Agyaat Sambandh - 15 books and stories free download online pdf in Gujarati

અજ્ઞાત સંબંધ - ૧૫

પ્રકરણ-૧૫

દિવાનગઢનો ઇતિહાસ

(ઇન્સ. રણજિતે દિવાનગઢમાં થતાં ખૂનો અને રતનસિંહ અંગે તપાસ આદરી છે ત્યારે એનો સાથી આહિર મહત્વનો રિપોર્ટ લઈ આવે છે અને બંને રતનસિંહની ગુફાએ જવા નીકળે છે. બીજી તરફ સુરત પહોંચેલા વનરાજ-રિયા ઘણાં સમય પછી સાથ માણે છે. હોટલેથી નીકળીને તેઓ ‘કોહિનૂર બિઝનેસ હબ’ જવા ટેક્સી પકડે છે પણ ભેદી ટેક્સી ચાલક બંનેને બેહોશ કરીને એક જગ્યાએ છોડી મૂકે છે. હોશમાં આવ્યા બાદ બંને કોહિનૂર હબની લાઈબ્રેરીમાં પહોંચે છે તો તેમનાં આશ્ચર્ય વચ્ચે પુસ્તકમાંથી રિયાનું લોકેટ ગાયબ હોય છે. વનરાજ ત્યાર બાદ દિવાનગઢના સરપંચ જોરાવરસિંહને ફોન કરે છે. હવે આગળ...)

જોરાવરસિંહ સાથે વાત કરી રહેલા વનરાજ સમક્ષ શબ્દો તરવરી ઉઠ્યાં હતાં - દિવાનગઢની મુલાકાત !

તેણે જોરાવરસિંહના નંબર ઉપર ફરી ફોન કર્યો.

બોલો વનરાજજી ! પ્રભાવશાળી અવાજ ફરી સંભળાયો.

જોરાવરસિંહજી, મને આપનું કામ કરવામાં રસ છે. હું વહેલી તકે દિવાનગઢ આવી પહોંચીશ. લગભગ ત્રણ દિવસમાં. ચાલશે ને ?”

બિલકુલ, વનરાજજી ! તમે આરામથી પધારો. કિંમત તમે માંગો તે; કામ હું કહું તે.જોરાવરસિંહે મનમાં ખુશી અનુભવતાં કહ્યું.

કિંમત અને કામ માટે તમે નિશ્ચિંત રહો, પરંતુ...” વનરાજ આગળ કંઈ કહેવું કે નહીં વિચારમાં પડ્યો.

આ તરફ જોરાવરસિંહને થયું આને પણ દિવાનગઢમાં બનતા બનાવોની ખબર પડી જશે, તો મારું સ્વપ્ન અધૂરું રહી જશે. જે શરત બોલે તે માની લઈશ.

પરંતુ શું ? હલ્લો...?” જોરાવરસિંહ ઉતાવળા થઈ ગયા.

મારે થોડું અંગત કામ પણ છે ત્યાં. જો હું મારી પત્નીને લઈને આવું તો વાંધો નથી ને ?” વનરાજે અડધું સાચું અડધું ખોટું કહ્યું.

બિલકુલ ચિંતા ન કરશો ભાઈ ! તમે બંને માનવંતા મહેમાન બની અમારા ઘરમાં જ રહેશો. અમે તમને કોઈ તકલીફ નહીં પડવા દઈએ. જોરાવરસિંહને ખબર હતી કે પોતે બનાવટ કરી રહ્યા છે. અહીં જે તકલીફ હતી તેને દૂર રાખવી કોઈના હાથમાં નહોતું.

વનરાજે ફોન મૂક્યો અને આગળ કઈ રીતે વધવું તેના વિચારમાં ગૂંથાઈ ગયો. સુરતમાં લોકેટ ચોરાયા પછી ખાસ કોઈ ઘટના ઘટી નહોતી. બંને પાછાં અમદાવાદ આવી ગયાં હતાં. રિયા પણ થોડી હળવી થવા લાગી હતી. ખાસ કરીને સુરતમાં વિતાવેલી રાતછી રિયામાં અલગ જ બદલાવ આવ્યો હતો. તે વધારે ખીલી ઠી હતી. એકાંત મળતાં જ તે વનરાજને વીંટળાઈ વળતી. વનરાજના મમ્મી-પપ્પા પણ રિયાને પસંદ કરતાં હતાં, પરંતુ તેઓ ક્યાં જાણતાં હતાં કે સુરતમાં વનરાજની જે હાલત થઈ હતી, તેના માટે જવાબદાર રિયા જ હતી ! વનરાજને એક વખત વિચાર આવી ગયો, કે રિયા સાથે લગ્ન કરી જ લઉં, પરંતુ પછી તેને થયું કે એકવાર દિવાનગઢની મુલાકાત લઈ લઉં ત્યારબાદ જ લગ્નનું વિચારીશ.

વનરાજે તેના પપ્પાને જણાવ્યું કે પોતે બે દિવસ પછી નવા પ્રોજેક્ટ માટે કચ્છ જવાનો છે. પહેલીવાર સર્વે કરી એક-બે દિવસમાં આવી આગળનો પ્લાન કરશે. પછી તે રિયાને મળવા ગયો.

રિયાની રૂમ ઉપર જઈ તેણે ડોરબેલ વગાડી. એક... બે... ત્રણ... અંદરથી દરવાજો ખોલવાના કોઈ અણસાર ન જણાતાં અજ્ઞાત ભયથી વનરાજ થરથરી ઠ્યો - કવિતા કે રિયા ઉપર ફરી પેલો રાક્ષસી હુમલો તો નહીં થયો હોય ને ? તેણે રિયાને ફોન લગાડ્યો. નંબર સ્વીચ ઓફ આવતો હતો. તેણે કવિતાને ફોન લગાડ્યો. તેનો ફોન આઉટ ઓફ રીચ હતો. સહસા વનરાજને યાદ આવ્યું કે કવિતા તો ઢોંગી બાબાની જાળમાં ફસાઈને ખોવાઈ ચૂકી છે અથવા તો મૃત્યુ પામી છે.

વનરાજના સોહામણા ચહેરા ઉપર ચિંતાના વાદળ ઘેરાઈ ગયા. ના કસરતી શરીરની મદદથી દરવાજો તોડવા જતો જ હતો કે રિયાએ ખિલખિલાટ હસતાં હસતાં દરવાજો ખોલ્યો. તે કી-હોલમાંથી વનરાજની ચિંતા જોતી હતી.

વનરાજને અંદર ખેંચી ગઈ. વનરાજને ખૂબ ગુસ્સો આવ્યો હતો. તે રિયાને વઢવા માટે મોઢું ખોલે એ પહેલાં તો તેના હોઠ પર સ્ટ્રોબેરી ફ્લેવરની લિપસ્ટિકનો સ્વાદ ફરી વળ્યો. પાંચેક મિનિટ પછી રિયા અલગ થઈ. રેડ ક્રોપ ટોપ અને બ્લેક શોર્ટ સ્કર્ટમાં તે ગજબ સુંદર લાગી રહી હતી. તે વનરાજને સહવાસ માટેનું ખુલ્લું નિમંત્રણ આપતી હતી, પરંતુ વનરાજ એની સાથે દિવાનગઢ વિશે વાત કરવા માંગતો હતો.

રિયા, મસ્તી એક બાજુ મૂક. હું તારી સાથે ખૂબ જરૂરી ચર્ચા કરવા આવ્યો છું.” વનરાજ ધુંધવાતા અવાજે બોલ્યો.

મારી તો હા જ છે ! ચાલ, અત્યારે જ લગ્ન કરી લઈએ.રિયા ફરી વનરાજ ઉપર ઢળી.

હું બે દિવસ પછી દિવાનગઢ જાઉં છું.વનરાજે રિયાને પ્રેમથી દૂર ધકેલતાં કહ્યું.

શું...?!” રિયાની બધી મસ્તી પળવારમાં ઓગળી ગઈ. તેના ચહેરા પર પ્રસ્વેદ બિંદુ ફૂટી નીકળ્યાં, ના, વનરાજ ! હું તને ત્યાં નહીં જવા દઉં. માંડ છૂટકારો મળ્યો છે અને તારે ફરી એ જ પીડામાં પડવું છે ? ભૂલી જા દિવાનગઢ અને એ બધી વાતો.

સાચું બોલજે. શું હવે તને એ સ્વપ્નો નથી આવતાં ? શું હવે તને કોઈ ડરામણાં અનુભવો નથી થતાં ?”

ના. નથી થતાં ! થતાં હોત તોય હું તને ત્યાં ન જ જવા દેત.” રિયાએ અડગ સ્વરમાં કહ્યું.

જ સમયે બહાર ઝાડ ઉપર બેઠેલું, લોહી નિંગળતી આંખોવાળું ઘુવડ તેની બારી તરફ ફર્યું અને કબાટના અરીસા ઉપર લોહીવાળા અક્ષરો ઉપસી આવ્યાં...

- અસિતો કોપાણ લાતુકે !

રિયા અને વનરાજ ચોંકી ગયા.

હવે તો આ મુશ્કેલીનું મૂળ શોધવું જ રહ્યું. વનરાજ મક્કમ નિર્ધાર કરી બોલ્યો.

“તારે જવું જ હોય, તો હું પણ તારી સાથે આવીશ.રિયાએ પોતાનો નિર્ણય જણાવી દીધો. વનરાજ હકારમાં માથું હલાવીને રહી ગયો.

***

દિવાનગઢની મુલાકાત લેતાં પહેલાં તેના વિશે માહિતી મેળવવી અગત્યની હતી. ગૂગલમાં સર્ચ કર્યુ, પણ કોઈ ખાસ માહિતી મળી નહીં. તેમના હાથમાં આવેલા ‘દિવાનગઢનો ઇતિહાસ પુસ્તક વિશે પણ ખાસ માહિતી ન મળી. ફક્ત એક પોર્ટલ ઉપર લખેલું હતું કે તે પુસ્તક કાલ્પનિક વાર્તા છે. એવી કોઈ જગ્યા જોવામાં આવી નથી. હવે એ પુસ્તક એક જ ઉપાય હતો. તેઓ ફ્લેટ બંધ કરી વનરાજના ઘર તરફ નીકળ્યા. તેમની પાછળ નીકળ્યો એક કાળો પડછાયો...

વનરાજના ઘરે પહોંચી બંને તેના રૂમમાં ઘૂસી ગયાં. વનરાજ પોતાના સામાનમાંથી તે ફાટેલું પુસ્તક શોધવા લાગ્યો. પાંચેક મિનિટ પછી તે મળી ગયું. કોઈપણ પ્રકારની પ્રસ્તાવના વિના પુસ્તકમાં વાત શરૂ થતી હતી. લખાણમાં શુદ્ધતા ઓછી હતી. આ બંને વાત પરથી નક્કી હતું કે લખનાર કોઈ સિદ્ધ લેખક નહોતો. એટલે સંપૂર્ણ વાત ઘટનાત્મક હતી, વાર્તા નહીં. વનરાજે વાંચવાનું શરુ કર્યું:

સાલ ૧૮૪૨ !

વર્ધમાન નગર પાસે આવેલાં બે નાનકડાં રજવાડાં રાય-સાંકળી. ત્યાંના રાજા વિરેન્દ્રસિંહજી ખાસ્સા વૃદ્ધ થઈ ગયેલા. વિરેન્દ્રસિંહજીને બાળકો નહોતાં. દત્તક લીધેલો પુત્ર તેજરાજ હજુ રાજગાદી સંભાળવા તૈયાર નહોતો થયો, એટલે રાજા વિરેન્દ્રસિંહજીને પોતાના રજવાડાં અંગ્રેજોઓના હાથમાં જતાં દેખાયાં. વિરેન્દ્રસિંહજીએ પોતાની દુરંદેશી વાપરી અને પોતાના દીવાન બેરિસ્ટર મનસુખલાલને બોલાવ્યા. વકીલ હોવાને કારણે મનસુખલાલ કાયદાની આંટીઘૂંટીના નિષ્ણાત તો હતા જ, સાથોસાથ અંગ્રેજોઓના વિરોધી પણ હતા. વિરેન્દ્રસિંહજીએ પોતાની પાસે રહેલો વિપુલ ખજાનો અંગ્રેજોઓના હાથમાં જતો બચાવવા ઉપાય શોધવાનું કહ્યું.

રાજા સાહેબ ! મારું માનવું છે કે આપણે આપણાં રાજ્યને ગરીબ ઘોષિત કરી દઈએ. અંગ્રેજોને અપાતાં કર અને અનાજ રોકી દઈએ.” મનસુખલાલે એક ઉપાય આપતાં જણાવ્યું.

પરંતુ દીવાનજી, આવું કરવાથી તેઓનું ધ્યાન આપણાં ઉપર વધુ કેંદ્રિત થશે. બધી તપાસો થશે.

હું એ જ ઈચ્છું છું, મહારાજ ! સૌથી પહેલાં આપણે દૂરની, માનવવસ્તી રહિત જગ્યા શોધીએ. ત્યાં નવું રજવાડું સ્થાપીએ જે હાલના નક્શામાં ક્યાંય હોય જ નહિ. અંગ્રેજોને તે જાણ થતાં ઘણો સમય લાગશે. ત્યાં સુધીમાં આપણે આ અમૂલ્ય વારસાને છૂપાવી દેશું. રાય-સાંકળીના લોકોને જ ત્યાં લઈ જશું.

દીવાન મનસુખલાલે પોતાનું બધું જ્ઞાન કામે લગાડી દીધું અને છેવટે કચ્છના એક અંતરિયાળ વિસ્તારમાં, નાનકડી પણ રળિયામણી જગ્યા શોધી કાઢી. દિવસરાત જોયા વગર ત્રણ મહિનામાં ગામ વસાવવાની સુવિધા કરી. કોઈની નજરે ન પડે તે માટે ગઢ બનાવવો નહોતો એટલે એક સરસ મજાની ભવ્ય હવેલી બનાવડાવી. હવેલીની નીચે એક સુરંગ બનાવડાવી અને તેમાં રાજ્યનો ખજાનો છૂપાવ્યો. આ ખજાનાનો નકશો વિરેન્દ્રસિંહે જાતે તૈયાર કર્યો અને તેને એક લોકેટમાં બંધ કરીને હવેલીના કોઈક ખૂણે છૂપાવ્યો. પચાસેક પરિવાર વસાવી તેજરાજને અહીં લઈ આવ્યા. એવું કહેવાય છે કે આ રાજ્ય વસાવવા માટેની જગ્યા દીવાન મનસુખલાલે શોધી હોવાથી ગામનું નામ ‘દિવાનગઢ રાખવામાં આવ્યું. એક વાયકા એવી પણ છે કે આ ગામમાં પહેલાં પાણીની પુષ્કળ અછત હતી. એક વખત એક તરસ્યા સંત ત્યાં આવેલા. આ ગામના છેલ્લા રાજા દિવાનસિંહે તેમની તરસ છીપાવી અને સંતે ગામનું જળ કદી નહીં ખૂટે તેવા આશીર્વાદ આપ્યા બસ ત્યારથી જ ગામનું નામ પડ્યું ‘દિવાનગઢ !’

ધીરે ધીરે રાય-સાંકળી તરફથી ન મળતો વેરો અંગ્રેજોના ધ્યાનમાં આવ્યો. તેઓએ તપાસ આદરી, પરંતુ કોઈ અણસાર મળ્યાં નહીં. મનસુખલાલનું કોઈ કુટુંબ નહોતું. તેઓ સંપૂર્ણપણે તેજરાજને જ સમર્પિત હતાં. તેને ઉછેરવામાં મનસુખલાલ કોઈ કસર છોડતા નહોતા. વૃદ્ધ રાજા વિરેન્દ્રસિંહજી બીમાર થયા, મનસુખલાલના હાથમાં કુમાર અને ખજાનો સોંપીને સંતોષથી મૃત્યુ પામ્યા...’

વનરાજ...! આમાં તો મારા લોકેટ અને દેખાતા રાક્ષસોની કોઈ વાત જ નથી.રિયા કંટાળીને બોલી.

રિયા, થોડી ધીરજ રાખ.” વનરાજે જવાબ આપ્યો અને અકળાઈને આગળ વાંચવા લાગ્યો:

આ પછી બધું જ રાબેતામુજબ ઘટતું રહ્યું. કંઈ ખાસ બન્યું નહોતું. પછી કુદરતના નિયમ અનુસાર મનસુખલાલ પણ સ્વર્ગે સિધાવ્યા. ધીરે ધીરે તેજરાજ પણ રાજ્યથી વિમુખ થતા ગયા. મનસુખલાલના મોતનો એને ઘેરો આઘાત પહોંચેલો. તેમની પત્ની રાજવીબા એક ખૂબ સારાં પત્ની હોવાની સાથે ઉત્તમ રાણી અને બહાદુર ક્ષત્રિયાણી પણ હતાં. તેમણે રાજ્ય અને બાળકોના ઉછેરને સારી રીતે સંભાળી લીધા હતાં. વર્ષો વીતતાં ગયાં. તેજરાજના પૌત્રનું નામ દીવાન મનસુખલાલની યાદમાં ‘દિવાનસિંહ રાખવામાં આવ્યું અને તેના ગળામાં પહેરાવવામાં આવ્યું વિરેન્દ્રસિંહજીએ આપેલું લોકેટ.

વર્ષો વીતી ગયાં. દિવાનસિંહ એક નબળો રાજા પૂરવાર થઈ રહ્યો હતો. તેનાં પ્રથમ પત્ની ધનકુંવરબા લગ્નના દસવર્ષ પછી નિઃસંતાન મૃત્યુ પામ્યાં. ત્યારબાદ દિવાનસિંહનું વર્તન વિચિત્ર થવા લાગ્યું હતું. છેવટે પચાસ વર્ષની વયે તેમણે એક અઢાર વર્ષની રૂપસુંદરી ધાની સાથે કાવાદાવા કરીને તેની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં. થોડા દિવસ સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ એક દિવસ...’

આ પછીના અમુક પાનાં ફાડી નાંખવામાં આવ્યાં હતાં. આગળ વાંચવાની વનરાજે કોશિશ કરી:

અર્ધબળેલા ચહેરાવાળા પિશાચ - દિવાનસિંહનું વર્તન દિવસે દિવસે ક્રૂર થતું જતું હતું. રોજ રાત્રે નોકરોને ફટકારી મદિરા માંગતો અને ગામની કોઈ એક સ્ત્રીને વિકૃત રીતે ભોગવી પાશવી આંનદ મેળવતો. પછી ધાની... ધાની...” બોલી, તેને ચીરીને તેનું કાળજું ખાતો. થોડા દિવસમાં બધાને દિવાનસિંહ હવે પિશાચ બની ચૂક્યો છે તેવી જાણ થઈ ગઈ અને લોકો ગામ છોડી ભાગવા લાગ્યા...’

આટલું સાંભળતાં જ રિયા સમક્ષ પહેલીવાર કવિતાએ કરેલું વર્તન અને ટેક્સી ડ્રાઈવરે કરેલું કૃત્ય તાજું થઈ ગયું. વનરાજને પણ સુરતમાં આવો જ અનુભવ થયેલો યાદ આવ્યો.

વનરાજ ! કવિતાએ અને ટેક્સી ડ્રાઈવરે મારી સાથે આવું જ વર્તન કરેલું. કવિતાએ મદિરા પણ માંગેલી.રિયા યાદ કરીને ધ્રૂજવા લાગી.

વનરાજે ને એક હુંફાળું આલિંગન આપ્યું અને શાંત પાડી. તેને લાગ્યું કે દિવાનગઢ જવાનો નિર્ણય સાચો જ છે. તેણે આગળ વાંચવાનું શરૂ કર્યું:

પિશાચથી ત્રસ્ત લોકોએ, નોકારોએ ગામ છોડી દીધું. પરંતુ હવે તે પિશાચ આજુબાજુના ગામોમાં જઈ પોતાની હવસ સંતોષતો. લોકોને રંજાડતો.

માદડિયો કેડા આય ?” તેવું બબડતા લોકોએ તેને સાંભળ્યો હતો. કોઈ લાલચ તેના ઉપર હાવી થઈ ચૂકી હતી. છેવટે અંબા નામની સિદ્ધ યોગીણીએ આવી તેના ઉપર કાબુ મેળવ્યો. પિશાચે યોગીણી અંબા ઉપર જીવલેણ હુમલો કર્યો, પરંતુ અંબાએ મૃત્યુ પહેલાં તે શરીરને એક ચાંદીની પેટીમાં પૂરી તેને નાથ્યો.

ધીમે ધીમે લોકો વાત વિસરી ગયા અને ગામ ફરીથી વસી ગયું. લોકો માદળીયાવાળી વાત સાચી નથી માનતા. વિરેન્દ્રસિંહજીનું માદળીયું... તેમાં જ ખજાના સુધી પહોંચવા માટેનો નકશો છે અને એ જ ખજાનાની ચાવી છે. અમુક રાજવી લોકો તો એવું પણ કહે છે કે એ લોકેટથી ચમત્કાર પણ થાય છે. પણ હવે જો પિશાચ જાગશે તો હિસાબ માંગશે... અસિતો કોપાણ લાતુકે...’

વનરાજ અને રિયા આજના મોર્ડન યુગમાં હતાં, છતાં પણ તેમને થયેલા અનુભવોને કારણે તેમને આ વાત સાચી લાગતી હતી. ફાટેલાં પાનાં પોતાની સાથે તેમને પડેલી તકલીફોનો ઉપાય લઈ ગયાં હતાં. રિયાને સાથે ન લઈ જવી તેવું વનરાજે નક્કી કર્યું. જ્યારે લોકેટ, એટલે કે માદળીયા સાથે પોતાનો અજ્ઞાત સંબંધ શોધવા માટે દિવાનગઢ અચૂક જવું એવું રિયાએ નક્કી કર્યું હતું.

બંનેએ મોતના દરવાજે જવા પેકીંગ શરૂ કર્યું.

(ક્રમશઃ)

આ પ્રકરણનાં લેખિકા છે: એકતા દોશી