Once Upon a Time - 118 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 118

Featured Books
  • Safar e Raigah - 10

     منظر ۔ سلطان مرزا کے اس ایک فیصلے نے گھر کی فضا کو جیسے ہمی...

  • Safar e Raigah - 9

     باب ۔کشمیر کی برفیلی اور سرد شام تھی۔ باہر چنار کے درختوں س...

  • قلم کا قیدی

                     انتساب اُن کے نام...میرے 'استادِ محترم&...

  • صبح ہو گئی چچا

    خفیہ میں نے اپنے دل میں کیا راز چھپا رکھا ہے؟ میں نے تعلق کو...

  • لفافہ

    تصویر آج پھر میرا دل ملاقات کے لیے تڑپ رہا ہے۔ ایک بار پھر،...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 118

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 118

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના યુનિટ વનમાંથી મહારાષ્ટ્રના ભંડારામાં ધકેલી દેવાયેલા સિનિયર ઈન્સ્પેક્ટર પ્રભાકર બાબરને નોકરીમાંથી બરતરફ કરી દેવાયા. મુંબઈના કેટલાક અધિકારીઓની મુંબઈ બદલી કરવામાં આવી એ પછી એક મહિના બાદ સિનિયર ઈન્સ્પેક્ટર બાબરની બરતરફીને કારણે મુંબઈ પોલીસમાં વધુ એકવાર ખળભળાટ મચી ગયો.

પ્રભાકર બાબરને અંડરવર્લ્ડ સાથે સંબંધ રાખવાનું ભારે પડી ગયું હતું. 4 મે, 1999ના દિવસે પોલીસ કમિશનર આર.એસ. મેન્ડોસાએ પ્રભાકર બાબરને નોકરીમાંથી બરતરફ કર્યા એના સાત મહિના અગાઉ એન્ટિ કરપ્શન બ્યૂરોએ એક હોટલ માલિક પાસેથી લાંચ લેવા માટે બાબરની ધરપકડ પણ કરી હતી.

મુંબઈ પોલીસને વધુ સજ્જ બનાવવા માટે કમિશનર મેન્ડોસા અત્યંત ઉગ્ર પગલાં લઈ રહ્યા હતા. એ દરમિયાન મુંબઈ પોલીસ માટે એક સારા સમાચાર આવ્યા.

16 નવેમ્બર, 1991ની રાતે મુંબઈના લોખંડવાલા કોમ્પલેક્સમાં તત્કાલિન એડિશનલ કમિશનર એ.એ. ખાનની ટીમે દાઉદ ઈબ્રાહિમની અત્યંત નજીકના ગુંડાઓ પૈકી એક ગણાતા મહેન્દ્ર ઉર્ફે માયા ડોળસ સહિત સાત ગુંડાઓને એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા એ પછી ખાનની ટીમ સામે ગંભીર આક્ષેપ થયો હતો કે અંડરવર્લ્ડ સાથેની સાંઠગાંઠને કારણે જ એ એન્કાઉન્ટરની ઘટના બની હતી. એ આક્ષેપની તપાસની જવાબદારી એન્ટિ કરપ્શન બ્યૂરોને સોંપાઈ હતી. 22 જુલાઈ, 1999ના દિવસે એન્ટિ કરપ્શન બ્યુરોએ એનો અહેવાલ આપ્યો એમાં એ.એ. ખાનની ટીમને ક્લિન ચીટ અપાઈ.

આ દરમિયાન મુંબઈ પોલીસનું અંડરવર્લ્ડ સામેનું એન્કાઉન્ટર અભિયાન ચાલુ જ હતું. 1999ના પહેલા 6 મહિના દરમિયાન મુંબઈ પોલીસે એન્કાઉન્ટરમાં 57 ગુંડાઓને મારી નાખ્યા હતા એમાં મોટા ભાગના ગુંડાઓ દાઉદ ગેંગના હતા. આ ઉપરાંત પોલીસે ખંડણી ઉઘરાણીના આરોપ હેઠળ દાઉદના ભાણેજ આફતાબ અબ્દુલ બલબલે સહિત ડઝનબંધ ગુંડાઓને જેલ ભેગા કરી દીધા હતા. ઓગસ્ટ 1999ના પ્રથમ પખવાડિયામાં મુંબઈ પોલીસનું ધ્યાન દાઉદ ગેંગ પરથી હટીને અરૂણ ગવળી અને અશ્વિન નાઈક પર કેન્દ્રિત થયું. 2 ઓગસ્ટ, 1999ના દિવસે દિલ્હી પોલીસે અશ્વિન નાઈકને કલકત્તાથી 150 કિલોમીટર દૂર બાંગ્લાદેશની સરહદ પાસે આવેલા બોગાવથી ઝડપી લીધો. નાઈક બાંગ્લાદેશ નાસી છૂટવાની વેતરણમાં હતો ત્યારે જ તેને ઝડપી લેવામાં આવ્યો.

નાઈકની ધરપકડના એક સપ્તાહ બાદ 10 ઓગસ્ટ, 1999ના દિવસે પૂના પાસે વડગાવ-પીરમાંથી પોલીસે અરૂણ ગવળીની પોલીસ પર હુમલો કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી. પણ ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયામાં ફરી એકવાર મુંબઈ પોલીસ અને થાણે પોલીસને અંડરવર્લ્ડ ભારે પડ્યું. 18 ઓગસ્ટ, 1999ના દિવસે એડિશનલ કસ્ટમ્સ ક્લેક્ટર સોમનાથ થાપાની મુંબઈના બાંદરા વિસ્તારમાં રંગશારદા ઓડિયોરિયમના દરવાજામાં ગોળી મારીને હત્યા કરાઈ.

સોમનાથ થાપા સામે મુંબઈના બોમ્બ બ્લાસ્ટ કેસ પછી શંકાની સોય તકાઈ હતી. સોમનાથ થાપાની હત્યાના બે દિવસ બાદ મુંબઈના સેશન્સ જજ વી.સી. સિંહે દાઉદ ગેંગના શાર્પશૂટર ફિરોઝ કોંકણીને ભગાવવામાં મદદરૂપ બનવાના આરોપ હેઠળ કોંકણીના પિતા અબ્દુલ્લાહ સરગુરોહ, કોંકણીના ભાઈ અનવર અને અન્ય ચાર આરોપી તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર સતીષ ગાવડે અને પોલીસ કોન્સ્ટેબલ સૂર્યાજી સાવંતને આજીવન કેદની સજા ફટકારી.

સપ્ટેમ્બર, 1999ની શરૂઆત દાઉદ અને રાજન ગેંગ વચ્ચેની ધમાલથી શરૂ થઈ. 2 સપ્ટેમ્બર, 1999ના દિવસે છોટા રાજન ગેંગના શૂટરોએ અંધેરી વિસ્તારમાં દાઉગ ગેંગના મહત્વના ગુંડા અને જે.જે. હોસ્પિટલ શૂટઆઉટ કેસના આરોપી અનિલ શર્માને ગોળીએ દીધો.

આ દરમિયાન દાઉદના પેગડામાં પગ ઘાલવા મથી રહેલા છોટા રાજને દાઉદની જેમ મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પોતાનું નેટવર્ક વિકસાવવા માંડ્યું હતું. પણ 16 સપ્ટેમ્બર, 1999ની મધરાતે રાજન ગેંગને ગુજરાતમાં એક મોટો ફટકો પડ્યો. સુરત પોલીસે લાજપોર પાસે નવસારી રોડ ઉપર છોટા રાજન ગેંગના કુખ્યાત ગુંડાઓ આસિફ અમદાવાદી અને દિલીપ મરાઠાને આંતરીને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા.

જોકે છોટા રાજન ગેંગની પ્રવૃત્તિઓને એ એન્કાઉન્ટરથી બ્રેક લાગી નહીં. 9 નવેમ્બર, 1999ના દિવસે છોટા રાજનના શૂટર્સે કુખ્યાત કારચોર શૌક્ત સરકારને મુંબઈના બાંદરા વિસ્તારમાં ગોળીએ દીધો. બીજી બાજુ છોટા શકીલે છોટા રાજન ગેંગના શૂટર્સને અને શિવસૈનિકોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું હતું.

શકીલના શૂટર્સે 7 ડિસેમ્બર, 1999ના દિવસે શિવસેનાના શાખાપ્રમુખ વિવેક કેલકરની અને 14 ડિસેમ્બર, 1999ના દિવસે શિવસૈનિક આત્મારામ બાગવેની હત્યા કરી નાખી. એટલે વળી એકવાર છોટા રાજને રાગ આલાપ્યો કે દાઉદ અને મારી વચ્ચે આ જ તફાવત છે. દાઉદ અને શકીલ કોમવાદી અને દેશદ્રોહી છે અને હું દેશભક્ત છું. રાજને ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના પત્રકારોને ફોન પર ઈન્ટરવ્યુ આપીને કહ્યું કે હું શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેનો પ્રશંસક છું. તેઓ એક જ એવા માણસ છે જે દાઉદની વિરુદ્ધ બોલી શકે છે.

જો કે એ સાથે રાજને બખાળા કાઢ્યા હતા કે “મને અન્યાય થઈ રહ્યો છે અને મને ખાતરી છે કે બાળાસાહેબને એ વાતની ખબર નથી. મહારાષ્ટ્રમાં તેમની સરકાર હોવા છતાં સરકાર મારા માણસોને નિશાન બનાવી રહી છે. દાઉદ સાથે સંબંધ ધરાવતા કેટલાક પોલીસ અધિકારીઓ મારો એકડો કાઢી નાખવા મથી રહ્યા છે.”

રાજને એવું પણ ઉમેર્યું હતું કે “અરૂણ ગવળી સાથે મારી એવી સમજૂતી થઈ છે કે દાઉદ અમારા બંનેનો દુશ્મન છે એટલે ગવળી અને હું એકબીજાના માણસોને નહીં મારીએ. દાઉદે 1993માં પાકિસ્તાન સાથે મળીને મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ કરાવ્યા એ પછી મને તેનાથી નફરત થઈ ગઈ અને હું એક જ ધ્યેય સાથે દાઉદથી છૂટો પડ્યો હતો કે હું દાઉદનું સામ્રાજ્ય અને દાઉદને ખતમ કરી નાખીશ.”

છોટા રાજન દેશભક્તિના ગાણાં ગાઈ રહ્યો હતો. એ દરમિયાન છોટા શકીલે દાઉદની ગેંગને મજબૂત બનાવવા માટે એક નવો ખેલ શરૂ કર્યો હતો.

(ક્રમશ:)