Ruh sathe ishq return - 21 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 21

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 21

રાધા એ પોતે મૃત છે અને એની રૂહ અત્યારે કબીરની સામે મોજુદ છે એ વાતનો સ્વીકાર તો કરી લીધો પણ સાથે સાથે પોતાની મૃત્યુ આત્મહત્યા નહીં પણ હત્યા છે અને કબીર જ મોહન છે એ વિશેની વિતક કહેવાનું શરૂ કર્યું.રાધા અને મોહનનાં લગ્નની આગલી રાતે પાડોશી ગીતા ને પ્રસવ પીડા ઉપડતાં રાધા દવાખાને લઈ ગઈ હોય છે જ્યાં ગીરીશભાઈ એને મૃત જાહેર કરે છે..ઘરે જતાં રાધા જોવે છે કે ઠાકુર પ્રતાપસિંહ ની ગાડીમાં ગીતાને ટેકરી તરફ લઈ જવામાં આવે છે.

ત્યાં પહોંચી ગીતાની બલી આપવા જતાં ઠાકુર પ્રતાપસિંહ ને રોકવા જતાં પોતાની પણ હત્યા કઈ રીતે કરી દેવાઈ હતી એનો સઘળો વૃતાંત રાધા જોડેથી સાંભળ્યાં બાદ કબીરે એને ગળે લગાવી લીધી.પોતે જીવીત નથી એ જાણ્યાં બાદ પણ કબીરનો પોતાની તરફનો પ્રેમ જોઈ રાધાની આંખમાંથી જે દુઃખનાં આંસુ નીકળતાં હતાં એની જગ્યાએ એ ખુશીનાં આંસુમાં પરિવર્તન પામી ચુક્યાં હતાં.

થોડો સમય એકબીજાને વળગીને રહ્યાં બાદ કબીરે રાધાને કહ્યું.

"રાધા તે જે કંઈપણ કહ્યું એ સાંભળી મને લાગે છે કે હું સાચેમાં તારો જ મોહન છું..પણ આ શક્ય કઈ રીતે બન્યું..?તારી અને મોહનની તસ્વીર મેં તારાં ઘરે જોઈ હતી એમાં તો એનો ચહેરો મારાંથી સાવ અલગ છે અને ગામમાં પણ બીજાં કોઈએ મને ઓળખ્યો નહીં.. આ બધી ઘટનાઓ બને હજુ સાતેક વર્ષ માંડ થયાં તો પછી હું કબીર રાજગુરુ કઈ રીતે જેને શહેરમાં તો હજારો લોકો વર્ષોથી ઓળખે છે..?"

કબીરનું મગજ અત્યારે સુન્ન મારી ગયું હતું અને એનું માથું ભમવા લાગ્યું હતું..રાધાએ કબીરને પલંગમાં બેસાડ્યો અને પોતે એની બાજુમાં બેસી ગઈ..કબીરનો હાથ પોતાનાં હાથમાં પકડી રાધાએ એની આંખમાં જોયું અને પોતે આત્મહત્યા કરી લીધી એ પછી શું બન્યું હતું એ વિશેનો ઘટનાક્રમ કબીર ને કહેવાનું શરૂ કર્યું.

"ગીતાનું ગામમાંથી ગાયબ થઈ જવું તો કોઈએ જલ્દી નોંધમાં ના લીધું કેમકે એની આગળ પાછળ ખાલી એનો પતિ હતો જે બહાર રહીને નોકરી કરતો હતો..પણ જ્યારે બધાં રાતે લગ્નમંડપ તૈયાર કરી ઘરે પાછાં આવ્યાં ત્યારે હું એમની નજરે ના પડી એટલે મને શોધવા બધાં એ દોડાદોડી કરી મૂકી.જમણવાર ની તૈયારી માટે વાડીમાં ગયેલાં પુરુષો પણ ગામમાં પાછાં આવ્યાં અને રાતનાં અંધકારમાં મને શોધવાનાં પ્રયાસો શરૂ કર્યા."

"તને જ્યારે હું ગાયબ થઈ ગઈ છું એની ખબર પડી ત્યારે તો તું અને તારાં મિત્રો ગામનો દરેક ખૂણો ખૂંદવામાં લાગી પડ્યાં.પણ હું ગામમાં હોઉં તો મળું ને.સવારે જ્યારે એક વ્યક્તિએ મારી વૃક્ષ પર લટકતી હાલતમાં લાશ જોઈ એટલે એને ગામમાં આવીને આ વિશે જાણ કરી..એની વાત સાંભળી મારાં પરિવારનાં સદસ્યો અને તું ગામલોકોની સાથે અહીં ટેકરી તરફ દોડી આવ્યાં."

"અહીં આવીને મારી લાશને જોઈ તારી ઉપર તો આભ તૂટી પડ્યું હોય એમ તું આક્રંદ કરવા લાગ્યો..અને જોરજોરથી ચિલ્લાવા લાગ્યો કે મારી રાધા મને છોડીને જઈ જ ના શકે..લોકો એ તને ઘણી સાંત્વના આપી પણ તું શાંત જ નહોતો થઈ રહ્યો.ગામલોકોનાં એ ટોળાંમાં દાનવ રૂપી ડોકટર ગીરીશભાઈ નો કંપાઉન્ડર રાજુ પણ હતો..રાજુ એ જણાવ્યું કે જલ્દીથી મારાં અંતિમ સંસ્કાર કરાવી દેવાં જોઈએ કેમકે જો પોલીસ આવશે તો નકામો કેસ કરશે અને પરિવારનાં બીજાં લોકોએ હેરાન થવું પડશે."

"રાજુ ની વાત ગામનાં ભલાં ભોળા લોકો તરત માની ગયાં અને સાચવીને મારી લાશને વૃક્ષ પરથી નીચે ઉતારવામાં આવી.તું તો મને વળગીને એટલું રડ્યો કે તને જોઈને બીજાં લોકોની આંખો પણ ભરાઈ આવી..તારી હાલત પાગલ જેવી થઈ ગઈ હતી..અચાનક તારાં હાથમાં એક રુદ્રાક્ષનો મણકો આવી ગયો જે મેં ઠાકુર પ્રતાપસિંહ ને ધક્કો મારતી વખતે એનાં ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળામાંથી તોડ્યો હતો.."

"તારી પાગલ જેવી હાલત જોઈને લોકોને તારી દયા આવી રહી હતી..મારાં અંતિમ સંસ્કાર વખતે પણ તે ઘણી રોકકળ કરી..એ દિવસે તું તારાં ઘરે ચાલ્યો ગયો ત્યાં સુધી મને ખબર છે કેમકે મારાં અંતિમ સંસ્કાર પછી મારી આત્મા એ પીપળાનાં વૃક્ષમાં જઈને વસી ગઈ જ્યાં મને જીવતી લટકાવવામાં આવી હતી."

"છ-સાત મહિના બાદ એક કઠિયારાં એ જ્યારે એ વૃક્ષ કાપ્યું ત્યારે મારી આત્મા એમાંથી મુક્ત થઈ અને હું તને શોધતી ગામમાં આવી પહોંચી..પણ મને ખબર પડી કે મારી મોત નાં બે દિવસ પછી તારો કોઈ પત્તો નહોતો..જશોદા બા પણ હવે ગામ છોડીને જતાં રહયાં હતાં.ગામલોકો નું માનવું હતું કે તું પાગલ બની ગયો હતો એટલે ગામ છોડીને ક્યાંક ચાલ્યો ગયો અથવા તો તે પણ આત્મહત્યા કરી લીધી હતી."

"હું ત્યાંથી સીધી પહોંચી ઠાકુર પ્રતાપસિંહની કોઠી પર જ્યાં એ અને એની પત્ની પોતાનાં કમરામાં સૂતાં હતાં.મારાં આવવાની આહટથી ઠાકુર અને એની પત્ની જાગી ગયાં.મને પોતાની સામે જોઈને ઠાકુરનાં તો મોતિયાં મરી ગયાં..એ મને જોઈને બોલ્યો કે એને પોતાનાં નજરો સામે મને મરાવી હતી તો હું પાછી કઈ રીતે આવી ગઈ..મેં એને જણાવ્યું કે હું જીવિત નથી પણ રૂહ છું અને મારી મોત નો બદલો લેવા ત્યાં આવી પહોંચી છું.."

"પોતાની જાતને મહાબલી અને તાકાતવર કહેતો ઠાકુર ડરથી ધ્રુજી રહ્યો હતો..એની બધી હેકડી મને પોતાની સામે જોઇને ઉતરી ગઈ હતી.એ પોતાની જાનની દુવા માંગી રહ્યો હતો..પણ હું હવે એક બદલો લેવા નીકળેલી રૂહ હતી જે કોઈપણ ઉપર દયા નો ભાવ રાખી શકે એમ નહોતી..મેં ઠાકુરને મારી શક્તિથી હવામાં ઊંચે કર્યો અને દીવાલ પર પછાડ્યો."

"આ સમયે ઠાકુરની પત્ની મારાં પગે પડી ઠાકુરને જીવતાં છોડી મુકવા આજીજી કરવા લાગી..એની વાત ની પણ મારાં ઉપર અસર નહોતી થઈ રહી..કેમકે હું ક્રોધમાં સળગી રહી હતી અને એ ત્યારે જ શાંત થવાની હતી જ્યારે હું મારાં ત્રણેય હત્યારાઓને મોત ને ઘાટ ના ઉતારી મુકું..મેં મારી શક્તિ વડે ઠાકુરને લોહી લુહાણ કરી મુક્યો અને એને ખતમ કરવાની મનસા સાથે છેલ્લી વખત એની ઉપર પ્રહાર કર્યો પણ અંત સમયે એ દુષ્ટે પોતાની નિર્દોષ પત્નીનો ઢાલ ની જેમ ઉપયોગ કરી એને વચ્ચે લાવી દીધી.."

"મારાં શક્તિશાળી પ્રહારથી ઠાકુરની પત્ની મૃત્યુ પામી..અને એક નિર્દોષની હત્યાનું પાપ મને લાગ્યું..આમ થતાં મારી બધી શક્તિ ક્ષીણ થઈ ગઈ.હું ઈચ્છવા છતાં ઠાકુર ને કંઈપણ કરી ના શકી..મારી શક્તિ ક્ષીણ થઈ જવાની વાત ખબર પડતાં ઠાકુરે દૈવી શક્તિનો ઉપયોગ કરી મને એ સમયે તો ત્યાંથી જવા મજબુર કરી મૂકી.."

"પોતાની પત્ની દાદરાં પરથી પડીને મૃત્યુ પામી છે એવી વાત એ હરામખોર ઠાકુરે બધાં ને જણાવી..પણ એને પોતાની જાનની ખૂબ ફિકર હતી એટલે એને એક મોટાં તાંત્રિક ને બોલાવીને આખાં ગામ ફરતે રક્ષાકવચ બનાવી દીધું..આ ઉપરાંત પોતાનાં મોજશોખ માટે બે વર્ષ બાદ જ્યારે આ વુડહાઉસ બનાવ્યું ત્યારે પણ એમાં એ રક્ષા કવચ ની સગવડ કરાવી દીધી."

"હું ઇચ્છવાં છતાં પણ મારાં કાતીલોને કંઈપણ કરી શકું એમ નથી..ગીતાની બલી આપ્યાં બાદ ઠાકુર બીજી સાત ગર્ભવતી સ્ત્રીઓની પણ બલી આપી ચુક્યો છે..દર વર્ષે એક ગર્ભવતી સ્ત્રીને મોત ને ઘાટ ઉતારીને એ પોતાની જાતને મહા શક્તિશાળી બનાવવા ઈચ્છે છે..અને ડોકટર ગિરીશ અને રાજુ પણ એની મેલી મુરાદમાં એનો સાથ આપે છે..એ પાપીઓ આટલું બધું કર્યાં બાદ પણ ગામલોકોની વચ્ચે મસીહા ની જેમ પૂજાય છે જે મારાંથી સહન નથી થતું..એ ત્રણેયની મૃત્યુ થશે પછી જ મારી ભટકતી આત્મા ને મોક્ષનો માર્ગ મળશે.."

રાધા જેમ-જેમ આ બધું કબીરને જણાવી રહી હતી એમ એમ એ સમયનાં દ્રશ્યો કબીરનાં માનસપટલ પર પુનઃ ઉભરી આવ્યાં હોય એવું એને લાગી રહ્યું હતું..પોતે મંદિરમાં જઈને ભગવાનની આરતીમાં કેમ લિન થઈ ગયો એ દ્રશ્ય પણ કબીરે ભુતકાળમાં પોતાને જ્યારે મહાદેવની આરતી ઉતારતાં જોયો ત્યારે ખબર પડી..હરગોવનભાઈ એને પોતાનાં કેમ લાગ્યાં એ પણ કબીરને હવે સમજાઈ રહ્યું હતું."

"કબીર ને થોડું ઘણું એ તો યાદ આવ્યું કે રુદ્રાક્ષનો મણકો રાધાનાં હાથમાંથી મળ્યાં બાદ પોતે આવો જ મણકો કોઈકનાં ગળામાં જોયેલો હોવાનું સાંભળી રહ્યું હતું..અચાનક એને યાદ આવી ગયું કે આ મણકો તો ઠાકુર પ્રતાપસિંહનાં ગળાનાં પહેરેલી માળામાં મોજુદ હતો..ઠાકુર જ રાધા ની મોત પાછળ જવાબદાર હોવાનું લાગતાં મોહન પોતાનાં સવાલોનાં જવાબ શોધવા ઠાકુરની હવેલી એ પહોંચ્યો હતો ત્યાં સુધીની વાતો તો કબીરને યાદ આવી ગઈ હતી..પણ બદલાયેલો ચહેરો અને નવું નામ એને ક્યાંથી મળ્યું એ કબીરને નહોતું સમજાઈ રહ્યું."

"રાધા તે કહ્યું કે આ વુડહાઉસમાં રક્ષાકવચ છે તું કઈ રીતે અંદર પ્રવેશવામાં સફળ થઈ..?"વિચાર ઝબકતાં કબીરે રાધા ની તરફ જોઈને પૂછ્યું.

"કબીર,તને યાદ છે જ્યારે હું પ્રથમવાર આ વુડહાઉસમાં આવી ત્યારે મેં પગમાં મચકોડ આવી જવાનું નાટક કર્યું અને તારો હાથ પકડીને અંદર આવી.જો કોઈ લાગણી ધરાવતું વ્યક્તિ પોતાનાં હાથમાં હાથ લઈને તમને આ રક્ષાકવચમાં લાવવામાં આવે તો કવચની શક્તિ પૂર્ણ થઈ જાય છે.."પોતે કઈ રીતે વુડહાઉસમાં આવવામાં સફળ રહી એનું રહસ્ય ઉજાગર કરતાં રાધા બોલી.

"રાધા એક વાત તો નક્કી છે કે મારાં જોડે પણ કંઈક થયું હતું જેની ખબર ઠાકુર પ્રતાપસિંહ ને છે અને શીલાને"શીલાનું નામ મનમાં જ કબીર બોલ્યો.

"તો કબીર હવે શું કરીશું..?શું એ ત્રણેય હત્યારાઓ જેમનાં લીધે તું અને હું એક ના થઈ શક્યાં એ આમ જ ખુલ્લાં ફરતાં રહેશે..?"રાધા કબીરની આંખમાં આંખ નાંખીને ભાવભર્યાં ચહેરે બોલી.

"રાધા હવે સવાર પડવા આવી છે..તારાં જવાનો સમય થઈ ગયો છે..અત્યારે તું જઈ શકે છે..હું આગળ શું કરવું એ વિશે નિરાંતે વિચારું છું..તું ચિંતા ના કર એ સૌ નો હિસાબ થશે અને એ પણ બહુ જલ્દી."રાધાનો ચહેરો પકડીને એનાં કપાળને પ્રેમથી ચુમતા કબીર બોલ્યો.

"સારું કબીર હું નીકળું ત્યારે.."કબીરનાં હાથમાંથી પોતાનો હાથ છોડાવીને રાધા બોલી.

કબીરે ડોકું ધુણાવી રાધાને ત્યાંથી જવાની સહમતી આપી અને એની રજા મળતાં રાધા ત્યાંથી ચાલી નીકળી..આજે રાધાનાં હૃદયમાં મોજુદ હજારો મણ નો જે બોજ હતો એ બધો ઉતરી ચુક્યો હતો.આજે એને પોતાનો મોહન ખરાં અર્થમાં મળી ચુક્યો હતો.

રાધાનાં ત્યાંથી ગયાં બાદ કબીર નીચે આવ્યો અને રસોડાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો..હવે જીવાકાકા ને પણ રાધા ત્યાં આવે છે એની ફરીવાર ખબર ના પડે એવું કબીર ઈચ્છતો હતો..પોતાનાં અને રાધાની જોડે જે કંઈપણ થયું હતું એ ખરેખર દયનીય હતું.

"શીલા ની જોડેથી મારી હકીકત જાણું એ પહેલાં આ ત્રણેય નીચ લોકોને એમનાં કર્યાનો દંડ આપવો જરૂરી છે..પણ એ બધું એ રીતે કરીશ કે એમનો અસલી ચહેરો પણ આ દુનિયાની સામે આવી જાય.."કબીર મનોમન બબડ્યો.

પોતે એ લોકો ની સાથે રાધાની મોત નો અને પોતાને રાધાનાં વિયોગમાં જીવવા મજબુર કર્યો એનો બદલો કઈ રીતે લેવાનો એ વિશે કબીર વિચારતો હતો ત્યાં એનાં મગજમાં એક દ્રશ્ય તરવરી ઉઠ્યું અને એ દ્રશ્ય મગજમાં આવતાં જ કબીરનાં શાંત ચહેરા પર એક લુચ્ચી સ્મિત ફરકી ઉઠી અને એ બોલ્યો.

"ડોકટર ગીરીશભાઈ તમારો કાળ હવે નજીક છે..પહેલાં તારી ઉપર ચડેલ ભગવાનનાં ઉપનામ ને શૈતાન માં ફેરવું પછી જ તને મોત આપીશ."

★★★★★★

વધુ આવતાં અંકમાં.

મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?ડોકટર ગીરીશભાઈ જોડે કબીર કઈ રીતે બદલો લેવાનો હતો..?કબીરની જીંદગી આગળ નવો કયો વળાંક લેવાની હતો..?કબીરે કરેલો એક રૂહ સાથેનાં ઈશ્કનો શું અંજામ આવવાનો હતો..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ