી છે ને તે જ કર્તા છે એવી શ્રદ્ધા હોય. તે વિનાની શાંતિસેના નિર્જીવ માનું છું. ઇશ્વરને અલ્લારૂપે ઓળખો, અહુરમઝદ કહો, જિહોવા કહો, જીવતો કાયદો કહો, રામ કહો, રહેમાન કહો, તે શક્તિનો ઉપયોગ કરવાનો રહ્યો છે. આવો માણસ કોઇને મારશે નહીં,-પોતે મરીને જીતશે, જીવશે.

આ એક કાનૂન જેનામાં જીવંત રૂપ લેશે તેને સમયાનુસાર બુદ્ધિ આપમેળે સૂઝી રહેશે. છતાં કેટલુંક મારા અનુભવમાંથી નિયમરૂપે આપું :

૧. સેવક પોતાની સાથે કશું હથિયાર ન રાખે.

૨. ટુકડીના સભ્ય તરીકે તરત ઓળખાણ પડે એવું એેંધાણ શરીર પર રાખે.

૩. સેવકની પાસે તાત્કાલિક મદદ કરવા આપવા પૂરતાં પાટા, કાતર, નાનકડું ચાકુ, સોય વગેરે હોય.

૪. ઘાયલને સરળતાથી ઉપાડી જવાની તાલીમ તેણે મેળવી હોય.

૫. આગ લાગી હોય તો તે ઓલવવાની કળા, તેમાં દાઝયા સેવકને પ્રવેશ કરવાની કળા, ઊંચે ચડવાની ને ઊતરી આવવાની કળા સેવકને અવગત હોય.

૬. પોતાના લત્તાનાં માણસોની ઓળખાણ કરી લેવી તે તેમની સેવા બરાબર છે.

૭. સેવકે રામનામનો નિરંતર અભ્યાસ રાખવાનો છે, ને જે કરે તેને કરાવવાનો છે.

આપણે પોપટની જેમ રામનામ પઢીએ છીએ ને ફળની આશા રાખીએ છીએ. આ અસત્ય પોતાના જીવનથી સાબિત કરી બતાવવાની શક્તિ સેવકમાં હોવી જોઇએ.૩