After retiring books and stories free download online pdf in Gujarati

નિવૃત્ત થયા પછી

“પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ” જેને આ વાક્યનો મર્મ સમજાય તેનું જીવન સદાબહાર બની જાય. આ જીવન એક કલાકારની કૃતિ સમાન દીસે. એક જમાનો હતો જ્યારે ૨૪ કલાકનિ દિવસ  મને નાનો લાગતો હતો, છતાં પણ સમય નથી, એ ફરિયાદ ન હતી. આજે નિવૃતિ કાલમાં ખૂબ સુંદર પ્રવૃત્તિ પામીને  જીવન વેંઢારવું પડે તેવું નથી લાગતું.

સીધી સાદી વાત છે.  ઘર એ ઘરમાં રહેનારનું,’ પ્રતિક’ બની જાય છે. ૨૧મી સદીમાં જ્યાં પતિ અને પત્ની બન્ને ઘર ચલાવવામાં સરખો ફાળો આપતા હોય છે. ત્યારે નિવૃત્ત થયા પછી શું, એ પ્રશ્ન ખૂબ   સહજ લાગે. બન્ને ને થાય હાશ, હવે કાલથી નોકરી પર જવાની ચિંતા નહી ! જુવાનીમાં કુશળતા પૂર્વક સંસાર ચલાવ્યો હોય. બાળકો ઠેકાણે પાડી ગયા હોય. બેંકમાં બન્ને જણને જીવે ત્યાં સુધી ચાલે એટલા પૈસા હોય. અમેરિકામાં તો વળી સોશિયલ સિક્યુરિટી મળે. પેન્શન'વાળાને  પેન્શન મળે. થોડી ઘણી આવક પૈસાનું રોકાણ પૂરું પાડે. પછી નિવૃત્તિ ખરેખર આરામ શાંતિ અને સંતોષ લાવે.

ઘણાને એમ થાય કે પત્નીને ક્યારે નિવૃત્તિ મળશે? તમે તેને શેમાંથી નિવૃત્ત કરવા માંગો છો ? તમારી ચા બનાવવામાંથી? અરે એ તો તમે ભર જુવાનીમાં પણ એને માટે બનાવી પીવડાવતા હતા.  ભૂલી ગયા, શનિવાર અને રવિવાર બેડ ટી પિવડાવી તેને ખુશ રાખવા. એ પ્રેમ પત્ની કઈ રીતે વિસરી જાય?  હવે, તમે ટેબલ પર બધું ગોઠવો ત્યાં તો ગરમા ગરમ ચા અને બટાકા પૌઆ ખાવા પામો. માણી જુઓ લહેજત આવશે. સવારે મોડા ઉઠો કે વહેલાં,શું ચિંતા? હા, પણ થોડી નિયમિતતા સારી.

રસોઈમાં નિવૃત્તિ આપવી હોય તો મદદ કરવા લાગો.  સગવડ હોય તો મહારાજ લાવી આપો. એવા પણ નિવૃત્ત લોકો જોયા છે, પતિ ક્લબમાં પાના રમતો હોય અને પત્ની ભજન કરતી હોય. એમને માટે એક સુંદર ઉદાહરણ આપવાનું મન થઈ જાય છે.

એક પત્નીને અલઝાઈમરની બિમારી હતી. પતિને પણ ઓળખતી નહીં. હવે પતિએ તેને નર્સિંગ હોમમાં મૂકી. રોજ તેની સાથે સવારની ચા સાથે પીવા પહોંચી જાય. એક દિવસ જરા મોડું થયું. તેના મિત્રએ કહ્યું, ‘શું ગાંડાની જેમ દોડે છે. તારી પત્નીને ક્યાં ખબર પડે છે’?

પળનો પણ વિલંબ કર્યા વગર જવાબ આપ્યો, ‘પણ મને તો ખબર પડે છે , તેને સવારની ચા વગર ફાવતું નથી.’ આ કહેવાય પતિ અને પત્નીનો પ્રેમ અને નિવૃત્ત જીવનની મહેક.

બાળકોનો પ્રેમ પામવો. તેમના બાળકોને સમય આવ્યે સાચવવા. તેમની સાથે પોતાનું બાળપણ પાછું આવ્યું હોય તેવો આનંદ લૂંટવા. ખેર, આ બધું તો પ્રવૃત્તિ કરતાં ,કુટુંબ તરફની આસક્તિ  છે. સાચું પૂછો તો હવે અનુકૂળ સમય છે બાકી રહેલા જીવનનો સદુપયોગ કરવાનો. જો કે એ તો જુવાની દરમિયાન થોડો ઘણો કર્યો હશે યા તે તરફ વળાંક હશે તો જીવનને સફળ બનાવી શકાશે. કહેવાય છે,

‘કૂવામાં હોય તો હવાડામાં આવે.’

જો બાળપણમાં માતા પિતા પાસેથી એ સંસ્કાર પામ્યા હોઈએ તો નિવૃત્તિના સમયમાં ખૂબ પ્રવૃત્તિ કરી શકાય, સમાજ ઉપયોગી થાય. આત્માના કલ્યાણ માટે પ્રયાસ થાય. પોતાનું નહી, બની શકે તો બીજાનું ભલું કરવાનું મન થાય. આપણી પાસે સગવડ હોય તો ખાલી કુટુંબનું જ નહીં જરૂરિયાત મંદોને વિચાર આવે.

મારા એક મિત્ર છે. તેમના બાળકો ખૂબ સુખી છે. પતિ અને પત્ની પોતાના નોકરોના, ડ્રાઈવરના અને રસોઈઆના બાળકો માટેની સંપૂર્ણ જવાબદારી લઈ તેને  લાયક બનાવ્યા, ડ્રાઈવરનો દીકરો તો એટલો હોંશિયાર નિકળ્યો અમેરિકા પહોંચી ગયો. નોકરનો દીકરો બેંક મેનેજર થયો. તેને માણસ રાખતા આવડતું હતું. આમ હવે બંને ખૂબ સરસ જીંદગી જીવે છે. તેમણે ‘ગીતા’ પચાવી જાણી હતી. જુવાનીમાં તે બાળકો નાના હતા. જેમ જેમ મોટા થતા ગયા ત્યાં સુધીમાં નિવૃત્તિનો સમય આવી ગયો. પોતાના બાળકોને યોગ્ય ભણતર મળવાથી માતા અને પિતાને સંપૂર્ણ આઝાદી મળી.

હરવા ફરવાના તેમના શોખ પૂરા કરે છે. જીવનમાં શિસ્તને ખૂબ મહત્વ આપે સંયમ ભરી જીંદગી જીવી બંને જણા સર્જનહારનો આભાર માને છે. આવો લ્હાવો દરેકને મળતો નથી એ હકીકત સ્વીકારવી રહી. નિવૃત્તિ દરમિયાન જીવનનું સરવૈયું કાઢવાનો સમય પ્રાપ્ત થાય છે. શાંતિથી બેસીને વિચારવાનો સમય મળે છે કે જીવન જીવ્યા ત્યાં ઉણપ કેવી રીતે રહી ગઈ. જો તે સુધારવાની સુવર્ણ તક મળે તો તેને ઝડપી લેવી. જવાની દિવાની હોય છે તેમાં બે મત નથી. કોઈની સાથે અજુગતું વર્તન થયું હોય આ અન્યાય કરી બેઠા હોઈએ તો તેને સુલઝાવવાનો ઉપાય શોધી શકીએ છીએ. આ કાળ દરમ્યાન ભૂલ કબૂલ કરી માફી માંગવી એ આપણી ઉદારતા દર્શાવે છે.

આ વાળ ધૂપમાં ધોળા નથી થયા હોતાં. ભલેને મહેંદી યા રંગ લગાવી તેનો રંગ છુપાવો પણ અનુભવનું જે અમૃત લાધ્યું છે તેનો સદુપયોગ કરી શકાય. એમાં કોઈ નાનમ નથી કે નીચા જોવાપણું નથી. એ તો સુંદર રીતે જીવન જીવી તેમાંથી ભલે પાઠનું આચરણ છે. ગર્વ લેવા જેવી વાત છે. ગર્વની વાત કરતાં એક વસ્તુ યાદ આવી ગઈ ‘અહં’ને અભેરાઈ પર ચડાવવાની આ સાચો સમય છે. અભિમાન શેના માટે અને શેનું કરવાનું. આજે છીએ કાલે નહી હોઈએ. સહુ સાથે પ્રેમ પૂર્વક વર્તન કરવું. વાણી અને વર્તનમાં સમનતા જાળવવી. આ બધું ગહન છે. વિચાર માંગી લે તેવી વાત છે. અભ્યાસ જરૂરી છે. તેના માટે હવે પૂરતો સમય છે.

‘જે ગમે  જગતગુરૂ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો.

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે ઉદરે એક ઉદ્વેગ ધરવો”

જે પરિસ્થિતિમાં હોઈએ   તેમાંથી સુંદર કેડી કંડારી રાહ બનાવવો.  બેમાંથી એક પણ થયા હોઈએ તો અફસોસ કરવાને બદલે પરિસ્થિતિ સાથે સંધિ કરી લેવી. ‘ચોર્યાસી લાખ અવતાર પછી માનવ દેહ’ મળે છે, તેને વ્યર્થ ન જવા દેવાય. ‘ગીતા’ને ગુરુ માની જીવન જીવવાની ચાવી મેળવવી. આ પૃથ્વી પર સહુ મુસાફર છે. ક્યારે બેગ અને બિસ્તરો બાંધીને ઉપડવું પડશે તેની કોઈને ખબર નથી. સત્કર્મીની બેગ અને સદભાવનાનો બિસ્તરો તૈયાર કરવો પડશે. એક દિવસ ચાલ્યા વગર ચાલી જવું પડશે.  શું સાથે લઈ જવાનું નથી.

આ એટલા માટે ખાસ લખ્યું છે કે નિવૃત્તિના સમય દરમિયાન  થોડી આસક્તિ હળવી થાય. ‘આ જગે બધું મારું છે અને કશું મારું નથી’ . આ તદ્દન વિરોધાભાસ લાગે તેવી વાત છે પણ એમાં સનાતન  સત્ય છુપાયેલું છે. ‘ભજ ગોવિંદમ ભજગોવિંદમ’, થોડું ભજન કરવામાં, સર્જનહારની કૃપા સ્વીકારવામાં પાપ નહી લાગે.

જો કે ચારે ચાર આશ્રમ અતિ ઉત્તમ છે. તેમાં શંકાને સ્થાન નથી. નિવૃત્તિનો સમય તો જીવનનો સંધ્યા કાળ છે. સંધ્યાના રંગ જો માણતા  આવડતા હોય તો નિવૃત્તિનો સમય આહલાદક લાગશે. બાળપણની અધુરી ઈચ્છાઓ, ઈતર પ્રવૃત્તિના શોખ બધું પૂરું કરવાનો સમય છે. બાગ બગીચાનો શોખ હોય તો તમારી કલાને ખિલવો.  આપણામાં છુપાઈને બેઠેલી કળાની લ્હાણી કરવાનો સમય છે. ઘરના બાળકોના ઘડતરમાં બની શકે તો પાયાના પથ્થર બનવા કાળ છે.

પતિ અને પત્ની માટે સુંદર સહવાસ માણવાનો સમય છે. ‘જે હાથે તે સાથે’. કોઈને આપવાની કામના હોય તે પૂરી કરવી. અરે, એક હસવાની વાત છે. મારો એક મિત્ર બજારમાં મળી ગયો.

‘યાર તેં મારો ધક્કો બચાવ્યો’.

‘કેમ’ ?

‘આવતા રવિવારે મારી માતાનું તેરમું છે. ચુરમાના લાડુ, વાલ, બટાટાનું શાક અને ખમણ ઢોકળાના જમણમાં આવજે.’

‘યાર, અફસોસ થયો, તારા માતુશ્રી ક્યારે સિધાવી ગયા?’

‘અરે, યાર શું વાત કરે છે. એ તો ઘરે છે. મારી માને જીવતે જીવ પોતાના પ્રસંગ જોવો છે.’

નિવૃત્ત થયા તેનો અર્થ એમ ન કરશો પ્રવૃત્તિ બધી બંધ થઈ ગઈ !