Mara Swapnnu Bharat - 31 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મારા સ્વપ્નનું ભારત - 31

Featured Books
Categories
Share

મારા સ્વપ્નનું ભારત - 31

પ્રકરણ એકત્રીસમુ

સ્વદેશીભાવના

સ્વદેશી આપણામાં રહેલી તે ભાવના છે કે જે આપણને આપણી પાસેથી પરિસ્થિતિનો ઉપયોગ કરવા અને તેની સેવા કરવા તથા દૂરની પરિસ્થિતિનો ત્યાગ કરવા પ્રેરે છે. દાખલા તરીકે, મારામાં સ્વદેશીભાવના હોય તો ધર્મના વિષયમાં, મારે મારા બાપદાદાના ધર્મને જ વળગી રહેવું જોઈએ. તેમ કરવાથી હું મારી નિકટની ધાર્મિક પરિસ્થિતિનો ઉપયોગ કરું છું. જો મને તેમાં ખામી જણાય, તો તે દૂર કરીને મારે તેની સેવા કરવી જોઈએ. રાજકીય વિષયમાં મારે દેશી સંસ્થાઓનો જ ઉપયોગ લેવો જોઈએ, અને તેની પુરવાર થયેલી ખામીઓ કાઢી નાખીને મારે તેની સેવા કરવી જોઈે. આર્થિક વિષયમાં મારે મારી પાસે વસનારાઓએ ઉત્પન્ન કરેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ, અને જે ઉધોગમાં ન્યૂનતા જણાય તે દૂર કરી તેને પગભર કરી મારે તેની સેવા કરવી જોઈએ. એમ કહેવામાં આવ્યું છે કે, જો સ્વદેશીભાવના અનુસાર આચરણ કરવામાં આવે, તો સત્યયુગ જલદી આવે...

સ્વદેશીનાં ઉપર વર્ણવાલાં ત્રણ ક્ષેત્રોનો આપણે ટૂંકમાં વિચાર કરીશું. હિંદુ ધર્મ પરંપરાને જાળવી રાખે છે, તેથી કરી તે જબરદસ્ત સત્તાવાળો થયો છે. આમ થવાનું કારણ એ છે કે તેના મૂળમાં સ્વદેશી ભાવના રહેલી છે. તે અત્યંત સહિષ્ણુ છે, કારણ કે તે કોઈ પાસે ધર્મની ફેરબદલી કરાવતો નથી, અને જેમ તેનો વિકાસ ભૂતકાળમાં થતો જણાયો છે તેમ આજે પણ થઈ શકે છે. કેટલાક ખોટી રીતે માને છે તેમ, હિંદુ ધર્મે બૌદ્ધ ધર્મને હાંકી કાઢ્યો નથી, પરંતુ તેણે તે ધર્મને પોતામાં જ મેળવી દીધો છે. સ્વદેશીભાવનાને લઈને હિંદુ પોતાનો ધર્મ બદલવા ના પાડે છે.

તેમ કરવામાં તેની એવી કંઈ ખાસ માન્યતા હોતી નથી કે હિંદુ ધર્મ સર્વોત્તમ ધર્મ છે : પરંતુ, તે જાણે છે કે તે પોતે તેમાં સુધારા દાખલ કરીને તેને ન્યૂનતારહિત બનાવી શકે છે. આ જે મેં હિંદુ ધર્મ વિષે કહ્યું છે તે, હું માનું છું કે, જગતના બીજા મોટા ધર્મોને પણ લાગુ પડે છે, છતાં , એટલું તો ખરું કે, હિંદુ ધર્મની બાબતમાં આમ ખાસ કરીને છે. જે કહેવાને હું મથી રહ્યો છું તે હવે હું જણાવી શકીશ. હિંદમાંની મોટી ધર્મપ્રચારક સંસ્થાઓએ હિંદ માટે જે કંઈ કર્યું છે અને કરે છે તે વાસ્તે હિંદ તેનો બહુ ઋણી છે. પરંતુ, જે મેં કહ્યું છે તેમાં કંઈ સાર હોય તો, આ સંસ્થાઓ ધર્માંતર કરાવવાની પ્રવૃતિ છોડી દઈ માત્ર પરોપકારી કાર્યો ચાલુ રાખે, તો શું તેઓ વધારે ભલું ન કરી શકે અને ખ્રિસ્તી ધર્મનાં મૂળ તત્ત્વની સેવા વધારે સારી રીતે ન કરી શકે ?...

સ્વદેશીભાવનાનું પાલન કરતો હોવાથી હું દેશી સંસ્થાઓ ઉપર મારું લક્ષ આપું છું ; એટલે હું ગ્રામપંચાયતોને જ વળગી રહું છું. હિંદ ખરેખર એક પ્રજાસત્તાક દેશ છે, અને તેને લઈને જ તે અત્યાર સુધી તેના ઉપર કરવામાં આવેલ દરેક પ્રહાર સામે ટકી શક્યું છે. રાજા અને અમીરો, પછી તેઓ હિંદી હો કે પરદેશી હો, તેઓ માત્ર કર ઉઘરાવવાના પ્રસંગ ઉપર વિશાળ જનસમૂહના સંબંધમાં આવતા; અન્યથા તેવું ભાગ્યે જ બનતું. પ્રજા પણ રાજાને રાજાનો ભાગ આપી છૂટતી, અને પછી પોતાની રુચિમાં આવે તેવું ઘણુંયે કરતી. જ્ઞાતિનું વિસ્તૃત બંધારણ પ્રજાની ધાર્મિક જરૂરિયાતો પૂરી પાડતું એટલું જ નહીં, પરંતુ તેની રાજકીય આવશ્યકતાને પણ પહોંચી વળતું. ગ્રામજનો ગ્રામવ્યવહાર જ્ઞાતિબંધારણ દ્વારા ચલાવતા; અને તેનાથી જ તેઓ રાજ્યસત્તાના જુલમની સામે થતા. જે પ્રજા જ્ઞાતિવ્યવસ્થા ઉત્પન્ન કરવા સમર્થ થઈ છે તેમાં વ્યવસ્થા કરવાની અદ્‌ભૂત શક્તિ નથી એમ કહેવું અઘટિત છે. ગયે વર્ષે હરદ્વારમાં ભરાયેલા મોટા કુંભમેળામાં કોઈ ગયું હશે તો તેને જણાતે કે જે વ્યવસ્થાને લીધે દશ લાખ કરતાં પણ વધારે યાત્રાળુઓને, કોઈ પણ દેખીતા પ્રયત્ન વિના, ખોરાક પૂરો પાડવાનું કામ બની શક્યું હતું, તેવી વ્યવસ્થા રચવામાં કેટલી બધી ચતુરાઈ વાપરવામાં આવી હશે. છતાં અમારામાં વ્યવસ્થા કરવાની શક્તિ નથી એમ કહેવાની પ્રથા પડી છે. જેઓને નવા પ્રકારની કેળવણી મળી છે, તેઓ માટે આમ કહેવું, મને લાગે છે કે, અમુક અંશે વાજબી છે.

સ્વદેશીભાવનાના ત્યાગથી અમને બહુ હાનિ પહોંચી છે; તેને લઈને અમારે ભારે મુશ્કેલી વચ્ચે કામ કરવું પડ્યું છે. અમે કેળવાયેલા વર્ગે અમારું શિક્ષણ વિદેશી ભષા મારફત લીધું છે. પરિણામે અમારા જનસમૂહ ઉપર અસર કરી શક્યા નથી. અમે જનસમૂહના પ્રતિનિધિ થવા ઈચ્છીએ છીએ, પરંતુ તેમાં અમે નિષ્ફળ નીવડીએ છીએ. લોકો અંગ્રેજી અમલદારોની જેટલી કદર કરે છે તેના કરતાં અમારી કદર વધારે કરતા નથી. આ બેમાંથી એકે વર્ગ તેઓના અંતરપટ ઉપર સંસ્કાર પાડી શકતો નથી. તેઓની અભિલાષાઓ અમારી અભિલાષા નથી. એટલે અમારી વચ્ચે અંતરાય પડ્યો છે. ખરી રીતે જોતાં તમને જણાશે કે, અમારામાં વ્યવસ્થા કરવાની શક્તિ નથી એમ નથી. પરંતુ પ્રતિનિધિઓ અને જેઓના અમે પ્રતિનિધિ થવા ઈચ્છીએ છીએ તેઓ બંને વચ્ચે સંબંધ નથી. છેલ્લાં પચાસ વર્ષ દરમ્યાન અમને અમારી માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવ્યું હોત, તો અમારા વડીલોને અમારા નોકર-ચાકરોને અમારા પાડોશીઓને અમારા જ્ઞાનનો લાભ મળ્યો હોત. બોઝ (જગદીશચંદ્ર) અને રાય (પ્રફુલ્લચંદ્ર) જેવાની શોધો રામાયણ અને મહાભારતની પેઠે ઘરઘરનો ખજાનો થઈ પડી હોત. અત્યારે તો, તે શોધી પરદેશીઓએ કરેલી શોધો જેટલી જ લોકોને અજાણી છે. વિષય-માત્રનું શિક્ષણ માતૃભાષા દ્વારા આપવામાં આવ્યું હોત, તો હું એમ રહેવા હિંમત કરું છું કે, તેનો વિકાસ આશ્ચર્યકારક રીતે થયો હોત : ગ્રામસુખાકારી અને એવા બીજા પ્રશ્નનો નિવેડો ક્યારનો આવી ગયો હોય;ગ્રામપંચાયતો અત્યારે વિશેષ રીતે જીવંત સંસ્થાઓ બની હોત; અને હિંદ અત્યારે પોતાની પરિસ્થિતિને અનુકૂળ એવું સ્વરાજ્ય ભોગવી રહ્યું હોત, અથવા તો ભોગવવાની તૈયારીમાં હોત; અને તેની પવિત્રભૂમિ ઉપર યોજનાપૂર્વક થતી ખુનામરકી જોવાનો શરમાવનાર પ્રસંગ આવ્યો ન હોત. ભૂલ સુધારવા માટે હજી પણ મોડું થયું નથી.

હવે હું સ્વદેશીનો છેલ્લો ભાગ હાથ ધરું છું. આર્થિક અને ઔધોગિક જીવનમાં સ્વદેશીનો ત્યાગ કરવાથી દેશને હાનિ બહોંચી છે.

લોકોની અત્યંત ગરીબાઈ તેને આભારી છે. હિંદની બહારની એક પણ જણસ વ્યાપાર અર્થે અહીં લાવવામાં આવી ન હોત, તો હિંદ આજે દહીં-

દૂધથી છલકાતૂ ભૂમિ થઈ રહી હોત. પરંતુ તેવું ભાગ્ય જ ન હતું. ઈંગ્લંડે

હિંદ સાથે સંબંધ દેખીતી રીતે કુદ્રષ્ટિથી બાંધ્યો હતો; પરંતુ હવે સંબંધ

ચાલુ રાખવામાં તેની દ્રષ્ચિ તેવી નથી રહી. તેણે પોતાની નીતિ જાહેર કરી છે કે, હિંદીઓના હિત માટે જ તે હિંદને સંભાળે છે. જો આ ખરું હોય, તો લૅકેશાયરે વચ્ચે આવવું નહીં જોઈએ. અને જો સ્વદેશી-સિદ્ધાંત સંગીન હોય, તો લૅકેશાયરને વચ્ચેથી ખસી જવામાં કંઈ નુકસાન નહીં થાય, જોકે ક્ષણભર તો તેને ધક્કો પહોંચવા જેવું લાગશે. વેર લેવાના ભાવથી ઉપાડવામાં આવેલી બૉયકોટની ચળવળ જેવી સ્વદેશી ચળવળ હું લેખતો નથી. હું તો તેને સૌ કોઈને પાળવાના ધાર્મિક નિયમ તરીકે માનું છું. હું અર્થશાસ્ત્રી નથી; પણ મેં એવા કેટલાક ગ્રંથો વાંચ્યા છે, કે જેના ઉપરથી મને જણાય છે કે, ઈંગ્લંડ પોતાને જોઈતી બધી વસ્તુઓ ઉપજાવીને પોતાનું પોષણ કરી શકે એમ છે. આ વાત સાવ હસી કાઢવા જેવી લાગશે. અને તેમાં સત્ય ન હોઈ શકે એનો સૌથી સરસ પુરાવો આ આપવામાં આવશે કે, દુનિયાના સૌથી મોટા આયાત કરનારા દેશો માંહેલો તે એક છે. પરંતુ હિંદ પોતાનો નિભાવ ન કરી શકે ત્યાં સુધી તેને માટે લૅકેશાયર કે પછી બીજા કોઈ દેશની ઉપાધિ કરવી શક્ય નથી. અને પોતાની હદમાં જ પોતાની જરૂરિયાતને પહોંચી વળવા માટે જોઈતી દરેક વસ્તુ તે પેદા કરે, અને તેમ કરવામાં આવે તેને મદદ કરવામાં આવે, તો જ હિંદ પોતાનો નિભાવ કરી શકે. ગાંડી અને નાશકારક હરીફાઈ, જે અંદર અંદર લડાવી મારે છે, જે ખાર અને બીજા અનેક દોષોને પોષે છે, તેના વમળમાં હિંદને પડવાની જરૂર નથી, હિંદે પડવું નહીં જોઈએ. પરંતુ તેના મોટા કરોડાધિપતિઓને દુનિયાની સાથે હરીફાઈમાં ઊતરતાં કોણ રોકી શકશે ?

ખચીત કાયદાથી તેમ થઈ શકશે નહીં. છતાં પ્રજામતનું દબાણ અને યોગ્ય શિક્ષણ મનમાનતું ઘણુંયે કરી શકે એમ છે. સાળનો ઉધોગ મરવા પડ્યો છે.

ગયે વર્ષે મારી મુસાફરી દરમ્યાન જેટલા બને તેટલા વણકરોને મળવા મેં ખાસ પ્રયત્ન કર્યો હતો. તેઓની સંખ્યામાં ઘટાડો થતો જોઈ તથા એક પછી એક કુટુંબને એક વખત આબાદી ભોગવતા આબરૂદાર ધંધામાંથી ફારગ થતા જોઈ, મારું હૈયું પીડાયું હતું.

આપણે સ્વદેશી-સિદ્ધાંતનું પાલન કરતા હોઈએ, તો અમારી અને મારી આ ફરજ છે કે, આપણી જરૂરિયાતો પૂરી પાડી શકે એવા પાડોશી ઓ શોધી કાઢવા જોઈએ, તથા જેઓને તે કામ કરતાં નથી આવડતું તેઓને તે શિખવાડવું જોઈએ. આમ કહેવા ચાણે, હું એમ માની લઉં છું કે, આપણા કેટલાક એવા પાડોશી છે કે જેઓ ઉપયોગી ધંધાની શોધમાં છે.

આમ થશે ત્યારે જ હિંદનું દરેક ગામડું પોષણ અને રક્ષણ માટે પોતા ઉપર જ આધાર રાખતું બનશે, અને જે વસ્તુની સ્થાનિક પેદાશ નહીં જ હોય તેવી જ જણસોની આયાત તથા નિકાસ કરશે. આ બધામાં તમને ઘેલછા જણાશે. ગમે તેમ હો, પણ હિંદ તો ઘેલો દેશ છે. કોઈ માયાળુ મુસલમાન પીવા માટે ચોખ્ખું પાણી આપવા તૈયાર હોય, તોયે તે ન લેતાં તરસ વેઠી પોતાનું ગળું સીકવી નાખવું, એ ગાંડાઈ છે. છતાં હજારો હિંદુઓ મુસલમાનના ઘરનું પાણી પીવા કરતાં તરસથી મરી જવું પસંદ કરે છે. આ જ ઘેલા માણસોને જો એક વખત એવી ખાતરી થઈ જાય કે, તેઓનો ધર્મ

માત્ર હિંદમાં જ બનેલાં કપડાં પહેરવાનો અને હિંદમાં જ ઉત્પન્ન થયેલો ખોરાક લેવાનો છે, તો પછી તેઓ બીજાં કોઈ કપડાં પહેરવાને અથવા બીજો કોઈ ખોરાક લેવાને લલચાશે નહીં.

ભગવદ્‌ગીતામાં એક એવો શ્લોક છે, કે જેનું તાત્પર્ય આ છે, કે લોકો શિષ્ટોને પગલે ચાલે છે. પ્રજાનો વિચારશીલ વર્ગ સ્વદેશીવ્રત અંગીકાર કરે,-જોકે તેમ કરવા જતાં તેને થોડોક વખત ઘણી અગવડ વેઠવી પડે એમ છે,-તો આ દોષ દૂર કરવો સહેલો છે. જીવનની કોઈ પણ પ્રવૃત્તિમાં કાયદો વચ્ચે પડે એ મને ઈષ્ટ નથી. કાયદો ગમે તેવો હોય, તોપણ તે એક પ્રકારનું અનિષ્ટ જ છે. તેમ છતાં, પરદેશી માલ ઉપર કડક આયાતવેરો નાખવામાં આવે, તો હું તેને ચલાવી લઈશ, બલકે વધાવી લઈશ, તેનો બચાવ કરીશ નાતાલના બ્રિટિશ સંસ્થાને, મોરિશિયસ નામના બીજા બ્રિટિશ સંસ્થાનમાંથી આવતી ખાંડ ઉપર જકાત નાખી પોતાના ખાંડના ઉધોગનું રક્ષણ કર્યું હતું. હિંદનો વ્યાપાર હિંદની મરજી ઉપરાંત અરક્ષિત રાખી ઈંગ્લંડે હિંદના સંબંધમાં પ કર્યું છે. તેમ કરવામાં વખતે તેને અમૃત મળ્યું હશે, પરંતુ આ દેશને તો તે ઝેરરૂપ થઈ પડ્યું છે.

ઘણી વાર એમ કહેવામાં આવ્યું છે કે, આર્થિક જીવનમાં તો હિંદ સ્વદેશીનો સ્વીકાર કરી શકે એમ નથી. જેઓ તરફથી આ વાંધો રજૂ કરવામાં આવે છે, તેઓ સ્વદેશીને જીવનના એક નિયમ તરીકે નથી ગણતા. તેઓની નજરે આ કેવળ દેશાભિમાનથી પ્રેરાયેલો પ્રયત્ન છે, અને તેમાં કોઈ પણ જાતનો આત્મત્યાગ કરવો પડે, તો તે છોડી દેવા જેવો છે.

આગળ આપવામાં આવેલાં લક્ષણ પ્રમાણે, સ્વદેશી એક ધાર્મિક નિયમ છે, અને કદી કોઈ વ્યક્તિને શારીરિક અગવડ વેઠવી પડે, તોપણ તેનો વિચાર કર્યા વિના તેનું પાલન કરવાનું છે. અને તેમ કરવા જતાં, એક સોય કે ટાંકણી વાપરવી છોડી દેવી પડે,- કારણ કે આ વસ્તુઓ હિંદમાં નથી બનતી,-તો તેથી આપણને મૂંઝવણ થવી ન જોઈએ. સ્વદેશી વ્રત પાળનાર સેંકડો જણસો, જે આજે તેને જરૂરની જણાય છે, તે વિના ચલાવી લોતાં શીખે છે. વળી, સ્વદેશી ધર્મ પાળવો શક્ય નથી એવી દલીલ કરી જેઓ સ્વદેશી છોડી દે છે તેઓ ભૂલી જાય છે કે, સ્વદેશી તો એક લક્ષ્ય છે જેની પ્રાપ્તિ માટે એકસરખો પ્રયત્ન કરવાનો છે., આપણા દેશમાં મળી શકતી ન હોય એવી વસ્તુઓ માટે હાલ તુરત તો છૂટ મૂકી, અમુક નક્કી કરેલી વસ્તુઓના સંબંધમાં આપણે સ્વદેશીનું પાલન કરીશું, તોપણ આપણે આપણા લક્ષ્ય ભણી જતા થઈશું.

સ્વદેશી સામે રજૂ કરવામાં આવતા વાંધાઓમાં હવે એક જ વાંધાનો વિચાર કરવો બાકી છે. વિરોધીઓ તેને એક અતિ સ્વાર્થી નિયમ તરીકે ગણે છે, અને કહે છે કે, તેને માટે ચડિયાતા નીતિશાસ્ત્રમાં પ્રમાણ નથી. તેઓના મતે તો, સ્વદેશીનું પાલન કરવું એ જંગલી દશા પાછી સ્વીકારવા સમાન છે. હું આ દલીલનું વિસ્તારથી પૃથ્થકરણ કરવા નથી ઈચ્છતો. છતાં હું એટલું જણાવીશ કે, સ્વદેશી એ એક જ એવો સિદ્ધાંત છે કે, જે નમ્રતા અને પ્રેમને અનુકૂળ છે. હું મારા કુટુંબની ભાગ્યે જ સેવા કરી શકતો હોઉં, તેવે વખતે આખા હિંદની સેવા કરવા બહાર પડવા વિચાર કરવો એ મદ જ કહેવાય. હું મારા કુટુંબને જ મારા પ્રયત્નનું લક્ષ્ય બનાવું, અને તેમ કરીને હું એમ માનું કે હું આખા રાષ્ટ્રની સેવા કરું છું, બલકે આખી માણસજાતની સેવા કરું છું, તો તે વધારે સારું કહેવાય.

આમાં જ નમ્રતા છે, આમાં જ પ્રેમ છે. કર્મના સારાસારનો નિર્ણય વૃતિ ઉપરથી કરાય છે. બીજાઓને હું પીડા કરતો હોઉં છતાં, તે ઉપર ધ્યાન આપ્યા વિના, મારા કુટુંબની સેવા કરવી મારે માટે શક્ય છે. જેમ કે, હું એક એવું કામ લઉં કે જેને લઈ હું લોકો પાસેથી પૈસા કઢાવી શકું, અને તેમ કરી હું પૈસાદાર બનું અને પછી કુટુંબની ઘણીયે અઘટતી ઈચ્છાઓ પૂરી પાડું. આમ કરવાથી હું નથી સેવા કરતો કુટુંબની કે નથી કરતો રાજ્યની. અથવા, હું એમ માનું કે મારા તથા જેઓ મારા ઉપર આધાર રાખે છે તેઓના ભરણપોષણ માટે કામ કરવૌ વાસ્તે જ ઈશ્વરે મને હાથપગ આપ્યા છે, તો પછી હું મારું તથા જેઓ ઉપર હું સીધી અસર કરી શકું તેઓનું જીમન એકદમ સાદું કરી નાખું. આમ કરવાથી બીજા કોઈને હાનિ કર્યા વિના હું મારા કુટુંબની સેવા કરું છું. દરેક જણ આવા પ્રકારનું જીવન અંગીકાર કરે, તો આપણું રાજ્ય તરત જ આદર્શરૂપ બને.

બધા આ સ્થિતિએ એક વખતે જ નહીં પહોંચી શકે. પરંતુ આપણામાંથી જેઓને આમાં સત્ય જણાય છે અને જેઓ તેને અમલમાં મૂકે છે, તેઓ તે પુણ્યશાળી દિવસ ક્યારે આવશે તેનો ખ્યાલ અચૂક રીતે કરી શકશે તથા તે જલદીથી આવે એમ કરશે. જીવનરેખા આ પ્રમાણે દોરવાથી, બીજા બધા દેશોને બાતલ કરી હિંદની સેવા કરતો જણાવા છતાં, હું બીજા કોઈ દેશને નુકસાન પહોંચાડતો નથી. મારું દેશાભિમાન વ્યાવર્તક તેમ અભિવ્યાપક છે. મારી જન્મભૂમિની સેવામાં હું મારું ચિત પૂર્ણ નમ્રતાથી પરોવું છું

એટલે તે વ્યાવર્તક છે. પરંતુ મારી સેવા સ્પર્ધા-કે વિરોધ-રૂપે નથી ; એટલે તે અભિવ્યાપક છે. ‘તમારી પ્રવૃતિ એવી રીતે ગોઠવાો કે જેથી તમારા પડોશીને ખલેલ ન પહોંચે.’આ સૂત્ર કેવળ કાયદાનું જ નથીપરંતુ એ તો જીવનનો એક મહાન નિયમ છે. અહિંસા અથવા પ્રેમના યોગ્ય પાલનની એ કૂંચી છે. ૧

સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂવામાં ડૂબી નહીં જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકષ્ટથી જ બની શકે તે પરદેશના દ્વેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશની ધર્મ નથી. સ્વદેશીનો ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહીં. એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી, અહિંસામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.