Prem - Nafrat - 92 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૯૨

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૯૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૯૨

રચનાને એ વાત સમજાતી ન હતી કે લખમલભાઈ અહીં આવ્યા છે એ વાત એમના પરિવારથી કેમ છુપાવવા માગતા હશે? પણ એણે પહેલાં આરવ સાથે ફોન પર વાત શરૂ કરી.

રચના? તું ક્યાં છે?’ આરવનો ગભરાયેલો અવાજ આવ્યો.

હું... મારા ઘરે આવી છું. મમ્મીએ બોલાવી હતી. રચનાએ સહજ સ્વરે કહ્યું.

પણ તારો ફોન કેમ બંધ આવતો હતો? તેં મને કહ્યું કેમ નહીં?’ આરવના સ્વરમાં ફરિયાદ હતી.

મને એમ કે તું કોઇની સાથે અગત્યની મીટીંગમાં હશે એટલે તને ખલેલ પહોંચાડવી નથી. પણ પછી અજાણતાં ક્યારે ફોનની સ્વીચ દબાઈ ગઈ અને બંધ થઈ ગયો એનો ખ્યાલ જ ના રહ્યો. હમણાં નજર પડી એટલે ચાલુ કર્યો અને તારો ફોન આવ્યો... તારી મીટીંગનું શું થયું?’ રચનાએ અર્ધસત્ય કહી પૈસાની વ્યવસ્થા થઈ કે નહીં એ ઇશારામાં પૂછ્યું.

તું પાછી આવ એટલે રૂબરૂમાં કહીશ. પણ મમ્મીને કોઈ તકલીફ તો નથી ને? આમ અચાનક બોલાવી છે તો... આરવે ચિંતાથી પૂછ્યું.

ના-ના, કોઈ તકલીફ નથી. હું અહીંથી નીકળીશ એટલે ફોન કરીશ. ચાલ, હું મૂકું છું. કહી રચનાએ ફોન મૂકી દીધો અને પોતાની ઉત્સુકતાને કાબૂમાં રાખી શકી નહીં. એણે લખમલભાઈને પૂછ્યું:પપ્પા, આમ અચાનક અહીં આવવાનું થયું અને એ પણ આ ગેસ્ટ હાઉસમાં કેમ આવ્યા? મમ્મી, એમને ઘરમાં બેસાડવાના હતા ને...?’

બેટા, મેં જ તારી મમ્મીને ના પાડી અને અહીં બેસવાનો આગ્રહ રાખ્યો છે. એનું કારણ પછીથી કહીશ પણ અત્યારે જે વાત કરવા આવ્યો છું એ પહેલાં કહી દઉં... બોલીને એ અટકી ગયા. એમ લાગતું હતું કે વાત લાંબી કરવાના હતા અને શરૂઆત ક્યાંથી કરવી એનો લખમલભાઈને ખ્યાલ આવતો ન હતો.

પપ્પા, શું કોઈ ખાસ વાત છે?’ રચનાએ કુતૂહલ સાથે પૂછ્યું.

મને એક વાતની ખબર પડી છે. એ બાબતે પૂછવું છે. જે હોય એ સાચું કહેજો... શું રણજીતલાલ તારા પિતા હતા?’ લખમલભાઈએ શાંતિથી પૂછ્યું.

લખમલભાઈની વાતથી મીતાબેન અને રચના ચોંકી ગયા. એમને નવાઈ લાગી.

રચનાને થયું કે લખમલભાઈને કેવી રીતે ખબર પડી કે હું રણજીતલાલની પુત્રી છું. એમનાથી બધું જ છુપાવ્યું હતું. એમની સામે ક્યારેય નામ લીધું નથી કે ફોટો પણ બતાવ્યો નથી. એમણે રણજીતલાલ સાથે જે વર્તન કર્યું હતું એની માફી માગવા આવ્યા છે કે શું?

રચના મીતાબેન સામે જોવા લાગી.

મીતાબેને સ્વસ્થ સ્વરે કહ્યું:હા, રણજીતલાલ મારા પતિ અને રચનાના પિતા હતા. તમને આજે ખબર પડી?’

હા, આજે એ સમયની કંપનીમાં કામ કરતો એક માણસ મને મળ્યો ત્યારે એણે રણજીતલાલને યાદ કર્યા. એ એમને સારી રીતે ઓળખતો હતો. એમના પત્ની મીતાબેન અને એમની પુત્રી રચના હોવાની વાત કરી ત્યારે મને ખબર પડી કે એ તમે જ છો. એમની સાથે તો અમારે સારો સંબંધ રહ્યો છે. અમારી કંપનીની પ્રગતિમાં એમનું પણ યોગદાન હતું... લખમલભાઈ વાત કરતાં ગળગળા થઈ ગયા.

એમના મોત પાછળ પણ તમારું યોગદાન હતું નહીં?’ એમ પૂછવાનું રચનાને મન થઈ ગયું.

એ માણસ કોણ હતો જેણે તમને આ વાત કહી છે?’ મીતાબેનને થયું કે વર્ષોથી કંપનીની કોઈ વ્યક્તિ એમના સંપર્કમાં નથી.

રણજીતલાલ એમને ઓળખતા હશે. તમે ઓળખતા ના હોય. કેમકે અમારી કંપનીમાં ઘણા લોકો કામ કરતા હતા જે તમને મળ્યા ના હોય. મને તો આનંદ થયો કે રણજીતલાલની પુત્રી મારા ઘરની પુત્રવધૂ બની છે... લખમલભાઈએ ખુલાસો કર્યો.

સમય અને સંજોગ બધું કરે છે. રચના જ્યારે આરવકુમારને મળી ત્યારે એણે મને કહ્યું હતું કે લખમલભાઈનો પુત્ર છે... મીતાબેને સત્ય કહી દીધું.

પણ તમે લગ્ન નક્કી થઈ ગયા ત્યાં સુધી તમારી ઓળખ કેમ ના આપી? હું તમને ઓળખી ગયો હોત... લખમલભાઈએ કહ્યું.

મને ડર હતો કે અમારા જેવા નાના માણસો સાથે તમે સંબંધ બાંધશો નહીં... મીતાબેને કારણ બનાવીને રજૂ કરી દીધું.

એ વાત ઠીક છે. પણ લગ્ન થઈ ગયા પછી પણ તમે રણજીતલાલનો ઉલ્લેખ ક્યારેય કેમ ના કર્યો?’ લખમલભાઈએ નવાઈથી પૂછ્યું.

મીતાબેન અને રચના માટે આ સવાલ ભારે હતો. એનો જવાબ આપવાનું સરળ ન હતું. રચનાના મનમાં અનેક સવાલ ઘૂમરાઈ રહ્યા હતા. શું એમને ખબર પડી ગઈ હશે કે હું એમને ત્યાં બદલો લેવા આવી છું? એ કોઈ નિર્ણય કરીને અહીં આવ્યા હશે? એ અમારી વાત સાંભળ્યા પછી આરવની સામે અમારી અસલિયત ખુલ્લી પાડવા માગતા હશે? એ ઘરમાં આવ્યા નથી. તો શું અમારી સાથેનો સંબંધ કાપી ચૂક્યા છે?

ક્રમશ: