Khuni koun ? - 6 books and stories free download online pdf in Gujarati

ખૂની કોણ? - 6

નિરાલી અને કેતન ના હત્યારાઓ અસલમ અને સુંદર ની પણ હત્યા થઈ જતા હતાશ થયેલો ઇન્સ્પેકટર અમિતાભ શેઠ રમેશ દાસ ને મળે છે જ્યાં તેને જાણવા મળે છે કે રમેશ દાસ એ અભય દાસજી નો દતક લીધેલો પુત્ર છે, ત્યાં જ કોઈ ફોન આવે છે અને અમિતાભ નો ચેહરો આશ્ચર્ય થી ભરાઈ જાય છે, હવે આગળ...
___________

"અભિમન્યુ, ખેલ આપણે સમજીએ છીએ તેના કરતાં ઘણો અટપટો અને ઘણા આવરણો ધરાવનારો છે." અમિતાભ ના આવા શબ્દો સાંભળી અભિમન્યુ પણ આશ્ચર્ય થી બોલી ઉઠ્યો, "શું થયું સર? કોનો ફોન હતો?" મારા ખબરી બંટી નો ફોન હતો, મે તેને રમેશ દાસ અને કેતન ના ટ્રસ્ટ ની હિસ્ટરી કાઢવા નું કહ્યું હતું મને કઈક શંકા તો હતી જ. અને હવે બંટી જે માહિતી લઈ ને આવ્યો છે તેનાથી ઘણી શંકાઓ એ જન્મ લીધો છે." આટલું કહી ને અમિતાભ અટક્યો અને ત્યાં જ અભિમન્યુ પૂછી બેઠો, "અને એ શંકાઓ શું છે, સર?" મને ખ્યાલ છે અભિમન્યુ કે આ કેસ ને લઈ ને જેટલો હું ઉત્સાહી છું તારો ઉત્સાહ તેનાથી સહેજ પણ ઉતરે એવો નથી. "બંટી એ કહ્યું કે લોક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના અભય દાસજી અને તેના કેટલાક મિત્રો એ કરી હતી. થોડા સમય બાદ રમેશ પણ તેનો ટ્રસ્ટી બન્યો અને રમેશ ટ્રસ્ટી બન્યા ના બે વર્ષ બાદ કેતન અને અન્ય એક વ્યક્તિ ને પણ રમેશ એ ટ્રસ્ટી બનાવ્યા હતા." "બીજા બે લોકો ને? એક તો કેતન પણ બીજો કોણ હતો સર?" અભિમન્યુ પણ જાણવા અધીરો બન્યો હતો. અમિતાભે આગળ કહ્યું, "બીજો વ્યક્તિ હિમાંશુ ત્યાગી હતો. પરંતુ ત્રણ વર્ષ બાદ હિમાંશુ ત્યાગી નું અવસાન થઈ ગયું અને સંપૂર્ણ ટ્રસ્ટ રમેશ અને કેતન હસ્તક આવી ગયું." અમિતાભે વાત ને આગળ વધારી, "આ હિમાંશુ ત્યાગી કોઈ બીજો નહીં પરંતુ નિખિલ ના ખાસ મિત્ર એવા નિરવ ના પિતા હતા." અમિતાભ ની આ વાત થી તો અભિમન્યુ ના આશ્ચર્ય નો પાર ના રહ્યો, "શું કહ્યું સર, હિમાંશુ ત્યાગી એટલે કે નિરવ ના પિતા ને રમેશજી એ ટ્રસ્ટી બનાવ્યા હતા? પરંતુ નિરવે તો કહ્યું હતું કે તેના પિતા હિમાંશુ રમેશ ની કંપની માં કામ કરતા હતા." "હા અભિમન્યુ, નિરવ ની ફરી પૂછપરછ કરવી પડશે. તેને આજે બપોર બાદ સ્ટેશન એ બોલાવ. મને લાગે છે તેની પાસે થી આપણ ને આપણાં બીજા અનેક જવાબો મળશે."
___________

સાંજ ના સાડા છ થયા હતા અને નિરવ અમિતાભ ની ઓફીસ માં બેઠો હતો. અમિતાભ ની સાથે અભિમન્યુ પણ હાજર હતો. અમિતાભ એ વાત ની શરૂઆત કરતા કહ્યું, "નિરવ, સીધા મુદ્દા પર જ આવીએ, તો તું અમને એ જણાવ કે તે નિરાલી અને કેતન ની હત્યા શા માટે કરી. અમે તો સત્ય જાણીએ જ છીએ પરંતુ તારા મોઢે સાંભળવા ની ઈચ્છા રાખીએ છીએ." અમિતાભ ની વાત સાંભળી ને નિરવ આશ્ચર્ય ચકિત થયો અને બોલ્યો, "આ તમે શું વાત કરી રહ્યા છો સર, હું મારા મિત્ર નિખિલ ના પત્ની નિરાલી ની અને તેના પિતા ની હત્યા શા માટે કરું? મને શું મળવા નું?" "બદલો લીધા નો સંતોષ નિરવ" અમિતાભ બોલ્યો. "બદલો? શેનો બદલો, સર? આપ શું કહી રહ્યા છો હું કઈ સમજી નથી રહ્યો." અમિતાભે થોડી સખ્તી થી કહ્યું, "તારા પિતા હિમાંશુ એ નિખિલ ના પિતા રમેશ અને કેતન ના ટ્રસ્ટ માં ટ્રસ્ટી હતા. ત્યાર બાદ અચાનક તેનું અવસાન થયું અને તને એમ કે એમની હત્યા પાછળ રમેશ અને કેતન નો હાથ હશે એટલે તે એ બન્ને ને પાઠ ભણાવવા અને બદલો લેવા નિરાલી અને કેતન ની હત્યા કરાવી દીધી." અમિતાભ ની વાત પૂરી થતાં જ નિરવ ગુસ્સા થી બોલ્યો, "સર, આ શું બોલી રહ્યા છો? મારા પિતા માત્ર રમેશ અંકલ ની ઓફીસ માં કામ કરનાર એક એમ્પ્લોયી માત્ર હતા, અને તેનું અવસાન તો એક કાર અકસ્માત માં થયું હતું. અને મને આ ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટીઓ વિશે કોઈ જ માહિતી નથી. મને તો મારા પિતા નો ચેહરો પણ યાદ નથી સર, નાનો હતો ત્યારે થી જ મારા મમ્મી એ જ મને મોટો કર્યો છે અને રમેશ અંકલ ના તો ઘણા ઉપકારો છે મારા અને મારી મમ્મી ઉપર. મારા પિતા નું અવસાન થયું ત્યારે રમેશ અંકલ ની કંપની એ મારા મમ્મી ને દસ લાખ રૂપિયા પણ આપ્યા હતા. આવા ભલા માણસ કે એના પરિવાર ને હું શા માટે નુકશાન પહોંચાડું? આવું તો હું સપના માં પણ ના વિચારી શકું આટલું બોલતા સુધી માં નિરવ ની આંખો ભરાઈ આવી અને અવાજ પણ ગળગળો થઈ ગયો હતો." અમિતાભ અને અભિમન્યુ એકબીજા ની સામે જોઈ રહ્યા હતા, જાણે એક બીજા ને પૂછતા હતા કે નિરવ નહિ તો કોણ?
___________

નિરવ સાથે ની વાતો પછી અમિતાભ વધુ મુંઝવણ માં હતો, શું નિરવ સાચું બોલી રહ્યો હતો? શું તેને ખરેખર કઈ જ ખબર ના હતી? અભિમન્યુ સાથે પણ આ બધી વાતો ની અમિતાભે ખુલી ને ચર્ચા કરી અને તેનો અભિપ્રાય માગ્યો. અભિમન્યુ એ કહ્યું, "સર, મને લાગે છે આપણે નિરવ ના મમ્મી હિમાની ની એક વાર પૂછપરછ કરવી જોઈએ. મને લાગે છે આપણ ને ત્યાંથી જરૂર કઈક નવી રાહ મળશે." "હમમ... મને પણ એવું જ લાગે છે, પરંતુ તે પહેલાં બે કામ કરવા ના થાય છે, એક તો આપણ હિમાંશુ ના અકસ્માત વિશે માહિતી મેળવીએ અને હિમાની ને મળતા પહેલાં ફરી એક વખત રમેશ સાથે હું વાત કરી લવ, જોઈએ એમનું શું કહેવું છે. એન્ડ બાય ધી વે અભિમન્યુ, તું તો હવે તારા આ ગુરુ થી યે આગળ નીકળી ગયો છે." હસતા હસતા અમિતાભે અભિમન્યુ ના વખાણ કરતા કહ્યું. જવાબ માં અભિમન્યુ કમર થી જુકી ને અમિતાભ ને પ્રણામ કરતા બોલ્યો, "અહોભાગ્ય મારા ગુરુદેવ." અમિતાભ અને અભિમન્યુ ના આ વાર્તાલાપ થી પોલીસ સ્ટેશન માં હાસ્ય ની છોળો રેલાઈ રહી હતી.
___________

બીજે દિવસે સવારે અભિમન્યુ હિમાંશુ કેસ ની ફાઈલ શોધવા માં લાગી ગયો અને અમિતાભ રમેશ દાસ ને મળવા નિખિલ ની ઓફીસ એ ગયા. રમેશ અને નિખિલ ઓફીસ માં બેઠા હતા, જેવો અમિતાભે પ્રવેશ કર્યો રમેશે ઊભા થઈ તેને આવકાર્યો, "આવો આવો ઇન્સ્પેકટર સાહેબ, આવો આપણે બાજુ ની ચેમ્બર માં જ વાતો કરીએ." આમ કહીને રમેશ નિખિલ ની ચેમ્બર ની બાજુ માં જ આવેલી બીજી ચેમ્બર માં ગયો અને અમિતાભ પણ તેની પાછળ પાછળ ચેમ્બર માં પ્રવેશ્યો. "સોરી ઓફિસર, નિખિલ આ બધી વાતો થી અજાણ છે તેથી તેની સામે વાતો કરવી મને યોગ્ય ના લાગી, આઈ હોપ યુ ડોન્ટ માઈન્ડ." અમિતાભે કહ્યું, "હું શા માટે માઈન્ડ કરું, મને તો બસ કેસ સોલ્વ કરવા માં રસ છે. અને જો આ કેસ સાથે સંકળાયેલા તમામ લોકો સાચી માહિતી પોલીસ ને આપશે તો આ કેસ જલ્દી થી સોલ્વ થઈ જશે." અમિતાભ ની વાત નો ટોન જાણે પારખી ગયા હોય એમ રમેશજી એ કહ્યું કે તો શું ઓફિસર આપને એવું લાગે છે કે હું કોઈ વાતે આપ સાથે જુઠ્ઠું બોલ્યો છું કે જાણી જોઈ ને કોઈ વાત છૂપાવી છે?" "એવું તો મે નથી કહ્યું રમેશજી, પરંતુ બધી વાત જણાવી પણ નથી." રમેશ અકળાયો, "આખરે તમે કઇ વાત વિશે વાત કરો છે?" "હિમાંશુ ત્યાગી ની અને તમારી કંપની ના સંબંધો ની વાત મિ. રમેશ." હિમાંશુ ત્યાગી નું નામ અમિતાભ ના મોઢે સાંભળી ને રમેશ ખુબ જ આશ્ચર્ય પામ્યો, બે ઘડી ચેમ્બર માં સન્નાટો છવાયેલો રહ્યો પછી સ્વસ્થતા ધારણ કરતા રમેશે વાત શરૂ કરી, "સર, હિમાંશુ માત્ર મારા પિતાજી ની કંપની માં કામ જ નહોતો કરતો પરંતુ તે મારી અને કેતન ની સાથે લોકસેવા ચેરીટેબલ ટ્રસ્ટ નો એક ટ્રસ્ટી પણ હતો. હું તમને આખી વાત જણાવું છું. મારા પિતા શેઠ અભય દાસજી ના એક મોટાભાઈ હતા, શેઠ ત્રિભુવન દાસ અને તેને સંતાન માં એક દીકરી હતી. મારા શેઠ અભય દાસજી ની કંપની માં જોડાયા નાં બીજા જ વર્ષે શેઠ ત્રિભુવન દાસ નું અવસાન થયું અને તેમની પુત્રી ની જવાબદારી શેઠ અભય દાસજી એ પોતાના પર લઈ લીધી. આમ ને આમ બે ત્રણ વર્ષ નીકળી ગયા અને મારા લગ્ન મારી પ્રેમિકા રમીલા સાથે થઈ ગયા, અમે બંને બે વર્ષ થી પ્રેમ માં હતા, પરંતુ આ બધી વાત ની શેઠ અભય દાસ ને ખબર ના હતી. તેઓ ના માં મન માં કઈક બીજી જ વાત ચાલતી હતી. તેઓ તેમના મોટાભાઈ ની પુત્રી ના લગ્ન મારી સાથે કરાવવા માગતા હતા અને તેમની તમામ સંપત્તિ પણ અમારા બન્ને ના નામે કરી દેવા ની તૈયારી માં હતા, અને તે માટે તેમણે વિલ પણ તૈયાર કરી દીધી હતી. આ બધી વાત શેઠ અભય દાસે મને જ્યારે તેમને મારા લગ્ન ની જાણ થઈ ત્યારે કરી અને મને વિલ ના દસ્તાવેજ નાં પેપર પણ બતાવ્યા." આટલું કહી ને બે ઘડી રમેશ અટક્યો જાણે આજે પણ તે દસ્તાવેજ અને તેના પર લખેલ સંપત્તિ પોતાની ના થઈ શકી તેનો અફસોસ તેને થઈ રહ્યો હોય, કંઇક એવા ભાવ અમિતાભ ને તેમના ચેહરા પર દેખાયા. વાત ને આગળ વધારતા રમેશ બોલ્યો, "અંદર થી તો મને રમીલા સાથે લગ્ન કરવા માટે ખૂબ જ અફસોસ થયો, અને અફસોસ શા માટે ના થાય સર, આજ થી ત્રીસ વર્ષ પહેલાં અઢી કરોડ ની કંપની ના માલિક બનવા નું સદનસીબ મારા થી હાથ એક છેટું રહી ગયું હતું. પરંતુ મે તરત જ બાજી સંભાળી લીધી અને શેઠ અભય દાસજી ની માફી માગી. અભય દાસજી એ કહ્યું કઈ વાંધો નહિ, મે તને મારા દીકરા ની જેમ જ ગણ્યો છે, આમ પણ મારા પછી મારું કોઈ નથી તેથી હું તને મારા દતક સંતાન તરીકે જાહેર કરું છું. ત્યાર પછી ના સમય માં અભય દાસજી એ તેના વકીલ ને નવી વસિયત બનાવવા માટે કહ્યું. અને જ્યારે તે વસિયત મારા ધ્યાન માં આવી ત્યારે મને શેઠ અભય દાસજી પર ખૂબ જ ખીજ ચડી." આટલું બોલતા તો રમેશ ના ચેહરા ના ભાવ બદલાઈ ગયા હતા, જાણે આજે પણ તે ગુસ્સો તેના પર હાવી થઈ રહ્યો હોય. અમિતાભે પૂછ્યું, "આગળ?"...
___________

શેઠ અભય દાસજી ની નવી વસિયત માં શું હશે?
શું રમેશ ની ભૂતકાળ ની વાતો માં જ વર્તમાન નાં ગુન્હા ના બીજ વવાયેલા હશે?
શું ઇન્સ્પેકટર અમિતાભ નિરાલી અને કેતન ના ખૂની સુધી પહોંચી શકશે?
તમામ સવાલો નાં જવાબો "ખૂની કોણ?" ના આગામી અંક માં.

મિત્રો, આશા રાખું છું કે તમે વાર્તા ને એન્જોય કરી રહ્યા હશો. તમારા અભિપ્રાયો જણાવવા માટે મને મારા મેઈલ આઈડી hardik.joshiji2007@gmail.com પર અભિપ્રાયો મોકલી આપો અથવા મારા વોટ્સએપ નંબર ૯૨૨૮૨૭૬૩૫૪ પર પણ મેસેજ કરી શકો છો.