friendship day books and stories free download online pdf in Gujarati

મિત્રતા દિવસ

ઓગસ્ટનો પ્રથમ રવિવાર- મિત્રતા દિન :

મિત્રતા હોય ત્યાં પ્રેમ હોવો જરીરી નથી,પણ પ્રેમ હોય ત્યાં મિત્રતા હોવી જરૂરી છે.....મિત્રતાના સહુ કોઈ ચાહક છે....દરેકની જીંદગીમાં મિત્રનું સ્થાન અજોડ છે.ઓગસ્ટનો પ્રથમ રવિવાર એટલે મિત્રતાની તત્પરતા વ્યક્ત કરવાનો દિવસ.ક્યારેક સ્વાર્થના પાયા પર રચાયેલી મિત્રતાની ઈમારત ચણાય તો તે તૂટી જાય છે....પણ એકબીજાના સાથમાં જે ખુશ હોય અને એકબીજાની માત્ર પાસે બેસવાથી જ મનની વાત સમજાઈ જાય એ સાચી મિત્રતા....આખો બોલે ને હૈયું સાંભળે એ જ મિત્રતા....નિરંતર વહેતું પ્રેમનું અખૂટ ઝરણું કે જ્યાં અપેક્ષને સ્થાન નથી એ જ સાચી મિત્રતા.કૃષ્ણ સુદામાની મૈત્રી, કૃષ્ણ દ્રૌપદીનો સખાભાવ આદર્શ મિત્રતા સમજાવે છે. માતાપુત્ર,પિતાપુત્રી,ભાઈબહેન પણ એક મિત્ર તરીકે હોઈ શકે...સાચી ભાવના થી આપેલો મિત્રભાવ જિંદગી જીવવાની જડીબુટ્ટી છે.

Why We are friends? B’coz friendship never ends….!!!

આજકાલ મિત્રતાના નામે એકબીજાને બેલ્ટ પહેરાવતા કિશોર કિશોરીઓને મારે ખાસ એ કહેવું છે કે એક વાર દ્રૌપદી ચીરહરણ જરૂર વાંચજો..એક ચીર કૃષ્ણનું લોહી રોકવા દ્રૌપદીએ બાંધ્યું તો એને હજારો ગણું કરી સખીની લાજ બચાવી એવી રીતે ફ્રેન્ડશીપબેલ્ટની લાજ રાખી, મિત્રતા શબ્દને સાર્થક કરજો,આંગણે મદદ માગવા આવેલ સુદામા કઈ ન કહી શક્યો છતાં એની મનની વાત સમજી વગર માગ્યે એ દોસ્તને લખલુટ દોલતનો માલિક બનાવી દેનાર એવો મિત્ર બની રહેજો કે જે વરસાદમાં પણ મિત્રના આંસુ જોઈ શકો.. અર્જુનના સારથી બન્યા હતા તેમ ગમે તેટલા ઉચા પદ પર હો પણ મિત્રની જરૂર મુજબ એના સારથી પણ બની રહી સત્યનો સાથ આપતા રહેજો...અને શ્રાવણના સરવડાની જેમ મિત્રતામાં ભીંજાતા રહેવાશે......

લેખક શ્રી દિનકર જોષી પોતાનું પુસ્તક “શ્યામ એક વાર આવોને આંગણે”માં કહે છે કે કૃષ્ણ તો એક નિતાંત ભાવના છે—ભાવનાને આકાર ન હોય,માત્ર અનુભૂતિ હોય...!!વાસુદેવ,દેવકી,રુકમણી,સત્યભામા,અર્જુન,દ્રૌપદી,અશ્વસ્થામા,અક્રૂર,કંસ સુદ્ધાં આ સહુને કૃષ્ણના સાન્નિધ્યમાં શ્વસવાનું સદભાગ્ય સાંપડ્યું હતું.આ સહુ આજેય આપણામાં ક્યાંક ને ક્યાંક,ક્યારેક ને ક્યારેક શ્વસી લે છે ને ચિત્કાર કરી ઉઠે છે –શ્યામ એક વાર તો આવો આંગણે!મારે કૈક કહેવું છે!”પણ...ખરેખર જો એ આપના આંગણે આવી ઉભો રહે તો શું આપણે કઈ કહી શકીએ ખરા??એ જ તો માનવજીવનની કરુણતા છે..”..હું તો એમ જ કહું કે એ જ મિત્રતા છે..પ્રેમ છે...કહેવાનું હોય ઘણું પણ યાદ કશું ન આવે....ને છતાં એક્બીજા બધું સમજી જાય. લેખક શ્રી દિનકર જોષી તેમના પુસ્તક ‘કૃષ્ણનું સરનામું’માં કહે છે કે :“આદિકાળથી જેને સહુ માનવ શોધી રહ્યા છે તેનું સાચું નામ કૃષ્ણ હોવા કરતાય તેનામાં રહેલું કૃષ્ણત્વ વિશેષ છે.માણસ આ કૃષ્ણત્વને શોધી રહ્યો છે,એનો અભાવ એટલે જ પોતાનો ખાલીપો.કૃષ્ણત્વ એક પરિપૂર્ણ પણ સદાય અધુરી રહેલી માનવજાતની સ્વપ્નભોમકા છે.સ્વપ્ન સેવવું,સાકાર કરવું ગમે છે ..પોતાના સપનાને સાકાર કરવા એ સતત પ્રયત્નો કરતો રહ્યો છે...મંદિરમાં કાલીયા ઠાકોર તરીકે,હવેલીમાં ઠાકોરજીરૂપે,ક્યારેક પરીક્ષિત રાજાના નામે કે ક્યારેક શુકદેવજીની વાણીમાં આ સપનાએ કૃષ્ણને સેકડો વર્ષથી શોધ્યા કર્યા છે.આ બધા પ્રયત્નો વચે ક્યારેક કોઈને કૃષ્ણનો સંસ્પર્શ થયો હોવાનું વિશેષ સપનું પણ આવ્યું! ....ટુકમાં કૃષ્ણને મિત્ર તરીકે પામવાનું સરનામું એક જ છે –ભગવદગીતા..”તો લેખિકા કાજલ ઓઝા વૈદ્ય તો પોતાના અનોખા અંદાઝમાં ‘કૃષ્નાયણ’માં કહે છે કે “કૃષ્ણને મેં કદી ભગવાન તરીકે જોયા નથી,એ એક એવું વ્યક્તિત્વ છે કે તેને તમે ‘વિરાટ’કહી શકો...મહાભારતમાં મહાન રાજકારણી,ભાગવતમાં દૈવી સ્વરૂપે,ગીતામાં જ્ઞાનના ભંડાર સમ ગુરૂછે..સ્વયમ ચેતના બની પ્રગટ થાય છે...આજથી વીસ હજાર વર્ષ પહેલા દ્રૌપદી સાથેના સંબંધોથી સ્ત્રી-પુરુષ મિત્રતાનું ઊદાત ઉદાહરણ છે.તો રાધા સાથેનો પ્રણય એટલો સાચો છે કે ફક્ત લગ્નને જ માન્યતા આપનારો આ સમાજ આજે પણ ‘રાધા કૃષ્ણ’ની પૂજા કરે છે!

આમ કૃષ્ણ એટલે કે મિત્રતા સર્વ વ્યાપ્ત છે.....મારા માટે તો અત્યારે મારી કલમમાં આવી બેઠો છે,મારા મૌન રુદનને જાણી મને હસાવવા આવે છે,હું મુશ્કેલીમાં હોઉં તો ત્યારે સુરદાસનો હાથ પકડ્યો હતો એમ મારો હાથ પકડી યોગ્ય રસ્તે વાળે છે,અને મારી એકલતા સમયે મારા ખભે હાથ મૂકી સ્વપ્ન શ્રુષ્ટિમાં લઇ જઈ મારી એકલતાને હરીભરી બનાવનાર મારો પરમ સખા અહી જ છે,મારી આસપાસ, મારા શ્વાસમાં...દરેક પળ એક સાચા મિત્ર તરીકે સદા સાથે રહેનાર કૃષ્ણ વિષે વધુ શું કહી શકાય?

એવા મિત્ર બની રહેજો કે જે વરસાદમાં પણ મિત્રના આંસુ જોઈ શકો.. અર્જુનના સારથી બન્યા હતા તેમ ગમે તેટલા ઉચા પદ પર હો પણ મિત્રની જરૂર મુજબ એના સારથી પણ બની રહી સત્યનો સાથ આપતા રહેજો...

મિત્રતા દિવસ માટે ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે’...સાથે સહુને કૃષ્ણ જેવા મિત્ર મળી રહે તેવી શુભકામનાઓ......