Andhari Raatna Ochhaya - 55 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૫)

ગતાંકથી....

દિવાકર ધીરે ધીરે ચાલ્યો ગયો.
જુલી ત્યાં ઊભી ઊભી ઘવાયેલી નાગણની માફક ફુફાળા મારવા લાગી.

હવે આગળ....

છેલ્લા બે દિવસથી રાજશેખર સાહેબ શરદીથી પીડાતા હતા.
તે દિવસે સાંજે વ્યોમકેશ ઓચિંતો તેની સમક્ષ
આવી પહોંચ્યો. રાજશેખર સાહેબે પથારીમાં સુતા સુતા પ્રશ્ન પૂછ્યો : "મિ.બક્ષી શી ખબર છે."

વ્યોમકેશ કપાળ પરથી પરસેવાના બિંદુ લુછતો લુછતો બોલ્યો : "એક ડગલું આગળ વધુ છું ત્યાં સાત ડગલા પાછળ હટવું પડે છે. આજના સમાચાર રામલાલ ને લગતા છે. તે હોસ્પિટલમાં હતો ત્યારે એકવાર મેં તેની મુલાકાત લીધી હતી. તે વખતે તે માંદો હોવાથી મેં તેને બહુ વિગત પૂછી નહોતી. આજે સવારમાં હું તેને મળવા ગયો હતો પરંતુ તપાસ કરતાં માલુમ પડ્યું કે તે ત્યાં નથી. હોસ્પિટલમાંથી ભાગી છુટ્યો છે .ભાગી છુટ્યો છે કે કોઈ તેને પરાણે ઉપાડી ગયું છે તે સમજાતું નથી."
"શું કહો છો? "

"જી, મને બાતમી મળી છે .એક મુસલમાન માણસે તેની મુલાકાત લીધી હતી. ત્યારથી તે અતિશય ઉતાવળો બની ગયો હતો."
બરોબર એ જ સમયે નોકરે આવી સાહેબ સમક્ષ એક કાર્ડ રજૂ કર્યું . વ્યોમકેશ બક્ષી એ કહ્યું :" અત્યારે કાર્ડ ! આવી માંદગીમાં..."

નોકરે કહ્યું : "સાહેબ ,મેં એ બાબુને બહુ સમજાવ્યા કે સાહેબ માંદા છે પરંતુ તેઓ કહે છે કે મારી સાથે મુલાકાત થતા સાહેબ તારા પર ગુસ્સે નહીં થાય ,પણ ઉલ્ટા તને બક્ષીસ આપશે .તેઓ કોઇ પણ રીતે......"
રાજશેખર સાહેબે તેને કરડાકીથી કહ્યું : " સારું, સારું, જા તેમને તરત અહીં મોકલ."

વ્યોમકેશ બક્ષી એ પૂછ્યું : " એ બાબુ કોણ છે?"

રાજશેખર સાહેબે કહ્યું : " એમને હું ઓળખતો તો નથી પણ કાર્ડ પરથી જણાય છે કે તેઓ એક મોટી દવાની દુકાનના માલિક છે."

આવનારે અંદર પ્રવેશ કરી રાજશેખર સાહેબને સલામ કરી કહ્યું : " આવી માંદગીના સમયમાં આપની મુલાકાત લઉં છું તે માટે ક્ષમા કરશો .પરંતુ મિ.રાજશેખર મારે આવ્યા સિવાય છૂટકો નહોતો."

રાજશેખર સાહેબ કુતુહલતા થી બોલ્યા : "એવી તે શી જરૂરી વાત હતી?"

નોકર તીક્ષ્ણ દ્રષ્ટિથી આવનાર સામે જોઈ તેની બાજુએ આવી ઉભો રહ્યો.ઓરડામાં થોડી વાર ભારે નિરવતા ફેલાઈ રહી.

આવનારે ખિસ્સામાંથી એક કવર બહાર કાઢી કહ્યું : આજે બપોરે આ પત્ર મારી દુકાને આવ્યો છે પત્ર વાંચી પાછો કવર માં નાખીને મેં દૂર મુક્યો પરંતુ અચાનક મારી નજર એ કવર પર લખેલા લખાણ પર પડી. એટલે જ હું તરત આપની પાસે દોડ્યો આવ્યો છું."

આવનારે પત્ર રાજશેખર સાહેબના હાથમાં આપ્યો. વ્યોમકેશ બક્ષી અને રાજશેખર સાહેબ ઉત્સુક નજરે લખાણ વાંચવા લાગ્યા. કવર પર મોટા મોટા અક્ષરે લીલી શાહીથી અંગ્રેજીમાં લખ્યું હતું કે :
"અત્યંત જરૂરી... આ પત્ર જેમ બને તેમ જલ્દી પોલીસ ખાતા ના વડા મિ.રાજશેખર સાહેબ પાસે લઈ જાઓ... કાંકરેજ નું નોલેજ હાઉસ .....દિવાકર."

લખાણ વાંચી વ્યોમકેશ બક્ષી અને રાજશેખર સાહેબ થોડીવાર સુધી એકએક સામે જોઈ રહ્યા .ત્યારબાદ રાજશેખર સાહેબે આવનારને અભિનંદન આપી કહ્યું : "આપનો ઘણો જ આભાર માનું છું. આ પત્ર ખરેખર અમારા માટે ઘણો જ અગત્યનો છે."

******************************

તે દિવસે રાત્રે..
કાંકરેજ ના નોલેજ હાઉસમાં આવેલા એક વેરાન રૂમમાં દિવાકર હાથ પગ બાંધેલી સ્થિતિમાં પડયો છે .તેની પાસે ડેન્સી ઉભી છે .તેની પણ તેવી જ સ્થિતિ છે‌ સામે ડૉ. મિશ્રા ઉભો છે .પ્રથમ દ્રષ્ટિએ તો તે ઓળખાય તેવો રહ્યો નથી. દુબળો પાતળો ડૉ. મિશ્રા અત્યારે જાડો બની ગયો છે. ડૉ. મિશ્રાએ અતિશય દક્ષિતાથી આદિત્ય વેંગડુ નું રૂપ ધારણ કર્યું છે.

ડૉ. મિશ્રા પાસે નવાબ અલ્લી ઊભો છે .બીજી બાજુએ એક નોકર ઊભો છે રૂમના ખૂણામાં એક ખુરશી પર સિમ્બા બેઠો છે. થોડો દૂર સખત મુદ્રા ધારણ કરી હિંસક દ્રષ્ટિ વાળી જુલી બેઠી છે.

ડોક્ટર મિશ્રા તીવ્ર અવાજે કહે છે :" મિત્રો, આજનો દિવસ ખરેખર આપણા માટે અપશુકનિયાળ છે. આપણી ટોળીમાં આજ સુધી પોલીસ નો એક જાસુસ આપણી વચ્ચે આવી રહ્યો છતાં આપણે તેને ઓળખી શક્યા નહીં. આ વાતનો હું જેમ જેમ વિચાર કરું છું તેમ તેમ મારું લોહી ઉકળી ઉઠે છે .આજે આપણે બધા નવાબ અલ્લી ના ભારે આભારી છીએ. કારણકે તેણે દિવાકરની સાચી ઓળખાણ શોધી કાઢી છે .હવે હું તેને ઓળખી શકું છું .મારા મિત્ર વિશ્વનાથ બાબુ ના ઘેર આ જ માણસ છુપા વેશમાં ડ્રાઇવર બની મને પકડવાનો પ્રયત્ન કરતો હતો. તે વખતે મેં તેને થોડીક મિનિટ નિહાળ્યો હોવાથી આ વખતે હું તેને ઓળખી ન શક્યો. જે બન્યું તે ખરું ! પરંતુ હવે તે ક્યાં જવાનો છે?"

તે એક ક્ષણવાર મૌન રહ્યો. દિવાકર હતાશ અંતરે આજે પોતાની શી દશા થાય છે તેની રાહ જોતો હતો.
ખરેખર ! આ વખતે તેનો છુટકારો થાય તેમ નહોતું.

થોડીવાર બાદ ડૉ.મિશ્રા ફરીથી કહેવા લાગ્યો : "એક જણના પાપથી આજે એક બીજા માણસને પણ શિક્ષા થાય છે. મિસ.સ્મિથ, તમે જો નકામા કુતુહલી થયા ન હોત તો,આમ અમારી વિરુદ્ધ બંડ પોકારી બેઠા ન હોત તો તમને કંઈ પણ શિક્ષા કરવામાં આવત નહીં. પરંતુ હવે તો તમારો પણ છૂટકો નથી .અમે તમારો પણ નિકાલ કરીશું. વિશ્વાસઘાતીઓ પ્રત્યે કોઈ પણ જાતની મમતા દર્શાવવી એ અમારા શાસ્ત્ર વિરુદ્ધ છે. ગેંગ ના દુલ્હન તોડવા માટે તને આકરી સજા થશે જ.દિવાકર, તારે કંઈ પણ કહેવું છે?"

દીવાકર અધીરાઈ થી ત્રાડ પાડી બોલ્યો : " હા, છે .હું કહું છું કે તારો આ લાંબો લવારો બંધ કરી જે કરવાનું હોય તે જલ્દી કર કોની રાહ જુએ છે ?તારી આ ધમકીઓથી ડરે એ આ દિવાકર નહીં!!

ડૉ. મિશ્રા ગુસ્સે થઈ માથું હલાવતો બોલ્યો : "આ કોઈ ભાષણ નથી હમણાં જ તને મારા કહ્યાં ની સાબિતી મળી જશે .તને તો હું એવો તડપાવી તડપાવી ને મારીશ કે તું મોત માટે મારા પગ પકડી આજીજી કરીશ. હવે તારે શું કરવાનું છે તે સાંભળ .આ બે ગ્લાસ મારા હાથમાં છે. તું જુએ છે કે તેમાં કાતિલ ઝેર ભર્યું છે પરંતુ બને ઝેર હળાહળ છતાં તેના ગુણમાં તફાવત છે .એક પ્યાલામાં એવું ઝેર ભેળવેલુ છે કે તે પીધા માંથી તત્કાળ શરીર ની દરેક નસ ફાટી જાય ને મૃત્યુ થાય છે. ત્યારે બીજા પ્યાલા નું ઝેર શરીર માં એટલી પીડા ઉત્પન્ન કરે કે માણસ મોત માટે તરફડીયા મારે .થાકે ત્યા સુધી તરફડીયા માર્યા બાદ મોત આવે છે .દિવાકર મેં તારે માટે આ બીજું ઝેર પસંદ કર્યું છે .તો તારે એ પીવાનું છે હું અંત સુધી તને તડપતો જોઈશ મોતને તું પોતે ત્રાહિ ત્રાહિ પોકારશે ,તારી એ પિડા મને એટલો આનંદ આપશે કે ન પુછો વાત !તારી આ સાથીદાર પણ એ નજરો નજર નિહાળશે અને પછી તારા મૃત્યુ બાદ તેને આ પહેલા પ્રકારના ઝેરનો પ્યાલો આપવામાં આવશે .તું જો તારો આ પ્યાલો તારે હાથે પીવા માગતો ન હોય તો અમે મિસ.સ્મિથને પરાણે એ પ્યાલો પાઈશું.આજે તે તારી નજર સમક્ષ આ કલાકો સુધી તરફડિયા મારશે .મને આશા છે કે તું તારી સુંદર સાથીદારને આવું દુઃખ દેવા માંગતો નહીં હો .નવાબ અલ્લી આ બન્ને બંદીવાનોના હાથ પગ છોડી દો ."

શું ખરેખર દિવાકરનું આટલું ક્રુર મુત્યુ થશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ...
ક્રમશઃ.....