kon chhe aa samaaj books and stories free download online pdf in Gujarati

કોણ છે આ સમાજ?

કોણ છે આ સમાજ ?

1) "ભાઈ સામે વાળા રસિકભાઈ ના દીકરાનું SSC નું રિઝલ્ટ આવ્યું તમને ખબર છે ? સાવ ઓછા માર્ક્સ આવ્યા. બિચારા રસિકભાઈ એના દીકરા પાછળ કેટલી મહેનત કરતા હતા. પણ એના દીકરા એ એનું નામ ડુબાવ્યું."

2) "અરે પેલા બાબુભાઇ ની દીકરીએ આપઘાત કર્યો?"

"કેમ?"

"બારમા ધોરણમાં નાપાસ થઇ એટલા માટે."

"અરરરર...... આજકાલ ના બાળકોમાં હિમ્મત જ નથી. સમાજની સામે લડવાની શક્તિ જ નથી."

સમાજ....... સમાજ...... સમાજ.......

શું છે આ સમાજ?

કોઈ વ્યક્તિ છે? કોઈ રાક્ષસ છે? કોઈ ભૂત છે? કે પછી કોઈ હિન્દી ફિલ્મ નો વિલન ?

ના.

સમાજ કોઈ વ્યક્તિ, રાક્ષસ, ભૂત કે પછી વિલન નથી... સમાજ... આપણા પોતાનામાં જ છે, આપણે ખુદ છીએ. સમાજ આપણામાં છે અને આપણે સમાજ માં છીએ. પણ આ સમાજને દુષણ કહેવું કે પછી શું કહેવું ?

આજકાલ આપઘાતના બનાવો ખુબ જ વધી રહ્યા છે. તેનું કારણ શું છે ? કોઈ છોકરો કે છોકરી આપઘાત કરે તો તરત પોલીસ કેસ થાય છે, જેની ઈન્કવાયરી બેસે છે, મડદાં નું પોસ્ટમોટર્મ થાય છે. પણ 100માંથી ફક્ત 10 વ્યક્તિ જ એવું વિચારશે કે આ વ્યક્તિ એ આપઘાત કર્યો એની પાછળ નું કારણ શું છે. એવું તે શું એના જીવન માં ખૂટતું હશે કે તેને આપઘાત કરવાની જરૂર પડી. આ એ લોકો હશે જેને સમાજની સાચી ઓળખ છે. સાચું જ્ઞાન છે.

હવે આપણા મન માં પણ સવાલ હોય આવા, કે આપઘાત શા માટે કરે છે આ લોકો ? એનો જવાબ છે 'સમાજ'. કારણ?

નિશાળમાં પરીક્ષાના પરિણામ નો દિવસ છે. બધા ને પરિણામ વિતરણ થાય છે. એક બાળક ના હાથ માં તેનું પરિણામ નો કાગળ આવે છે. તે જુવે છે. તેના માર્ક્સ ધાર્યા કરતા ઓછા આવ્યા છે. હવે તેના મન માં શું વિચાર આવશે ?

"મારા પપ્પાને આ રિઝલ્ટ વિષે ખબર પડશે તો મને ખુબ ખીજાશે? મારશે?"

"આડોસ પડોસ માં ખબર પડશે તો મારી ઠેકડી ઉડાડશે?"

"મારી માં મને ખાવાનું નહિ આપે?"

"મારા પપ્પાને અમારા સમાજ માં નીચું જોવું પડશે ? અને એ પણ મારા આ એક પરિણામ ના લીધે?"

સમાજ.... છેલ્લા પ્રશ્નમાં પણ સમાજ આવ્યું. બસ આ સમાજ એક એવી વસ્તુ છે જેનો ડર બધા જ વ્યક્તિ ના માનસ માં સતાવી રહ્યો છે. લોકો ના મન માં એક બીક છે સમાજની. કે લોકો શું બોલશે ? બધાની સામે બદનામી થશે? સમાજમાં બદનામી થશે? બસ આ બીક ના લીધે માણસ નું મન ચાલતું બંધ થઇ જાય છે. અને આપઘાત તરફ પ્રેરાય છે. પણ આ આપઘાત પાછળ દોષ કોને આપવો? બધા તો આપઘાત કરનાર વ્યક્તિ ને જ દોષ આપશે. પણ ખરેખર સુધારવાની જરૂર આ સમાજ ને જ છે. અને આ સમાજ માં આપણે પણ છીએ. તો કેમ આપણા થી શરૂઆત ન થાય ? કોઈ બાળક નું પરિણામ નબળું આવે તો કોઈ બાપ એના દીકરાના ખભે હાથ મૂકી ને એમ કેમ કહી નથી શકતા કે, "બેટા, ચિંતા ના કર. ભલે ઓછા માર્ક્સ આવ્યા. હવે પછી વધુ મહેનત કરજે." કોઈ વ્યક્તિને ધંધામાં ખોટ ગઈ હોય તો કોઈ વ્યક્તિ એને એમ કેમ નથી કહેતું કે, "ટેંશન ના લે, બધું સરખું થઇ જશે." બસ એવું જ કેમ વિચારે છે, કે ફેઇલ થવા થી જિંદગી ખતમ થઇ જાય છે. આગળ વધવાના કોઈ ચાન્સ જ નથી. શા માટે?

કારણ કે, આપણા મન માં પહેલે થી એવા જ વિચારો નું સિંચન થયું છે કે પરીક્ષામાં નાપાસ એટલે જીવન માં નાપાસ. કેમ આપણે આપણા વિચારો બદલી નથી શકતા? કેમ આપણે આપણી ચિંતા મૂકી ને સમાજ ની ચિંતા કરીયે છીએ? સમાજ તો આખી જિંદગી નડવાનો છે. પણ એના માટે જિંદગી દાવ પર મુકવી, આ ક્યાં નો ન્યાય છે?

આપણે આપણી અંદર રહેલા વિચારો બદલવાની પહેલા જરૂર છે. જો આપણા વિચાર શુદ્ધ હશે તો આપણે બીજાના વિચારોને બદલાવી ને એક સુધારેલા સમાજનું નિર્માણ કરી શકીશું.

કોઈ અંગ્રેજી લેખક એ ખુબ સરસ વાક્ય લખ્યું છે કે, "A single piece of paper, cannot deside our future." મતલબ કે ."કોઈ એક કાગળનો કટકો(પરિણામ પત્રક) આપણું ભવિષ્ય નક્કી નથી કરી શકતું." આપણું ભવિષ્ય આપણે ખુદ બનાવવાનું છે. સમાજ થી ડરી ડરીને જો આગળ વધવાનું વિચારશું, તો ક્યારેય આ સમાજ તમને આગળ નહિ વધવા દે. એટલે સૌ પ્રથમ તો આપણા મસ્તિષ્કમાં હાવી થયેલા નકારાત્મક વિચારોને મસ્તિષ્કની ગાદી પરથી નીચે ઉતારો.

હવે? આપણને એ પ્રશ્ન થશે કે વિચાર બદલવા શું કરવું? જવાબ છે સારા પુસ્તકોનું વાંચન, સારા મિત્રોની મિત્રતા, સારા વ્યક્તિઓ સાથે સંબંધ, અને સારા સમાજ સાથે જીવન.

"વિચાર બદલો, સમાજ આપોઆપ બદલવા લાગશે."

અસ્તુ....

Share

NEW REALESED