Aapna Mahanubhavo - 28 books and stories free download online pdf in Gujarati

આપણાં મહાનુભાવો - ભાગ 28 - ડૉ. મોતીબાઈ કાપડિયા

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
ભાગ:- 29
મહાનુભાવ:- ડૉ. મોતીબાઈ કાપડિયા
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





એક જમાનામાં જ્યારે ડૉક્ટરો વિશે બહુ ઓછી ચર્ચા થતી હતી એ સમયમાં મહિલા ડૉક્ટરો વિશેની માહિતિ મળવી તો લગભગ અશક્ય હોય. બહુ જૂજ મહિલા ડૉક્ટરો જાણીતાં છે અથવા તો એમનાં વિશે માહિતિ મળે છે. આવા જ એક જાણીતાં મહિલા ડૉક્ટર કે જે ગુજરાત અને મુંબઈ ખાતેના સૌપ્રથમ ડીગ્રી ધરાવતાં મહિલા તબીબ ગણાય છે, એમનાં વિશે જોઈશું.

આજથી 130 વર્ષ પહેલાં ગુજરાતમાં મહિલા ડૉકટરની કલ્પના કરવી મુશ્કેલ હતી. તે સમયે, જ્યારે સ્ત્રી ઘરની બહાર નીકળી શકતી ન હતી ત્યારે, સ્ત્રીશિક્ષણની તો વાત જ શી કરવી! આવા જમાનામાં, ઓગણીસમી સદીના અંતમાં, ગુજરાતમાં બે સ્ત્રી ડૉક્ટરો આવી વસ્યા અને તેમણે ગુજરાતની મહિલાઓની ખૂબ સેવા કરી. ડૉ. મોતીબાઈ કાપડિયા, જે મોટીબહેન તરીકે આખાય ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં જાણીતા છે, એમણે એટલે કે ગુજરાતના પ્રથમ મહિલા ડૉક્ટરે જાતિવાદ અને અસ્પૃશ્યતાની પણ સારવાર કરી હતી.

આનંદી જોશી ભારતના પ્રથમ મહિલા ડૉક્ટર બન્યા તેના માત્ર ત્રણ વર્ષ પછી ડૉ. મોતીબાઈ કાપડિયા (1867-1930)એ ઈ. સ. 1889માં દવાની ડિગ્રી મેળવી. મોતીબાઈએ પણ સમાજની સેવા કરવાનો પ્રયત્ન કર્યો અને તે ખૂબ જ સમર્પિત રીતે કર્યું.

મોતીબાઈનો જન્મ બોમ્બેના એક સમૃદ્ધ પારસી પરિવારમાં થયો હતો અને તેમનો ઉછેર તે શહેરમાં થયો હતો. ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી પાસ આઉટ થનારી તે પ્રથમ મહિલા હતી. જે વર્ષે તેણીએ ડૉક્ટર તરીકે લાયકાત મેળવી, ઉદ્યોગપતિ રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં મહિલાઓ માટે એક હોસ્પિટલની સ્થાપના કરી. તેમણે મોતીબાઈને હોસ્પિટલ - વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલના વડા તરીકે આમંત્રણ આપ્યું. એમણે ઑફર સ્વીકારી અને પછીના ચાર દાયકા સુધી ત્યાં કામ કર્યું.

તેમના યોગદાન બદલ બ્રિટિશ સરકારે પાછળથી તેમને 'કૈસર-એ-હિંદ' ખિતાબ એનાયત કર્યો.

મોતીબાઈ માત્ર ગુજરાતના પ્રથમ મહિલા ડૉક્ટર જ નહીં, પણ સમાજ સુધારક પણ હતા. ઈ. સ. 1894માં પહેલીવાર એક દલિત મહિલા હોસ્પિટલમાં આવી હતી. તેણીના પ્રવેશ પર, અન્ય દર્દીઓ તરત જ હોસ્પિટલ છોડી ગયા. તેઓએ મોતીબાઈ અને 'રણછોડ રેંટિયો'ને અપશબ્દો અને શાપ પણ આપ્યા. પણ મોતીબાઈ મક્કમ રહ્યા. "આ એક સાર્વજનિક હોસ્પિટલ છે, અને અમે અસ્પૃશ્યતાની પ્રથા સામે મરી ગયા છીએ," આવું મોટીબહેને કહ્યું. સ્ત્રીઓ માટે બીજી કોઈ હોસ્પિટલ ન હતી, અને જે દર્દીઓએ તેમનો બહિષ્કાર કર્યો હતો તેઓ થોડા દિવસોમાં પાછા ફર્યા.

તેમની સલાહ પર, રણછોડલાલની પૌત્રી ચિનુબાઈ બેરોનેટે નર્સિંગ કૉલેજની સ્થાપના કરી. દર્દીઓના સગાઓને રહેવા માટે તેણે એક મકાન પણ બનાવ્યું હતું. એક સદી કરતાં વધુ સમય પછી ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને જાહેર હોસ્પિટલોમાં દર્દીઓના સગાંઓને આશ્રય આપવા માટે આવી સુવિધાઓ ઊભી ન કરવા બદલ ટકોર કરી હતી.

ઈતિહાસકાર મકરંદ મહેતા મોતીબાઈને 20મી સદીમાં તેમના યોગદાન માટે આધુનિક ગુજરાતના આકારકર્તાઓમાંના એક માને છે. બે વધુ મહિલા ડૉક્ટરો - ધનબાઈ વાડિયા (1879-1945) અને ગુલબાનુ મેડોરા (1896-1993) - તેમના મિશનમાં તેમની સાથે જોડાયા.

મકરંદ મહેતા તેમના પ્રકાશિત થયેલા પુસ્તક 'ગુજરાતનાં ઘડવૈયા-ભાગ II'માં લખે છે કે મોતીબાઈના વ્યક્તિત્વની બીજી બાજુ પણ હતી. તેણે ગુજરાત લેડીઝ ક્લબની સ્થાપના કરી. બ્રિટિશ અધિકારીઓની પત્નીઓ, સત્યેન્દ્રનાથ ટાગોર અને શહેરમાં રહેતી ઘણી જાણીતી હસ્તીઓ આ ક્લબની સભ્ય હતી. તેમણે મહિલાઓ માટે પુસ્તકાલય અને ટેનિસ કોર્ટ બનાવવાની પહેલ કરી.

મહિલાઓ ટેનિસ રમવા, સામયિકો વાંચવા, પિકનિક અને સ્ટેજ નાટકો અને સંગીત શોનું આયોજન કરવા દરરોજ ત્યાં એકત્રીત થતી. આ કોઈ એલિટિસ્ટ ક્લબ ન હતી, જમીની વાસ્તવિકતાઓથી દૂર. વાસ્તવમાં, સભ્યોએ સામાજિક કલ્યાણ અને મહિલાઓના ઉત્થાનમાં ઊંડો રસ લીધો હતો.

એક સમયે જ્યારે કોઈ મહિલા સ્ટેજ પર દેખાતી ન હતી અને સ્ત્રીની ભૂમિકા પુરૂષ કલાકારો દ્વારા ભજવવામાં આવતી હતી, ત્યારે મોતીબાઈએ જોયું કે આનંદ ભુવન અને શાંતિ ભુવનમાં ભજવાતા નાટકોમાં મહિલાઓ અભિનય કરે છે.

ગુજરાતમાંથી પ્રથમ સ્નાતક, વિદ્યાગૌરી નિલકંઠે, આ ક્લબ વિશે લખ્યું: "અહીં હિન્દુ, પારસી, ખ્રિસ્તી, મુસ્લિમ અને યહૂદીઓ તમામ ધર્મોની મહિલાઓ હતી અને તેઓ બધા સારી રીતે રહેતાં હતાં."

61 વર્ષની ઉંમરે તેમણે નિવૃત્તિ જાહેર કરી અને ફરીથી મુંબઈ પોતાનાં ઘરે રહેવા જતા રહ્યા. ત્યાં ગયા ને હજુ માંડ એકાદ વર્ષ થયું હશે ને 4 એપ્રિલ 1930નાં રોજ 62 વર્ષની વયે તેમનું નિધન થયું.

હાલનાં સમયમાં પણ તમે અમદાવાદની હોસ્પિટલનાં મેદાનમાં ડૉ. મોતીબાઈનું પૂતળું જોઈ શકો છો. પૂતળાની નીચે એક શિલાલેખ પણ મૂકવામાં આવ્યો છે.

"ડૉ. મોતીબાઈએ ચાલીસ સાલ સુધી સતત સેવેલ સ્તુત્ય સેવાનાં સ્મરણાર્થે, અમદાવાદ અને અન્ય સ્થળોના સજ્જનો તરફથી આ હોસ્પિટલને અર્પણ...સુખ તેને છે જેનાથી સુખ બીજાને છે."


સૌજન્ય:- વિવિધ પુસ્તકો અને ઈન્ટરનેટના વેબપેજ.

આભાર.

સ્નેહલ જાની