Manhood books and stories free download online pdf in Gujarati

માણસાઈ



જમનાદાસ શેઠ અને એની પત્નિનું અકસ્માતમાં મૃત્યુ થયું. દિલના ઉદાર એવા શેઠે ખુલ્લા હાથે દાન-ધર્માદો કરેલો. ચાર દીકરા હતા શેઠને ! એના એક મિત્રને મરવા સમયે આપેલા વચન નિભાવવા એની દીકરીને દત્તક લીધેલી.

ચારે વહુઓને આ દીકરી બહુ નડતી. દીકરી ફક્ત વારે-તહેવારે જ આવતી. એ પણ બધાના વર્તનને સમજતી પણ શેઠની ભલમનસાઈ એને ત્યાં ખેંચી લાવતી.

જ્યારે આ દીકરીને એના આ મા-બાપના મોતની જાણ થઈ ત્યારે એને તો બહુ મોટો આઘાત લાગ્યો. એ એના સાસરીપક્ષના સાથે શબની અંતિમવિધિમાં આવી. હરકોઈને દેખાડવા બેનને બધાએ બહુ સાચવી. જેવી બધી વિધી પૂરી થઈ કે ચારે ભાઈનો પરિવાર અને દીકરીની હાજરીમાં વકીલે ખુલાસો કર્યો કે તમારી આ મિલકતનો પાંચમો હિસ્સો આ બેનને પણ મળશે.

કોઈને આ વાત ગળે ન ઉતરી. બધાએ કહ્યું, " એ લોહીના સંબંધની બહેન હોત તો ખુશી ખુશી આપત પણ આ તો દતક લીધી છે. બાપુજી તો લખીને ગયા નથી એટલે અમે અમારો નિર્ણય જાતે લેશું.

બહેનને મિલકતનું દુઃખ નહોતું પણ, જે દતક અને લોહીના સંબંધવાળી વાત હતી એ ખૂંચી. એ પણ ત્યાંથી નીકળી ગઈ. થોડા દિવસ પછી એક ખાનગી કંપનીએ જમનાદાસના પરિવાર સામે એવો દાવો માંડ્યો કે "કંપનીને જમનાદાસે ત્રીસ લાખ આપવાના નીકળે છે. જે એના વારસદારો ચૂકવે" બધાએ ગલ્લા-તલ્લા કર્યાં.
ત્યારે નાની વહુએ દિમાગ લગાડ્યું કે 'બાપુજીના જૂના મકાનની કિંમત વીસેક લાખ આવે એમ છે તો એમાં આપણે બેનનો ભાગ પણ જોડી તો આ ચૂકવણામાં એ પણ છ લાખ આપશે.'

બધાએ બેનને હસી-ખુશી મનાવીને મકાનમાં ભાગ આપવાનું નક્કી કર્યું. ભાગબટાઈ પછી આ કંપનીના દેણાની વાત થઈ. બેન તો દંગ રહી ગઈ. ફક્ત એક જ મિલકત ભાગમાં આપ્યો અને એમાં પણ વધારે મૂડી નાંખી કર્જ ભરવાનો. એણે તો એ કંપનીના માલિકને મળવાનું નક્કી કર્યું.

એ બિચારી ફફડતી ફફડતી કંપનીના માલિક સમક્ષ પોતાની વાત મૂકે છે. એ ક્યાંય જ એના ભાઈ કે એના શેઠનું બુરું નથી બોલતી. એ પોતાના હિસ્સાની રકમ આપી અને બોલે છે કે, "બાકીના મારી સગવડતાએ આપીશ!"


ત્યારે એ કંપનીનો માલિક બોલ્યો કે, " દીકરી...શેઠને તારા તરફ માન હતું. એ પણ જાણતા હતા કે કંઇક આવું થશે જરૂર. મારે કોઈ લેણુ નથી લેવાનું એની પાસે. આ કંપનીને બનાવવામાં શેઠે મને ત્રીસ લાખ આપ્યા હતા. તને તારો ભાગ મળે એટલે મારે આવું કરવું પડ્યું. આ લે ! એ શેઠના જૂના મકાનની ચાવી. એ મકાનના હિસ્સાના તમામ રૂપિયા બધાએ આપ્યા છે. હું એ મકાન તને આપું છું અને શેઠે જે ત્રીસ લાખ મને આપ્યા હતા એ પણ તને જ આપું છું. દીકરી, તે તારા પાલક માતા-પિતાની ક્યારેક તો સેવા કરી જ હશે. આમ પણ તું એનું સંતાન જ ગણાય. આ તારો હક થાય લેવાનો. દીકરીને એ પાલકપિતાના શબ્દો યાદ આવ્યા કે, " ગોરંભાયેલા આકાશની ગરમીથી ડરવું નહીં. એની નીચે ઠંડક પહોંચડનાર વરસાદની અસંખ્ય બૂંદો જ હોય. એ બૂંદ જ્યારે જ્યારે વરસે ત્યારે જ સમજાય કે સેવાના ફળ મેવા જ બને."

દીકરી તો શેઠની એ વાત હવે સમજી. પાલકપિતાને યાદ કરી અને એની માણસાઈ યાદ કરી પોતે જ્યાંથી દતક લેવાઈ હતી એ આશ્રમમાં એણે પચાસ ટકાની મૂડી દાન કરી. રૂપિયા પાછા આપનાર શેઠની સમજદારી પર પણ એ વારી ગઈ અને હકથી બોલી, "દતક તો કાગળિયે લખાયેલું છે. બાકી, મારા જન્મદાતાની યાદ મને ક્યારેય જમનાદાસજીએ નથી આવવા દીધી."

બન્ને શેઠની માણસાઈ દીકરીનું જીવન બનાવી ગયું એ પણ હકથી.

શિતલ માલાણી "સહજ"
૩/૬/૨૦૨૧
જામનગર