Premchandjini Shreshth Vartao - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 6

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(6)

શંકા

‘‘ત્યાં ઓસરીમાં જ ઊભી રહેજે’’ - પરશુરામે કહ્યું.

મર્યાદાએ પ્રતિભાવ આપ્યો - ‘‘કેમ, મારાથી અભડાઇ જવાશે?’’

‘‘આટલા દહાડા તું ક્યાં હતી? કોની સાથે રહી હતી? કેવી રીતે

રહી હતી? અને અહીં કોની સાથે આવી?’’

‘‘આ વેળા એ બધું પૂછવાની છે? શું ફરીવાર વખત નહીં મળે?’’

‘‘હા, આ જ વેળા છે. નદીએ નાહીને તો મારી સાથે આવી હતી

તું. મારી પાછળ પાછળ જ ચાલતી હતી.ને. પછી તું એકાએક ક્યાં અદ્રશ્ય

થઇ ગઇ હતી?’’

‘‘જોયું નહીં તમે? નાગડા બાવાઓનું એક ઝુંડ આવતું હતું સામેથી.

એમને જોઇને બધાએ નાસભાગ શરૂ કરી. હુંય એમના ધક્કા ખાતી કોઇ જાણે

ક્યાં ચાલી ગઇ! ભીડ ઓછી થઇ એટલે તમને બોલાવવા મેં ઘણીયે બૂમો

પાડી પણ તમે તો દેખાયા જ નહીં ને!’’

‘‘પછી?’’

‘‘પછી શું? એક બાજુ બેસીને રડવા માંડ્યું. ક્યાં જાઉં અને કોને

કહું એ કશું જ મને સમજાતું ન હતું. મને તો બહું બીક લાગતી હતી. સાંજ

સુધી રડતી જ રહી હું.’’

‘‘એમ ગોળગોળ શું બોલે છે? મુદ્દાની વાત કરું તો સમજણ પડે.

ત્યાંથી પછી ક્યાં ગઇ હતી?’’

‘‘મને કોઇકે પૂછ્યું કે તારા ઘરના લોકો ખોવાઇ ગયા તો નથી ને?

મેં કહ્યું - ‘‘હા, પછી એણે તમારું નામ ઠામ પૂછ્યું. એ બધું એમણે એક

ડાયરીમાં નોંધી લીધું. અને મને કહ્યું - ‘‘મારી સાથે આવો. હું તમને તમારે

ઘેર પહોંચાડી દઇશ.’’

‘‘કોણ હતો એ?’’

‘‘એક સેવા સમિતિનો સ્વયંસેવક હતો.’’

‘‘તે તું એની સાથે ગઇ હતી?’’

‘‘બીજું શું કરું? મને એ સમિતિના કાર્યાલયમાં લઇ ગયો. વિશાળ

મંડપ બાંધેલો હતો. એક દાઢીવાળો માણસ ત્યાં બેઠો બેઠો લખતો હતો

કશુંક. એ સમિતિનો વડો હતો. બીજા સેવકો પણ ત્યાં હતા. મારાં નામ ઠામ

ત્યાં નોંધવામાં આવ્યાં. અને પછી મને અલાયદી જગાએ ખસેડવામાં આવી.

ત્યાં મારા જેવી બીજી ઘણી ખોવાયેલી સ્ત્રીઓ બેઠી હતી.’’

‘‘તેં અધ્યક્ષને, ઘેર પહોંચાડી દેવાની વાત કેમ ના કરી?’’

‘‘એકવાર નહીં, સેંકડો વાર કહેલું. પણ એમણે તો એક જ વાત

પકડી રાખી હતી. કે મેળો પૂરો થઇ જાય નહીં અને ખોવાયેલી સ્ત્રીઓ એક

સ્થળે એકઠી ના થઇ જાય ત્યાં સુધી કોઇને એમને ઘેર પહોંચાડવાની વાત

કરી શકાય નહીં. મારી પાસે એટલા માણસો નથી, કે નથી એટલા રૂપિયા.’’

‘‘તે પૈસા તારી પાસે ક્યાં ન હતા? એકાદ સોનાનો દાગીનો વેચી

દેવો હતો ને! ઘણાય પૈસા મળી જાત.’’

‘‘પણ માણસનું શું?’’

‘‘તેં કહ્યું હતું કે પૈસાની ચિંતા કરશો નહીં. ઘરેણું વેચીને પૈસા તો

હું આપીશ?’’

‘‘ના રે! એવું તો ન’તું કહ્યું મેં.’’

‘‘તને એવા સમયે પણ ઘરેણાં વહાલાં હતાં?’’

‘‘મને બીજી સ્ત્રીઓએ કહ્યું કે અહીં કશો ભય નથી. અમારેય જવું

છે. અમારે ઘેર, પણ શું કરીએ! ને પછી તો હુંય છાનીમાની બેસી રહી.’’

‘‘તે બીજી સ્ત્રીઓ કૂવામાં પડી હોત તો તુંય એમની પાછળ કુવામાં

ભૂસકો મારવાની હતી? કોઇક તો ગમે તે કહે.’’

‘‘મને ખબર હતી કે ત્યાં સેવાભાવનાથી જ લોકો અમારું રક્ષણ

કરતા હતા. પછી નકામી હઠ કરવાની શી જરૂર? અને મારા જેવી અનેકને

જોઇ મનેય થોડો વિશ્વાસ બેઠો.’’

‘‘એનાથી બીજી આશ્વાસન લેવા જેવી વાત પણ શું હોય? કેટલા

દહાડા ત્યાં રહી હતી તું? મેળો તો બીજે દિવસે જ પૂરો થઇ ગયો હતો!’’

‘‘આખી રાત હું સ્ત્રીઓ સાથે તંબૂમાં જ રહી હતી.’’

‘‘તેં મને તાર કેમ ના કર્યો?’’

‘‘અમને ત્યાંથી અમારે ઘેર પહોંચાડવાની વ્યવસ્થા થવાની જ હતી

પછી તાર કરવાની શી જરૂર?’’

‘‘ભલે, રાત્રે તું ત્યાં જ રહી. બીજા જુવાનિયાઓ રાત્રે તંબુમાં

આવતા જતા હશે ને?’’

‘‘એકવાર એક સેવક ખાવાનું પૂછવા આવ્યો હતો. પણ અમે

બધાંએ ખાવાનો ઇન્કાર કર્યો એટલે એ તો ચાલ્યો ગયેલો. પછી કોઇ આવ્યું

નહતું. આખી રાત હું જાગતી જ રહી હતી.’’

‘‘મને તારી વાત સાચી લાગતી નથી. કોઇક તો અંદર આવ્યું જ

હશે. સમિતિના સેવકો કઇં સ્વર્ગના દેવો નથી. પેલો દાઢીવાળો વડો તો

આવ્યો જ હશે અંદર?’’

મર્યાદાએ ધીમે અવાજે કહ્યું - ‘‘હા, આવતા હતા એઓ, પણ

બારણેથી જ પાછા વળી જતા હતા. પૂછપરછ કરીને. એક સ્ત્રીને પેટમાં પીડા

થતી હતી તેથી તેને દવા પીવડાવવા આવેલા બે ચાર વાર.’’

પરશુરામે તક ઝડપી લેતાં કહ્યું - ‘‘નીકળીને આખરે સાચી વાત

તારા મોંઢેથી? હું એ લફૂંગાઓને રગેરગ પારખું છું. ખાસ કરીને તિલક

માળા ધારણ કરનારા દાઢી વાળાને તો હું ગુરુઘંટાલ જ માનું છું. ઠીક, એ

મહાશય ઘણીવાર દવા પીવડાવવા ગયા હતા ખરૂં ને? તારા પેટમાં તો

નહોતું ઊપડતુંને દુઃખ?’’

‘‘તમે એક સાધુ પુરુષ ઉપર નકામો આક્ષેપ કરો એ ઠીક ના

ગણાય. એ તો આંખો ઊંચી કરીને કોઇની સામે જોતા પણ ન હતા. અને

એમની ઉંમરેય મારા બાપાની ઉંમર જેટલી છે.’’

‘‘હા,હા, બધા દેવો જ ભેગા થયા હશે ને ત્યાં? ભલે, ભલે, પણ

બીજે દિવસે શું થયું?’’

‘‘હું બીજે દિવસે પણ ત્યાં જ રહી હતી. એક સ્વયંસેવક અમને

બધાંને દર્શને લઇ ગયો હતો. બપોરે આવીને બધાંએ ખાધું.’’

‘‘ઠઠ્ઠા મશ્કરી કરવામાંય કચાશ નહીં રાખી હોય! ખાધા પછી

નાચ ગાન પણ થયાં હશે?’’

‘‘એવું તો કશું થયું ન હતું. પણ સૌ સૌના દુઃખનાં રોદણાં રડતી

હતી. મેળો પૂરો થયા પછી અમે બધી એક સ્વયંસેવક સાથે સ્ટેશન ઉપર

આવી.’’

‘‘પણ તું તો આજે સાતમે દિવસે એકલી જ આવી છું ને?’’

‘‘સ્ટેશન પર દુર્ઘટના થઇ હતી.’’

‘‘મને એમ જ લાગતું હતું. શી દુર્ઘટના થઇ હતી?’’

મર્યાદાએ જવાબ આપતાં કહ્યું - ‘‘સ્ટેશન પર અમને બેસાડીને

સ્વયંસેવક ટિકિટો લેવા જતા હતા ત્યારે એક જણે આવીને એમને કહ્યું કે

‘‘ગોપીનાથની પત્ની ખોવાઇ ગઇ છે. ઊજળા વાનવાળા ઊંચા માણસ છે.

લખનૌમાં ઝવાઇ ફળિયામાં મકાન છે. તમને ભળતું જ આવું તો સરસ

વર્ણન કર્યું હતું ઓહો કે મને વાત સાચી લાગી. મેં એની સામે જોઇ પૂછ્યું કે

તમે ઓળખો છો બાબુજીને? ત્યારે તેણે હસતાં હસતાં કહ્યું કે ના ઓળખતો ના હોઉં તો તમારી શોધખોળ શા માટે કરું? તમારું બાળક રડીરડીને મરવા જેવું થઇ ગયું છે. એની વાત સાંભળી મારી સાથેની બીજી સ્ત્રીઓને પણ વાત સાચી લાગી. એમણે પણ મને એની સાથે જવા આગ્રહ કર્યો. સ્વયંસેવકે થોડીક પૂછપરછ કરી મને એની સાથે જવાની છૂટ આપી. પણ શી ખબર કે મને છેતરીને લઇ જનાર એ માણસ નરપિશાચ હતો. તમારું નામ સાંભળ્યા પછી તમને મળવાની તીવ્ર જિજ્ઞાસાએ મને વિવશ બનાવી મૂકી હતી. એટલે હું ભાન ભૂલી ગઇ.’’

‘‘એટલે પેલા માણસ સાથે તું ગઇ? કોણ હતો એ માણસ?’’

‘‘કોણ હતો એ તો શી ખબર? પણ હશે કોઇક દલાલ.’’

‘‘પણ તને એટલુંય કહેવાનું ના સૂઝયું કે, જાઓ જઇને બાબુજીને બોલાવી લાવો?’’

‘‘મુશ્કેલી આવવાની હોય ત્યારે બુદ્ધિ પણ નાશ પામે છે.’’

‘‘કોઇક આવતું હોય એમ લાગે છે.’’ - પરશુરામે કહ્યું.

‘‘હું સ્નાનગૃહમાં સંતાઇ જાઉં છું.’’

આગંતુકને આવકારતાં પરશુરામે કહ્યું - ‘‘આવો ભાભી, દસ વાગ્યા તોય હજી ઉંઘ્યાં નથી?’’

‘‘વાસુદેવને જોવાની ઇચ્છા થઇ છે, ભાઇ. શું એ ઊંઘી ગયો છે?’’

‘‘હા, એ રડતાં રડતાં જ ઊંઘી ગયો હમણાં.’’

‘‘મર્યાદાની ભાળ મળી? અને હવે ભાળ મળે તોય તમારે શા ખપની? ઘેરથી નીકળેલીનો વળી શો ભરોસો? એ તો રખડેલ ઘોડી જેવી. મન ફાવે ત્યાં રઝળે.’’

‘‘હું વળી ક્યાંથી ક્યાં એને નહાવા લઇ ગયો?’’

‘‘ભાઇ, કિસ્મતમાં લખ્યું હોય એમ જ થાય. થનારને કોઇ ટાળી શક્યું છે? બસ ત્યારે, હું જાઉં છું.’’

મર્યાદાએ નહાવાની ઓરડીમાંથી બહાર આવીને કહ્યું - ‘‘કિસ્મતના એ લેખ નથી. તમારી ચાલ છે ચાલ. વાસુદેવ ઉપર વહાલ દેખાડવાના બહાને તમારે આ ઘર પર અધિકાર જમાવવો છે.’’

પરશુરામે ગુસ્સામાં આવી કહ્યું - ‘‘બકવાસ બંધ કર. પેલો દલાલ ક્યાં લઇ ગયો હતો તને?’’

‘‘એ ના પૂછશો તમે મને સ્વામી. કહેતાં મારી જીભ નથી ઉપડતી.’’

‘‘તે અહીં આવતાં તારો જીવ ભલો ચાલ્યો? તને શરમ ના આવી?’’

‘‘પણ, ઇશ્વરના સોગંદ ખાઇને કહું છું કે મારે શરીરે મેં એની આંગળીના ટેરવાનો સ્પર્શ શુદ્ધાં કરવા દીધો નહતો.’’

‘‘ચહેરે મહોરે કેવો હતો એ કહીશ તું મને?’’ ‘‘હા. કાળો અને ઠીંગણો હતો એ. તેણે નીચે સુધીનો કુર્તો પહેર્યો હતો.’’

‘‘ગળામાં તાવીજો હતી?’’

‘‘હા, હતી તો ખરી.’’

‘‘એ ધર્મશાળાનો ભંગી હતો. મેં એને તારા વિશે પૂછ્યું હતું. એ બદમાશે જ તારી સાથે દાવ ખેલ્યો લાગે છે.’’

‘‘મને તો બ્રાહ્મણ જેવો લાગતો હતો એ.’’

‘‘એ ભંગી હતો. શું એ તને એને ઘેર લઇ ગયો હતો?’’

‘‘હા, ઘોડાગાડીમાં મને બેસાડીને એક સાંકડી ગલીના નાનકડા ઘરમાં લઇ જઇ એણે કહ્યું હતું. કે તમે અહીં બેસો. પછી મને સમજાયું કે મારી સાથે કપટ થયું હતું. હું રડવા લાગી. પેલો તો ચાલ્યો ગયેલો. પણ ત્યાર પછી એક ડોસીએ આવીને મને જાતજાતની લાલચો આપવા માંડી. રાત આખી હું રડતી જ રહી. બીજે દિવસે ખૂબ ખૂબ સમજાવવામાં આવી. મને કહેવામાં આવ્યું હતું. કે, તું રડીશ તોય તને કોઇ મદદ કરવાનું નથી. તું તારા ઘરને ભૂલી જા. તને એથી પણ વધું સારું ઘર મળશે. સોનાનાં ઘરેણાંથી તું ઢંકાઇ જઇશ. અને સોનાના કોળિયા ભરીશ.’’ છટકવાની કોઇ બારી ના દેખાતાં મેં યુક્તિ અજમાવવાનું નક્કી કર્યું.

‘‘બસ, બસ, બહુ થયું. કદાચ હું તને સ્વીકારીશ પણ મારું હૃદય તને સ્વીકારવા જરાય તૈયાર નથી. મારે માટે તું પહેલાં જે હતી અને જેવી હતી. અત્યારે તે અને તેવી નથી. હવે આ ઘરમાં તારે માટે કોઇ જ સ્થાન નથી.’’

આંખમાં આંસુ સાથે મર્યાદાઓ કહ્યું - ‘‘સ્વામીજી, મારા પર દયા કરો. હું પહેલાંના જેવી જ પવિત્ર છું. હું આપની પત્ની છું. મારી શી દશા થશે?’’

‘‘મેં બધો વિચાર કરીને જ આ નિર્ણય કર્યો છે. છૂત અછૂતમાં હું માનતો નથી. દેવ દેવીઓમાંય મને શ્રદ્ધા નથી. સમાજની ટીકાના ભયને તો હું ગણકારતો નથી. પણ જે સ્ત્રી ઉપર બીજા પુરુષની દ્રષ્ટિ પડી હોય અને સાત સાત દિવસ કોણ જાણે ક્યાં અને કેવી દશામાં રહી હોય એ સ્ત્રીનો સ્વીકાર મારાથી થઇ શકે જ નહીં. જો એને તું અન્યાય કહેતી હોય તો એ અન્યાય ઇશ્વરનો જ છે. એમાં મારો કોઇ દોષ નથી.’’

‘‘મારા પર આપને જરા પણ દયા આવતી નથી?’’

‘‘જ્યાં નફરત જ હોય ત્યાં વળી દયા શાની? હું તારું ભરણપોષણ કરવા તૈયાર છું. તને મારા જીવતા સુધી ખાવાપીવાની કે પહેરવા ઓઢવાની કોઇ તકલિફ પડશે નહીં. પણ હવે તું મારી પત્ની નહીં થઇ શકે.’’

‘‘જો મેં કોઇનો સ્પર્શ પણ કર્યો હોય તો આ જ વેળાએ હું મારા દિકરાનું મોં જોવા ના પામું!’’

‘‘એક ક્ષણ પણ પરાયા પુરુષ સાથે એકાન્તમાં રહેવું એ પતિવ્રતનો ભંગ થયો જ ગણાય. લગ્ન તો વિચિત્ર બંધન છે. રહે તો આખી જિંદગી, અરે! જન્મ જન્માંતર રહે અને જો તૂટી જાય તો ક્ષણવારમાં તૂટી જાય. તું જ રહે કોઇ મુસલમાને પરાણે મને એઠું ખાવાનું ખવડાવી દીધું હોય તો તું જ મારો સ્વીકાર કરે ખરી?’’

‘‘આ તો...એ તો...જુદી વાત છે.’’

‘‘ના, સરખી જ વાત છે. લાગણી સાથે તર્ક અને ન્યાયને કશો સંબંધ નથી. અરે કોઇ કહે કે ભંગીએ તમારું પાણી અભડાવ્યું છે તો પણ એ પાણી તું પી નહીં શકે. તું જ વિચારી જો કે હું તારી સાથે ન્યાયથી વર્તી રહ્યો છું કે અન્યાયથી?’’

‘‘હું તમારી અડેલી વસ્તુઓ ન ખાઉં, તમારાથી જુદી રહું પણ તમને ઘરમાંથી તો ના જ કીઢી મૂકું. તમે ઘરના માલિક છો એ અધિકારથી જ મને ઘરમાંથી કાઢી મૂકો છો ને?’’

‘‘ના, એમ નથી. હું એટલો હલકટ નથી.’’

‘‘તો તમારો આ આખરી ફેંસલો છે?’’

‘‘હા. આખરી જ.’’

‘‘પરિણામ શું આવશે એની ખબર છે?’’

‘‘જાણું છું અને નથી પણ જાણતો.’’

‘‘મને વાસુદેવને લઇ જવા દેશો?’’

‘‘વાસુદેવ મારો પુત્ર છે.’’

‘‘એને એકવાર વહાલ કરવા દેશો?’’

‘‘હું એમ નથી ઇચ્છતો. પણ તારી ઇચ્છા હોય તો આઘેથી જોઇ શકે છે તું.’’

‘‘જવા દો એ વાત. નહીં જોઉં. હું એમ માનીશ કે વિધવા છું અને વાંઝણી પણ છું. ચાલ મન! હવે આ ઘરમાં તારો નિર્વાહ નહીં થઇ શકે. ચાલ, ભાગ્ય જ્યાં લઇ જાય ત્યાં.’’

***