Devil Return-2.0 - 24 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-2.0 - 24

ડેવિલ રિટર્ન-2.0

24

એક વુલ્ફ બનીને જ અભિમન્યુને વેમ્પાયર પરિવાર જોડેથી સલામત પાછો લાવી શકાય છે એ વાત ફાધર વિલિયમ દ્વારા જણાવતાં અર્જુન પોતે પોતાનાં પુત્ર માટે આ જોખમ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. અર્જુનને વુલ્ફ બનાવ્યાં પહેલાં ફાધર વિલિયમ કઈ રીતે વુલ્ફમાંથી પુનઃ મનુષ્ય બની શકાય એની માહિતી જાણી લાવે છે.

અર્જુન અને એનાં સાથીદારોને બેન્ચ પર મુકેલી એક જૂની-પુરાણી દળદાર પુસ્તકનું એક પેજ ખોલીને એમાં લખેલું લખાણ અને લખાણની જોડે બનેલ ચિત્રો બતાવતાં કહ્યું.

"આ પુસ્તકનું નામ છે how to treat devil.. આમાં દરેક પ્રકારનાં શૈતાની જીવો ને કઈ રીતે કાબુમાં લઈ શકાય એની માહિતી આપેલી છે. "પુસ્તક વિશે માહિતી આપતાં ફાધર વિલિયમ બોલ્યાં. અંદર જે લિપિમાં લખ્યું હતું એ તો કોઈને સમજાઈ નહોતું રહ્યું પણ અંદર મોજુદ ચિત્રોમાં એક વરૂમાનવ, એક ચર્ચ અને એક એક મનુષ્ય નજરે પડી રહ્યાં હતાં. આ પુસ્તકમાં લખેલી વરૂમાંથી પુનઃ મનુષ્ય બનવાની વિધિમાં શું લખ્યું હતું એ જાણવાની બેતાબી સાથે અર્જુન અને અન્ય પોલીસ ઓફિસરે ફાધર વિલિયમ તરફ જોયું.

એ લોકોની જિજ્ઞાસાનો અંત કરવાં ફાધર વિલિયમે કહ્યું.

"આ પુસ્તકમાં લખ્યું છે કે જો કોઈ વ્યક્તિને કોઈ કારણોસર વરૂમાનવ બનાવવામાં આવે તો એને પુનઃ મનુષ્ય બનાવવો હોય તો એક જ રસ્તો છે.. એ મુજબ જે વ્યક્તિ વરુ બને એ વ્યક્તિ વરુ બનવાની પ્રથમ રાત પૂર્ણ થાય એ પહેલાં ચર્ચમાં આવી જાય તો એ પુનઃ મનુષ્ય બની શકે છે. જો આમ ના થાય તો એ વ્યક્તિ સદાય માટે વરુ અવતારમાં જ રહેશે અને એનો નાશ કર્યાં સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં વધે. "

"તો તો પછી એસીપી સાહેબ આજે રાતે એ વેમ્પયરોનો ખાત્મો કરીને અભિમન્યુને બચાવી સવાર પડતાં તો ચર્ચમાં આવી જશે.. તો પછી કોઈ સમસ્યા જ નહીં રહે.. "અશોક ફાધર વિલિયમની વાત સાંભળતાં જ ખુશ થતાં બોલ્યો.

"હા ફાધર, હું એક રાતમાં તો એ લોકોને ખતમ કરી મારાં અભિમન્યુને પાછો લઈ આવીશ.. મને મારી જાત પર અને મારાં ભગવાન પર પૂર્ણતઃ વિશ્વાસ છે. "આમ બોલી રહેલાં અર્જુનનાં ચહેરા પર ગજબની ચમક વર્તાતી હતી.

"તો પછી અર્જુન તું અને તારી ટીમ તૈયાર થઈ જાઓ.. હું વિધિ માટેની જરૂરી વસ્તુઓ લઈને હમણાં આવું. "ફાધર વિલિયમ બોલ્યાં.

ફાધર વિલિયમનાં આમ બોલતાં જ અર્જુન અને એની ટીમ બહાર પડેલી પોલીસ જીપમાં બેસી ગઈ. થોડીવારમાં ફાધર વિલિયમ એક કપડાંની થેલી અને એક પુસ્તક લઈને બહાર આવ્યાં અને જીપમાં બેઠાં એ સાથે જ જાનીએ પોલીસ જીપને ટેકરી પાછળ આવેલાં જુનાં ખંડેર તરફ પુરપાટ ઝડપે ભગાવી મુકી.

****

પોલીસની ટીમ ફાધર વિલિયમ સાથે જુનાં ખંડેર પહોંચી ત્યાં સુધી બપોરનાં બે વાગી ચુક્યાં હતાં.. વેમ્પાયર પરિવાર પર રહેલાં પાયમોન દેવનાં આશીર્વાદનાં લીધે હવે સાંજ પડવામાં ફક્ત ત્રણેક કલાકનો સમય હતો. માટે વહેલી તકે અર્જુનને વરુમાનવ બનાવવો જરૂરી હતો.

વાઘેલા, અશોક અને જાની અર્જુનને પૂરાં રસ્તા દરમિયાન એ પોતાનો વરૂમાનવ બનવાનો વિચાર બદલી લે એવી અરજ કરી રહ્યાં હતાં.. કેમકે પોતાનાં ગઢ સમાન જહાજ પર વેમ્પયરોને હરાવી અભિમન્યુને બચાવી સવાર પડ્યાં પહેલાં ચર્ચમાં પહોંચવું કહેવા પૂરતું જ સારું લાગતું હતું પણ આ ખૂબ જ અઘરું કામ હતું એ બધાં અંદરખાને જાણતાં હતાં.

ફાધર વિલિયમ આમ તો એક સંત માણસ હતાં જેમને આજસુધી ક્યારેક શૈતાની શક્તિઓનો ઉપયોગ નહોતો કર્યો પણ આજે સારાં કાર્ય માટે ફાધર વિલિયમ અર્જુનને વરૂમાનવ બનાવવાનું કાર્ય કરવાં તૈયાર થયાં હતાં.

ફાધર વિલિયમનાં જણાવ્યાં અનુસાર અર્જુનનાં સાથી અધિકારીઓએ સાથે મળીને ખંડેરમાં વિધિ માટેની જગ્યાએ વ્યવસ્થિત સાફ કરી દીધું. જગ્યા સાફ થતાંની સાથે જ ફાધર વિલિયમે પોતાની જોડે મોજુદ થેલીમાંથી ચૂનાનો પાવડર નીકાળી એનું એક ચક્કર બનાવી અર્જુનને એની અંદર બેસી જવાં જણાવ્યું.

અર્જુનનાં એ ચક્કરમાં બેસતાં જ ફાધરે જાનીને કોલ કરી નાયક ક્યાં પહોંચ્યો એ પૂછવા કહ્યું.. ફાધરની વાત માની જાનીએ નાયકને કોલ લગાવતાં નાયકે જણાવ્યું કે એ અડધા કલાકમાં ત્યાં આવી જશે.

અર્જુનનાં એ વર્તુળમાં બેસતાં જ ફાધર વિલિયમે અર્જુનની આંખ ઉપર એક કાળી પટ્ટી બાંધી દીધી.. અર્જુનને આ બધું ખુબજ વિચિત્ર લાગી રહ્યું હતું પણ પોતાનાં વ્હાલસોયા પુત્રને બચાવવા કંઈપણ કરી છૂટવાનો નિર્ધાર કરી ચુકેલો અર્જુન ચુપચાપ ફાધર વિલિયમનાં ઓર્ડર ફોલો કરતો રહ્યો.

અર્જુનની આંખે પટ્ટી બાંધી દીધાં બાદ ફાધર વિલિયમે અર્જુનનાં ફરતે પોતાની જોડે લાવેલું પાણી નાંખી લોર્ડ જીસસને યાદ કરી અર્જુન જે કરવાં જઈ રહ્યો છે એમાં સફળ થાય એવી પ્રાર્થના કરી. આ સાથે જ ફાધર વિલિયમ અર્જુનની સામે એક પુસ્તક ખોલીને બેસી ગયાં અને એ પુસ્તકમાં મોજુદ મંત્રનું રટણ કરવાં લાગ્યાં.

પોતાનાં કહ્યાં મુજબ નાયક વરુઓનું રક્ત લઈને અડધા કલાકમાં આવી પહોંચ્યો હતો. નાયકે પોતાની સાથે એક કાચની બોટલમાં લાવેલું રક્ત ફાધર વિલિયમનાં હાથમાં મુક્યું. વનવિભાગની ટીમ અમુક ચોક્કસ સમયે જંગલી જીવોમાં કોઈ બીમારી તો નથી એ ચેક કરવાં અલગ-અલગ પ્રાણીઓનાં લોહીનું સેમ્પલ લેતાં રહેતાં હોય છે. મકવાણાએ આવાં જ એક વરુનું મેડિકલ ચેક-અપ માટે લાવેલાં લોહીનું સેમ્પલ નાયકને આપ્યું હતું.

સતત અઢી કલાક સુધી ફાધર વિલિયમ અર્જુનને વરુમાનવ બનાવવાં માટે જરૂરી મંત્રોચ્ચાર કરતાં રહ્યાં. આટલાં સમયમાં અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો એ અવશ્ય વરુમાનવ બની ગયો હોત પણ અર્જુનનાં મન અને હૃદયમાં રહેલી પવિત્રતા અને સારપનાં લીધે એની અંદર શૈતાની શક્તિઓનો પ્રવેશ કરાવવો અતિ મુશ્કેલ થઈ રહ્યો હતો.

હવે સૂરજ પણ આથમી ચુક્યો હતો અને સમગ્ર વાતાવરણમાં અંધકાર પ્રસરી ગયો હતો. જીપની હેડલાઈટનાં પ્રકાશમાં ફાધર વિલિયમ પુરી લગનથી અર્જુનને વરુમાનવ બનવાની કોશિશ કરી રહ્યાં હતાં. આગળ વધતો સમય અર્જુન સમેત એનાં બધાં સાથીદારો ને પણ અકળાવી રહ્યો હતો.

રાતનાં નવ વાગી ચુક્યાં હતાં અને વરૂમાનવ બનાવવાની વિધિ માટે લાગતાં સમય કરતાં બમણો સમય નીકળી ગયો હતો છતાં અર્જુનનાં શરીરમાં કોઈ જાતનાં બદલાવનાં સંકેત ના મળતાં ફાધર વિલિયમ પણ ધીરજ ઘુમાવી ચુક્યાં હતાં. આમ છતાં એમનો પ્રયત્ન ચાલુ જ હતો અને એમનો આ અથાક પ્રયત્ન ત્યારે કંઈક કામનો જણાયો જ્યારે એક કાળા રંગનો પડછાયો હવામાં ઉડતો આવીને અર્જુનનાં દેહમાં પ્રવેશ્યો.

આમ થતાં જ ફાધર વિલિયમે નાયક જે વરુનાં લોહીનું સેમ્પલ લાવ્યો હતો એ અર્જુનને પીવડાવી દીધું. રક્ત પીતાંની સાથે જ અર્જુનનો શારીરિક દેખાવ ધીરે-ધીરે બદલાવા લાગ્યો. અર્જુનનાં હાથ અને પગનાં સ્નાયુઓ વધુ મજબૂત થઈ જતાં એનો પોલીસ યુનિફોર્મ હાથ અને પગનાં ભાગે અમુક-અમુક જગ્યાએ ફાટી ચુક્યો હતો.

અર્જુનનાં શરીરનાં દરેક ભાગમાં હવે ઘેરી બદામી રંગની રૂંવાટી ઉભરી આવી હતી.. આ શારીરિક બદલાવનાં લીધે અર્જુને ભારે પીડા ભોગવવી પડી રહી હતી એ અર્જુનની પીડયુક્ત ચીસો પરથી સમજી શકાતું હતું. જાની, અબ્દુલ, વાઘેલા, અશોક અને અર્જુનનો પરમમિત્ર નાયક અર્જુનની આ હાલત જોઈ દુઃખ અનુભવી રહ્યાં હતાં.

આખરે એક કલાક જેટલાં શારીરિક બદલાવનાં અંતે એસીપી અર્જુન પૂર્ણપણે વરુમાનવ બની ચુક્યો હતો.. આમ છતાં અર્જુનને પોતે શું કામ આ રૂપમાં આવ્યો હોવાની વાત જ્ઞાત હતી એ ખુશીની વાત હતી.

અર્જુનનો આ વિચિત્ર દેખાવ જોઈ ફાધર વિલિયમ અને બાકીનાં બધાં પોલીસ ઓફિસર આશ્ચર્યમાં ગરકાવ થઈ ચુક્યાં હતાં.. અર્જુન હવે વધુ સમય બગાડવા નહોતો માંગતો એટલે એને પોતાની જાતને એ વેમ્પાયર પરિવાર જોડે મુકાબલો કરવાં તૈયાર કરી.

અર્જુન દરિયામાં મોજુદ વેમ્પયરોનાં જહાજ માટે નીકળ્યો એ પહેલાં નાયક અને પોતાનાં સાથી અધિકારીઓ જોડે આવ્યો અને એમને ઉદ્દેશીને કહ્યું કે જો પોતે સવાર સુધીમાં ચર્ચમાં ના પહોંચે તો એને પણ એ લોકો ખતમ કરી દે.. અને આગળ જતાં પોતાની ગેરહાજરીમાં આ શહેરનું રક્ષણ કરે.

અર્જુનની વાત સાંભળી એનાં સાથી અધિકારીઓને ઘણું દુઃખ થઈ રહ્યું હતું છતાં એ લોકોએ અર્જુનનાં ઓર્ડર માનવાની તૈયારી બતાવી એટલે અર્જુને ફાધર વિલિયમનાં ચરણ સ્પર્શ કર્યાં અને મોટી-મોટી ફલાંગો લગાવતો-લગાવતો દરિયા તરફ નીકળી પડ્યો. !

*****

વધુ આવતાં ભાગમાં.

ફાધર વિલિયમ શું જણાવવાનાં હતાં. ?વેમ્પાયર પરિવારનાં બચેલાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?અર્જુન કઈ રીતે અભિમન્યુને બચાવશે.. ?આગામી સમય શું નવું રહસ્ય લઈને આવવાનો હતો.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***