aatmnirbhar thava aa shikshan chale ? books and stories free download online pdf in Gujarati

આત્મનિર્ભર થવા આ શિક્ષણ ચાલે ? 

# ચાર્ટડની ઓડીટ નોટ્સ – 64 #
# Ca.Paresh K.Bhatt #
_________________________________
આત્મનિર્ભર થવા આ શિક્ષણ ચાલે ?
_________________________________

જે રાષ્ટ્રનો યુવાન 25 વર્ષ શિક્ષણ પાછળ ખર્ચે એ પછી એમ પણ ન કહી શકે કે I can earn my bread - મારો રોટલો હું રળી લઈશ. એ રાષ્ટ્રના શિક્ષણ વિભાગને શાળ-કોલેજો ચલાવવાનો હક નથી - જો એ વેપાર ન કરતા હોય તો ! જો વેપાર કરતા હોય તો એ શિક્ષણ વિભાગ ન કહેવાય.
ચાઈના સામે બાથ ભીડવા જો આત્મ નિર્ભર બનવું હોય તો શિક્ષણ માં ધરમૂળ થી ફેરફાર કરવા જરૂરી છે. સ્વતંત્રતા પછી પણ આપણે જો મેકોલોની શિક્ષણ પ્રથાને ઉખેડી ફેંકી નથી શકતા અને આત્મનિર્ભર શિક્ષણ નથી કરી શકતા તો એ શિક્ષણ માંથી ગુલામો જ નિર્માણ થાય. તે શિક્ષણ સંસ્થા પાસે બીજી કોઈ જ અપેક્ષા રાખવાને આપણે લાયક જ નથી.
જે રીતે જુનિયર KG ને સિનિયર KG માં બાળકો પર માનસિક અત્યાચાર થાય છે. પ્રાથમિક શિક્ષણ માં પણ ઢગલા બંધ બિનજરૂરી અભ્યાસ ક્રમ છે . હાઈસ્કૂલમાં પણ ડૉક્ટરેટ લેવલના લોકો પુસ્તક લખે જેમને ભણાવવાનો કોઈ જ અનુભવ નથી. એમા પણ પાના દીઠ એમને પૈસા અપાય એટલે એ પણ પાના ભરી ભરી ને સિલેબસ તૈયાર કરે. શિક્ષક તરીકે ભણાવવાનો અભ્યાસ હોય નહીં એટલે સૌ પ્રથમ સહેલા દાખલા કે ઉદાહરણ અપાય ત્યાર બાદ ધીમે ધીમે અઘરા દાખલ અપાય એટલી પણ સમજણ એમને નથી . જેમને જોવુ હોય તે ધોરણ 10નું ગણિત જોઈ લે. આવુજ કોલેજના અભ્યાસ ક્રમમાં છે તેઓ પણ 10 વર્ષ જૂનો અભ્યાસ ક્રમ ભણાવે છે. એન્જીયરીંગ માં જુવો તો લેબમાં પૂરતા સાધનો નથી બહુ પ્રોફેશનલ ને હાઇફાઈ કોલેજો માં હશે થોડી ગવર્નમેન્ટ કોલેજો માં સગવડ હશે બાકી તો નાના નાના ટાઉન પ્લેસ પર ની કોલેજોમાં તો એક સાધન પર 20-30 વિદ્યાર્થી જોતા હોય. પ્રેક્ટિકલ જાતે કરી શકે એવી તો સગવડ જ નથી એટલે દુકાનમાં નવી વસ્તુનું ડેમોસ્ટ્રેશન જોતા હોય એમ બાધા ની જેમ જુવે.પરિણામે એન્જીનયર થયા પછી એકાઉન્ટમાં ટેલી ના કલાસ કરે ને નોકરી માટે બિચારો હવાતિયાં મારે , બેંકમાં ખાતા ખોલવા ભટક્યા કરે . સ્વતંત્ર ઉત્પાદન કરી શકે એવી તો કોઈ ક્ષમતાજ નથી. જો દેશ નું યુવાધન આમ જ વેડફાય તો તેની પાસેથી દેશ આત્મનિર્ભર થાય એવી અપેક્ષા જ કેમ રાખી શકાય ? જ્યાં એ પોતે જ આત્મનિર્ભર નથી. આ યુવાનમાં એન્જીનયર થયા પછી જો પાટું મારી ને પાણી કાઢી શકે એવી વૃત્તિ ન નિર્માણ થાય તો તે રાષ્ટ્રના આત્મનિર્ભરતાના યજ્ઞમાં આહુતિ કઈ રીતે આપે ?. પરિણામે આવા યુવાનો આપઘાત કરી ને પોતાના દેહ ની આહુતી આપે છે. આપઘાત કરી ને આહુતિ ન આપે તો પાંચ છ હજારની નોકરી કરી ને રોજ રોજ મરતો રહે છે. જીવતે જીવ રોજ રોજ આપઘાત કરે છે એ નનામી આપણ ને દેખાતી નથી એટલે ખબર નથી પડતી.
આજ રીતે બિનજરૂરી અભ્યાસ ક્રમ પણ આપણે જોઈએ છીએ કે બાળકોનું બાળપણ છીનવી લે છે. જે બાળકોને આર્ટ્સમાં રસ છે એમને આટલું અઘરું ગણિત ભણાવીને કામ શુ છે ? બાળકના સર્વાંગી વિકાસ માટે ઠીક છે એમને ગણિતનું સામાન્ય જ્ઞાન હોવું જ જોઈએ. પરંતુ જેમને આર્ટ્સ લાઈનમાં જ આગળ જવું છે એમના પર આટલા અઘરા ગણિત-વિજ્ઞાનનો અત્યાચાર શા માટે ? બધી બાબતોમાં આપણે વિદેશ ની કોપી કરીએ છીએ તો શિક્ષણમાં આપણે કેમ કઈ નથી વિચારતા ?.
આ બધાની સામે શિક્ષણ મોંઘુ પણ એટલું જ થયું છે કે કોમન મેનનું ગજું નથી કે બધા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકે. પાઠય પુસ્તકો ઉપરાંત પાછી મોંઘીદાટ ગાઈડ, સ્વાધ્યાય પોથી, ઉપરાંત દરેક સ્કૂલમાં કોમ્પ્યુટર લેબના નામે પૈસા ઉધરાવાય ( કોમ્પ્યુટર ભણાવવું જરૂરી નથી ), બાળકોને બિનજરૂરી નોટોના ઉતારા. મોંઘી સ્કૂલો ઉપરાંત ટુયશનતો પાછા રાખવાજ પડે છે . તેમના હોમવર્કના પણ ઉતારા. સરવાળે બાળકને સ્માર્ટ ગધેડો કરવા માબાપ પણ કુંભારની જેમ ડફણા મારે છે જેમાં સ્માર્ટનેસ મરી જાય છે ને ગધેડો જીવી જાય છે. જો આવું જ શિક્ષણ રહ્યું તો આત્મનિર્ભર નહી યુવાની આત્મા થી નીંભર થઇ જશે . ચાઈના સાથે બાથ ભીડવા આવો સત્વ ને તત્વ વગર નો અભ્યાસક્રમ , બિનજરૂરી અભ્યાસક્રમના ઠગલા, હોમવર્કના ઢગલા , પૈસાના ઢગલા , તંદુરસ્તીની પાયમાલી આ બધી વાતો આપણ ને કઈ રીતે ચાઈના સામે લડતા શીખવશે . જે ને ગોખતાં આવડે ને પરીક્ષા સમયે સારું ઓકતા આવડે એ જીત્યો. બુદ્ધિ હોવી જરૂરી નથી પણ યાદ શક્તિ હોવી જરૂરી .
જેમ ઇન્કમ ટેક્સનું સરળ ફોર્મ ભરવું જેટલું કોમ્પ્લિકેટેડ છે એવું જ ભાર વગરનું ભણતર છે. વિનોદ ભટ્ટ જીવીત હોત તો ચોક્કસ કહેત કે ભાર વગરનું એટલે વજન વગર નું - આ ભણતર લઈ ને દુનિયામાં આવો તો તમારું કઈ વજન ન પડે એટલે ભાર વગરનું ભણતર કહ્યું છે. આજ વિનોદ ભટ્ટ એક જોક કહેતા કે એક માં ને ૪ દીકરા , એક ડોક્ટર, એક એન્જીયર , એક એમ.કોમ થયેલો અને એકને ભંગારની દુકાન એટલે મહેમાન કહે તમારા નાના દીકરા ને બહુ ખેચ પડતી હશે નહી તો માં કહે આ ત્રણેય દીકરાનું એ બચારો પૂરું કરે તો ખેચતો પડે જ ને !

अस्तु ।

Dt.01.06.2020.