Khuni koun ? - 3 books and stories free download online pdf in Gujarati

ખૂની કોણ? - ૩

રાજકોટ શહેર ના જાણીતા બિઝનેસમેન નિખિલ ની પત્ની નિરાલી ની હત્યા થઈ હતી. પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત અને સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ તપાસ આગળ વધારે છે. તપાસ માં સોપારી કિલર અસલમ નું નામ બહાર આવે છે, હવે આગળ...
__________
નિરાલી ની હત્યા ને બે દિવસ વીતી ગયા છે. સવાર ના નવ વાગ્યા હતા, રોજ ની જેમ જ અમિતાભ અને અભિમન્યુ ચા ની ચૂસકી લગાવતા લગાવતા વિચારી રહ્યા હતા. અચાનક કંઇક યાદ આવ્યું હોય તેમ અમિતાભ એ પૂછ્યું, "અભિમન્યુ, નિરાલી ના મમ્મી અને પપ્પા નું શું કહેવું છે?" "સર, નિરાલી ના પપ્પા કેતન નિખિલ ના પપ્પા રમેશ દાસ ના જૂના મિત્ર છે. અને વર્ષો થી તેમની સાથે કંપની માં જ કામ કરે છે. નિખિલ અને નિરાલી કોલેજ માં આવ્યા ત્યાર થી જ તેમનું સગપણ બંને ના પિતા એ મળી ને નક્કી કરી નાખ્યું હતું. અને નિખિલ તથા નિરાલી ને કઈ ખાસ વાંધા જેવું ના હતું, હા બંને વચ્ચે કોઈ પ્રેમ રૂપી સંબંધ પણ ના હતો. પરંતુ બે વર્ષ ના લગ્ન જીવન માં કોઈ જ જાત ની સમસ્યા તે બંને વચ્ચે આવી ના હતી. અને તેમણે કોઈ પર શંકા પણ વ્યક્ત કરી ના હતી." અમિતાભ ધ્યાન થી સાંભળી રહ્યો હતો. અભિમન્યુ વાત ને આગળ વધારતા, "અને તેમના મમ્મી કૃતિકા નું નિવેદન પણ લગભગ સરખા જેવું જ હતું."

અમિતાભ ને જોઈતો સંતોષ ના મળતા તેણે અભિમન્યુ ને નિરવ ના નિવેદન વિશે પૂછ્યું. "નિરવ અને નિખિલ બંને બાળપણ થી જ મિત્રો છે. નિરવ ના પિતા હિમાંશુ પણ નિખિલ ના પપ્પા રમેશ દાસ ની સાથે જ એમની કંપની માં કામ કરતા હતા. આજ થી ૨૬ વર્ષ પહેલાં જ્યારે નિરવ માત્ર એક દોઢ વર્ષ નો હશે ત્યારે તેમના પિતા નું અવસાન થયું હતું. અને ત્યાર થી રમેશ દાસે નિરવ ને પોતાના સંતાન નીં જેમ જ ઉછેર્યો હતો. નિરવ ના ચેહરા પર આ બધી વાતો કરતી વખતે દુઃખ નાં ભાવ હું વાચી શકતો હતો સર." અભિમન્યુ એ વાત ને આગળ વધારી, "નિરાલી વિશે પૂછતાં નિરવ એ જણાવ્યું હતું કે નિરાલી અને નિખિલ ની વચ્ચે ખાસ કઇ સંવાદ હતો નહી. એક ઘર માં સાથે રહેતા હતા એટલું જ બસ બાકી કઈ નહી. ક્યારેક ક્યારેક નિરાલી રાતો રાત ઘરે આવતી ના હતી, પાર્ટીઓ માં વ્યસ્ત અને મસ્ત રહેવું એ એની ફેવરિટ એક્ટિવિટી હતી." અમિતાભે અભિમન્યુ ને કહ્યું કે, "તને શું લાગે છે અભિમન્યુ, આ હત્યા પાછળ કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેઇર કે નિરાલી નો કોઈ ભૂતકાળ હોય શકે?" અભિમન્યુ વિચારી રહ્યો.

ત્યાંજ અમિતાભ ને એ વખતે કોઈ નો ફોન આવ્યો, પંદર થી વીસ મિનિટ સુધી વાત કર્યા બાદ તેને ફોન મૂક્યો. "ડોકટર ખાન નો ફોન હતો. નિરાલી ના પોસ્ટમોર્ટમ માં ખાસ કઈ નથી મળ્યું. આપણી થિયરી મુજબ જ ખૂન સવારે સાડા પાંચ થી છ વચ્ચે થયું છે અને છાતીમાં વાગેલી ગોળી થી ઇન્સ્ટન્ટ ડેથ થયું છે. રૂમ માં નિરાલી સિવાય અન્ય બે લોકો ના ફિંગરપ્રીન્ટ મળ્યા છે, જેમાં થી એક નિખિલ ના છે. અન્ય કોઈ અજાણ્યા સખ્શ નાં છે જે મારી ગણતરી મુજબ અસલમ ના જ હોવા જોઈએ. નિરાલી ના શરીર માં થી આલ્કોહોલ નું પ્રમાણ પણ મળ્યું છે, પરંતુ એ જીવલેણ માત્રા માં નથી." વાત કરતા કરતા અમિતાભ અટક્યો જાણે કોઈ વિચાર માં હોય, અભિમન્યુ સમજી ગયો તેણે તરત જ પૂછ્યું કે શું થયું સર? "અભિમન્યુ, ક્યાંક એવું તો નહિ હોય ને કે શિકાર કોઈ બીજો હતો અને થઈ ગયું કોઈ બીજું?" "એટલે સર, શું આપને એવું લાગે છે કે હત્યારો નિખિલને મારવા માગતો હતો અને મારી નાખી નિરાલી ને અથવા ભૂલ થી નિરાલી...?" એવું જ થયું હોવું જોઈએ, અભિમન્યુ ની વાત ને વચ્ચે થી જ કાપતા અમિતાભ બોલ્યો, "કારણકે બે વર્ષ પહેલા પણ નિખિલ પર જીવલેણ હુમલો થયો જ હતો ને! તો સંભવ છે આ વખતે પણ એ જ ટાર્ગેટ હોય. જોકે આ માત્ર મારી એક થિયરી છે." "બની શકે સર", અમિતાભ ની વાત માં સુર પુરાવતા અભિમન્યુ એ કહ્યું.
___________

નિરાલી ના ખૂન ને આજે પાંચ દિવસ વીતી ગયા હતા. અસલમ ને પકડવા માટે શહેર નું આખું ખબરી તંત્ર એક્ટિવ હતું પોલીસ પણ પ્રયાસો કરી રહી હતી પણ તેની કોઈ ખબર ના હતી. આ દરમિયાન નિખિલ ના પપ્પા રમેશ દાસ અને મમ્મી રમીલા પણ આવી ગયા હતા. અભિમન્યુ એ તેમના પણ સ્ટેટમેન્ટ લઈ લીધા હતા જેમાં પણ ખાસ કઈ કડી મળી ના હતી. સાંજ ના સાત થવા આવ્યા હતા, અમિતાભ ને આજે ઘરે થોડું કામ હોવાથી વહેલો જતો રહ્યો હતો, અને અભિમન્યુ નિરાલી મર્ડર કેસ વિશે કામ માં પડ્યો હતો ત્યાં જ પોલીસ સ્ટેશન નો ફોન રણક્યો અને જેવો અભિમન્યુ એ ફોન કાને લગાડ્યો, વાત સાંભળી ને એ ચોંકી ઉઠ્યો. શહેર ની જાણીતી શેર એડવાઇઝરી કંપની ના મેનેજર નું ખૂન તેની જ ઓફિસ માં થયું હતું અને તે કંપની નો માલિક અન્ય કોઈ નહિ પરંતુ નિખિલ જ હતો. એટલે કે નિરાલી ના પપ્પા અને નિખિલ ના સસરા કેતન કુમાર ની હત્યા થઈ હતી.

અમિતાભ ને આ વાત ની જાણ કરી અભિમન્યુ તરત જ ઘટના સ્થળે દોડી ગયો. અમિતાભે કહ્યું કે હું આવું છું, પરંતુ પોતાના ગુરુ ને હેરાન કરવા ના ઈચ્છતો અભિમન્યુ એ કહ્યું કે સર હું સંભાળી લઈશ અને જો કઈ લાગશે તો આપને અવશ્ય બોલાવીશ. અભિમન્યુ ની આ વાત થી અમિતાભ ના હૃદય માં હરખ ની લાગણી નો ઉમળકો ભરાઈ આવ્યો. અમિતાભ ની ઉંમર ૪૪ વર્ષ ની હોવા છતાં એ કામ પ્રત્યે એટલો સમર્પિત હતો કે તેણે લગ્ન પણ કર્યા ના હતા. ચાર વર્ષ પહેલાં જ્યારે અભિમન્યુ માત્ર ૨૩ વર્ષ ની વયે પોલીસ ડિપાર્ટમેન્ટ માં જુનિયર સબ ઇન્સ્પેકટર તરીકે ભરતી થયો ત્યાર થી અમિતાભ ને તેના પ્રત્યે કઈક વિશેષ લાગણી હતી. અભિમન્યુ પણ અમિતાભ ને પોતાના સિનિયર થી વિશેષ સમજતો હતો.

ઘટના સ્થળે પહોંચી ને અભિમન્યુ એ નિરીક્ષણ કર્યું કે પોતાની ચેર પર કેતન નો નિષ્પ્રાણ દેહ પડ્યો છે, ત્રણ ગોળી તેના શરીર ની આરપાર ચાલી ગઈ હતી. તેની ચેમ્બર ના દરવાજા ની સામે જ તેની ચેર પડતી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે નિખિલ રોજ પાંચ વાગ્યે ઘરે જવા નીકળી જતો હતો કારણકે તે સવારે પોણા આઠ વાગ્યા થી ઓફિસ એ જ રહેતો હતો. ઓફિસ નો મોટા ભાગ નો સ્ટાફ છ સાડા છ થતાં સુધી માં નીકળી જાય છે, માત્ર કેતન અને એક પ્યુન કમલેશ જ ઓફિસ માં મોડે સુધી રહેતા હતા. અભિમન્યુ એ ઓફિસ ની બહાર ઊભેલા કમલેશ ને પૂછપરછ માટે બોલાવતા જ તે અભિમન્યુ ના પગ માં પડી ગયો અને ઘાંટા પાડી પાડી ને રોતા રોતા કહેવા લાગ્યો કે હું નિર્દોષ છું સાહેબ મે કઈ નથી કર્યું. અભિમન્યુ એ કોંસ્ટેબલ ને કહી કમલેશ ને શાંત કર્યો અને પછી પૂછ્યું કે શું થયું એ વિસ્તાર થી જણાવ. કમલેશ એ કહ્યું, "રોજ ની જેમ સાડા છ થયા હશે મે કેતન સર ને પૂછ્યું કે ક્યારે નીકળવું છે, તો તેમણે કહ્યું કે હજુ થોડી વાર લાગશે. આથી મે તેમને કહ્યું કે તો હું ચા પીતો આવું? અને તમારા માટે પણ લેતો આવું. તો તેમણે કહ્યુકે ઓકે કોઈ વાંધો નહિ નિરાતે આવ મારે આમ પણ સાત સવા સાત તો થઈ જ જશે." કમલેશ હજું કહી જ રહ્યો હતો ત્યાં જ અભિમન્યુ એ એને રોક્યો, "આવડી મોટી ઓફિસ માં ચા ની વ્યવસ્થા નથી કે તું બારે થી ચા પીવા જવાનું અને લઈ આવવા માટે બહાર ગયો?" કમલેશ એ કહ્યું, "સર, આમ તો પૂરા સ્ટાફ ની ચા અને કોફી હું જ અહી પેન્ટ્રી રૂમ માં બનાવું છું પરંતુ ઓફિસ સમય પછી સામાન્ય રીતે હું અહી ઓફિસ નીચે જ આવેલી ચા ની લારી એ થી ચા પી ને સર માટે પાર્સલ બંધાવી લેતો. આમ પણ મને અને કેતન સર ને મસાલો ખાવા ની પણ આદત હતી તો તે પણ હું સાથે લઈ આવતો." થોડી વાર અટકી ને કમલેશ એ વાત ને આગળ વધારી, "જેવો હું ચા અને પાન મસાલો લઈ ને ઉપર આવ્યો અને કેતન સર ની ઓફિસ માં પ્રવશ્યો ત્યાં જ અંદર નું દ્રશ્ય જોઈ મારી ચીસ જ નીકળી ગઈ. થોડી વાર તો કઈ સમજ માં જ ના આવ્યું શું કરું પછી તરત જ નિખિલ શેઠ ને ફોન કર્યો અને પછી પોલીસ ને જાણ કરી." રાબેતા મુજબ ફોરેન્સિક અને પોલીસ નીં ટીમ પોત પોતાના કામ પતાવી ને રવાના થઈ. અભિમન્યુ એ નિખિલ સાથે સવારે અમિતાભ ની હાજરી માં જ વાત કરવા નું યોગ્ય સમજ્યું.

નિખિલ નીં ઓફિસ ની ઘડિયાળ સવાર ના દસ વાગ્યા નો સમય બતાવી રહી હતી, અને નિખિલ ની ચેર ની સામે ની બે ચેર પર અમિતાભ અને અભિમન્યુ બેઠા હતા. સામે ચા નાં ત્રણ કપ પડ્યા હતા. "હા તો નિખિલ હવે મને કહો તમને શું લાગે છે કેતન ની હત્યા કોણે કરી હશે? કોઈના પર કોઈ શંકા જેવું લાગે છે આપને? કારણકે તેઓ માત્ર આપણા મેનેજર જ નહિ પરંતુ આપના સસરા પણ હતા. નિખિલ ના ચેહરા પર આજે પહેલી વખત અમિતાભ ને શોક ના ભાવ દેખાઈ રહ્યા હતા. નિખિલ એ બોલવાનું શરૂ કર્યું, "સર, સાચું કહું તો હું તો હજુ કંઇ જ સમજી જ નથી શક્યો કે શું થઈ રહ્યું છે એ. પહેલાં નિરાલી અને હવે પપ્પાજી. ખરા અર્થ માં મારે અને પપ્પાજી ને જમાઈ સસરા કરતા મિત્રો જેવા સંબંધો હતા. તેમનો ખાલીપો કોઈ જ નહિ પૂરી શકે." બોલતા બોલતા નિખિલ રોઈ પડ્યો. અમિતાભ ને થયું કે આ રીતે તેમને કોઈ જાણકારી નહિ મળે, તેમણે જ મથવું પડશે. આથી તેમણે નિખિલ ની ઓફીસ ના સીસીટીવી ફૂટેજ ને તપાસ્યું અને તેમાં એક અજાણ્યો વ્યક્તિ મોઢે કપડું બાંધી ને પ્રવેશતા અને ઠંડા કલેજે કેતન ની હત્યા કરી ને ભાગતા સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. પરંતુ તેનો ચેહરો ના દેખાયો. અમિતાભ ને કંઇક યાદ આવ્યું હોય તેમ તેણે અભિમન્યુ ને ઓફિસ ની નીચે તથા રોડ પર ના ચાર રસ્તા પર ના સીસીટીવી ફૂટેજ લઈ ને પોલીસ સ્ટેશન આવવા ની સૂચના આપી ને પોતે એક અન્ય કામ પતાવી ને પહોંચશે એવું કહી ને નીકળ્યો.
__________

આમ, હજુ નિરાલી નો ખૂની કોણ એ જાણી શકાયું ના હતું ત્યાં જ તેના પિતા કેતન ની પણ હત્યા થઈ હતી. અને ફરી પાછો અમિતાભ સામે એ જ સવાલ આવી ને ઉભો રહ્યો હતો કે આખરે ખૂની છે કોણ?
__________

શું કેતન અને નિરાલી નો હત્યારો એક જ વ્યક્તિ હશે?
શું બંને નાં ખૂન પાછળ નિખિલ નો હાથ હશે?
કે પછી કઈક નવું જ રહસ્ય સામે આવશે.
તમામ સવાલો નાં જવાબ મેળવવા માટે વાચતા રહો "ખૂની કોણ?"

મિત્રો તમારા અભિપ્રાયો જણાવવા માટે મને મારા મેઈલ આઈડી hardik.joshiji2007@gmail.com પર અભિપ્રાયો મોકલી આપો અથવા મારા વોટ્સએપ નંબર ૯૨૨૮૨૭૬૩૫૪ પર પણ મેસેજ કરી શકો છો.