Jivan Sathi - 11 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 11

આન્યાને દિપેને પોતાના ઘરે રાખી છે તેવી ખબર પડતાં જ ગામવાળા દિપેનને મારવા માટે આવ્યા અને તેના ઘરમાં તોડફોડ કરીને તેનું નુકસાન પણ કર્યુ.

દિપેને શાંતિથી ગામવાળાને સમજાવ્યા કે, કયા કારણથી તેણે આવી કોઈ છોકરીને એટલે કે આન્યાને પોતાના ઘરમાં રાખી છે અને પોતે તેને પોતાની નાની બહેન સમજે છે તેમ પણ જણાવ્યું.

વધુમાં દિપેને કહ્યું કે, "બસ, હું ખાલી સમયની રાહ જોતો હતો કે ક્યારે તે ભાનમાં આવે અને તેનાં માતા-પિતા ક્યાં છે તે જણાવે જેથી હું તેને તેનાં માતા-પિતાના હાથમાં હેમખેમ સોંપીને આવું.

દિપેનની આ વાત સાંભળીને ગામનાં લોકો શાંત પડી ગયા અને તેમના મનમાં જે ભ્રમ હતો તે દૂર થઈ ગયો અને દિપેનની અને તેની બહેન પૂર્વીની એક્સિડન્ટની વાત સાંભળીને તે લોકોની આંખમાં પણ આંસુ આવી ગયાં.

દિપેન આન્યાને બચાવીને પોતાના ઘરે લાવ્યો તે બદલ તેમણે દિપેનને સાબાશી આપી અને તેઓ વિચારવા લાગ્યા કે ધરતી ઉપર હજીપણ સારા માણસો અને માણસાઈ જીવે છે.

તેમજ ગામ વાળા લોકો દિપેનને આન્યાને તેનાં આ કારય કહેતાં ગયાં કે,"આ દીકરીને અહીં જ આપણાં ગામમાં આપણી પાસે જ રાખો તેની સારવારમાં જે ખર્ચ થશે તે આપણે સૌ સાથે મળીને ભોગવી લઈશું અને સાજી થશે એટલે આપણે આપણાં હાથે જ તેનાં માતા-પિતાને સોંપી દઈશું.

ગામના લોકોની આ વાત સાંભળીને દિપેનને થોડી રાહત થઈ પણ તે આન્યાની સામે જોઈ રહ્યો હતો અને તેને આન્યાની ચિંતા થતી હતી કે, આ છોકરી ક્યાંની છે ? કોણ તેના માતા-પિતા હશે ? અને ક્યારે તે ભાનમાં આવશે અને પોતાનું નામ ઠામ બતાવશે જેથી હું તેને તેનાં ઘરે મૂકી આવું ? અને અત્યારે તેના માતા-પિતાની શું હાલત હશે ? તે ભાનમાં આવશે અને તેની યાદદાસ્ત તો તે ગુમાવી નહીં બેઠી હોય ને અને જો એવું હશે તો વધુ મુશ્કેલી થશે. આવા અનેક સવાલો તેને ઘેરી વળ્યા હતા.

અને પછી તેણે ઉપર નજર કરી અને બોલ્યો કે, "હે ભગવાન, તારી લીલા અપરંપાર છે..!!" અને નિસાસો પણ નાંખ્યો.
*************
આ બાજુ ડૉ‌. વિરેન મહેતા અને મોનિકા બેનની આંખમાં પણ આંસુ સૂકાતા ન હતાં અને જમવાનું પણ તેમના ગળેથી નીચે ઉતરતું ન હતું.

ડૉ. વિરેન મહેતા અવાર-નવાર એરપોર્ટના અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા કરતા હતાં કે આન્યાના કોઈ સમાચાર મળ્યાં કે નહીં પરંતુ તે નિરાશ થઈને પાછા ફરતાં હતાં.

આ બાજુ સંયમના મમ્મી-પપ્પાની તેમજ કંદર્પ અને સીમોલીના મમ્મી-પપ્પાની હાલત પણ ખૂબજ ખરાબ હતી.

સંયમનું સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ચૂક્યું હતું પરંતુ તેના મમ્મી-પપ્પાને આ સમાચાર હજુ આપ્યા ન હતા તેમને સંયમને હોસ્પિટલમાં દાખલ કરેલો છે તેવું જ કહેવામાં આવ્યું હતું.

કંદર્પ અને સીમોલી બંને બચી ગયા હતાં પરંતુ બંનેની પરિસ્થિતિ થોડી ગંભીર જ હતી તેથી તે બંનેને હોસ્પિટલમાં દાખલ કરેલાં હતાં તે બંને‌ બચી જાય કે નહીં કંઈ કહી શકાય તેમ ન હતું.

મોનિકા બેન સતત ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતાં કે મારી આન્યા સાજી સમી હોય અને મને જલ્દીથી પાછી મળી જાય.

દિવસો ઉપર દિવસો પસાર થયે જતાં હતાં પરંતુ આન્યાના કોઈ સમાચાર હજી ડૉ.વિરેન મહેતાને અને મોનિકા બેનને મળ્યા ન હતા.

આ બાજુ દિપેન પણ આન્યાને જલ્દીથી સારું થઈ જાય અને તે જલ્દીથી ભાનમાં આવી જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો.

આન્યા ભાનમાં આવે છે કે નહિ અને આવ્યા પછી પણ તેની યાદદાસ્ત તો તે ગુમાવી નથી બેઠીને જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ...‌

~ જસ્મીના શાહ 'જસ્મીન'

દહેગામ

4/7/2021