Maa ni munjvan - 9 books and stories free download online pdf in Gujarati

માઁ ની મુંજવણ - ૯

આપણે જોયું કે શિવને કીમો થેરેપી પુરી થઈ ગઈ અને કીમો થેરેપી ની સાઈડ ઈફેક્ટ સ્કિન પર થઈ હતી, શિવને આખા શરીર પર ખુબ ખંજવાળ આવતી હતી. શિવની સ્કિન કાળી થઈ ગઈ હતી, ખુબ જ રૂપવાન શિવ બિહામણો લાગે એવો થઈ ગયો હતો. હવે આગળ...

આજ કીમો થેરેપીનો ૮મો દિવસ પૂરો થયો હતો. તૃપ્તિ શિવની બાજુમાં બેઠી હતી, એ પોતાના બાળકને જોઈને દુઃખી થઈ રહી હતી, થોડી થોડી વારે શિવ માઁ ને ક્યારેક પીઠમાં તો ક્યારેક પગમાં તો ક્યારેક કેથેટર ફિટ કર્યું એ ભાગમાં ખુબ ખંજવાળ આવે છે ની ફરિયાદ કરી રહ્યો હતો. તૃપ્તિ શિવને ખંજવાળ કરી આપતી અને શિવના માથા પર હાથ ફેરવતી શિવને ઊંઘાડી રહી હતી. શિવને ઊંઘ આવી ગઈ હતી પણ તૃપ્તિ વિચારોમાં ખોવાયેલ હતી, આજ તૃપ્તિને એ દિવસ યાદ આવ્યો જે દિવસે શિવનો જન્મ થયો હતો. શિવના જન્મએ બધા કેટલા ખુશ હતા અને ખુદ તૃપ્તિ પણ હરખઘેલી બની હતી....

તારા જન્મથી જ મને માતૃત્વનું સૌભાગ્ય મળ્યું,
જીવન સુખેથી જીવવાનું જાણે મને કારણ મળ્યું,
મારા કુળને ખુશ કરનાર જાણે મને વંશજ મળ્યું,
મારા સ્ત્રી જન્મનું ખરું જાણે મને સન્માન મળ્યું,
પૃથ્વી પર વૈકુંઠનું સુખ જાણે મને માતૃત્વથી મળ્યું,
જોઈ તારા ચહેરાને મારુ જાણે મને દર્પણ મળ્યું,
કહું છું દિલથી "દોસ્ત" ઘડીક,
જોયેલું દરેક આજ સ્વપ્ન મને સફળ મળ્યું!

તૃપ્તિના વિચારનો દોર એ વિચારે તૂટી જાય છે કે શિવનું જીવનમાં આગમન આટલી ખુશી થી થયું અને આજ આ બધી જ ખુશી છીનવાય ગઈ છે, મારુ બાળક મોતથી જજુમી રહ્યું છે. તૃપ્તિની બંધ આંખ આ વિચારે ખુલી જાય છે, એ ઉભી થઈને પાણી પીવે છે. પોતાની જાતને સાચવે છે. તૃપ્તિ પોતાના કુળદેવીને પ્રાથના કરતી ફરી શિવની બાજુમાં બેસી જાય છે. આખી રાત એની વિચારોમાં જ વીતે છે.

        દિનાંક : ૧૫/૪/૨૦૧૪ 

આજ રોજ આસિતની કમરમાંથી ઇંજેક્શન દ્વારા બોનમેરો કાઢીને શિવને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું. આસિતને જો જરા પણ ઇન્ફેકશન જેમ કે શરદી, ઉધરશ, કે જરા તાવ પણ હોય તો એ શિવ માટે ખુબ જ ચિંતા જનક બની રહે, પણ આસિત ની હેલ્થ એકદમ પ્રોપર હતી કોઈ જ ચિંતા જેવું ન હતું છતાં એક માઁ નો જીવ ને આથી તૃપ્તિ ખુબ મુંજવણમાં હતી. શિવની સાથોસાથ આજ તૃપ્તિને આસિતની પણ ચિંતા થતી હતી, એક બાજુ વ્હાલસોયું બાળક અને બીજી તરફ તેનો સુહાગ, બંન્નેને આમ BMT રૂમમાં જોઈને આજ તૃપ્તિના મોઢા પરથી નૂર જતું રહ્યું હતું, એ રૂમની બહાર બેઠી હતી, ડૉક્ટર કે નર્સ આવે એટલે એનો પ્રશ્ન એજ હતો કે આસિતને કઈ નહીં થયું ને? એ ઠીક તો છેને? પ્લીઝ મને BMT રૂમ માં અંદર જવા દોને? એક નર્સ એ કહ્યું કે તમે ખુબ પ્રેમ કરતા લાગો છો આજ શિવની તો ખરી પણ આસિતની ચિંતા તમને ખુબ થઈ રહી છે..આસિત એકદમ ઠીક છે, આટલું બોલે છે છતાં તૃપ્તિના મનમાં ચિંતા જ ઘેરાયેલી હતી. નર્સએ આસિતને વાત કરી હતી અને એ પણ તૃપ્તિની હાલત જાણતો જ હોવાથી જેવો બોનમેરો આસિતમાંથી કાઢી લેવામાં આવે છે કે તરત આસિત ડૉક્ટર ને રિક્વેસ્ટ કરે છે કે હું એકવાર રૂમની બહાર તૃપ્તિને મારુ મોઢું દેખાડી આવું? ડૉક્ટર એમની પરિસ્થિતિ સમજીને આસિતને હા પાડે છે. આસિત રૂમની બહાર આવે છે અને તૃપ્તિ એમ બોલે છે ત્યાં તો તૃપ્તિની આંખમાંથી આંસુ સરી પડે છે. તૃપ્તિ આસિતને જોઈને શાંતિ અનુભવે છે અને એ થોડી નોર્મલ થઈ જાય છે. આસિત ફરી રૂમમાં જાય છે. અને આ તરફ તૃપ્તિ બહાર બેઠી વિચારે છે કે ભગવાને મને જેટલી પણ તકલીફ આપી પણ આસિતના સાથે મને તૂટવા નથી દીધી. લગ્નના શરૂઆતના સમયમાં જે પ્રેમ બંને વચ્ચે હતો એ આજપણ એવો જ છે, આસિત કેટલી બધી તકલીફો વચ્ચે પણ તૃપ્તિની હાલત ને ખુબ સારી રીતે અનુભવી શકતો હતો. આસિત દ્વારા મળતી સાંત્વના અને હૂંફ તૃપ્તિને જીવન જીવવા માટે પ્રાણ પૂરતી હતી. તૃપ્તિ પણ એની ફરજ ખુબ સારી રીતે નિભાવતી હતી. એ પણ આસિત માટે ખરી સાબિત ઉતરી હતી. 

શિવના WBC કાઉન્ટ ૧૦૦ થઈ ગયા હોય છે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ  તો થઈ ગયો હતો પણ એ સકસેઝ થયો છે કે નહીં એ WBC કાઉન્ટ જો  વધે તો શિવના જીવવાના ચાન્સ વધી જાય છે. શિવને ૨૧ દિવસ રાહ જોવાની રહે છે કે શિવને ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ થયું છે કે નહીં? આમ આપણો શિવ ૨૧ દિવસ સુધી જીવન મરણ વચ્ચે જોલા ખાય રહ્યો હતો. ડૉક્ટર પણ આમા કઈ જ કહી શકતા નથી, જે પણ હતું એ ભગવાન ઉપર જ નિર્ભર હતું.

શું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સફળ જશે? શિવ એની જિંદગી ને જીતી લેશે? હજુ કેટલું શિવએ જીવન મરણ વચ્ચે ઝઝૂમવાનું છે એ જાણવા જરૂર વાંચજો પ્રકરણ : ૧૦..