Chhappar Pagi - 42 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 42

છપ્પરપગી ( ૪૨ )
——————————-
આશ્રમમાં પરત ફરી બધા પોતાનાં રૂમમાં જઈ ફ્રેશ થઈ તરત ભોજનશાળામાં આવે છે, સિવાય કે અભિષેકભાઈ અને એમના પત્ની… થોડી વાર સુધી રાહ જુએ છે પરંતુ એ બન્નેમાંથી કોઈ જ આવતું નથી. પ્રવિણે ફોન કર્યો તો એ બન્નેના ફોન સ્વીચઓફ બતાવે… પલ એમનાં બ્લોક તરફ જઈને જુએ તો બહાર ડોર પર “ડુ નોટ ડિસ્ટર્બ”…!
અરે… આ શું !? એવુ વિચારીને પલ તરત દોડતી ભોજનશાળામા જઈને બધાને વાત કરે છે… સ્વામીજી રાત્રે ક્યારેય જમતા નથી પણ ભોજનશાળામાં મોટેભાગે હાજર હોય જ… એટલે એ આ વાત સાંભળી પોતાની જગ્યાએ બે ત્રણ ઉંડા શ્વાસ ભરી, આંખ બંધ કરીને બેસી જાય છે… થોડી વાર પછી સ્વામીજીએ કહ્યુ, ‘ ચિંતા ન કરો… એમને બન્નેને કોઈ ગંભીર ચર્ચા કરવા સમય જોઈતો હોય એવું લાગે છે… એમને મેસેજ મુકી દો કે બન્નેનુ ભોજન તૈયાર હશે.. મેસેજ વાંચે ત્યારે આવી જાય.. તમે બધા ભોજન કરી લો… પછી આજે આપણે થોડી વાર કોઈ ચર્ચા વિગરે નહીં કરીએ માત્ર થોડું પ્રભુ ભજન કે નામ સ્મરણ કરીએ…
બાકીના બધાને થોડું અજૂગતું લાગ્યું કે અભિષેકભાઈએ કંઈ જ જણાવ્યાં વગર કેમ આવુ કર્યું પણ એ લોકોએ સ્વામીજીના કહેવાથી ભોજન કરી લીધું અને થોડીવાર નામ સ્મરણ કરી પોતપોતાનાં રૂમોમાં સુવા માટે જતા રહે છે. આશ્રમમાં જ્યારે હવે નિરવ શાંતિ પ્રસરી ગઈ, કોઈ જ ચહલપહલ નથી દેખાતી ત્યારે સ્વામીજી વિશ્વાસરાવજીને ઈશારો કરે છે.
વિશ્વાસરાવજી તરત ઇશારાની એ ભાષા સમજી જાય છે અને ત્વરિત અભિષેકભાઈના રુમ તરફ જઈ.. ડુ નોટ ડિસ્ટર્બ વાળું સ્ટિકર હટાવીને ડસ્ટબીનનાં ફેંકી દે છે.
અને આશ્રમ મનેજમેંટ પાસે દરેક રૂમની જે બીજી ચાવી હોય છે તે વડે હળવેથી અભિષેકભાઈનો રૂમ ખોલી અંદર પ્રવેશે છે…
આ તરફ પ્રવિણ અને લક્ષ્મી બન્ને પોતાના રૂમમાં હળવેથી વાત કરી રહ્યા હોય છે અને એમને અભિષેકભાઈ તથા ભાભીએ વગર જણાવ્યે જમવા ન આવ્યા, દરવાજો બંધ, ફોન પણ બંધ આવી સ્થિતિ એમને સમજાઈ નહી… એટલે પ્રવિણે લક્ષ્મીને પુછ્યુ, ‘આપણે આખો દિવસ આજે ફર્યા તો વચ્ચે તારે કંઈ વાત થઈ હતી..ભાભી સાથે…?’
‘ના… ખાસ કંઈ નહીં પરંતુ ગંગા આરતી પછી તરત મારી જોડે જ આવી ગયા હતા અને આશ્રમ પહોંચ્યા ત્યાં સુધી મારી જોડે જ રહ્યા હતા…વાતો તો સતત ચાલતી જ રહેતી હતી…’
‘શું કહેતા હતા…? ખાસ કંઈ રૂટિન કરતાં અલગ ..?’
‘હા… મને એવું પુછ્યુ હતુ કે તારે અને પ્રવિણને ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય છે ? કોઈ વાત પર હોટ ડિસ્કશન થઈ જાય ? એવું બધુ પુછતા હતા. મેં જણાવ્યું કે એવુ લગભગ ક્યારેય નથી બન્યું. પણ મેં જ્યારે પુછ્યુ કે કેમ તમે આવુ પુછો છો..? તમારે એવુ બને છે તો મને એ વાત ટાળી દીધી કે છેલ્લા પાંચેક વરસથી એવો પ્રશ્ન ઉભો થવાનો અવકાશ જ નથી રહ્યો. પણ પછી એમણે એ વાત બદલી અને પલ માટે હવે શું વિચારો છો એ વાત પર થોડી વાત કરી એટલે મેં પણ આગળ કંઈ જ ન પુછ્યુ.. પણ મને થોડું એવુ તો લાગ્યું કે અચાનક આવુ પુછવાનુ કોઈ કારણ અને હવે તો કોઈ પ્રશ્ન જ નથી એવુ જ્યારે કહ્યુ તો એ એક મોટો પ્રશ્નાર્થ હતો.
પ્રવિણે કહ્યું કે મારે પણ જ્યારે અભિષેકભાઈ સાથે વાત થઈ કે અહી આવવાનું ગોઠવો ત્યારે એમણે પહેલાં એવું જણાવ્યું કે હું એકલો જ આવું… પછી મેં જ્યારે બન્ને માટે ખાસ આગ્રહ કર્યો તો કહ્યુ કે પછી ડિસ્કશન કરીને જણાવું..! મેં ભાભીને પણ અલગથી ફોન કરેલ તો એમણે પણ એવુ કહ્યુ કે અમે મળીશું એટલે બન્ને વાત કરીને જણાવીએ ત્યારે મને પણ થોડું એવુ લાગ્યું કે મળીશું ત્યારે વાત કરીને જણાવીએ..! એવો જવાબ કેમ આપ્યો હશે..! વચ્ચે એક વખત અમેરિકા બિઝનેશ માટે ગયો હતો ત્યારે પણ અભિષેકભાઈએ ઘરને બદલે મોટેલના વ્યવસ્થા કરી હતી અને એકલાંજ મળવા આવેલ પણ મને એમ કે અમેરિકાની લાઈફ છે એટલે શક્ય છે કે ત્યાં કોઈ પોતાની પ્રાઈવસી સેક્રીફાય નથી કરતું એટલે કદાચ આવી વ્યવસ્થા ગોઠવી હશે… પણ અહીં તો એ બન્નેનો રેપો જોઈને કંઈ પ્રોબ્લેમ હોય તેવુ નથી જણાતું… ખેર હું અભિષેકભાઈ જોડે કાલે કંઈ વાત થાય તો પ્રયત્ન કરીશ. આમ બન્ને વાત કરીને સુઈ જાય છે.
પેલી બાજુ વિશ્વાસરાવજીએ એક્સ્ટ્રા કી થી અભિષેકભાઈનો રૂમ ખોલ્યો અને થોડી વાર સુધી કોઈ જ હિલચાલ ન થઈ, પછી વિશ્વાસરાવજી એકલા જ બહાર આવ્યા અને એક ચક્કર આજુબાજુમાં મારી ફરી રૂમની અંદર ગયા અને પછી તરત જ અભિષેકભાઈ, એમના પત્ની સાથે બહાર નિકળી રૂમને ફરી લોક કરી સ્વામીજીની કુટિરમાં અંદર ચુપચાપ જતા રહે છે.
સ્વામીજીએ બન્ને ને આવકાર આપી બેસવાનું કહે છે અને વિશ્વાસરાવજી તરત બહાર નિકળી જાય છે… પછી સ્વામીજીએ પુછ્યુ, ‘વિના સંકોચ જણાવો તમારે જે કહેવું હોય તે..! આ વાત આપણાં ત્રણ વચ્ચે જ રહેશે.’
અભિષેકભાઈએ વાત વિગતે શરૂ કરી,
‘અમે બન્ને પહેલાં એવું ઈચ્છતા જ નહોતા કે અમારે કોઈ બાળક શરૂઆતના વર્ષોમાં હોય. પછી બન્નેની પ્રોફેશનલ લાઈફ એટલી બધી આગળ વધી ગઈ કે બન્ને માંથી કોઈ એ બ્રેક કરે એટલે થોડો સમય વધારે નિકળી ગયો પછી ઘણી ચર્ચાઓ, ક્યારેક ઉગ્ર પણ ચર્ચાઓ થઈ પણ મમ્મી -પપ્પાની અવારનવાર આ બાબતે ઈચ્છા છતાં એક નિષ્કર્ષ પર ન પહોંચ્યા અને અમે બન્ને પચાસ ક્રોસ કરી ગયા.. પછી થોડા વધારે હોટ ડિસ્કશન પછી નિર્ણય પર પહોંચ્યા તો એ ઉંમરે શક્ય ન બન્યું… ટેસ્ટટ્યુબ કે એડોપ્શન પર પણ એક નિર્ણય પર ન આવી શક્યા. એ દરમ્યાન અહીં પ્રવિણ અને લક્ષ્મીની વાતો દરરોજ મમ્મી પપ્પા સાથે થવા લાગી અને મમ્મીની અત્યંત ઈચ્છા અને મારા પત્નીની બિલકુલ અનિચ્છા વચ્ચે તણાવ વધતો ગયો. અમે એ વાત અમારા બન્ને પુરતી જ રાખી અને અહી તો બિલકુલ કોઈને જાણ સુદ્ધા થવા ન દીધી… એ પછી પણ બન્ને પોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત થઈ ગયા પણ બધુ જ હતુ છતાં એક જ ઘરમાં અલગ અને એકલાં હતા. વારંવાર પલની વાત થતી એનો ઉછેર, એનાં સંસ્કાર એનુ ડેવલોપમેંટ વિગરેની ફોન પર અચૂક વાતો થતી રહેતી અને અમારી વચ્ચે પણ એની આડકતરી અસર થતી જ…અમારી ઉંમર વધતી ગઈ અને એકલા રહેવા જીવવાનો અહેસાસ અને હવે પછીના દિશાવિહિન જીવનની કલ્પના કરીએ ત્યારે બન્ને એકબિજા પર દોષારોપણ કરતા રહેતા… એ પરિસ્થિતીમાં બન્નેને ડ્રીંક લેવાની આદતો શરૂ થઈ ગઈ અને પછી એની અસર પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બન્ને પર પડવા લાગી.. અને એક ઘરમાં પણ અલગ રીતે રહેવાનું અઘરું બન્યું… એટલે બન્ને એ અલગઅલગ રહેવાનું પસંદ કર્યુ અને એ વાત પણ અહીં કોઈને જણાવી નહી… અમારે અહી ઈચ્છીએ તો પણ આવી શકાય તેવુ નહોતુ અને મમ્મી પપ્પાને તો અમેરિકા આવવું જ નહોતુ… એટલે અહીં કોઈને ખબર પડે એવી શક્યતા ન હતી. પૈસા બાબતે કોઈ પ્રશ્ન હતો જ નહીં પણ બન્નેના ઈગો લેવલ એટલે પહોંચ્યા કે દિવસો સુધી ફોન પર પણ વાત ન કરીએ.. પણ બે વરસ અલગ રહ્યા એ પણ લગભગ અમારા સિક્સટી પછી એટલે બન્ને વ્યક્તિગત રીતે થાક્યા હતા પણ કોઈ કોઈને જણાવ્યુ નહી.. એ દિવસો દરમ્યાન પ્રવિણ થોડા દિવસ ત્યાં આવવાનો હતો એટલે અમારે ફોન પર વાત થઈ કે પ્રવિણ આવે છે તો હવે ખબર પડશે તો શું કરવુ ? ત્યારે રૂચાએ મને કહ્યું કે હું થોડા દિવસ જોડે આવી જાઉં એટલે એ પ્રશ્ન ન રહે… અને એ સરસ તક હતી પણ મારો મેલ ઈગો વચ્ચે આવી ગયો અને મેં એવું કહ્યું કે થોડા દિવસ નહીં ..! પણ કાયમી અથવા ક્યારેય નહી.. જે રૂચા ને ખરાબ લાગ્યું… અને એ પણ શક્ય ન બન્યું. બન્ને ઈચ્છતા હતા પણ બન્ને અનુકૂળ થવા તૈયાર ન હતા અથવા તો સમય એવો હશે કે ભેગા થવા નથી દેતા.. પણ હવે જ્યારે પ્રવિણનો ફોન આવ્યો કે મમ્મી-પપ્પાના કદાચ અંતિમ દિવસો હશે તમે બન્ને આવી જાઓ. એટલે મેં ફોન કરવાને બદલે રૂચાને રૂબરૂ જ મળવાનું પસંદ કર્યુ અને જણાવ્યુ કે આવી પરિસ્થિતિ છે અને મને તારા સહયોગની જરૂર છે… રૂચાને પણ મમ્મી-પપ્પા માટે ખૂબ સદ્ભાવ અને આદર છે એટલે એણે તરત હા કહી અને અમે બે દિવસ તૈયારી કરીને અહીં આવી ગયા. અહી આવ્યા અને આપણી સંસ્કૃતિ, અહીની નિરવ શાંતિ, આધ્યાત્મિક વાતાવરણ, આશ્રમનુ જીવન, આપણો આ અદ્ભુત વારસો આ બધુ જોઈને અમારે આ બે ત્રણ દિવસો એકલા પડીએ એટલે સતત ડિસ્કશન થતું રહ્યું અને અમને અમારી ભૂલનો પોતાને જ અહેસાસ થયો અને મ્યુચ્યુઅલ સેપરેશનની સ્થિતી હતી તેમાંથી પુનઃ સહજીવન માટે બન્ને જ સહમત થઈ ગયા…’
સ્વામીજીએ કહ્યું, ‘તો હવે પ્રશ્ન શું છે..? આ પવિત્ર જગ્યાની હકારાત્મક અસર તો થઈ જ ગઈ છે.. !’
ત્યારે રૂચાએ કહ્યુ, ‘હવે બન્ને વચ્ચે અહી બીજો ડિસ્પ્યુટ ઉભો થયો છે…!’
સ્વામીજી ખડખડાટ હસ્યા અને કહ્યુ, ‘હજી પણ.. સિત્તેરે પહોંચવા આવ્યા તો પણ..! હવે તો ખમૈયા કરો..શુ છે હવે નો પ્રશ્ન..?’
અભિષેકભાઈએ કહ્યુ, ‘સ્વામીજી.. પહેલા તો આભાર તમારો કે તમે અમને બન્ને ને આ સમય આપ્યો અને એ પણ બધાને ખબર ન પડે તે રીતે સહમત થયા.. કેમકે અહી કોઈ જાણે તો એમને દુખ થાય એ અમે નહોતા ઈચ્છતા..!’
‘કોઈને દુખ ન પહોંચે એવુ વિચાર્યું અને સ્વયં આપણો ઈશ્વર આપણા પોતાના હ્રદયમાં વસે છે એમને દુખ પહોંચાડીએ એ કેમ ન સુઝ્યુ ?’ ચલો કંઈ નહી..જાગ્યા ત્યારથી સવાર.. પણ સવાર બહુ મોડી પડી…!’ હવે શું ઈચ્છો છો તમે બન્ને ?’ સ્વામીજીએ હળવા અંદાજે પુછ્યુ.
રૂચાબહેને કહ્યુ, ‘સ્વામીજી અમે બન્ને ખરેખર થાકી ગયા હતા.. અમારી પાસે ત્યાં બધુ જ હતુ છતાં પણ જાણે કંઈ જ ન હતુ… અહીં આવ્યા પછી અમને બન્નેને સમજાયુ કે આપણે ખોટા ઈગો માટે મહામૂલુ માનવજીવન વેડફી રહ્યા છીએ અને એટલે જ મે નક્કી કર્યું કે આપણે બન્ને ત્યાં વાઈન્ડઅપ કરી અહીં જ આવી જઈએ કેમકે અહીં આવ્યા પછી જ આ અહેસાસ થયો તો આ ભૂમિનો જ પ્રતાપ કહેવાય ને..! જો અહીં નો આ વૈભવ જોયો જ ન હોત તો કદાચ મને આ વૈરાગ્યનો વિચાર જ ન આવ્યો હોત….પણ અભિષેક એવુ કહે છે કે મને મુંબઈ રહેવું અનુકૂળ જ નથી અને આશ્રમ જીવન માટે મને હજી મારા પર વિશ્વાસ નથી કે રહી શકુ કે કેમ..? મારે હવે પછીની જિંદગી ત્યાં નથી પસાર કરવી.’
સ્વામીજીએ અભિષેકભાઈની સામે પ્રશ્નાર્થ નજરે જોયુ તો અભિષેકભાઈએ કહ્યુ, ‘મને જ નથી સમજાતુ કે હવે શુ કરવું જોઈએ..! હુ નથી ઈચ્છતો કે હવે પછી થી રૂચાને મારા કારણે કોઈ તકલીફ પડે.. પણ હું નવી પરિસ્થિતિ એડેપ્ટ કરી નહી શકું તો..! એ વિચારે મન પાછું પડે છે..તમે કોઈ ઉપાય બતાવો અને એટલે જ આ રીતે આપને આટલી મોડી રાતે ચર્ચા કરવા તકલીફ આપી છે..! શુ કરવુ જોઈએ અમારે..?
સ્વામીજીએ થોડી વાર વિચાર કર્યો અને પછી કહ્યું કે ‘આવતીકાલે તમે બન્ને વહેલી સવારે મારી સાથે ગંગાસ્નાન કરવા આવશો..? હું પાંચ વાગ્યે જવાનો છું, જો તમે બન્નેને અનુકૂળ હોય તો તૈયાર રહેજો અને ગૌશાળા પાસે આવી જજો..!

( ક્રમશઃ)
લેખકઃ રાજેશ કારિયા

વાર્તા ગમે તો રેટીંગ જરૂર આપશો