Darna Mana Hai - 6 books and stories free download online pdf in Gujarati

Darna Mana Hai-6 રાત પડ્યે કબ્રસ્તાન બની જતો દરિયાકિનારોઃ ચાંગી બીચ

ડરના મના હૈ

Article ૬

રાત પડ્યે કબ્રસ્તાન બની જતો દરિયાકિનારોઃ ચાંગી બીચ

લેખકઃ મયૂર પટેલ, વલસાડ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

ચાંગી બીચ, સિંગાપોર. નમતી બપોરના સમયે લી ચાઉ નામનો એક યુવાન પુરુષ એકલો દરિયાકિનારે ફરી રહ્યો હતો. ઓટનો સમય હોવાથી દરિયાના પાણી દૂર હતાં અને ખાસ્સો સમુદ્ર પટ ખુલ્લો પડ્યો હતો. ચાલતાં ચાલતાં ચાઉની નજરે માટીનાં બે કૂંડાં પડ્યાં, જે રેતીમાં અડધાં દટાયેલાં હતાં. નજીક જઈને તેણે એ કૂંડાં રેતીમાંથી બહાર કાઢ્યાં. કૂંડાની બનાવટ અને રંગો જોઈ તે ખુશ થઈ ગયો. તેની સાસુને બાગકામનો શોખ હોવાથી તેમને એ કૂંડાં કામ લાગશે એમ વિચારી ચાઉએ એ કૂંડાં ઉઠાવી લીધાં. કૂંડાં પર ચોંટેલી રેતીને ધોઈ નાખવા માટે તે નજીકમાં આવેલા જાહેર શૌચાલય તરફ ગયો. શૌચાલયની બહાર રહેલા નળ પાસે તે પેલાં કૂંડાં ધોઈ રહ્યો હતો ત્યાં જ શૌચાલયની સફાઈ કરી રહેલા વૃદ્ધ કામદારે તેને ટોક્યો. તેણે પૂછ્યું, ‘આ કૂંડાં તું ક્યાંથી લાવ્યો?’

‘આ મને દરિયા કિનારે રેતીમાંથી મળ્યાં. હું તેને ઘરે લઈ જાઉં છું,’ ચાંગે સ્વાભાવિકપણે જવાબ આપ્યો.

‘તને ખબર પણ છે કે, આ કૂંડા શું છે? અને શેને માટે વપરાય છે?’ વૃદ્ધે કંઈક અસ્વસ્થતાપૂર્વક પૂછ્યું.

‘ના. કેમ?’

‘આ કૂંડાં તું જ્યાંથી લાવ્યો છે ત્યાં જ પાછાં મૂકી આવ,’ વૃદ્ધે ચેતવણીસૂચક અવાજમાં કહ્યું. ‘આ પ્રકારનાં કૂંડાં સમાજનો એક વર્ગ મૃતદેહની અંતિમવિધિ વખતે વાપરે છે. તેમને ઉપયોગમાં લેવા એટલે સમજો કે મુસીબત નોતરવી!’

વૃદ્ધની વાત સાંભળી ચાઉ શરમિંદો બની ગયો. તેણે ભૂલ કરી હતી એનું ભાન થતાં તે તરત જ પેલાં કૂંડાં તેના યથાસ્થાને મૂકવા ગયો, પરંતુ પાછાં મૂકતી વખતે તેના હાથમાંથી એક કૂંડું અકસ્માતે પડી ગયું અને તૂટી ગયું. કંઈક અપશુકન થવાની બીકે ગભરાયેલા ચાઉએ સલામત રહેલાં કૂંડાં સાથે પેલાં તૂટેલાં કૂંડાંના ટુકડા જેમ તેમ ગોઠવી દીધા અને પછી ઘરે જતો રહ્યો.

એ રાતે ત્રણ વાગ્યે ચાઉની પત્ની મેગીને પાણીની તરસ લાગતાં તેની આંખો ખૂલી ગઈ. તે પલંગ પર બેઠી થઈ ત્યારે તેણે જે જોયું એનાથી તે ચીસ પાડી ઊઠી. તેમના ડબલ બેડ પર, ચાઉ જે તરફ સૂતો હતો તે તરફ એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. તેણે ચળકતો સફેદ ગાઉન પહેર્યો હતો. તેના વાળ ખુલ્લા હતા. તેની કરચલીવાળી ચામડી સફેદ પડી ગઈ હતી. એ એક પ્રેત હતું! ચાઉના પગ પાસે બેઠેલું એ પ્રેત ખુન્નસભરી નજરે ચાઉને જ તાકી રહ્યું હતું.

મેગીની ચીસ સાંભળી ચાઉ સફાળો બેઠો થઈ ગયો. તેણે જોયું કે મેગી પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી અને ડરની મારી ધ્રૂજી રહી હતી. પેલું પ્રેત ત્યાં સુધીમાં ગાયબ થઈ ચૂક્યું હતું. આઘાતને લીધે મેગી પોતાની બોલવાની શક્તિ ખોઈ બેઠી અને બીમાર પડી ગઈ. તેને અનેક ડૉક્ટરોને બતાવવામાં આવી, પરંતુ કોઈ પણ ડૉક્ટર તેની બીમારીનો ઈલાજ કરી શક્યો નહીં, કેમકે કોઈને તેની બીમારીનું કારણ જ ખબર નહોતી. મેગીની વિચારવાની શક્તિ જ જાણે કે ખતમ થઈ ચૂકી હતી. ઘણાં અઠવાડિયાં સુધી તે બીમાર રહી. આખરે તેની માતા સુ-ની ધીરજ ખૂટી ગઈ. તે મેગીને એક તાંત્રિક પાસે લઈ ગઈ. તાંત્રિકે પોતાની દિવ્ય શક્તિથી જોઈ લીધું કે, દિવસો અગાઉ ચાઉએ ચાંગી બીચ પરથી જે બે કૂંડાં ઉઠાવી લીધાં હતાં એ કૂંડાંમાં એક દંપતીની આત્માઓ રહેતી હતી. બે પૈકી એક કૂંડું ભાંગી જતાં તેમાં રહેતી વૃદ્ધ સ્ત્રીનો આત્મા બેઘર થઈ ગયો હતો. ચાઉને તેની ભૂલ બદલ પાઠ ભણાવવા તે સ્ત્રીનું પ્રેત ચાઉની પાછળ પાછળ તેના ઘર સુધી આવી પહોંચ્યું હતું. ચાઉ પહેલાં મેગીએ એ પ્રેતને જોઈ લીધું હતું, જેનાથી તે બીમાર પડી ગઈ હતી. ચાઉને તો કલ્પના પણ નહોતી કે આવું કંઈક હકીકતમાં બની શકે. તાંત્રિક પાસે તેણે પેલા કૂંડાંવાળી ઘટના બની હોવાનું સ્વીકાર્યું. તાંત્રિકે આપેલા મંત્રેલા પાણીના સેવનથી થોડા દિવસોમાં મેગી સાજી થઈ ગઈ. તાંત્રિકે ચાઉને સલાહ આપી કે અવાવરું અને વેરાન જગ્યાએ પડેલ અરીસા, જૂના ફર્નિચર, કૂંડાં, કપડાં, રમકડાં કે છત્રી જેવી નધણિયાતી વસ્તુઓ કદી ઘરે લાવવી નહીં. આવી વસ્તુઓ સાથે ઘણી વાર ‘વણનોતર્યા મહેમાનો’ પણ ઘરે આવી ચડતા હોય છે.

સિંગાપોરના ચાંગી બીચ પર આવા તો અનેક બનાવો બનતા રહ્યા છે. અહીં થતી ભૂતાવળનાં મૂળિયાં છેક બીજા વિશ્વયુદ્ધ સુધી લંબાય છે. બીજું વિશ્વયુદ્ધ ઈ.સ. ૧૯૩૯થી ઈ.સ. ૧૯૪૫ દરમિયાન લડાયું હતું. એ સમયે સિંગાપોરમાં બ્રિટિશરાજ હતું અને તે ‘પૂર્વના જિબ્રાલ્ટર’ તરીકે ઓળખાતું હતું. જર્મનીના પક્ષે રહીને લડતા જાપાને ફેબ્રુઆરી ૧૯૪૨માં સિંગાપોર પર સશસ્ત્ર હુમલો કરીને ફક્ત સાત જ દિવસમાં બ્રિટિશરોને પરાસ્ત કરી સિંગાપોરને પોતાના તાબામાં લઈ લીધું હતું. જાપાન સામે લડનારા ૮૦૦૦૦થી વધુ બ્રિટિશ, ભારતીય અને ઓસ્ટ્રેલિયન સૈનિકોને યુદ્ધકેદી બનાવવામાં આવ્યા હતા. આ યુદ્ધકેદીઓ પર ઝડપી ખટલા ચલાવવામાં આવતા અને મૃત્યુદંડની સજા પામેલા સૈનિકોને સજા આપવા માટે જે સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું તે હતું ચાંગી બીચ. રેતીમાં સિપાહીઓને લાઈનબંધ ઊભા રાખી તેમને ગોળી મારી દેવામાં આવતી અને પછી ત્યાં જ તેમની સામૂહિક અંત્યેષ્ટિ કરી દેવામાં આવતી. ઘણી વાર મૃત્યુદંડ આપતાં પહેલાં યુદ્ધકેદીઓને બીચ પર જ શારીરિક યાતનાઓ આપવામાં આવતી. ક્રૂર જાપાની સૈનિકો યુદ્ધકેદીઓને ટોર્ચર કરવામાં કોઈ કસર છોડતા નહીં. યુદ્ધ દરમિયાન જે સ્થાનિક લોકોએ બ્રિટિશ સેનાને કોઈ પણ રીતે જાપાન વિરુદ્ધ મદદ કરી હતી એ લોકોને પણ જાપાની સૈન્ય મોતની સજા આપતું હતું. આવા ‘એન્ટિ-જાપાનીઝ’ લોકોને પકડવા તેમણે આખા સિંગાપોરમાં ‘સ્ક્રીનિંગ સેન્ટર’ નામે ઓળખાતા યુનિટ ઊભા કર્યા હતા. પકડાયેલા એન્ટિ-જાપાનીઝ લોકોને ચાંગી બીચ પર જ મોતનું ઈનામ આપવામાં આવતું. આ પ્રક્રિયામાં કાચું પણ કપાતું અને એનો ભોગ નિર્દોષ સિંગાપોરવાસીઓ બનતા.

સ્થાનિક લોકોમાં જાપાની સૈનિકોના જુલમો સામે છૂપો રોષ જાગી રહ્યો હતો, પરંતુ તેઓ સશસ્ત્ર જાપાનીઓનો ખુલ્લેઆમ સામનો કરી શકે એમ નહોતા, એટલે જાપાનીઓના હાથે મરાયેલા નિર્દોષ યુવાનોના પરિવારજનોએ જાપાની સૈનિકોને સબક શિખવાડવા એક કારસો ઘડી કાઢ્યો. ચાંગી બીચની નજીક જ આવેલી એક સાંકડી નદી પર લાકડાનો એક પુલ બનેલો હતો. દરરોજ સાંજે જાપાની સૈનિકોની એક વિશાળ ટુકડી એ પુલ પરથી પસાર થતી. બદલો લેવા માટે તૈયાર સ્થાનિક રહેવાસીઓએ એ પુલને બૉમ્બ વડે ફૂંકી મારવાનો પ્લાન ઘડ્યો. માછીમારના વેશમાં તેઓ બે-ત્રણ નાનકડી હોડીઓમાં બેસી એ પુલ નીચે જઈ પહોંચ્યા. ઢળતી સાંજનો ફાયદો ઉઠાવી, પુલના પડછાયામાં છુપાઈને તેઓ પુલના પાયામાં દારૂગોળો ગોઠવવા લાગ્યા. જાપાની સૈન્ય પુલ પરથી પસાર થતું હોય ત્યારે જ દારૂગોળાને પલીતો ચાંપી પુલને ઉડાવી દેવાની તેમની ગણતરી હતી. આસપાસ ઝાડ-જંગલ હોવાથી દૂરથી આવતા જાપાની સૈનિકોને તેઓ જોઈ શકે એમ નહોતા, પણ તેમનાં લશ્કરી વાહનોનાં એન્જિનોની ઘરેરાટી તેઓ સાંભળી શકે એમ હતા. તેમના બદનસીબે એ જ દિવસે કેટલાક જાપાની સૈનિકો સાઈકલ પર સવાર થઈને પુલ તરફ આવી પહોંચ્યા. પુલ નીચે બૉમ્બ લગાવી રહેલા સ્થાનિકો ચેતી જાય તે પહેલાં સૈનિકોએ એમને જોઈ લીધા. સૈનિકોએ બંદૂકને નાળચે તમામ બળવાખોરોને ઝડપી લીધા. બીજા સૈનિકોને અને કમાન્ડરને ત્યાં બોલાવવામાં આવ્યા અને ગુનેગારોને ‘ઑન ધી સ્પોટ’ સજા સંભળાવવામાં આવી. કાવતરાખોર તમામ સ્ત્રી-પુરુષોના હાથ પીઠ પાછળ બાંધી તેમને પુલની ધાર પર હરોળબંધ ઊભાં રાખવામાં આવ્યાં. કમાન્ડરે ત્યાર બાદ પોતાની સમુરાઈ તલવાર વડે એક પછી એક કરીને તમામ લોકોનાં માથાં વાઢી નાખ્યાં. નિ:સહાય માણસોની તરફડિયાં મારતી લાશો એક પછી એક કરીને નદીમાં ખાબકી. તેમના લોહીથી નદી રક્તરંજિત થઈ ગઈ, એ દૃશ્ય અત્યંત જુગુપ્સાપ્રેરક હતું.

ઈ.સ. ૧૯૪૫માં અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર અણુબૉમ્બ વરસાવી એકી ઝાટકે વિશ્વયુદ્ધનો અંત આણી દીધો હતો. જાપાન-જર્મની બરબાદ થઈ ગયાં હતાં. સિંગાપોરમાં બેલગામ કત્લેઆમ ચલાવનાર તમામ જાપાની અફસરો અને અનેક સૈનિકોને એ જ ચાંગી બીચ પર બંદૂકની ગોળીએ વીંધી નાખવામાં આવ્યા. બહુ થોડા સમયમાં ચાંગી બીચ અનેક સામૂહિક હત્યાકાંડનો સાક્ષી બની ગયો અને પછી ત્યાં ભૂતાવળ દેખાવાનો સિલસિલો શરૂ થયો. કમોતે મરેલા સેંકડો લોકોના ભૂત અહીં દાયકાઓથી દેખાતા આવ્યાં છે. રાતના સમયે અહીંથી પસાર થનારા લોકોને રડારોળ અને દર્દનાક ચિત્કારો સંભળાય છે. ઘણી જગ્યાએ રેતીમાં લોહીનાં ખાબોચિયાં ભરેલાં દેખાય છે. ક્યારેક કપાયેલાં માનવઅંગો પણ અહીં-તહીં વેરાયેલાં પડેલાં દેખાય છે. કેટલાક લોકોએ ઘવાયેલા શરીર સાથે રખડતા પ્રેત જોવાના પણ દાવા કર્યા છે. જોકે આ પ્રેતાત્માઓ ભાગ્યે જ કદી કોઈને નુકસાન પહોંચાડે છે.

ચાંગી બીચ નજીકના લક્કડિયા પુલ પર ત્યાં મરાયેલા લોકોના ભૂત ભટકતાં હોવાના એકથી વધુ દાખલા મળ્યા છે. એ કાળમુખા દિવસે સાઈકલ પર આવેલા જાપાની સૈનિકોને લીધે જ તેમને મોત મળ્યું હોવાથી તેમને સાઈકલસવારો પર નફરત થઈ ગઈ હતી. પુલ પર થતાં ભૂતો પુલ પરથી પસાર થતા સાઈકલસવારોને જ રંજાડે છે. અહીંથી સાઈકલ પર જનારને ધક્કો મારીને કે વિરુદ્ધ દિશામાં ખેંચીને પાડી નાખવામાં આવે છે. કેટલાક સાઈકલસવારોને તો પુલ પરથી સીધા નીચે નદીમાં ધકેલી દેવાયા હોય એવા બનાવો પણ બન્યા છે.

દિવસ દરમિયાન ટૂરિસ્ટોથી ધમધમતા ચાંગી બીચ પર રાત થતાં જ સન્નાટો છવાઈ જાય છે અને કોઈ અગોચર દુનિયાની ભૂતાવળો આ સ્થળનો કબજો લઈ લે છે.