Limelight - 45 books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ - ૪૫

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૫

રીંકલ મા નતાશાની મદદ લઇ અજ્ઞયકુમારને સાચા રસ્તે વાળવા માગતી હતી. અજ્ઞયકુમાર પોતાના દિલમાં પોતાના ઘરમાં પાછો ફરે એવું ઇચ્છતી હતી. રીંકલને એમ હતું કે મા નતાશા વાત કરશે તો અજ્ઞયકુમાર ટાળી શકશે નહીં. તે માનું માનીને છૂટાછેડા આપવાનો વિચાર પડતો મૂકશે. પણ મા તેને અજ્ઞયકુમારને પડતો મૂકવાની સલાહ આપી રહી હતી. રીંકલે અજ્ઞયકુમાર તેનાથી દૂરી બનાવી રહ્યો છે અને છૂટાછેડા આપવાની વાત કરી રહ્યો છે તેનાથી નતાશાને અવગત કરી ત્યારે માએ તેને જે સલાહ આપી એનાથી એ નવાઇ પામી. નતાશાએ તેને બીજા પુરુષ સાથે અફેર શરૂ કરવાની સલાહ આપી. માની વાત સાંભળી રીંકલને ગુસ્સો આવ્યો અને બોલી:"મા આ તું શું કહે છે? હું તારી પાસે લગ્નજીવન ટકાવી રાખવા અજ્ઞયકુમારને સમજાવવાની આશા રાખી રહી છું ત્યારે તું મને અમારા વચ્ચેની ખાઇ વધારવાની સલાહ આપી રહી છે? અને તું મને ઓળખે છે. મારા માટે પતિ મારો પરમેશ્વર છે. હું બીજા કોઇ પુરુષ વિશે વિચાર કરી શકું જ નહીં. મેં એકમાત્ર અજ્ઞયકુમારને પ્રેમ કર્યો છે. અને તું બીજા પુરુષ સાથે અફેર કરવાની વાત કરી રહી છે? જો અજ્ઞયકુમાર નહીં માને તો હું એકલી જિંદગી જીવી લઇશ પણ બીજા કોઇને પ્રેમ નહીં કરી શકું..."

"અરે! મારી વાત તો સાંભળ!" કહી નતાશાએ તેને વચ્ચે જ અટકાવી:"હું તારા સારા માટે આ સલાહ આપી રહી છું. તારે તો કોઇ સાથે અફેરનું નાટક જ કરવાનું છે. સાચો પ્રેમ કરવાનો નથી. આમ કરવાથી અજ્ઞયકુમારને જલન થશે. તેને એમ થશે કે તેના વગર રીંકલ જીવી નહીં શકે એવું માનવું ખોટું છે. તે બીજા કોઇ સાથે તને કલ્પી શકશે નહીં. હું એમને સારી રીતે ઓળખું છું. એ પત્નીવ્રતા પુરુષ રહ્યો છે. પણ આ રસીલીની મોહમાયામાં કેમ લપટાયો એ જ સમજાતું નથી. તેં રસીલીને વાત કરી પણ એણે તને દાદ ના આપી એ પરથી લાગે છે કે મારા ભોળા જમાઇ પર તેણે ભૂરકી નાખી છે. તેને પણ સમજ પડવી જોઇએ કે રીંકલને ચાહનારા ઘણા છે. તું ચિંતા ના કરીશ. મારા સમયના અભિનેતા આશિષ કપૂરનો છોકરો મોનિશ ભલે મોટો અભિનેતા નથી પણ મોટો નિર્માતા છે. તેને વાત કરીને તારી મદદ કરવા કહીશ. તારું બીજા સાથેના અફેરનું જાણી અજ્ઞયકુમાર પોતાનો વિચાર બદલશે...."

રીંકલની બુધ્ધિ કામ કરતી ન હતી તે બોલી:"મા, મને તો કંઇ સમજાતું નથી. તું કહે છે તો આપણે એ રીતે પ્રયત્ન કરી જોઇએ..."

"હા, હું બે દિવસમાં બધું ગોઠવી આપું છું. મોનિશ ના માને તો બીજો કોઇ...." કહી નતાશાએ ફોન પૂરો કર્યો.

સાંજે તો મિડિયામાં સમાચાર ફરતા થઇ ગયા કે અજ્ઞયકુમાર અને રીંકલ વચ્ચેના દામ્પત્ય જીવનની તિરાડ વધુ પહોળી થઇ છે. ખબર છે કે રીંકલ એક પ્રોડ્યુસરના પ્રેમમાં છે. અજ્ઞયકુમાર રીંકલની અવગણના કરતો હોવાથી જીવનની એકલતાને દૂર કરવા મોનિશ કપૂર સાથે દોસ્તી કરી છે. આ દોસ્તી આગળ વધે છે કે માત્ર દોસ્તી જ બની રહે છે એ તો સમય જ કહેશે. બીજી તરફ અજ્ઞયકુમારની રસીલી સાથેની નજદીકી વધી રહી છે. બંને પોતાની ફિલ્મ 'પતિ, પત્ની ઔર મોબાઇલ' ના પ્રચારમાં વ્યસ્ત અને મસ્ત છે. પ્રચાર માટે દિવસોથી સાથે ફરી રહ્યા છે. અજ્ઞયકુમાર અને રીંકલના પતિ-પત્નીના જીવનમાં 'વો' ની એન્ટ્રી થઇ ચૂકી છે. તેનો અંત કેવો હશે એ અંગે ઇન્ડસ્ટ્રીઝમાં ભારે કાનાફૂસી થઇ રહી છે.

રીંકલનું નામ જેવું મોનિશ સાથે જોડાયું કે અજ્ઞયકુમાર ચોંકી ગયો. રીંકલ આ રીતે તેને જવાબ આપશે એવી કલ્પના તેણે કરી ન હતી. તેની સાથે ફરતી રસીલીને પણ રીંકલની મોનિશ સાથેની દોસ્તીની વાત જાણી નવાઇ લાગી હતી. રસીલીએ અજ્ઞયકુમારનું એ ખબર તરફ ધ્યાન દોરીને પૂછ્યું પણ ખરું. ત્યારે અજ્ઞયકુમારે જવાબ આપ્યો:"એ પોતાના જીવનમાં કોઇ પણ નિર્ણય લેવા સ્વતંત્ર છે. પણ મને તેની પાસેથી આવી અપેક્ષા ન હતી. મને છૂટાછેડા આપવાની ના પાડતી હતી અને હવે તેનું દિલ બીજા પર આવી રહ્યું છે. મારા માટે તો સારું જ છે. જલદી છૂટાછેડા મળશે...."

રસીલીને અજ્ઞયકુમાર માટે હમદર્દી વધી રહી હતી.

અજ્ઞયકુમાર-રસીલીની ફિલ્મ 'પતિ, પત્ની ઔર મોબાઇલ'નું ટ્રેલર રજૂ થઇ ગયું હતું. અને તે ટ્રેન્ડીંગ થઇ રહ્યું હોવાથી ફિલ્મને સારી હાઇપ મળી હતી. ફિલ્મમાં એક પતિ-પત્નીની વાર્તા હતી. જેમને મોબાઇલનું વ્યસન હતું. બંને એકબીજા કરતાં મોબાઇલ સાથે વધુ સમય વીતાવતા હતા. એમાં કોમેડી અને ઇમોશન સાથે એક સંદેશ પણ આપવાનો પ્રયત્ન થયો હતો. ફિલ્મમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે પતિ સોશિયલ મિડિયા પર જ વધુ વ્યસ્ત રહેતો હોય ત્યારે ટીંગટોંગ એપ પર એક યુવતી સાથે ડેટ કરવા લાગે છે. અને તેમના જીવનમાં તોફાન આવે છે. અજ્ઞયકુમાર સામાજિક અને કોમેડી ફિલ્મો કરવા માટે જાણીતો હોવાથી આ ફિલ્મ પણ વધુ પસંદ કરવામાં આવશે અને બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવશે.

અજ્ઞયકુમારને પણ ફિલ્મની ભારે સફળતાની આશા છે. તે ફિલ્મના પ્રચાર માટે રાત-દિવસ એક કરી રહ્યો છે. તે અત્યારે અંગત જીવનને બદલે ફિલ્મ પર જ વધારે ધ્યાન આપી રહ્યો છે. ફિલ્મના ગીતો પણ ધૂમ મચાવી રહ્યા છે. અજ્ઞયકુમાર-રસીલીનું 'બંધ કમરે મેં ક્યૂં ના કુછ હો જાય, દિલ સે મિલે દિલ તો ખુશ હો જાય' ગીત આવતાની સાથે જ ધૂમ મચાવી રહ્યું હતું.

'પતિ, પત્ની ઔર મોબાઇલ' ની સફળતા નિશ્ચિંત બની હતી છતાં અજ્ઞયકુમારને એ સમજાતું ન હતું કે તેના દિલમાં કેમ ખુશી થતી નથી?

***

રસીલી પોતાની ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત રહેતી હતી. પણ અજ્ઞયકુમાર, મોન્ટુ અને સાકીર તેના વિચારોનું કેન્દ્રબિંદુ રહેતા હતા. સાકીર વિરુધ્ધ તેણે પોલીસને મજબૂત પુરાવા આપી દીધા પછી પોલીસ પણ ખુશ હતી. જેલમાં સબડતા સાકીરની તબિયત ખરાબ રહેતી હોવાના પણ સમાચાર આવતા હતા. સારવાર માટે તેણે હોસ્પિટલમાં લઇ જવા જામીન પર છોડવા માગણી કરી હતી. પણ પોલીસે પોતાની સુરક્ષામાં જ સારવાર આપવાનું નક્કી કર્યું હતું. સાકીરને બહાર આવવા માટે માંદગીનો સહારો પણ મળ્યો ન હોવાની ચર્ચા હતી. તો એક અહેવાલ એવું પણ કહેતો હતો કે જેલમાં રહેવા ના માગતા આરોપીઓ તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવતા હોવાના કિસ્સા વધી ગયા હોવાથી કોર્ટ અને પોલીસ આ મામલે સખત બન્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી રસીલીને ને એમ લાગતું હતું કે કોઇ તેનો પીછો કરી રહ્યું છે. તેની કારની પાછળ ક્યારેક કોઇ હેલ્મેટ પહેરેલો બાઇકસવાર તો ક્યારેક કાળા કાચવાળી કાર પીછો કરતી હોવાનું લાગતું હતું. રસીલીના દિલમાં એક ફડક પેસી ગઇ હતી. તેણે પોલીસને જાણ કરી દીધી હતી. એ પછી એ થોડી રાહત અનુભવતી હતી. એક દિવસ ડીએસપી દેવરેનો ફોન આવ્યો:"રસીલીજી, તમારો પીછો કોણ કરતું હતું એનો પત્તો લાગી ગયો છે..." અને દેવરેએ જ્યારે નામ આપ્યું ત્યારે રસીલી ચોંકી ગઇ.

****

મિત્રો, રસીલીએ મોન્ટુને ધ્યાનમાં રાખી કયો નિર્ણય લીધો ? 'પતિ, પત્ની ઔર મોબાઇલ' ની સફળતા નિશ્ચિંત બની હતી છતાં અજ્ઞયકુમારના દિલમાં કેમ ખુશી થતી ન હતી? રસીલીનો પીછો કરનાર કોણ હતું? તેનો શો ઇરાદો હતો? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ-બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***