Varun devtato khullo patra books and stories free download online pdf in Gujarati

વરુણ દેવતાનો ખુલ્લો પત્ર

વ્હાલા પૃથ્વીવાસીઓ અને ખાસ તો હિન્દુસ્તાનીઓ જોગ...

હાલ હિન્દુસ્તાનની સરકારે એક સુખદ આંચકો તમને આપ્યો છે. કલમ ૩૭૦ નાબૂદ કરી હિંમતને દાદ આપી છે. અકલ્પનીય આંચકો આપ્યો છે જે કાશ્મીરી પ્રજા માટે બહુજ સુખદ છે. અગાઉ પણ અકલ્પનીય આંચકા હાલની સરકારે પહેલા ૫ વર્ષમાં નોટ બંદી , જી.એસ. ટીના આપ્યા છે. તાજેતરમાં જ વાહન વહેવારના નવા કાયદાનો આંચકો આપ્યો છે.

હાલમાં હિન્દુસ્તાનના લગભગ બધાજ રાજ્યોમાં મનમૂકીને વરસાદ વરસ્યો છે તે પણ એક અકલ્પનીય અને સુખદ આંચકો છે. અમો બધાજ દેવોએ એક સમિતિની રચના કરી હતી જેમાં સૂર્ય દેવતા,અગ્નિ દેવતા,વાયુ દેવતા,પવન દેવતા,અન્ન દેવતા , કુબેર દેવતા,વન દેવતા સભ્યો છે.

અમોને સૂત્રો મારફત જાણવા મળ્યું છે કે પૃથ્વી ઉપરના કાળા માથાના માનવીઓ પાણી માટે ટળવળે છે.લડાઈ ઝગડા કરે છે, ખુના મરકી કરે છે. લોકો ,ખેડૂતો પરિવારને રઝળતા મૂકી આત્મહત્યા કરે છે. જળ વીના જાનવરો તરફડી મરે છે.આ દારુણ સ્થિતિ અમોએ ઉપરથી નિહાળી અને તેનું અવલોકન કર્યું. અમારું દિલ દ્રવી ઉઠ્યું. અમારી સભામાં આ વિષયને લઈને લાંબી ચર્ચા થઈ અને ચર્ચાને અંતે આ વરસે મન મૂકીને વરસાદ મોકલવો એવું સર્વાનુમતે મંજૂર થયું હતું.તે મુજબ બધીજ જગ્યાએ વરસાદ મોકલ્યો છે. નદી,નાળાઓ,સરોવરો,જળાશયો જળથી છલોછલ ભર્યા છે. આખા હિન્દુસ્તાનને ચેરાપુંજી બનાવવાનું અમારું લક્ષ્ય છે.
ચોમાસાને હવે છમાસા કે સપ્તમાસ મા ફેરવવાનું વિચારાધીન છે. આ ચોમાસાનો પાયલોટ પ્રોજેકટ છે જો તે સફળ થાય તો અમલમાં મૂકાશે.

હા..એક વાત અમો દિલથી સ્વીકારીએ છીએ કે આ વરસાદને એક પ્રકારે જળપ્રકોપ પણ કહી શકાય તેમ છે. ઘણાઓનું ખાસુ એવું નુકસાન પણ થયું છે. કદાચ ભીનો દુકાળ પણ રહશે. તેમાં આપ બધાને એક સંકેત હતો, સંદેશો પણ હતો.

હવે આપને એક ખાસ વિનંતી કરીએ છીએ કે જે જળ તમને આપ્યું છે તેનો ખપ પૂરતો વપરાશ કરવો.જરૂરી પૂરતો ઉપયોગ કરવો. ફાલતુ બગાડ કરશો નહી.

નહિતર આવનાર દિવસો આપને અને આવનાર પેઢીને બહુજ આકરાં રહેશે. પાણીના એક એક ટીપા માટે મરવું પડશે. પૈસા ખર્ચીને પણ જળ મળશે નહિ.આત્મહત્યા,હત્યાઓનું પ્રમાણ વધશે. જળ માટે એક બીજાની હત્યા પણ કરશે. વડીલોપાર્જિત સંપતિઓના ભાગલા માટે એટલું નહી લડવું પડે જેટલું જળ માટે લડવાનો સમય આવશે.ત્યારે સીમા સરહદ, કે અન્ય રાષ્ટ્રીય,આંતરરાષ્ટ્રીય કે ઘરેલુ સમસ્યાઓ બાજુમાં રહી જશે અને જળ માટે વલખાં મારવાં પડશે. નાના મોટા યુદ્ધ કરવા પડશે જેમાં નાણાં બેફામ વપરાશે. આપના ભલાઈ માટે કહું છું કે કુદરત જોડે કોઈ દિન બાથ ભીડવી નહી.કોઈએ રમત રમવી નહી.કુદરતની આડે આડખીલી બનતા નહી.કુદરત એટલે કુદરત જ રહેશે. કુદરતની આગળ કોઈ માથું ઉંચું કરશે તો એનું આવી બનશે.

સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીએ તમને જન્મ આપતી વખતે બુદ્ધિ નામની નાનકડી ચિપ્સ દિમાગમાં ગોઠવી આપી છે તેનો સદુપયોગ કરી જળને તેમજ પર્યાવરણને બચાવો. જો તેવું કરવામાં માનવી સફળ થશે તો સૂર્ય દેવતા પ્રકોપ નહી કરશે.અન્ન દેવતા ભરપૂર અનાજ ખેતરોમાં ઉગવશે, કુબેર દેવતા તમારી તિજોરીઓ ધનથી ભરી દેશે.

અમોએ હવે તમને સુધરી જવા માટે આ એક છેલ્લો અવસર આપ્યો છે.

હજુ મહિના થી પંદર દિવસનો સમય બાકી છે. ન સુધરવાના હોય તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રેહજો.પછી અમને લાખ વિનંતી કરો, માનતાઓ, બાધાઓ રાખશો તો અમારા પેટનું પાણી પણ નહી હલશે.સાનમાં સમજી જાઓ એજ તમારા તરફથી અમોને અપેક્ષાઓ છે.
તમને સુધારવા માટેની બધીજ ચાવીઓ અમારી પાસે છે પણ તે ચાવીઓ અમો અત્યારે વાપરવાના તરફેણમાં નથી.

સંકટ સમયે એ હથિયાર અમોએ અમારી પાસે રાખેલ છે જેની ગંભીરતાથી નોંધ લેશો.

લી.વરુણ દેવતા.

***********************************************************************************************

.. (ભરતચંદ્ર શાહ......