riya shyam - 29 books and stories free download online pdf in Gujarati

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 29

ભાગ 29
શ્યામ, આજ સુધી જે રીતે પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિને લઈને, અંદર ને અંદર ઘૂંટાતો રહેતો હતો, પોતાની જિંદગીથી ના-ખુશ રહેતો હતો, એનું મન, જે બીજા કોઈપણ કામમાં લાગતું ન હતું,
અરે, એને દુર-દુરથી પણ એ વાતની આસ પણ દેખાતી ન હતી કે, આજે નહીં તો કાલે એની સ્થિતિ સુધરશે, અને આજે...
આજે શેઠ રમણીકલાલની મહેરબાની, કૃપા કે પછી માણસાઈને લીધે
માત્ર, શ્યામની સારી નોકરી જ નહીં, સાથે-સાથે તેના પપ્પા પંકજભાઈ પણ જે 16-16 કલાક એક ડ્રાઇવરની નોકરી કરતા હતા, તેમને પણ આજે રમણીકલાલે જે કામ આપ્યું, જેનાથી શ્યામ અત્યંત ખુશ છે.
અધૂરામાં પૂરું આજે એક નવું ઘર પણ શ્યામને મળી ગયું છે.
હવે, શ્યામ પોતાની વીતેલી જિંદગીને એક ખરાબ સપનાની જેમ ભૂલી ગયો છે.
આજ સુધી તો શ્યામ, એવું વિચારતો હતો કે,
વેદને તો તેના ગાવાના ટેલેન્ટને લીધે, અને વેદની પોતાની પણ, એક ગાયક બનવાની લગન દ્વારા આજે નહિ તો કાલે, વેદ એના જીવનમાં જરૂર સફળ થવાનોજ છે, અને વેદ સફળ થશે, એ વાત નતો માત્ર શ્યામ જાણતો હતો, વેદને પોતાને પણ એની પર પૂરો વિશ્વાસ હતો.
જ્યારે શ્યામ પાસે આવું કોઈ ટેલેન્ટ, કોઈ નવી આશા દૂર-દૂર સુધી હતીજ નહીં.
કે પછી, શ્યામને પોતાને પણ પોતાના પર આવો કોઈ વિશ્વાસ પણ ન હતો, કે એક દિવસ એનો પોતાનો પણ સારો સમય આવશે. પરંતુ
આજે શ્યામને પોતાની જિંદગીને લઈને કોઈ વાતની કમી, તકલીફ કે પછી પોતાની જીંદગીથી કોઈ સવાલ છે જ નહિ.
હવે જાણે, પોતાના બધાજ સપના, ઈચ્છાઓ અને જરૂરિયાતો બધું જ તે પૂરું કરી શકશે, એટલો વિશ્વાસ શ્યામને આવી ગયો હતો.
શેઠ રમણીકલાલે, શ્યામ તેમજ તેના પપ્પા પંકજભાઈ પર બતાવેલી લાગણી અને સહકાર વાળી વાત જાણી,
વેદ અને રીયા, તેમજ એ બન્નેના પરિવારના તમામ લોકો પણ આજે અત્યંત ખુશ હતા.
પરંતુ
વેદ અને રીયા, કેમ જાણે અંદરથી કોઈ ઊંડી મૂંઝવણમાં હોય તેવું લાગતું હતું, હમણાં કેટલાક દિવસોથી એ બંનેના ચહેરા પરનો રંગ ઉડી ગયો હોય એમ દેખાતું હતું.
હમણાં થોડા દિવસોથી તો તે બન્ને, બીજા કોઈની સાથે તો વધારે વાત કરતા જ ન હતા, પરંતુ તે બંને સાથે હોય, તો પણ કલાકો સુધી તેઓ સુનમૂન બેસી રહેતા હતા.
હકીકતમાં, તેમની મૂંઝવણ નું કારણ એ હતું કે,
વેદ અને રીયાએ,
"જયાં સુધી શ્યામ હોસ્પિટલથી બિલકુલ સ્વસ્થ થઈને તેના ઘરે પાછો ન આવે, ત્યાં સુધી તેઓ પોતાની સુહાગરાત નહીં મનાવે, એવું પ્રણ લીધુ હતુ" તો પછી
આ બાજુ, શ્યામને તો સ્વસ્થ થઈને ઘરે આવ્યે ઘણા દિવસો થઈ ગયા હતા.
શ્યામને સારી નોકરી અને ઘર પણ હવેતો મળી ગયું છે.
તો પછી, વેદ અને રીયાને અત્યારે એવી કઈ મૂંઝવણ સતાવી રહી હતી ?
તો
વેદ અને રીયાની મૂંઝવણ એ હતી કે,
એમની લાખ ઈચ્છા હોવા છતાં, વેદને કોઈ, આકસ્મિક શારીરિક તકલીફને લીધે, તેઓની સુહાગરાત હજી સુધી અધુરી રહી ગઈ છે.
વેદ અને રીયા, બન્ને આ બાબતને લઈને કેટલાય દિવસોથી ચિંતિત અને મૂંઝવણમાં હતા.
આ બાબતને લઈને તેઓ, એક-બે ડોક્ટરને બતાવી, તેમની સલાહ પણ લઈ ચૂક્યા છે.
વેદના તમામ રીપોર્ટ જોયા પછી, ડોક્ટરનું કહેવું થાય છે કે
વેદ, પિતા નહીં બની શકે.
બસ, આ મૂંઝવણ વેદ અને રીયાને ઘણા દિવસોથી હતાશ કરી રહી હતી.
એમની ખુશી અને ભાગ્ય પર, એક ખંજરની જેમ ઘા કરી રહી હતી.
ડોક્ટરના કહેવા પ્રમાણે, વેદમાં આ તકલીફ જન્મજાત ન હતી, પરંતુ
કોઈ અકસ્માત વખતે વેદને કોઈ અંદરૂની ઈજા થઈ હોય, અને તે સમયે એ ઈજાને ખાસ ધ્યાનમાં લેવામાં ન આવી હોય, એવું બની શકે.
બીજુ, ડોકટરના કહેવા પ્રમાણે, આનો ઈલાજ શક્ય તો છે,
પરંતુ
એ ઈલાજનું કોઈ સારું પરિણામ,
કેટલું મળે ?
ક્યારે મળે ?
એ બાબતે તો, ડૉક્ટર પોતે પણ કહી શકે તેમ નથી.
એવું પણ બની શકે છે કે, બધાજ ઈલાજ પછી પણ, કદાચ... ધાર્યું પરીણામ ન પણ મળે.
આ બધા કારણોને લીધે,
વેદ અને રીયા, હવે આમાં આગળ શું કરવું ?
કયો રસ્તો કાઢવો ?
તેનું તે બંને એકલાજ અંદરો-અંદર મનોમંથન કરી રહ્યા હતા. બસ આજ વિચારોમાં,
એકવાર વેદ અને રીયા, એક ડોક્ટરને મળીને હોસ્પિટલની બહારના ગાર્ડનના બાંકડે સુનમૂન બેઠા હતા, અને
અચાનક, વેદને થોડા વર્ષો પહેલા નો કોઈ એક પ્રસંગ યાદ આવે છે.
એ પ્રસંગ વેદ અને શ્યામના પપ્પા પંકજભાઈ સાથેની એક મુલાકાતનો હતો.
થોડા વર્ષો પહેલા બસ એમ જ, વેદે, વાતવાતમાંજ,
શ્યામના પિતા પંકજભાઈને એક પ્રશ્ન પૂછેલ,
વેદ : અંકલ, તમને શ્યામની મમ્મીની યાદ નથી આવતી ? પંકજભાઈ : આવે છેને બેટા, ખુબજ યાદ આવે છે.
પરંતુ
ભલે, શ્યામની મમ્મી મને દેખાતી નથી, પરંતુ તે હર-હંમેશ મારી પાસે ને સાથે જ હોય છે.
હું જીવીત છું, એ એનીજ શક્તિ છે.
વેદ : અંકલ, અત્યારે તો પૂરા દિવસનાં કામકાજમાં તમારો દિવસ નીકળી જાય છે, પણ તમે જ્યારે ઘરડા થશો, કામકાજથી નિવૃત થશો, ત્યારે, એ વખતના દિવસો તમે કઈ રીતે પસાર કરશો ?
પંકજભાઈ : એની તો મને બિલકુલ ચિંતા નથી બેટા,
હમણાં તો દસ-પંદર વર્ષ હું અડીખમ છું, બાકી તે કહ્યુ તેમ, જ્યારે હું નિવૃત્ત થઈશ, ત્યારે તો હું મારો સમય, શ્યામના બાળકો સાથે વિતાવીશ.
એ વખતે શ્યામના પપ્પા પંકજભાઈને મોઢે બોલાયેલ એ શબ્દો...
"જ્યારે હું નિવૃત્ત થઈશ, એ વખતે હું મારો એ સમય, શ્યામના બાળકો સાથે રમીને પસાર કરીશ" પંકજભાઈને મોઢે બોલાયેલ, આ શબ્દોની અસર, અત્યારે વેદના ચહેરા પર સાફ-સાફ દેખાઈ રહી છે.
તેમજ પંકજભાઈના મોઢે બોલાયેલ આ શબ્દોમાં, વેદને આશાની એક કિરણ પણ દેખાઈ રહી છે.
એજ વખતે વેદ, મનમાંજ પંકજભાઈની આ વાત વિશે વિચારીને,
રીયાને કંઈ કહેવા જાય છે.
પાછો વેદ મનમા વિચારે છે કે, રીયાને આ વાત,
કરુ કે ના કરુ ?
મારી આ વાત અને મારો આ વીચાર,
રીયા માનશે, કે નહીં માને ?
છતા...
છતા, એક વાર હિંમત કરી વેદ અત્યારે તેના મનમાં આવેલ વિચાર, રીયાને કહેવા મક્કમ થઈ જાય છે.
વેદ, તેની બાજુમાં બેઠેલ રીયાનો હળવેથી હાથ પકડી, ધીમા અવાજે રીયાને કહે છે કે.....
બાકી ભાગ 30 માં