Visamo - 14 books and stories free download online pdf in Gujarati

વિસામો.. 14

~~~~~~~

વિસામો - 14 - 

~~~~~~~

 

ક્યારના જાણીજોઈને બંધાઈ રહેલા ગિરિજાશંકરે હવેલીમાં આવતાની સાથે જ બેકાબૂ થઈને પોતાની સૌથી નજીક ઉભેલી આસ્થા ઉપર હુમલો કર્યો,..   

 

પૂનમ ને એમની તરફ ધસતાં જોઈને વિશાલે પૃથ્વી સામે જોયું,.. 

આગળ આવીને પૃથ્વીએ પૂનમને બાપૂ ની તરફ જતાં રોકી,..

  

વિશાલના હાથમાં રહેલી આર્મી રિવોલ્વરે ઠાકુરના માથામાં એ જ રીતે વાર કર્યો જે એણે આઠ વર્ષ પહેલા કર્યો હતો,...  

 

પૂનમ આશ્ચર્ય સાથે પૃથ્વીને જોઈ રહી, એટલે પૃથ્વીએ એને કહ્યું, "બાપૂએ આસ્થા ઉપર વાર કર્યો છે, બાપૂના આ વાર નો જવાબ આપવાનો હક તારા કરતા વિશાલનો વધારે છે."

 

ઉપરથી પ્રભાતસિંહ અને બાદશાહ આ તમાશો જોયા કરતા હતા..

જે રીતે વિશાલે ઠાકૂર  ઉપર હુમલો કર્યો એક ક્ષણ પૂરતો બાદશાહ ડરી ગયો. એને લાગ્યું વિશાલ ગિરિજા ઠાકુરને ખતમ કરી નાખશે..  એની ધીરજ ખૂટવા લાગી એને બહાર નીકળીને સામે આવી જવાનું મન થઇ આવ્યું.   

 

બરાબર એ જ વખતે વિક્રમસિંહે નજીક જઈને કહ્યું - "બાપૂ, સુધરી જાઓ,... આ કોઈ હજી જાણતા નથી કે શું કાંડ કર્યું છે તમે જૅલમાં, .. " 

 

ગોરલબા સિવાય ત્યાં ઉભેલા બધાજ અચરજ પામી ગયા,..  

 

ગિરિજા ઠાકૂર શરમિંદા થવાને બદલે જોરથી  હસ્યો અને બેશરમીની તમામ સીમાઓ પાર કરતા બોલ્યો, - "ઠાકુર છું  કોઈથી ડરતો નથી,.. તારી ગદ્દારી ની સજા આપવા જ એ કાંડ કરીને તારી સામે આવ્યો છું,.. " 

 

ગોરલબા સામે જોતા ઠાકૂર ગિરિજાશંકરે વિક્રમસિંહને વધારે સંભળાવતા આગળ કહ્યું, "મારુ જ ખાઈને આ ઔરતને વફાદાર થયો,.. ? "

 

વિક્રમસિંહે પણ એ જ રીતે ગોરલબાની સામે આંખમાં આંખ નાખીને ગિરિજા ઠાકુરને જવાબ આપતા કહ્યું, - "આ ઔરત નો વફાદાર છું, એટલે જ તમારો જીવ હજી સુધી સલામત છે. હું તમારો ગુલામ નથી અને મને તમારો ડર નથી. સત્યનો જ પક્ષ લઉ છું હું હંમેશા કારણ કે દરબાર નું લોહી વહે છે મારામાં... ખોખલી ગદ્દારીના કલંકની મને જરાયે પરવાહ નથી,.."  

 

શું થઇ રહ્યું છે એનાથી તદ્દન અજાણ દરેક આ વાર્તાલાપ આશ્ચર્ય સાથે સાંભળી રહયા હતા,.. કોઈને કાંઈ જ સમજાતું નહોતું આ ત્રણેય શું વાતો કરી રહયા છે.. 

 

"અરે જા રે,.. શેનો દરબાર,.. ? એક છોકરી ઉઠાવી ગયો હતો વર્ષો પહેલા, મારા હાથમાંથી,..  દૂધનો ધોયેલો તો તું પણ નથી, દરબાર... " 

 

ઠાકૂર ગિરિજાશંકરની વાત સાંભળીને બાદશાહના કાન સરવા થઇ ગયા,.. 

એના હાથ એની છરી તરફ જઈ વળ્યાં,..

 

આખા દિવાનખંડ માં સન્નાટો છવાઈ ગયો 

પૃથ્વી, પૂનમ, આસ્થા, વિશાલ, પ્રભાતસિંહ,.. કોઈ વિશ્વાસ જ કરી શકતું નહોતું કે વિક્રમસિંહ વર્ષો પહેલા કોઈ છોકરીને ઉપાડી ગયો હતો.

 

ગિરિજાશંકરના મોંમાંથી નીકળેલી આટલી જ વાતથી બાદશાહનો ઠાકુર પ્રત્યેનો ગુસ્સો વિક્રમસિંહ તરફ વળી ગયો જે પ્રભાતસિંહની નજરથી છાનું ના રહ્યું,.. 

 

સાથે સાથે પ્રભાતસિંહને એટલું તો સમજાઈ ગયું કે ઠાકુરને જીવતો પકડવાનો બાદશાહનો આગ્રહ એટલે જ રહ્યો હતો,.. ... આજ તો સવાલ હતો જે બાદશાહને પરેશાન કરી રહ્યો હતો,.. જેનો જવાબ એણે જાણવો હતો,..  

 

પ્રભાતસિંહ પોતે પણ વિચારી રહ્યો  કે જે જવાબ આજ સુધી બાદશાહે ઠાકુર ગિરિજાશંકર પાસેથી જાણવા ઇચ્છયો હતો એ તો ખરેખર એના મામા વિક્રમસિંહ પાસે હતો,..

 

પણ આ બાદશાહનો એ છોકરી સાથે નો શું સબંધ હશે એ સમજવા કરતા પ્રભાતસિંહનું મગજ બીજા ઘણા બધા સવાલોથી ઘેરાઈ ગયું 

કે 

"વિક્રમ મામા કોઈ છોકરી ને ઉપાડી લાવ્યા હતા વર્ષો પહેલા ? "

"ક્યાં હશે એ છોકરી ?"

"કોણ હશે એ છોકરી ?"   

"એમણે આવું હલકું કામ કર્યું હતું ?" 

"એવું શું કારણ હતું કે એમણે કોઈ છોકરીને ઉપાડી લાવવી પડી,.. ?" 

"શું થયું હશે એ છોકરીનું ?"

"એમનામાં અને ઠાકૂરમાં શું ફેર છે?" 

 

હજારો સવાલો પ્રભાતસિંહના જ નહિ બાદશાહ પૃથ્વી પૂનમ આસ્થા અને વિશાલ બધાના મગજમાં ભમી રહ્યા,.. 

 

માત્ર ગોરલબાને શાંત જોઈને ઠાકુરે એક ઔર પાસો ફેંક્યો,.. 

"આ જ ઔરતના કહેવાથી કર્યું હશે તે એવું કાળું કામ,.. અને કેમ ના કરે તું,.. તને પણ મળી રહેતું હશે તારે જે જોઈતું હોય એ,.. સગવડ પ્રમાણે,... તમારે તો મોં કાળા કરવા માટે બહાર જવાની પણ ક્યાં જરૂર હતી,...?"  

 

સટાક દઈને એક થપ્પડ ઠાકૂરને પોતાના ગાલ ઉપર મહેસુસ થઇ આવી,.. 

 

સામે ગોરલબાને જોઈને ઠાકૂર ઔર વિફર્યો,... એક ઔરત આટલા બધાની હાજરીમાં પોતાની ઉપર હાથ ઉપાડે એ કેમનું સહન થાય એનાથી ? એક ઝટકા સાથે પોતાની જાતને ચાર માણસોના હાથમાંથી  છોડાવીને ક્યારની છુપાવી રાખેલું એક ધારદાર ચાકૂ એમણે ગોરાલબા ઉપર ઉઠાવ્યું,.. અને અચાનક બીજી એક છરી ઉપરથી ગિરિજાશંકરના ચાકૂ સાથે ઉઠાવેલા હાથ ઉપર આવીને ભોંકાઈ ગઈ,.. 

 

હાથમાં છુટ્ટી આવીને ભોંકાઈ ગયેલી છરીને લીધે ઠાકુરને એ ચાર માણસોએ ફરીથી કસીને પકડ્યો… 

 

દરેકની નજર એ દિશામાં રહેલા બાદશાહ ઉપર પડી,.. 

 

માત્ર પ્રભાતસિંહ અને વિશાલ જ નહિ પરંતુ વિક્રમસિંહ અને ગિરિજાશંકર પણ બાદશાહને ઓળખતા હતા એ વાતથી બન્નેને નવાઈ લાગી 

 

ગોરલબા એ વિક્રમસિંહ સામે જોયું.. 

આટલા બધાની વચમાં પણ ગોરલબા ના સવાલને અને એમની પ્રશ્નસૂચક નજરને વિક્રમસિંહ સિવાય કોઈ ના સમજી શક્યું.. જે આસ્થાની નજરથી છાનું ના રહ્યું.  

 

"બા,.. બાદશાહ,.." 

વિક્રમસિંહે નીચું જોઈને ગોરલબાને બાદશાહનો પરિચય આપ્યો,.. એ જાણતો હતો કે બાએ માત્ર બાદશાહ નું નામ જ સાંભળ્યું હતું એનો સામનો આજ સુધી થયો નહોતો.. 

 

કોણ છે આ બાદશાહ ? - એ વિચાર સાથે પૂનમ અને પૃથ્વી પણ એકબીજાને જોઈ રહ્યા,.. 

 

બાદશાહે નજીક આવીને ઠાકુરના હાથમાં ભોંકાયેલી છરી કાઢતા કહ્યું,

"મર્દાનગી ઔરતો ઉપર જ ઉતારો છો ઠાકૂર,.. ?" 

 

"હાથ છોડ મારા,.. તને પણ બતાવી દઉં મારી મર્દાનગી,.. " ઠાકૂરે સામે કહ્યું 

 

"ડફોળ છું હું ? મારી બહેન ઈજ્જતની ભીખ માંગીને મરી ગઈ,..  તોયે તેં એને ના છોડી,.. 

એના પતિને પણ નિહથ્થો જ માર્યો હતો તેં,.. તને તો નિહથ્થો મારવામાંયે પાપ નથી. તારી પાસેથી મર્દાનગીના પૂરાવા લેવાની જરૂર છે મારે ? "

 

થોડું અટકીને બાદશાહે આગળ કહ્યું, - "મારી બહેનના મર્યા પછી પણ તું જીવતો હતો માત્ર એની દીકરીના લીધે,.. પરંતુ આજે ખબર પડી કે તું તો જાણતો જ નથી એ ક્યાં છે, હવે તું જીવે કે મરે મને કોઈ ફરક પડતો નથી." બાદશાહે પોતાની કમર ઉપર લટકતી તલવાર ખેંચી અને ગિરિજા ઠાકુર ઉપર ઉગામી.

 

આટલું જોતા જ આસ્થાની ચીસ નીકળી ગઈ,.. "બાદશાહ,.."

ક્રોધથી એનું મોં તાપવા લાગ્યું,.. આંખો લાલ થઇ ગઈ,.. એનાથી એટલું જ બોલાયું, કે - "ઠાકૂર તમારા કરતા વધારે ગોરલબાનો અપરાધી છે,.. એમનું શું કરવું એ નિર્ણય તમે એમના હાથમાંથી ના છીનવો.. " 

પછી અવાજમાં થોડી નરમાશ લાવીને એ બોલી, - "પ્લીઝ... એમનો બહુ મોટો ઉપકાર છે મારા ઉપર.. એમના લીધે જ હું આજે જીવતી છું. " 

 

બાદશાહનો ઠાકૂર ઉપર ઉઠાવેલો હાથ ઢીલો પાડવા લાગ્યો..

આસ્થા ના માત્ર બે જ આંસુએ બાદશાહને આખેઆખો પીગળાવી દીધો.. 

 

બાદશાહે વિશાલના ખભે હાથ મુકતા કહ્યું, - "તારો શ્વાસ હીરાપુરમાં હતો એ પ્રભાત દ્વારા જાણવા મળ્યું હતું,.. મને લાગે છે, કે હવે તો તારી સાથે પણ જાણે નાતો પૂરો થવા આવ્યો છે. અને તારી સાથે પ્રભાત પણ,.. " 

 

બાદશાહે પ્રભાત સામે જોઈને કહ્યું, " હું જાણતો હતો અગર વિશાલ નથી તો તું પણ નથી. મને ખબર હતી હું એક નહિ બે સાથી ગુમાવીશ." 

 

થોડી થોડી વારે મૂંઝાયા કરતો પ્રભાત હવે થોડો લાગણીશીલ થઇ ગયો..  

 

"બાદશાહ,... તમારે ... માટે તો હું કઈ પણ કરી શકું,..  " વિશાલ ભીંજાઈ ગયો,.. 

 

"કશુય કરવાની જરૂર નથી દોસ્ત, તું તારે જીવ તારી રીતે,.. " આસ્થા સામે ફરીને કહ્યું, "આની હારે જીવવું છેને?"  

 

વિશાલ કશું બોલી ના શક્યો,.. 

 

બાદશાહ વિક્રમસિંહ તરફ ફરીને બોલ્યો,

"તમારી બહાદુરી ના કિસ્સા ચરોતર ની બહાર પણ એટલાજ શાનથી સાંભળવા મળતા આવ્યા છે દરબાર.. મારી બહેન ની દીકરી ને ઉઠાવી જનાર વિક્રમસિંહ હત્યારાની સચ્ચાઈ દુનિયા સમક્ષ ના લઇ આવું તો હું બાદશાહ નહિ,.. યાદ રાખજો દરબાર તમારું અસલી રૂપ પણ એટલું જ ચર્ચાશે જેટલી તમારી વફાદારી અને બહાદુરી ચર્ચાતી હતી." 

 

વિશાલ તરફ જોતા બાદશાહે કહ્યું, "રાગિણીની દીકરી માટે તારાથી વધારે યોગ્ય જીવનસાથી કોઈ ના હોઈ શકે એમ વિચારીને હું તને મારી સાથે રાખ્યા કરતો હતો,.. "

 

રાગિણીનું નામ સાંભળતા જ આસ્થાની આંખો વધારે ભીની થઇ ગઈ. આસ્થા ની આંખો માંથી સતત પાણી નીકળી રહ્યા હતા. આજે વર્ષો પછી એનું હૈયું ભરાઈ આવ્યું. 

 

વિક્રમસિંહ બાદશાહની પાસે જઈને એના બન્ને ખભે હાથ મુકતો બોલ્યો,..  

 

"બાદશાહ,... તમારા કોઈ પણ સવાલના જવાબ ઠાકૂર નહિ આપી શકે,... રાગિણીની દીકરી જીવે પણ છે અને સલામત પણ છે,.. મારી દેખરેખમાં જ છે એ,.. હું જ ઉઠાવી ગયો હતો એને,..  ઠાકુરથી બચાવીને,.. " 

 

પછી ગોરલબાની સામે ખૂબજ આદર અને પ્રેમથી જોતા વિક્રમસિંહે બાદશાહને પ્રેમથી કહ્યું, -  "આમના હુકમથી જ મેં એને વિશાલની માંને સોંપી હતી,.. એ પણ આમના કહેવાથી,.. વસુમાંએ ખુબ જ ધ્યાન રાખ્યું હતું એનું,.. બિલકુલ પૂનમની જેમ જ એમણે મોટી કરી છે આને પણ,.. " 

 

વિશાલ અને પ્રભાત ના ચહેરા ઉપર ખુશી ઉભરાઈ આવી,.. 

 

પોતાના માં-બાપ ના મોત નું કારણ આ ગિરિજાઠાકૂર હતો એ વાતનો ખુલાસો આસ્થાને અસહ્ય લાગ્યો. મામા ને મળીને ખૂશ થવું કે માં-બાપ ના હત્યારા ની સામે પડવું,.. એને સમજાતું નહોતું..  માબાપના હત્યારા ઠાકૂર સામે બદલો લેવો કે પોતાને જીવાડનાર ગોરલબા નો આભાર માનવો,.. 

 

એ બાદશાહને વળગી પડી,.. અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી,..

પૂનમ અને પૃથ્વીની  આંખો પણ ભીની થઇ ગઈ,..  

ક્યારના બંધાઈ રહેલા ઠાકૂર ગિરિજાશંકર સિવાયના બધાજ સભ્યો ઘણું બધુંય જાણી ચૂક્યા હતા,...

 

પરોઢ થવાની તૈયારી હતી,..

અચાનક લીલી પોતાના સર્વન્ટ રૂમમાંથી બહાર આવી દરવાજા તરફ જતા જતા ગોરલબા સામે જોઈને બોલી, - "બા પૉલીસ પહોંચી ગઈ છે.."

 

વિક્રમસિંહ સિવાયના બધાજ સ્તબ્ધ થઈને ગોરલબાને જોઈ રહ્યા,..  

ઠાકુર ને એક મિનિટ માટે લીલી ઉપર ગુસ્સો આવી ગયો,.. "આ સાલીને પોલીસ બોલાવ્યા સિવાય કોઈ બીજું કામ નથી કે શું ?" 

 

"યુ આર અન્ડર અરેસ્ટ, ઠાકૂર ગિરિજાશંકર,.. કૉન્સ્ટેબલ ની હત્યા કરી ફરાર થવાના જુર્મ માટે હું તમને ગિરફ્તાર કરું છું,.." પૉલીસ ઑફિસર ના અવાજ સાથે જ એ બહાર આવી ગયું કે ઠાકુરે જેલમાં શું કાંડ કર્યું હતું,.. 

 

આસ્થાને સમજતા જરાયે વાર ના લાગી કે આ વિક્રમસિંહ અને ગોરલબાએ રચેલો પ્લાન હતો,.. 

 

કૉન્સ્ટેબલના હત્યાકાંડનો ફાયદો ઉઠાવી ઠાકૂરને ભાગવા દેવો ..

ઠાકુરનું બદલો લેવા ગરબા સુધી પહોંચવા હવેલીમાં આવવું,..

પ્રભાત દ્વારા ઠાકુરના જેલ તોડીને ભાગવાના સમાચાર બાદશાહ અને વિશાલ સુધી પહોંચાડવા,.. 

પ્રભાતનું બાદશાહને હવેલી સુધી લઇ આવવું,.. 

આસ્થાની સચ્ચાઈ બહાર લાવવી,..  

 

એ પૉલીસ ઑફિસરે વિશાલ તરફ જોઈને કહ્યું,

"થૅન્ક યુ, સાહેબ તમારા તરફથી બાતમી ના મળી હોત તો ઠાકુરે અહીં પણ એક ઔર કાંડ કર્યું હોત,.. " 

 

પોલીસ અને સમાજની  નજરોમાં અચાનક બેદાગ થઇ ગયેલા વિશાલને જોઈને બાદશાહે આસ્થાને કહ્યું, "રોકી લે આને દીકરી,.. ક્યાંય જવા નહિ દેતી આને,.. " 

 

"મામા .... " આસ્થા બાદશાહને વળગીને રડી પડી   

 

વિશાલને સમજાયું નહિ કે પોતાનું નામ દઈને ઠાકુરની ઇંફર્મેશન પોલીસને કોણે મોકલી હતી,.. ?? - ગોરલબાએ, વિક્રમસિંહે કે બાદશાહે…

 

બાદશાહ અને પ્રભાતસિંહ પોલીસ ઓફિસર સાથે કાનૂની કાર્યવાહી કરવા ત્યાંથી નીકળી ગયા,.. 

 

"આસ્થા, વિશાલને લઇ જા દીકરા,.. આરામ કરો,... આવતે મહિને વિધિસર ધામધૂમથી લગ્ન કરી નાખશું તમારા,.. " વિક્રમસિંહે કહ્યું અને પૃથ્વી સામે જોયું, "પૃથ્વી તમે પણ પૂનમને લઇ જાઓ રૂમમાં,..  એમની તબિયત પણ સાચવવાની છે,.." 

 

ધીરે ધીરે બધા વિખરાઈ ગયા,.. 

ગોરલબાએ વિક્રમસિંહ સામે આભારવશ ભાવથી જોયું અને ભીની આંખે પોતાના ઓરડા તરફ જવા લાગ્યા,.. 

 

 

~~~~~~~~~~

 

 

પોતાના ઘરની અગાશીમાં સવારના કૂણાં તડકાને માણતો વિશાલ અધખુલ્લી આંખેજ નીચે રહેલી  આસ્થાને એ જ રીતે જોઈ રહ્યો જેમ એ આઠ વર્ષ પહેલા જોતો હતો. આસ્થા ભીના વાળમાં ટૂવાલ લપેટીને તુલસીક્યારા ની આસપાસ પ્રદક્ષિણા કરતી હતી,.. બિલકુલ એની માની જેમ જ,.. 

 

અગાશીના દાદરા સીધા વરંડામાં જ પડતા હોવાથી એ સીડી ઉતરીને નીચે આવ્યો,..  વિશાલને ઘરની અંદર જતો જોઈને જ આસ્થાએ બૂમ પાડી,..

"વિશુ,..  "

 

"હંમમ,.. " એણે પાછું વળીને જવાબ આપ્યો,.. 

 

"ચપ્પલ,... બહાર કાઢીને જા,... હમણાંજ સફાઈ કરી છે,.. " 

વિશાલ પોતાની માં સાથે આ જ બાબતે ઝઘડતો થોડી ક્ષણો માટે આ જ આંગણામાં પોતાને જોઈ રહ્યો,.. 

 

ઘેનમાં હોવા છતાં, એ સ્માઈલ કરીને ચપ્પલ ઉતારીને અંદર આવ્યો,.. 

આસ્થાને જે રીતે બહાર જોઈને આવ્યો હતો એને ભરોસો થવા લાગ્યો હતો, કે ઈજ્જત નો રોટલો કમાઈ પણ શકાશે અને આસ્થા સાથે ઘર પણ માંડી શકાશે,.. આસ્થાના વિચારો કરતો એ અંદર ની પાટ ઉપર લાંબો થઇ ને સુઈ ગયો,.. 

થોડી વારમાં જ આસ્થા ઘરમાં પ્રવેશી  એની બાજુમાં સરકી આવી,.. 

વર્ષો પછી એજ શાંતિ આસ્થા વિશાલના મોં ઉપર જોઈ શકતી હતી,.. 

એના વાળ માં હાથ ફેરવતી, એના કપાળને ચૂમતી, આઠ વર્ષની દૂરીને પોતાની નજરમાં ભરતી એ વિશાલની બાજુમાં જ પડી રહી,.. 

 

આખી રાતના થાકેલા બન્નેને દિવસ ચઢતા ઊંઘ આવી રહી,..   

 

 

~~~~~~~~