line beyond the education books and stories free download online pdf in Gujarati

શિક્ષણની ક્ષિતિજને પેલે પાર...

જ્ઞાનનો પ્રવાહ એ સતત ચાલતી એક યાત્રા જેવો હોય છે. માણસમાત્રના જીવનમાં માત્ર જ્ઞાન જ એક એવો સ્ત્રોત છે જે સદાય જીવનને ઉચ્ચત્તમ મૂલ્યો મેળવવા માટે અવિરત વહે છે. જીવન કયારેય પણ અટકતું નથી, તો જીવનમાં શિક્ષણની યાત્રા પણ કયારેય અટકતી નથી. સિવાય કે માણસ જાતે જ કશું શીખવાનું બંધ કરી દે તો જ. આ જ્ઞાન થકી જ માનવ જીવથી શિવ સુધી પહોંચી શકે છે. માણસમાત્રના ઘડતરનો આધાર તેના સંસ્કારો પર રહેલો છે. આ સંસ્કાર સિંચનનું કામ માતા-પિતા સિવાય કોઇ પણ શ્રેષ્ઠ રીતે કરી શકે નહીં. આવી જ આપણી એક યાત્રા અવિરત ચાલે છે જેનું નામ છે શિક્ષણની ક્ષિતિજને પેલે પાર...

આજના સમયમાં ચારેય તરફ જયારે બાળ-કેળવણી અને બાળકોના ઘડતરની વાત થઇ રહી છે ત્યારે એવી કઇ બાબતો છે કે જે એક બાળકને પણ સામાજીક બનાવી શકે. આ બાળક પણ નાનપણથી જ પોતાના જીવનમાં સાદગીની સાથે સેવા જેવા ગુણો કેળવે. શા માટે આજના માતા-પિતાઓ એ વાતથી ભાગતા જોવા મળે છે કે સામાજીકતાના ગુણો બાલપણમાં જ કેળવી શકાતા નથી ?

આજે પણ ઘણા ઘરોમાં બધા જ પરિવાજનો એકસાથે જ જમવા બેસતા હોય છે, જે પણ બાળકને પરિવારપ્રેમનું દર્શન કરાવે છે. આવા પરિવારપ્રેમ થકી જ બાળક કે યુવાન સામાજીકતા શીખતો હોય છે. આપણા બાળકો ઘણીવાર પોતાના મિત્રો સાથે મળીને કોઇ કાર્ય કરતા હોય ત્યારે તેમનો ઉત્સાહ વધારવો જોઇએ. આજના માતા-પિતા વધારે પડતી સમજણના કારણે પણ વિવિધ કલાસમાં બાળકોને મોકલી આપે છે અને એ બાળક આખો દિવસના થાકના કારણે પોતાની શેરી કે પોળમાં રમી શકતું નથી, જેના કારણે એનામાં ભાઇચારાની ભાવના જાગતી નથી. . આજના મા-બાપને પણ પોતાનું બાળક કે પોતાનો યુવાન દીકરો સમાજના વિવિધ કાર્યોમાં ઉત્સાહથી સહભાગી બને અને બધાની સાથે પ્રેમ અને સૌજન્યતાપૂર્ણ વર્તન કરે એ ખુબ જ ગમતું હોય છે.

આજુબાજુના પડોશીઓ સાથેના તાણાવાણા વાળા સંબંધો પણ બાળકને સામાજીક બનાવી શકતું નથી. આજે ઘણા વાલીઓ બાળકોને અલગ અલગ રૂઢિગત વાતોમાં જકડી રાખે છે અને પોતાને ગમે તે પ્રમાણે જ વર્તબ કરવાનું અને રહેવાનું એવું ફરમાન કરતા હોય છે, જે કોઇપણ અંશે યોગ્ય નથી. ઘરે આવતા મહેમાનોની સામે સર્કસના જોકરની જેમ ખેલ કરવાનો હોય એમ વિવિધ પ્રવૃતિઓ કરાવે છે. આ બધી જ બાબતોનો બાળકના માનસ પર ઘણો પ્રભાવ પડે છે અને એ સ્વ: કેન્દ્રી બની જાય છે. આના ઉપાય તરીકે આપણે જ ઘણું બધું કરી શકીએ છીએ. જેમ કે બાળકને સામાજીક મેળાવડામાં લઇ જાઓ. શાળાઓમાં એમના મિત્રો સાથે મળીને સામાજીક સેવાની પ્રવૃતિઓમાં ભાગ લેવાનું શીખવી શકાય.એમને પોતાના કામ જાતે કરતા કરવા જોઇએ. માતા-પિતાએ પણ બાળકની સામે શિષ્ટ વર્તન કરવુ જોઇએ. બાળકના મિત્રોને ઘરે બોલાવીને કે બહાર એમને સાથે લઇ જઇને કોઇ સેવાકીય સંસ્થાની મૂલાકાત કરાવવી જોઇએ. એમને નવા નવા કાર્યક્રમોમાં ભાગ લેતા કરવા જોઇએ. આવી બાબતો થકી જ આપણે બાળકોને આપણી નજીક લાવી શકીએ છીએ અને એમને જીવનની વિવધ બાબતો શિખવીને પરિપક્વ બનાવી શકીએ છીએ. ભવિષ્યમાં આવા જ બાળકો સેવા-સત્કાર્યમાં જોડાય છે અને નાના-મોટા સંગઠનો બનાવીને સેવાભાવી પ્રવુતિઓ કરતાં હોય છે. એમના માતા-પિતાનું અને સાથે પરિવારનું નામ રોશન કરતાં હોય છે.

અંતમાં એટલું જ કહેવાનું કે બાળક નાનું હોય ત્યારથી જ એને પોતાની સાથે રાખીને આપણા જીવનના સંઘર્ષો અને સમાજની વિવિધતાનો પરિચય કરાવતા રહીએ તો સમાજમાં સંવાદિતા વધારી શકાય છે અને એક ઉત્તમ કક્ષાનાં સમાજનું નિર્માણ કરી શકાય છે. આવી બધી બાબતો શિખવવાની જવાબદારી માતા-પિતા કરતાં કોણ વધારે સારી રીતે નિભાવી શકે?