Prerna no Dariyo books and stories free download online pdf in Gujarati

પ્રેરણા નો દરિયો

" નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ" ના ધ્યેય સાથે કાર્ય કરતી ઓએસિસ સંસ્થાના પ્રકાશનમાં સાત પુસ્તકો નું વિમોચન, એક સાથે સાત કેન્દ્ર પર,સાત મહાનુભાવોના હસ્તે થયું.. આ‌ ૭ પુસ્તકોમાં એક અંગ્રેજી ભાષામાં પુસ્તક ,An Oasis of Quotations, બાકીના 6 પુસ્તકો ગુજરાતી ભાષા સંતતિ દેવો ભવ, નેતૃત્વની સિદ્ધાંત પોથી, સામાજિક ક્રાંતિના સાત સોપાનો, જીવન ધ્યેયની ખોજ, જીવન શિક્ષક - ફાધર વાલેસ અને તમારા બગડેલા વિદ્યાર્થીઓ.
oasis મુવમેન્ટ કચ્છમાં આ સાત પુસ્તકોનું વિમોચન
જાણીતા કેળવણીકાર શ્રી હરેશ ધોળકિયા, કચ્છ યુનિવર્સિટી ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી ડો.દર્શનાબહેન ધોળકિયા,જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો ભગવાન પ્રજાપતિ, કચ્છી લેવા પટેલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કેસરા ભાઈ પિંડોરિયા,જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સિનિયર લેકચરર શ્રી સંજય ઠાકર,લાલન કોલેજના સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક શ્રી મેહુલ શાહના હસ્તે વિમોચન થયું. આ સાત મહાનુભવ એવા કે જેઓ પણ દરેક ક્ષેત્રમાં શાંત ક્રાંતિના વિશાલ છે તેમના વિશે વાત કરું તો સાત પુસ્તકો પણ ઓછા પડે જે વાત પછી કરીશું.આ વિશિષ્ટ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોએ oàsis સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.અને oasis સંસ્થાના સ્થાપક અને જાણીતા લેખક શ્રી સંજય શાહ ના આયોજનને ધન્યવાદ આપતા આ પ્રેરણાત્મક પુસ્તકોને આવકારતા સમાજ માટે ઉત્તમ ઉપયોગી ભાથું કહ્યું હતું.
લેખક સંજીવ શાહ ખૂબ શાંત ક્રાંતિ જગાવી રહ્યા છે,તેમની કલમ દ્વારા અને તેમના oasis movement દ્વારા.....
આપશ્રીના વિચારોની ઉચ્ચતા, કલમની તાકાત અને શુદ્ધ હૃદયના ત્રિવેણી સંગમ સમાન અપાયેલા આ સાત પુસ્તકો,સમાજ માટે ઉત્તમોત્તમ નજરાણું કહી શકાય.. જેના પર આછેરી નજર ફેરવીએ...
પ્રથમ પુસ્તક : An Oasis of Quotations
અંગ્રેજી ભાષાના આ પુસ્તક માં અદ્ભુત કહી શકાય એવા અવતરણો સમગ્ર સાહિત્ય માંથી લેવામાં આવ્યા છે. તેમાં સમગ્ર ક્ષેત્રના અંગ્રેજી ભાષામાં અવતરણો મૂકવામાં આવ્યા છે કે જે પ્રેરણા આપવા માટે એક ચિનગારી નું કામ કરે છે.
બીજું પુસ્તક : સંતતિ દેવો ભવ
શીખતા મા-બાપની શાણપણ ની શોધ એવું સંતતિ દેવો ભવ પુસ્તકમાં સામાન્ય પ્રશ્નોના અસામાન્ય ઉત્તર આપવાનો પ્રયાસ છે.બાળકના જન્મ પહેલાથી શરૂ થતા,આજીવન ચાલતા અનેક સામાન્ય પ્રશ્નોના અસામાન્ય ઉત્તરો આ પુસ્તકમાં મળી રહેશે. સંકલનકાર અહીં લખે છે, બાળ ઉછેર માટે દુનિયાભરના જ્ઞાન કરતાં વધુ મદદરૂપ છે માતા-પિતાનો નિર્મળ, નિ:સ્વાર્થ, નિર્વ્યાજ, નિ:શેષ, નિસ્પૃહ પ્રેમ.. બાળ ઉછેર કરતા કરતા ઉદભવતા તમામ પ્રશ્નો, સંતાનો ને લગતા તમામ પ્રશ્નો અને તેના જવાબો વિસ્તૃત રીતે મેળવી, પેરેન્ટિંગના ઉત્તમ ગુણો કેળવવા માટેનું પુસ્તક ખરેખર તમામ દંપતિ કે જે માતા-પિતા બનવા જઈ રહ્યા છે અથવા બની ચૂક્યા છે તેઓ સૌએ આ વાંચવા જેવું છે અને તેમાંનું ઘણું બધું અપનાવવાથી કદાચ સમાજમાં અત્યારે જે વિભક્ત કુટુંબની ભાવના ઉદ્ભવી રહી છે તેનું નિરાકરણ મળી જાય અને સાથે મળી ઉત્તમ સમાજ નિર્માણ કરી શકીએ એવું હું માનું છું.
ત્રીજું પુસ્તક: નેતૃત્વની નોંધપોથી....
યોગ્ય નેતા અને તેનું નેતૃત્વ સંસ્થાને કે કોઈ પણ અભિયાનને ઊંચાઈએ પહોંચાડે છે.. આ સાચા નેતા કેવા હોવા જોઈએ અને તેમનામાં નેતૃત્વના ગુણો અથવા તો નેતૃત્વના બુનિયાદી સિદ્ધાંતો શું છે તે મહાન મનુષ્યોના અવતરણો માંથી અહીં એક નાનકડી ખીસ્સાપોથીઓમાં મૂકવામાં આવ્યા છે. સંકલનકાર કહે છે કે આ રાષ્ટ્રના યુવાનો માટે કે જેવું દેશ માટે કંઈક કરી છૂટવા માગે છે સમાજને દિશા બતાવવા માંગે છે તેમના માટે અહીં ઉન્નત જીવન અને મહાનતાના પાઠ ભણવાનો મોકો છે. નાની એવી આ પુસ્તિકા મશાલચી તરીકેનું કાર્ય કરશે એમાં કોઈ બેમત નથી.
ચોથું પુસ્તક: સોપાન સામાજિક ક્રાંતિના
"જગસુધારણા ભ્રાંતિ અને સ્વસુધારણા ક્રાંતિ" ના સિદ્ધાંત પર સામાજિક ક્રાંતિ થઈ શકે. તમામ ક્રાંતિકારીઓ જાણે છે કે બાહ્ય અને આંતરિક કસોટી ની વચ્ચે સતત આગળ વધતા રહીએ, અંગદનો પગ બની ઊભા રહીએ, તો જ સામાજિક ક્રાંતિ થઈ શકે.મેહુલ પંચાલ ના સંકલનમાં આવેલા આ પુસ્તક સામાજિક ક્રાંતિના, સમાજના ઉભરતા ક્રાંતિવીરો ને સતત માર્ગદર્શન, પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડતા છ પ્રકરણોમાં સામાજિક ક્રાંતિના પ્રણેતા બનવા માટેનું ઉત્તમ ભાથું અહીં પીરસવામાં આવ્યું છે.
પાંચમું પુસ્તક :જીવન શિક્ષક- ફાધર વાલેસ
તાજેતરમાં તેમને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે તેવા નોંધ ગુજરાતી છતાં સવાયા ગુજરાતી કહેવામાં આવે છે એવા જીવન શિક્ષક ફાધર વાલેસદ્વારા જીવનનું સરળ ગણિત શીખવા માટે ખરા અર્થમાં ઉપયોગી છે. જેમણે ૭૫મા વર્ષે કોમ્પ્યુટર શીખી, પોતાની વેબસાઈટ શરૂ કરી. કુલ ૧૪૧ પુસ્તકો ના રચયિતા જેમાંથી 74 પુસ્તકો ગુજરાતી છે અને વિશ્વના ત્રણ ખંડોને આવરતો તેમનું અનોખો કર્મયોગ સાચે જ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે. તેમના આ પુસ્તક માં સાત પ્રકરણોમાં નવી પેઢીની ખરા અર્થમાં જીવનને સમજવા ઉપયોગી બની રહેશે એમાં કોઈ બેમત નથી.
છઠ્ઠું પુસ્તક : જીવન ધ્યેયની ખોજ
જેની શોધ અને પ્રાપ્તિમાં j જીવનનું સાર્થકય રહેલું છે,એ જીવન ધ્યેય..... સમજાતું,તેના અભિગમની કેળવણી આપતું પુસ્તક માં લેખક શ્રી સંજીવ શાહે પોતાના તમામ વિચારો ઉચ્ચ હોવા માટેની અને જીવન પ્રત્યેના તેમનો અભિગમ અને દ્રષ્ટિકોણ અનોખો છે તે સાબિત કરી બતાવ્યું છે. અગાઉના અનેક પુસ્તકોમાંથી આ પુસ્તક ખરેખર ખૂબ અલગ કહી શકાય એવું છે અને ઉત્તમ છે. કારણ કે દરેક પ્રકરણના અંતે એક સરસ મજાનું નાનું ગીત યાદ કરાવ્યું છે કે જે સાંભળીને જીવનની અનોખી પ્રેરણા આપણને મળી રહે છે. આ પુસ્તકનું શિરમોર સમાન ગણી શકાય એવું પાસું લેખક શ્રી સંજીવ શાહનું સ્વરચિત કાવ્ય 'નવી કેડી છું હું...' કહી શકાય. અને એ વાંચીને આજીવન પ્રેરણા મળી રહે છે, જીવન ધ્યેયને સાકાર કરવા માટે..એટલે જ અહીં લેખક લખે છે કે જો જીવનને ખૂબ સુંદર અને સાર્થક રીતે જીવી જવું હોય અને તમે ખરેખર ઉત્કટતાથી તેના રહસ્યો શોધી રહ્યા છો તો આ પુસ્તકમાં સામેલ માર્ગદર્શન તમારા માટે જ છે....
સાતમું પુસ્તક: તમારા બગડેલા વિદ્યાર્થીઓ
શિક્ષણ વિભાગમાં અનેરી ક્રાંતિ જગાવનાર ઈન્દ્ર ધનુષ્યના સાત મા રંગ સમાન સાતમું પુસ્તક લિખિતંગ તમારા બગડેલા વિદ્યાર્થીઓ...(!)
ગુજરાતીભાષામાં સંકલન અને સંપાદન કરનાર સંજીવ શાહે આ પુસ્તકના લેખન કારો એવા વિદ્યાર્થીઓને 'સિક્રેટ સુપરસ્ટાર' એવું નામ આપ્યું છે,જે ખૂબ વિચારવા પ્રેરે છે અહીં એવા બાળકોના સ્વ અનુભવો, સ્વ કલમે લખાયા છે કે જેમને તેમના અમુક શિક્ષકો પ્રત્યે ક્યાંક અને ક્યાંક રોષ છે, આ આક્રોશ બાળકના કલમ દ્વારા આ પુસ્તકમાં મૂકવામાં આવ્યો છે અને એવા શિક્ષકો કે જે ક્યારેય જાણતા કે અજાણતા કરી બેસતા ભૂલોને કારણે બાળકોના જીવનમાં કે બાળકોના મનમાં કંઈક ન ગમતું બની શકે છે,જે બાળકના જીવન વિકાસમાં આજીવન આડખીલીરૂપ બની રહે, દરેક શિક્ષકો માટે લાલબત્તી સમાન આ પુસ્તક અર્પણ કરતા લખ્યું છે કે શિક્ષકો અને કેળવણી સાથે નિસબત ધરાવનારાં સૌના અંદરના અંતરાત્મા અને સંવેદનશીલતા ની અર્પણ..(!)
અગાઉ આ પુસ્તકની નાની આવૃત્તિ આજ નામ સાથે મુકાયેલી છે, જેનું વિસ્તૃત સ્વરૃપ અહીં છે.
એકી સાથે સમાજને 'પ્રેરણાનો દરિયો' ભેટ આપનાર એવા લેખક, સંકલનકાર અને શાંત ક્રાંતિ કરનાર ખરા અર્થમાં નેતા, સફલ જીવનશિક્ષક, ઉત્તમ માર્ગદર્શક,પોતાના જીવનને ખરા અર્થમાં સાકાર કરનાર શ્રી સંજીવ શાહ માટે સમાજસુધારક, કેળવણીકાર કે વાલી ..એમના માટે કયો શબ્દ વાપરવો એ નક્કી નથી કરી શકાતું.પણ એટલું તો ખરું જ કે એક સાથે આ અદભૂત સાત પુસ્તકો દ્વારા તેમણે વાલી ધર્મ, શિક્ષક ધર્મ સાથે ખાસ તો ઉત્તમ માનવધર્મ નિભાવ્યો છે. અને જેને આપણે સાચા હૃદયથી સ્વીકારીએ એ j ખરા અર્થમાં તેમણે સમાજને આપેલી ઉત્તમ ભેટ ની પ્રતિ ભેટ કહી શકાય....